સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક

2

|| સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક ||

શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતા. એક દિવસ તેઓ બંને શ્રી વીરભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે શંખે પુખિલને કહ્યું `તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઇશું.’

શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું, પણ ઘેર પહોંચતાં તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.

શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી શરીર-સત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઇ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.

આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું ભોજન તૈયાર થઇ ગયા બાદ તે શંખને તેના ઘરે જમવા માટે તેડવા આવ્યો. પુખલિને આવતો જોઇ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઇ અને સત્કારથી તેને ઘરમાં લઇ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઇર્યાયપથિકી પડિIમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.

શંખે કહ્યું, `મારે એ ભોજનમાંથી કંઇ પણ કલ્પે નહિ તમારી ઇચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઇ પણ વાનગી બનાવવાની નથી. શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતા વિચાર્યું કે `સવારમાં શ્રી પ્રભુને વંદના કરી હું પૌષધ પારીશ.’ સવાર પડતાં શંખ શ્રી વીર પ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઇ તેણે ઠપકો આપ્યો કે, `ગઇકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું’ ભગવાને આ સાંભળી કહ્યું, પુખલિ! `તમે શંખની નિંદા ન કરો. ગઇકાલે રાત્રે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.’ ત્યારે શ્રી ગૌતમસ્વામીએ પ્રüા કર્યો, `ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?’ ભગવંતે કહ્યું જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા તે કેવળી ભગવંતોને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદમસ્થ અણગારી (મુનિ)ને હોય છે. ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે. આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું, `ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.’ આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર લાખ પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. પાંચમાં અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણ્યું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.

"પૌષધ" પર્યુષણાનું પરમ કર્તવ્ય

|| “પૌષધ” પર્યુષણાનું પરમ કર્તવ્ય ||

“પુણ્યનું કરે પોષણ ને પાપનું કરે શોષણ“

પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક – તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે

પર્વાધિરાજ પર્યુષણાનો માહોલ જૈનશાસનમાં અત્ર-તત્ર-સર્વત્ર છવાઈ ચૂક્યો છે. જિનાલયો પૂજન-દર્શન કરનાર ભાવિકોથી છલકાઈ રહ્યા છે, તો ઉપાશ્રયો ચિક્કાર ઉપસ્થિત શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. શું તપત્યાગ કે શું દયાદાન, શું સદ્‌ગુરુસેવા કે શું સાધર્મિકભક્તિઃ ધર્મના હર પ્રકારો આ પર્વમાં પૂરબહારમાં ખીલે છે. પર્યુષણાના પ્રારંભિક પ્રવચનગ્રન્થ ‘અષ્ટાહિ્‌નકા’ શાસ્ત્રગ્રન્થની ભાષામાં કહીએ તો, પૂજા-પચ્ચક્‌ખાણ-પ્રતિક્રમણ-પૌષધ અને પરોપકાર ઃ આ પાંચ ‘૫’અક્ષરથી શરૂ થતાં ધર્મની જાણે મોસમ જામી છે.

શાસ્ત્રો દર્શાવેલ આ પાંચ પૈકીના કોઈપણ એક ‘૫’ને, પર્યુષણાપર્વના દિવસોમાં આ ‘અમતૃતની અંજલિ’માં વર્ણવવાનો ઉપક્રમ છેલ્લા બે વર્ષથી આપણે અપનાવ્યો છે. એ જ શૃંખલામાં આજે ત્રીજી કડી ઊમેરીને આપણે ‘પૌષધ’ નામે મહત્વની ધર્મકરણી આસપાસ વિચારવિહાર કરીશું.
જૈનધર્મનો શુદ્ધ પારિભાષિક શબ્દ ગણાતાં આ ‘પૌષધ’ની સૌથી વઘુ બોલબાલા પર્યુષણાપર્વમાં નિહાળવા મળે છે. વર્ષમાં એક પણ પૌષધ ન કરનારાઓ આ પર્યુષણાપર્વમાં અનુકૂળતા મુજબ, એક-બે-ત્રણ યાવત્‌ આઠ આઠ રાત-દિવસના પૌષધ પણ કરતાં હોય છે. આ દિવસોમાં ‘પૌષધ’નું મહત્વ કેટલું છે ? એ જાણવા એક જ ઉદાહરણ પર્યાપ્ત રહેશે. ઈ.સ. ૨૦૦૭માં અમે મુંબઈના વસઈ જૈન સંઘમાં ચાતુર્માસ હતા. જ્યાં અન્ય તિથિએ એક પણ પૌષધ ન થતો તેવા એ સંઘમાં પર્યુષણામાં એવો માહોલ જામ્યો કે સંવત્સરીમહાપર્વદિને ૧૩૫ વ્યક્તિઓએ પૌષધ કર્યો અને તેમાં બહેનો કરતાં ભાઈઓ વઘુ સંખ્યામાં હતા. અરે ! સંઘના જે ટ્રસ્ટીઓએ જીવનમાં કદી ‘સામાયિક’ન હતું કર્યું એમણે પણ ત્યારે પૌષધ કર્યો.

શું છે આ પૌષધ ? જરા સમજીએ એનું સ્વરૂપ. ‘પૌષધ’ની સામાન્ય વ્યાખ્યાએ છે કે જેમાં સંસારી વ્યક્તિ સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન સ્વીકારીને બાર કલાક યા ચોવીશ કલાક તેનું પરિપૂર્ણ પાલન કરે તેને કહેવાય પૌષધ. જૈન ગૃહસ્થનાં જીવનનું આ સર્વોચ્ચ કક્ષાનું વ્રત ગણાય છે. વ્યક્તિએ પૌષધ દરમ્યાન અગ્નિ-સચિત જલ-વનસ્પતિ-વિજાતીય વ્યક્તિનો સ્પર્શ સુદ્ધાં ત્યજવાનો હોય છે, તો પંખો-એ.સી.-ફોન-ગાડી વગેરે તમામ સુવિધા ત્યાગવાની હોય છે. અરે ! એ સમય દરમ્યાન ઘર-બારનો પણ ત્યાગ કરવાનો હોય છે. આવો પૌષધ ઓછામાં ઓછો બાર કલાકનો અને વધીને ચોવીશ કલાકનો હયો છે. સાતત્ય જાળવીને ઉપરાઉપરી અનેક પૌષધ પણ કરાય છે. જેમ કે પર્યુષણાપર્વમાં ચોસઠ પ્રહરના અર્થાત્‌ સળંગ આઠ દિવસ-રાતના પૌષધનો મહિમા હોય છે, તો ઉપધાનપત નામે આરાધનામાં ત્રણ તબક્કામાં અખંડ સુડતાળીશ રાત-દિવસ, પાંત્રીશ રાત-દિવસ અને અટ્‌ઠાવીશ રાત-દિવસના પૌષધ કરવાનો શાસ્ત્રીય નિયમ હોય છે. જેને આ કાળમાં પણ હજારો જેને ભાઈ-બહેનો શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક અપનાવે છે.

શાસ્ત્રદ્રષ્ટિએ વિચારીએ તો પૌષધ ચાર પ્રકારનો છે. પહેલો છે આહાર પૌષધ. પૌષધ દરમ્યાન અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરવો કે અચિત (ઉકાળેલ) પાણીની અમૂક નિશ્ચિત સમયની છૂટ રાખીને અન્નનો સંપૂર્ણ કરવો અર્થાત્‌ ઉપવાસ કરવો તેને સર્વથી આહાર પૌષધ કહેવાય છે. અને પૌષધમાં આયંબિલ કે એકાસણાનું તપ કરવું તેને દેશથી આહાર પૌષધ કહેવાય છે. પૌષધમાં ઓછામાં ઓછું એકાસણાનું (માત્ર એક જ વારના ભોજનનું) તપ તો જોઈએ જ. એથી નીચેનું તપ ત્યાં ચાલે નહિ.. બીજે છે શરીર સત્કાર પૌષધ. પૌષધ દરમ્યાન શરીરની શોભા-વિભૂષા અને સ્નાનાદિનો સંપૂર્ણ ત્યાગ કરવો તેને કહેવાય છે શરીર સત્કાર પૌષધ. અરે ! પાવડર-મેકઅપ તો દૂર રહ્યા, આમાં તો હાથ-પગ-મુખ પણ પાણીથી સ્વચ્છ કરવાની મનાઈ છે.

જે કાળમાં વ્યક્તિઓ એક વાર નહિ, દિવસમાં બબ્બે ત્રણ ત્રણ વાર સ્નાન કરીને પાણીનો બગાડ કરે છે તે કાળમાં આવા નિયમો મજબૂત મનોબલ અને ત્યાગ-વૈરાગ્યની ભાવના સિવાય શક્ય નથી. ઉપરોક્ત બન્ને પ્રકારના પૌષધનો મુખ્ય હેતુ શરીરની આસક્તિ તૂટે અને વિરાધનાનો પરિહાર થાય તે છે.
ત્રીજો છે બ્રહ્મચર્ય પૌષધ. પૌષધ દરમ્યાન દરેક સ્ત્રી-પુરુણે મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પૂર્વે જણાવ્યું તેમ આ નિયમ એટલો કડક હોય છે કે તેમાં વિજાતીય વ્યક્તિનો અજાણતાં ય સ્પર્શ ન થવો જોઈએઃ પછી ભલેને એ વિજાતીય વ્યક્તિ પોતાનું જ સંતાન હોય !! ભૂલમાં એનો સ્પર્શ થઈ જાય તો ય એનું પ્રાયશ્ચિત (પનીશમેન્ટ) લેવાનું આવે… ચોથો છે અવ્યાપાર પૌષધ. વ્યાપાર એટલે પ્રવૃત્તિ. પૌષધ દરમ્યાન કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ કરાય નહિ. અરે ! ઘરની-બજારની વાતો પણ કરા નહિ. માત્ર સ્વાઘ્યાય-જાપ-કાયોત્સર્ગ જેવી ધાર્મિક પ્રવૃત્તિ જ કરાય. આ ચારેય પ્રકારના પૌષધનું સંયુક્ત પાલન દિવસના બાર કલાક કરવું તે દિવસ પૌષધ કહેવાય, રાત્રે કરવું તે રાત્રિપૌષધ કહેવાય અને રાત-દિવસ કરવું તે અહોરાત્ર પૌષધ કહેવાય. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં ઈ.સ. ૨૦૦૫માં જૈનોના સર્વોચ્ય તીર્થ પાલિતાણામાં ભવ્ય સામૂહિક ચાતુર્માસ થયું હતું ત્યારે, એક ભાગ્યવાન ભાઈએ એક પણ દિવસનું અંતર પાડ્યા વિના સળંગ એકસોવીશ અહોરાત્ર પૌષધ કર્યા હતા !!

પૌષધ શા માટે કરવો જોઈએ ? એનું એકદમ સરલ કારણ પૂજ્ય આત્મારામજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં કરેલ રસપ્રદ પ્રરૂપણામાંથી મળી રહે છે, એમણે ત્યાં ચાર શ્રેષ્ઠ બાબતો દર્શાવીને કહ્યું હતું કે પ્રત્યેક જૈન ભાઈ-બહેને જીવનમાં ઓછામાં ઓછી એકવાર તો તે આત્મસાત્‌ કરવી જ જોઈએ. એમાંની એક વાત હતી ચોસઠ પ્રહરી પૌષધ. તેની ઉપયોગિતા દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે તેનાથી વ્યક્તિમાં વિરતિધર્મના સંસ્કારો પાંગરે અને ભાવિમાં ચારિત્રધર્મપાપ્તિની શક્યતા રહે. પૌષધનાં કારણે અનેક છે, કંિતુ તેમાં આ એક અતિ અગત્યનું કારણ છે. એટલે જ તો જૈન શ્રાવક-શ્રાવિકાનાં બાર વ્રતોમાં આ પૌષધવ્રતને સ્થાન આપવામાં આવ્યું છે.

દરેક વ્યાવહારિક કે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં, ‘તેનું પરિણામ શું ? ફળ શું ?’ આ જાણવાની ઇચ્છા હર કોઇ વ્યક્તિને હોય છે. ખરું કહીએ તો આ જિજ્ઞાસા જ પ્રવૃત્તિનું પ્રેરક પરિબળ બની રહે છે. એટલે પ્રસ્તુતમાં, પૌષધનું ફળ શું ? તે પણ જાણવું જોઇએ. આ માટે જૈન શાસ્ત્રોમાં એક પ્રાચીન ગાથા આમ મળી રહે છે.
કહે છે…..

” પોસેઈ સહુભાવે, અસુહાણં ખવેઈ નત્થિ સંદેહો ત
છંદિઈ નરયતિરિગઈ, પોસહવિધિ અપ્પમત્તો અ.’’

મતલબ કે અપ્રમત્તભાવે પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક-તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે. ગાથામાં દર્શાવેલ આ પરિણામો ઉપરાંત, જો તે આરાધક અત્યંત શુભ ભાવોમાં અરૂઢ થાય તો સર્વકર્મક્ષય પણ કરી શકે છે. આવાં ઉત્તમ ફળો – ઉત્તમ પરિણામો પૌષધવ્રતનાં છે.

ઉત્તમ પરિણામદાયક આ મહાન પૌષધવ્રતને આરાધક પુણ્યાત્મા કઈ હદના ઉત્તમ ભાવોથી આરાધે તે જાણવું છે ? તો વાંચો જૈન ઈતિહાસના તેજસ્વી તારલા મહાન રાજા ચન્દ્રાવતંસકની આ હૃદયસ્પર્શી કથાઃ

પરમ ધાર્મિક રાજા ચન્દ્રાવતંસકને પર્વતિથિએ પૌષધવ્રતનો નિયમ હતો. આ માટે તેમણે રાજમહેલના જ એક અલાયદા વિભાગમાં પૌષધશાળા રચાવી હતી. એક પર્વતિથિની વાત. પૌષધવ્રત સ્વીકારીને રાજા ત્યાં ધર્મસાધના કરતા હતા. તમામ આવશ્યક ધર્મક્રિયા પૂર્ણ થયા બાદ રાત્રિસમયે રાજાએ એક અભિગ્ર = ધારણાનિયમ આદરવાનું વિચાર્યું. રાત્રિ છવાઈ ચૂકી હતી. એથી બહારના ભાગે દાસીએ સૌમ્ય દીપજ્યોતિ પ્રગટાવી હતી.

રાજાએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી આ દીપજ્યોતિ ઝળહળતી રહે ત્યાં સુધી મારે અખડપણે કાયોત્સર્ગ ઘ્યાનમાં લીન રહેવું.’ એમનાં મનમાં અંદાજ એ હતો કે નાનકડી આ દીપજ્યોતિ વઘુમાં વઘુ એક-દોઢ કલાક પ્રકાશિત રહેશે. પછી ઘી ખૂટતાં એ આપોઆપ બઝાઈ જશે.
પરંતુ ભવિતવ્યતાના યોગે બન્યું વિપરીત. પૌષધશાળામાં અંધારપટ ન છવાય અને સાધનાલીન રાજાને સહાયક થવાય આવી ભલી બુદ્ધિથી પેલી દાસી જાગતી રહી અને કલાકે કલાકે પેલી દીપશિખામાં ઘી પૂરતી રહી !! ઉત્તમ આરાધક રાજાએ દાસીને ઘી પૂરતી અટકાવવાનો એક ઈશારોમાત્ર ન કર્યો અને સ્વીકારેલ અભિગ્રહ મુજબ અખંડપણે એક જ સ્થાને ઊભા ઊભા કાયોત્સર્ગઘ્યાન જારી રાખ્યું. સંપૂર્ણ રાત્રિપર્યંત પેલી દાસીએ દીવડો પ્રજ્વલિત રાખ્યો, તો સંપૂર્ણ રાત્રિપર્યંત રાજવીએ કાયોત્સર્ગ ઘ્યાનનો દીવડો પ્રજ્વલિત રાખ્યો. ન કોઈ ખેદ-સંતાપ કે ન કોઈ નિયમમાં બાંધ-છોડ !!

આખરે પ્રભાત થયું. હવે દીવડાની આવશ્યકતા ન જાણતાં દાસીએ ઘી ન પૂર્યું. દીવડો સ્વયં બુઝાયો અને ત્યારે પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી રાજાએ ઘ્યાન પૂર્ણ કર્યું. રાજા બેસવા ગયા. કંિતુ સમગ્ર રાત્રિ એક જ અવસ્થામાં રહેવાનું કષ્ટ શરીર સહી ન શક્યું. રાજા ત્યાં જ પ્રાણમુક્ત થઈને સદ્‌ગતિએ સંચર્યા !! રાજા ભલે વિદાય થયા. પરંતુ એમની આ વિરલ આરાધનાકથા – યશોગાથા આજે પણ પૌષધ પારવાનાં સૂત્રમાં અમર છે. એ સૂત્રમાં ચન્દ્રાવતંસકરાજાનો ઉલ્લેખ કરીને લખાયું છે કે ઃ- ‘‘જેસિ પોસહપડિમા, અખંડિઆ જીવિઅંતે વિ.’’ મતલબ કે ચન્દ્રાવતંસક વગેરે તે પુણ્યાત્માઓને ધન્ય છે કે જેમણે પ્રાણાંતે પણ પૌષધ નિયમ અખંડ જાળવ્યો છે…

અંતે, એક ગુજરાતી કડી ટાંકીને પૌષધમહિમાના આ લેખનું આપણે સમાપન કરીશું કે ઃ-

‘‘આઠ પ્રહરનો પૌષધ લઈને, ઘ્યાન પ્રભુનું ધરીએત
મન-વચન-કાયા જો વશ કરીએ, તો શિવમંદિર લહીએ…’’

સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક

5   6

|| સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક ||

સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્ય઼ું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.

પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારૂં ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !

આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.”

પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.”

પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.

એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાન પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નગરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.

પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. ઘણા મેરૂ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્ત્તાનું મહિમાગાન કરે છે.

આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભાવે તવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.

પૌષધોપવાસ વ્રત

1

|| પૌષધોપવાસ વ્રત ||

“ વિરતી એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઇન્દ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવલ તુચ્છ છે.
એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે,
આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.”

ત્રીજું શિક્ષાવ્રત – અગ્યારમે પૌષધોપવાસ વ્રત : પૌષધ એટલે શું ? તેના ભેદો કેટલા

જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેને પૌષધ કહેવાય. આઠમ, ચૌદશ વગેરે પર્વતિથિએ પૌષધ કરવો જોઇએ. પૌષધ વ્રતના ચાર ભેદ છે અને તે દરેકના બે ભેદ છે.

૧. આહાર પૌષધ
આના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. અમુક વિગઇનો ત્યાગ કરવો અથવા આયંબિલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ કહેવાય છે. અને રાત દિવસ બેયના મળીને આઠે પહોર ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહાર પૌષધ કહેવાય છે.

૨. શરીરસત્કાર પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે અમુક પ્રકારના દેહપ્રસાધનના સાધનોનો ઉપયોગ ન કરવો, તે દેશથી, સ્નાન, માલિશ, પ્રસાધન તથા શણગાર વગેરેનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે.

૩. બ્રહ્મચર્ય પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. દિવસે કે રાતે વિષય સેવન ન કરવું, તેની મર્યાદા બાંધવી તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. અને દિવસ રાતના આઠેય પહોરનું
બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે.

૪.અવ્યાપાર પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. `અમુક વ્યાપાર હું નહિ કરું’ એમ ધારવું તે દેશથી અને દિવસ રાતનાં આઠેય પ હોર માટે સર્વ પ્રકારનો વ્યવસાય કે વ્યાપારનો ત્યાગ કરવો તે સર્વથી વ્યાપારનો પૌષધ કહેવાય છે. વર્તમાનમાં તો ચાર પ્રકારના પૌષધમાંથી ફક્ત આહાર પૌષધ જ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થાય છે બાકીના ત્રણેય પ્રકારના પૌષધમાં તો સર્વથી જ ત્યાગ થાય છે.

દેશથી પૌષધ કરનાર સામાયિક કરે પણ ખરો અને ન પણ કરે. પરંતુ જો સર્વથી પૌષધ કરવાનો હોય તો સામાયિક અવશ્ય કરવું જોઇએ. સામાયિક લીધેલા પૌષધ જ ફળ આપે છે. આ ચારેય પ્રકારનો સર્વથી પૌષધ, ઉપાશ્રય, ચૈત્યગૃહ, પૌષધશાળા કે ઘરમાં કરવો. આ પૌષધ ગુરુની સમક્ષ કરવો જોઇએ. પૌષધ લેતી વખતે સર્વ પ્રકારનાં આભૂષણો ઉતારી નાખવા જોઇએ. પૌષધના સમય દરમિયાન જ્ઞાનાભ્યાસ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મગ્રંથનું વાંચન કરવું, જાપ જપવો અથવા શુભધ્યાન કરવું.

શ્રાવક પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં અને પૌષધસૂત્રમાં કહ્યું છે: કરેમિ ભંતે પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ । વગેરે ચાર ભેદથી પોસહ કહ્યો છે. પૌષધ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. આહારપોસહ વગેરે ચાર પ્રકારના દેશથી અને સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણાતા એંશી ભાંગા થાય છે. તેમાં અત્યારે આહાર પૌષધ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોધ જોવામાં નથી આવતો. બીજું સાધુ અને ઉપધાન કરનાર શ્રાવકો પણ આહાર લે છે. બાકીના ત્રણ પૌષધ તો સર્વથી જ કરવા. અહીં કોઇ શંકા કરે કે નિર્દોષ શરીર સત્કાર અને વ્યાપાર કરવામાં શો દોષ છે? આનું સમાધાન આ પ્રમાણે છે. આ બન્ને ક્રિયા શરીર શોભા અને લોભના હેતુભૂત છે અને સામાયિકમાં આવી પ્રવૃત્તિઓના નિષેધ ફરમાવ્યા છે. શક્તિના અભાવે ધર્મક્રિયાનો ઉત્સાહ અને શક્તિ ટકાવી રાખવા માટે સાધુની જેમ પૌષધમં આહાર સ્વીકારવા યોગ્ય છે. આ સંબંધમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે `દેશથી આહાર પૌષધ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચ્ચક્ખાણ પારીને `આવસ્સહી’ કહીને ઉપાશ્રયની બહાર નીકળવું. ઇર્યાસમિતિ વડે ઘરે જઇ ઇરિયાવહી પડિIમી, ગમણા-ગમણે આલોવી ચૈત્યવંદન કરવું. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસવું. પાત્રને પ્રમાર્જવા અને પછી ઉચિત્ત ભોજન પીરસાવવું. ભોજન પીરસાઇ ગયા બાદ પચ્ચક્ખાણ સંભારી વદન પ્રમાજી ભોજન લેવું. ભોજન સમયે સબડકા કે બચકારા કરવા નહિ. આરામથી રસપૂર્વક જમવું નહિ. છાંડવું નહિ. મન-વચન અને કાયાની ગુપ્તિથી સાધુની જેમ ભોજન લેવું. ભોજન બાદ પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને નવકાર ગણીને ઉઠવું. પછી ચૈત્યવંદન કરી પચ્ચક્ખાણ ધારી અને ફરી પૌષધશાળામાં આવવું અને સ્વાધ્યાય – ધ્યાન વગેરે કરવું.

શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે, પણ આ સામાયિક અને પૌષધની એકતાની અપેક્ષાએ છે. કારણ કે મુહૂર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષધને આશ્રીને શ્રી નિશીથભાષ્યમાં એમ પણ કહેલું છે કે “उदिट्टठकडंपि सो मुंजे” તેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યું હોય `છતાં પણ ખાય’ નિર્વિવાદ વૃત્તિએ સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્તમ પૌષધ છે. શંખ નામના શ્રાવકે આવો સર્વોત્તમ પૌષધ કર્યો હતો.

|| અતિચારો ||

1. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત શય્યાસંસ્તારક öશય્યા-મકાન, સંસ્તારક-પીઠ ફલકાદિ ઉપધિ, દૃષ્ટિથી બિલકુલ અથવા બરાબર ન જોવાં ત.
2. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત શય્યાસંસ્તારક ö શય્યા વગેરે સર્વ ચરવળા-રજોહરણથી બિલકુલ અથવા બરાબર ન પૂંજવાં તે.
3. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે ન જોવી તે.
4. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે યોગ્ય રીતે ન પૂંજવી તે.
5. પૌષધ વિધિ વિપરીતતા ö પૌષધવિધિનું પાલન બરાબર ન કરવું, પૌષધ મોડો લેવો – વહેલો પાળવો ઈત્યાદિ.

|| પૌષધ વ્રતના અઢાર દોષો ||

1. પૌષધમાં વ્રતી સિવાયના બીજા શ્રાવકનું આણેલું પાણી પીવું.
2. પૌષધ નિમિત્ત સરસ આહાર લેવો.
3. પૌષધ કરવાના આગલા દિવસે ઉત્તરપારણામાં વિવિધ પ્રકારે સ્વદિષ્ટ પદાર્થોનો સંયોગ મેળવીને આહાર કરવો.
4. પૌષધમાં અથવા પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહવિભૂષા કરવી.
5. પૌષધ નિમિત્તે વસ્ત્રાદિક ધોવાં કે ધોવરાવવાં.
6. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવી પહેરવાં. સ્ત્રાળએ પણ સૌભાગ્યનાં ચિહ્ન સિવાય ઘરેણાં પહેરવાં.
7. પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવીને પહેરવાં.
8. પૌષધમાં શરીર ઉપરનો મેલ ઉતારવો.
9. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી.
10. પૌષધમાં સારી કે નઠારી સ્ત્રાળ સંબંધી કથા કરવી.
11. પૌષધમાં આહારને સારોöનઠારો કહેવો.
12. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી.
13. પૌષધમાં દેશકથા કરવી.
14. પૌષધમાં પૂંજ્યા કે જોયા વિના લઘુનીતિ (મૂત્ર) વડીનીતિ (ઝાડો) પરઠવવાં.
15. પૌષધમાં બીજાની નિંદા કરવી.
16. પૌષધમાં માતા, પિતા, ભાઈ, સ્ત્રાળ વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો.
17. પૌષધમાં ચોરની કથા કરવી.
18. પૌષધમાં સ્ત્રાળ-પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં. આ અઢાર દોષો પૌષધમાં જરૂર ટાળવા પ્રયત્ન કરવો, તેમ જ તેમાંથી જેટલા દોષો ત્યજાય તેટલા ત્યજવા અને જે કોઈ દોષો લાગે તેને સારા જાણવા નહિ. પૌષધવ્રતના પાંચ અતિચારો પણ ટાળવા. વાસક્ષેપ પૂજા કરીને પૌષધ લેવાનું પ્રતિમાધર શ્રાવક માટે આવશ્યક છે. બીજાઓ પૂજા કર્યા વિના પણ તે લઈ શકે, તેથી સવારે પ્રતિક્રમણ સાથે વહેલો પૌષધ લેવો જોઈએ.

|| ધ્યેય ||

ધર્મના પોષને (પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પૌષધ. શાસ્ત્રમાં સર્વ વિરતિનો અપરંપાર મહિમા ગાતાં જણાવ્યું છે કે ભાવ વિરતિધરની બે ઘડીની આરાધના પાસે ભાવ શ્રાવક (આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવક) ની આખી જિંદગીની આરાધનાની પણ તુલના ન કરી શકાય. તેનું કારણ શું ? વિરતિ એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઈદ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવ તુચ્છ છે. એવી આ સર્વ વિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ (સેમ્પલ) ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે, જે તમે દુનિયામાં દીવો લઈને ગોતવા જાવ તો પણ મળવું અશક્ય છે. આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પુણ્યનો સંચય કરી પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.

 

બ્રહ્મચર્ય વ્રત

3   2

|| બ્રહ્મચર્ય વ્રત ||

બ્રહ્મચર્ય આદરસત્કાર મેળવવા માટે નહિ , શીલસંપત્તિ મેળવવા માટે નહિ સમાધિસંપત્તિ મેળવવા માટે નહિ કે પ્રજ્ઞા પ્રાપ્ત કરવા માટે નહિ , પરંતુ આત્યંતિક ચિત્તવિમુક્તિ (નિર્વાણ) માટે છે ,

આત્યંતિક ચિત્તવિમુક્તિ એ બ્રહ્મચર્ય નો સાર છે , અને એ જ બ્રહ્મચર્યનું પર્યવસાન છે.

આત્મામાં વિચરવું એનું નામ બ્રહ્મચર્ય છે, પરંતુ વીર્યની રક્ષા કર્યા સિવાય આત્મામાં વિચારવું અશક્ય હોવાથી વીર્ય ની રક્ષા કરવી એ જ બ્રહ્મચર્ય , એમ મનાયું છે…

‘યોગસૂત્ર’ માં કહે છે કે ,

બ્રહ્મચર્યની દ્રઢતા થવાથી વીર્યનો લાભ થાય છે.
જે માણસ બ્રહ્મચર્યની રક્ષા કરે છે , તેને બ્રહ્મચર્ય ની વિશેષતાથી નિરતિશય સામર્થ્યનો આવિર્ભાવ થાય છે. વળી તેના સંયમથી શરીર , ઇન્દ્રાય અને મનમાં વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે…

‘શ્રી યોગભાષ્ય’ માં ગુપ્તેન્દ્રિયરૂપ ઉપસ્થના દ્રઢ નિગ્રહને બ્રહ્મચર્ય તરીકે વર્ણવ્યું છે.

‘શ્રી દક્ષસંહિતા’માં મૈથુનનાં આઠ અંગો વર્ણવ્યા છે , તેનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહ્યું છે.

‘યાજ્ઞવલ્કયસંહિતા’ માં કહ્યું છે કે –

“મન ,વાણી અને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વત્ર મૈથુન નો ત્યાગ કરવો ,તેને બ્રહ્મચર્ય કહેવાય”

બ્રહ્મ એટલે કુશળ અનુસ્થાન , તે અને એનું સેવન કરવું તે બ્રહ્મચર્ય. તાત્પર્ય કે આત્માનું હિત કરનારી જે ક્રિયા હોય તે બ્રહ્મચર્ય કહેવાય….

શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ ના પ્રથમ પ્રકાશમાં જણાવ્યું છે કે –

” દિવ્ય એટલે દેવતાના શરીર સંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને પશુનાં શરીર સંબંધી ; આમ બે પ્રકારનો કામ, તેને મન ,વચન અને કાયાએ  ગુણતા ૬ પ્રકાર થાય અને તેને કરવા, કરાવવા, અને અનુમોદવારૂપ ૩ પ્રકારને ગુણતા ૧૮ પ્રકાર થાય , તેનો ત્યાગ કરવો તેનું નામ બ્રહ્મચર્ય .”

બ્રહ્મચર્ય એ શીલ અર્થાત ચારિત્રનો અતિ અગત્યનો ભાગ છે અને તેથી કાલાંતરે બ્રહ્મચર્ય અને શીલ એ સમાન અર્થ સૂચક શબ્દો બની ગયા છે.

બધી ઇન્દ્રિયોનો એકી વખતે જ સંયમ એ બ્રહ્મચર્યનું ન્યાય યુક્ત લક્ષણ છે.

મન, વચન, કાયા વડે સઘળી અવસ્થામાં મૈથુન નો ત્યાગ કરવો અને વીર્યની રક્ષા કરવી, તેને જ બ્રહ્મચર્ય કહે છે.

વર્તમાન વિચારકોમાં બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે : –

“બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ તે બ્રહ્મ ની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે, એટલે તે શોધ અંતર્ધ્યાન અને તેનાથી નીપજતા અંતર્જ્ઞાનથી થાય છે.

એ અંતર્જ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે .તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી , વચનથી , કાયાથી સર્વક્ષેત્રે , સર્વકાળે , સંયમ તે બ્રહ્મચર્ય. આવા બ્રહ્મચર્યનું પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવા સ્ત્રી પુરુષ ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવા છે, જેની વિષયેન્દ્રીય સ્વપ્નમાંયે કદી  વિકાર ન જ પામે તે જગત વંદનીય છે. તેને માટે બીજો સંયમ સહજ વસ્તુ છે એમાં શક નથી. ”

સદગત શ્રી કિશોરલાલ મશરૂવાલા બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા કહે છે કે –

“બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ અથવા ઈશ્વરના માર્ગે ચર્યા (ચાલવું) ”
“સર્વ શક્તિઓને ઈશ્વરના માર્ગે વાપરવી તે બ્રહ્મચર્ય”

બ્રહ્મચર્ય ની મહત્તા વિષે જૈનાગમોમાં કહ્યું છે કે –

“જેને બ્રહ્મચર્યની આરાધના કરી, તેને સર્વ વ્રતો, શીલ, તપ, વિનય, સંયમ, સમિતિ, ગુપ્તિ, અરે ! મુક્તિની પણ આરાધના કરી”

‘બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે , નિત્ય છે, શાશ્વત છે અને જિનોએ ઉપદેશેલો છે . એના પાલનથી પૂર્વ કાળમાં અનંત જીવો સિદ્ધ થઇ ગયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ‘

“દેવો, દાનવો અને ગાંધર્વ જાતિના દેવો, યક્ષો, રાક્ષસ અને કિન્નર જાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે, તેવા પુરુષોને નમસ્કાર કરે છે.”

જૈનાગમ ‘શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર’ માં એટલે સુધી કહ્યું છે કે –

“તે જ ઋષિ છે, તે જ મુની છે, તે જ સંયમી છે, અને તે જ ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે”

શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રમાં’ કહ્યું છે કે –

“બ્રહ્મચર્યના પાલનથી મનુષ્યો દીર્ઘાયુષ્ય, સુડોળ, સુદઢ બાંધાવાળા, તેજસ્વી તેમજ મહાવીર્યવાન બને છે. ચારિત્રના પ્રાણભૂત પરબ્રહ્મ -મોક્ષનાં અદ્વિતીય ઉપાયરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર મનુષ્ય નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ પૂજાય છે”

ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે : –

“મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ,
બ્રહ્મચર્ય નર જે ધરે , તે પામે નવ નિધ”

જે મનુષ્ય બ્રહ્મચર્યને ધારણ કરે છે, તેને જ મંત્ર જપનું ફળ મળે છે .તેનો આ જગતમાં યશ વધે છે, તેને દેવો સહાય કરે છે અને તે નવ નિધિ પામે છે , તેને જગતની સર્વ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

આજે મંત્રો ફળદાયક થતા નથી તેની જે બુમ ઉઠી છે, તેનું એક કારણ એ પણ છે કે તેની ગણના કરનારાઓ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. જો મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન થતું હોય તો મંત્ર ફળ્યા વિના રહે નહિ.

સદાચારની મર્યાદામાં બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને પણ દેવોએ સહાય કર્યાના અનેક દાખલાઓ છે. સતી સુભદ્રા ઉપર કલંક આવ્યું , ત્યારે શાસનદેવીએ તેનું નિવારણ કરવા માટે અજબ સહાય કરી હતી . સતી કલાવતીનાં કાંડા કપાયા અને તેને ભયંકર વનમાં એકલી છોડી દેવામાં આવી , ત્યારે પણ દેવોએ જ સહાય કરી હતી. આવા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં અનેક નોંધાયેલા છે.

બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને દુન્યવી ઋદ્ધિ સિદ્ધિની બહુ કામના રહેતી નથી ,
આમ છતાં બ્રહ્મચર્યનો પ્રતાપ એવો છે કે ઋદ્ધિ સિદ્ધિ સર્વ પોતાની મેળે જ ત્યાં આવી જાય છે.

કહ્યું છે કે –
‘અણિશુદ્ધ બ્રહ્મચર્યચારી જેઓ, ખરે ન જેનું વીર્યબિંદુ,
અતુલ બલી તે પ્રચંડ કાર્યો , કરતા પ્રકટાવે સુખસિંધુ. ‘

જે બ્રહ્મચર્યનું અણિશુદ્ધ પાલન કરનારા છે , જેનું વીર્ય સ્ખલન પામતું નથી. તે અતુલ બળવાન બનીને જગતમાં પ્રચંડ કાર્યો કરે છે અને સુખનો સિંધુ – સાગર પ્રકટાવે છે .

બ્રહ્મચર્ય માટે આ જેવું તેવું પ્રમાણપત્ર નથી. ઈતિહાસ પણ કહે છે કે, જેમને શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળ્યું તેઓ જ આ જગતમાં મહાન કાર્યો કરવાને શક્તિમાન થયા.

આપણા મહાન આચાર્યો શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરીભદ્રસુરી, શ્રી હેમચંદ્રાચાર્ય , શ્રી હીરવિજયસુરી વગેરે જે મહાન કાર્યો કરી ગયા, તેનું કારણ એ હતું કે તેઓ શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા હતા. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, અને મહર્ષિ રમણ વગેરે એ પોતાના જીવન દરમિયાન જનતા પર જે મહાન પ્રભાવ પાડ્યો, તે બધા પાછળ મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી . આચાર્ય વિનોબાજી એ આ ઉમરે ભૂમિદાનરૂપી યજ્ઞ શરુ કરી પ્રજા ને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે, તેની પાછળ પણ બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિસ્સો નથી.

‘શિવસંહિતા’ માં બ્રહ્મચર્ય વિષે કહ્યું છે કે –

“વીર્યનો પાત કરવો એ જ મરણ છે અને વીર્યને ધારણ કરવું એ જીવન છે. માટે ભગીરથ પ્રયત્ન કરીને પણ વીર્યની રક્ષા કરવી જોઈએ”

મહર્ષિ ચરકે કહ્યું છે કે –

” સ્ત્રી સાથે સંયમમાં રહેનારો દીર્ઘાયુષ ભોગવે છે , અને તેનું શરીર હષ્ટપુષ્ટ તથા તેજસ્વી બને છે. તેને વૃદ્ધાવસ્થા સત્વર આવતી નથી અને વૃદ્ધ થવા છતાં તે યુવાન જેવો આનંદ ભોગવે છે”

શ્રી વાગ્ભટ્ટાચાર્યે કહ્યું છે કે –

“સંસારમાં જેટલા સુખ છે તે સર્વે આયુષ્યને આધીન છે અને આયુષ્ય બ્રહ્મચર્યને આધીન છે”

સંત તુલસીદાસજીએ કહ્યું છે કે –

“રામ તિહાં નવ કામ ભાસે, કામ તિહાં નહિ રામ;
તુલસી દોનો નાં રહે, રવિ-રજની એક ઠામ”

જ્યાં રામ હોય ત્યાં કામ દેખાતો નથી અને જ્યાં કામ દેખાય ત્યાં રામ દેખાતો નથી. તુલસીદાસ કહે છે કે , રામ અને કામ એ બે એવી પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે કે જે સૂર્ય અને રાત્રીની માફક એક સ્થળ રહી શકતા નથી..

સ્વામી રામતીર્થે એક સ્થળે કહ્યું છે કે –

“આગળ વધવાનું મુખ્ય સાધન જેમ બ્રહ્મચર્ય છે તેમ પાછળ પડવાનું મુખ્ય કારણ બ્રહ્મચર્યનો ભંગ છે
આ લોકમાં તથા પરલોકના સાધનોમાં શિરોમણી બ્રહ્મચર્ય છે”

સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે કે –

“સંસારમાં મનુષ્યનું સૌથી પ્રથમ અને અગત્યનું કર્તવ્ય બ્રહ્મચર્ય જ છે , કારણકે સર્વ મનુષ્યો સુખની ઈચ્છા કરે છે , પણ સાંસારિક અને પારમાથીક સર્વ પ્રકારના સુખનું મૂળ સાધન બ્રહ્મચર્ય જ છે”

બ્રહ્મચર્ય પ્રકૃતિ છે, અને અબ્રહ્મચર્ય એ વિકૃતિ છે.

બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક દ્રષ્ટિ છે.

એકવાર મૈથુનના સેવનથી એમાં બે થી નવ લાખ સુધી જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થવાની શક્યતા છે.
આ હકીકતનો ઉલ્લેખ કરી શ્રીમદ હેમચંદ્રાચાર્યે પણ ‘યોગશાસ્ત્ર’ માં કામાચાર ન સેવવાનો ઉપદેશ આપ્યો છે.

હાલમાં વિજ્ઞાનશાસ્ત્રની શોધ અનુસાર એક સમાગમ વખતે લગભગ ૨૨,૫૦,૦૦,૦૦૦ (બાવીસ કરોડ પચાસ લાખ) શુક્રાણુઓ ઉત્પન્ન થાય છે, જે પૈકી એક શુક્રાણુ પણ મહામાનવ સર્જવાનું સામર્થ્ય ધરાવે છે .

આવું જ્યારે વિજ્ઞાન બતાવે ત્યારે આપના અહિંસક શ્રાવકો અને શ્રાવિકાઓએ આના આધારે પણ બ્રહ્મચર્યની મહતા બહુ સમજવા જેવી છે .

બ્રહ્મચર્યના પાલન સિવાય માનવી કદી પણ સંપૂર્ણ અહિંસક બની સકતો નથી , એ હકીકત આમાંથી સાબિત થાય છે .

જૈન શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યના મુખ્ય બે પ્રકારો દર્શાવ્યા છે; સર્વથી અને દેશથી . સાધુ – સાધ્વિઓએ જે બ્રહ્મચર્ય પાળવાનું છે તે સર્વ એટલે કે જીવન સ્પર્શી સંપૂર્ણ સંયમ છે. સંપૂર્ણ સંયમ માં શ્રધ્ધા, જ્ઞાન, ક્ષમાડી સ્વાભાવિક સદ્વૃત્તીનો પણ સમાવેશ થાય છે.

સાધુ મુનિરાજને દિક્ષા લેતી વખતે ચોથા મહાવ્રત માટે નીચે પ્રમાણે પ્રતિજ્ઞા લેવી પડે છે :-

“હું સર્વ મૈથુનનો પરિત્યાગ કરું છું, અર્થાત દૈવી, માનુષી કે તિર્યંચ નાં કોઈ પણ જાતના મૈથુનને હું મનથી, વચનથી અને કાયાથી જીવન પર્યંત સેવું નહિ; તેમજ બીજા પાસે સેવરાવું નહિ, અને કોઈ બીજો સેવતો હોય તો તેમાં હું અનુમતિ પણ આપું નહિ ”

શ્રાવકોએ સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કરવાનું હોય છે, એટલે પોતાની સ્ત્રીથી જ સંતોષ માનવાનો હોય છે અને તેની સાથે પણ સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો છે .

અહી એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, કામભોગથી મુક્ત વ્યક્તિ પણ જો જીવનમાં બીજા વ્રતો જેવા કે અહિંસા, સત્ય, ચોરી, અને પરિગ્રહની બાબતે અસંયમપૂર્વક જીવે તો તેના બ્રહ્મચર્યને નુકસાન થયા સિવાય રહેતું નથી . મહાવ્રતોની સંકલના એ પ્રકારની છે કે એક વ્રતનો ભંગ થતા બીજા વ્રતોને પણ તેની અસર પહોંચે.

આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ‘બ્રહ્મચર્યવ્રત’ ની પૂજામાં સ્પષ્ટ કહ્યું છે કે –

વ્રતોમાં થતા દોષોના મુખ્યત્વે ચાર વિભાગો પાડવામાં આવ્યા છે આ ચારે વિભાગોનું સ્વરૂપ આ પ્રમાણે છે :-

૧) અતિક્રમ – લીધેલા વ્રતમાં ભંગ કરવાનો માનસિક સંકલ્પ કરવો તે .
૨) વ્યતિક્રમ – સંકલ્પની સહાયક સામગ્રીના સંયોગની યોજના કરવી તે.
૩) અતિચાર – જે પ્રવૃત્તિથી લીધેલી પ્રતિજ્ઞામાં આંશિક ભંગ થાય અર્થાત વ્યવહારમાં પણ દુષણ મનાય તે.
૪) અનાચાર – વ્રતનો સર્વથા નાશ.

જૈન ધર્મશાસ્ત્રોમાં મૈથુન સિવાય બીજી કોઈ પણ વસ્તુનો એકાંતે નિષેધ નથી. કોઈ પણ વસ્તુનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી એક વખત નિષેધ હોય તો બીજે પ્રસંગે તેનું વિધાન પણ હોય. આમ છતાં, બ્રહ્મચર્યની બાબતમાં આવો કોઈ અપવાદ નથી; દરેક કાળે , દરેક સ્થળે, ગમે તેવી પરિસ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય કરવાનું જ હોય છે.

‘આચારાંગસૂત્ર ‘ની ટીકામાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે : –

‘જો ભિક્ષુને એમ થાય કે હું કામવાસનામાં સપડાયો છું , અને તેના વેગને સહી શકું તેમ નથી , તો તે વસુમાન અને સમજદાર ભિક્ષુએ અકાર્ય્માં પ્રવૃત્તિ ન કરતા આત્મવિસર્જન કરવું ; તે જ તેના માટે ધર્માચાર છે . ‘

બ્રહ્મચર્યના પાલન પર આટલો ભાર મુકવાનું કારણ એ જણાય છે કે, બ્રહ્મચર્ય એ જ સાધુઓના ચારિત્રનું મુખ્ય આભુષણ છે

એક સાધુ કેશનો લોચ કરતો હોય, મહાન તપશ્ચર્યા કરતો હોય, વિના વસ્ત્રે રહેતો હોય, સ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ, મચ્છરના અનેક ઉપદ્રવો સહન કરતો હોય, પણ તે બ્રહ્મચર્ય પાલનમાં જરા પણ શિથિલ હોય તો તેની તમામ ક્રિયાઓ ફોગટ છે – અર્થહીન છે.

જે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે છે અને પોતાનું વીર્યનો કેઈ પણ રીતે નાશ કરતો નથી , તેનામાં શારીરિક અને માનસિક બંને પ્રકારની શક્તિઓ એવી સરસ પ્રાપ્ત થાય છે કે, તેને કોઈ દિવસ કોઈ પણ રોગ માટે દવા લેવાની જરૂર પડતી નથી . દવાની જરૂર તો દુર રહી, પરંતુ ધારેલું કામ તે ઘણી સરસ રીતે કરી શકે છે.

વીર્યરક્ષાથી કોઈ પણ પ્રકારના રોગને અવકાશ મળતો નથી, એટલું જ નહિ, પરંતુ ઘર કરીને રહેલા શ્વાસ, ક્ષય, પ્રમેહ આદિરોગો પણ વીર્યની રક્ષાથી જલ્દી દુર થઇ જાય છે..

શ્રીમદ શંકરાચાર્યે કહ્યું છે કે –

“જે પુરુષ પરમાર્થ બુધ્દ્ધીથી રહિત છે અને ધ્યાન, પૂજા વગેરે જગતમાં લોકો જુએ તે ખાતર કરે છ, તે દમ્ભાચારી કહેવાય છે” આવા દંભી વ્રતધારીઓ વળી શાસ્ત્રોની દલીલો ટાંકી અનાચાર સેવતા છતાં પોતાના વ્રતનો બચાવ કરે છે.

પૂજ્ય ગાંધીજીએ શાસ્ત્રોની બાબતમાં એક સુંદર વાત કહેલી છે.તેઓએ કહ્યું છે કે –

“શાસ્ત્રના અર્થ કરવામાં સંસ્કાર અને અનુભવની આવશ્યકતા છે. શૂદ્રને વેદનો અભ્યાસ ન હોય એ વાક્ય સર્વથા ખોટું નથી.
શૂદ્ર એટલે અસંસ્કારી, મૂર્ખ, અજ્ઞાની વેદ આદિનો અભ્યાસ કરી તેનો અનર્થ કરે”

નંદિસૂત્ર’ માં તો ચોક્ખું કહ્યું છે કે : –

“જેની દ્રષ્ટિ સમ્યક છે તેને શાસ્ત્રો સમ્યકરૂપે પરિણમશે, જ્યારે જેની દ્રષ્ટિ મિથ્યા છે તેને શાસ્ત્રો પણ મિથ્યારૂપે પરિણમશે”

માણસને આહાર, નિંદ્રા અને હવા વિના ચાલી ન શકે, કારણકે જીવન માટેની આ મુખ્ય વસ્તુઓ છે. પરંતુ  વિષયેચ્છા ને રોકવાથી સ્ત્રી કે પુરુષ મરી જતા નથી, પણ તેઓ વધુ તંદુરસ્ત અને શક્તિશાળી બને છે. આવી ઈચ્છા રોકવાની શક્તિ કુદરતે માનવી માત્રને બક્ષેલી છે.

શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘કામ’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે : –

સ્ત્રી વગેરે અજ્ઞાની પરિવારથી વીંટાયેલા, તથા કામભોગની ઈચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને ધર્મ માર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે. તેથી તે કામ કહેવાય છે. વળી અન્ય પંડિતોએ તેનું બીજું નામ “રોગ’ આપેલું છે . કામભોગની ઈચ્છા કરનારો જીવ વાસ્તવિક રીતે રોગની જ ઈચ્છા કરે છે …

શ્રી ધર્મદાસગણિજીએ કહ્યું છે કે –

“જેમ કોઈ માણસને ખસ થઇ હોય અને તેના પર ચળ-ખુજલી આવે , ત્યારે તેને ખણવામાં સુખ માને છે , તેમ મોહમાં આતુર થયેલા માણસો કામ ભોગવતાં દુઃખને – વિષયોને સુખ કહે છે”

મનોકામનાઓ અને વાસનાઓને દાબી દેવાથી કે દંભ કરીને ચિત્તમાં તેને સંતાડી રાખવાથી તેનો નાશ થઇ શકતો નથી,
પરંતુ બ્રહ્મચર્ય સાધકે પ્રયત્નો વડે આવી વૃત્તિઓને શુદ્ધ કરી તેને સુયોગ્ય માર્ગે વાળવી જોઈએ. એ માટે જૈન ધર્મે વિશાલ તત્વ જ્ઞાન અને વિસ્તૃત આચાર માર્ગ આપ્યો છે.

શ્રી જે. કૃષ્ણમૂર્તિ આ સંબંધમાં કહે છે કે : –

આપણે મનને સમજાવવાને બદલે મનનું દમન – નિયમન કરીએ છીએ, અને એ રીતે દુઃખના મૂળને સમજવાને બદલે એ દુઃખને વિસરવાના જ ઉપચારો જ કરીએ છીએ. પરિણામે સંયમ, નિયમન, આદર્શો અને સદગુણો આપણા જીવનમાં મહત્વનું સ્થાન ભોગવતા છતાં મનની શુદ્ધિ થતી નથી. એ સઘળાની પાછળ કઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ રહેલી છે, અને તેથી જ એ અહંને પોષનારા બળો છે, અને એ સઘળા દુઃખના પ્રશ્નને મોકૂફ જ રાખે છે. માટે માણસની વૃત્તિ એ જ સાચું નિયમન કહેવાય.

નવપદજીની આયંબિલની ઓળી

1 

|| નવપદજીની આયંબિલની ઓળી ||

“ચૈત્ર-આસો મહિનામાં આવતી નવપદજીની આયંબિલની ઓળીનો અનેરો મહિમા”

જૈન ધર્મમાં એને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે : જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –

યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે. આ તપ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. તપ એ તો કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. આગમ બતાવે તપ ધર્મની ધુરા, ગુરૂ કૃપાએ મનોરથ થાય પૂરા.

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે.

ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. આયંબીલ એટલે સાપ જેમ દરમાં પ્રવેશ કરે તેમ ખોરાકને મોં માં પ્રવેશ કરાવવાનો હોય છે. આ કાયા પાસેથી તપ કરીને કામ કઢાવી લેવાનુ છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

“આયંબીલથી ચમકાવજો તમારો ચહેરો,
રસેન્‍દ્રીય ઉપર મુકજો ચોકી પહેરો,
ચૂકવી દયો ચાર ગતિનો કરવેરો,
સફળ થાશે આ માનવફેરો”

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

વાદમાં નથી મજા, સ્‍વાદમાં છે સજા, સ્‍વાદિષ્‍ટ આહારને આપો રજા, આયંબીલની ફરકાવવો ધજા, તપસ્‍વીઓ એ તો સંઘ અને શાસનના અણમુલા રત્‍નો ગણાય છે. તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

|| ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો ||

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.

|| નવપદજીની શાસ્વતી ઓળી એટલે ||

*આયંબિલ તપ કરી પુણ્યનુ ભાથુ બાધશો.
*એક આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે.
*આયંબિલ એટલે સ્વાદીષ્ટ ભોજન કરવાની આશક્તિ પર નિયંત્રણ કરવાનો અચૂક ઉપાય.
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*આયંબિલ અશુભ કર્મોને જલ્દી ખપાવે.
*આયંબિલથી પુણ્યનો ઉદય જલ્દી થાય.
*આયંબિલથી દુઃખ ટળે.
*આયંબિલથી sukh મળે.
*આયંબિલની ઓળી કરવી એ શ્રેષ્ટ તપમનુ એક તપ છે.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

*વિરાધાનાના વિશ દૂર કરીને અમૃતનું પાન કરવાનું પુણ્ય પર્વ.
*સમતાની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પુણ્ય પર્વ.
*કર્મના બંધનથી મુક્ત બનીને મુક્તિ મહેલમાં સહેલ કરવાનું પુણ્ય પર્વ.
*ક્રોધના અગ્નિને શાંત કરવા માટે ક્ષમાના જળનું સિંચન કરવાનું પુણ્ય પર્વ.
*વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રગટાવવાનું પુણ્ય પર્વ.
*વાત્સલ્યના વારિ (પાણી) ના સ્નાન દ્વારા આત્માને શુદ્ધ કરવાનું પુણ્ય પર્વ.
*વાસનાથી વિમુખ બનીને ઉપાસના કરવાનું પુણ્ય પર્વ.
*જીવનના દરેક કાર્યને મોક્ષના લક્ષને ધ્યાનમા રાખીને કરવાનું પુણ્ય પર્વ.
*આત્મ્વાદનો સ્વીકાર કરીને ધર્મ સત્તાને શરણે જવાનું પુણ્ય પર્વ.
*શ્રી ઋષભદેવ ભગવાને બતાવેલ જીવન શૈલી પ્રમાણે જીવતા શીખવાનું પુણ્ય પર્વ.
*દુરાગ્રહોને છોડીને સત્યને સમજવાની દ્રષ્ટિ કેળવવાનું પુણ્ય પર્વ.

|| આ છે …….આયંબિલ તપના મહાન તપસ્વીઓ ||

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

 

 

 

જૈન સંથારો

1

|| જૈન સંથારો ||

“સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન”
“સંસારનો સંકેલો કરી મૃત્યુને આહવાન આપવુ એટલે સંથારો”

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

સંથારોએ આદિ-અનાદિથી ચાલતી આવતી પ્રથા છે. અત્યારના કાળની વાત કરીએ તો લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે મહાવીર સ્વામી ભગવાને પણ સંલ્લેખણા એવું અનુષ્ઠાન મોક્ષે જવા માટે આપેલું છે. આ સંલેખ્ખણા એ જ સંથારો એવું બીજું નામ આપી શકાય. દેરાવાસી એટલે કે શ્ર્વેતામ્બર, મૂર્તિપૂજક, તપાગચ્છ આ અનુયાયીઓ આનું નામ અનશણ આપે છે. અનશણમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાએ આવું સમાધિમરણ ગણી શકાય.

‘સંથારો’ ને સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે, સંસારનો સંપૂર્ણ સંકેલો કરી, મૃત્યુને આહવાન આપવું કે, ‘મેં મારૃ કાર્ય પૂર્મ કરી લીધુ છે. હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે.’ આ લખવું, બોલવું, વાંચવુ જેટલુ સરળ અને સહેલુ લાગે છે એટલું જ આચરણમાં લાવવું બહુ જ કઠીન છે. કારણ કે, દરેક જીવને જીવવુ ગમે છે. મરવું કોઈને ગમતુ નથી. ૧૦૦ વર્ષની ઉંમર થઈ હોય, અંતિમ શ્વાસોશ્વાસ ચાલતા હોય છતાં જીવવાની જીજીવિષા હોય છે. સામે ચાલીને મોતને નિમંત્રણ આપવું એ નાની સૂની વાત નથી. જે ધર્માત્માએ જીવન પર્યંત ધર્મના, શાસ્ત્રના, જીનવાણીનાં ભાવોનું ચિંતન, મનન, મનોમંથન, ધૂષ્ણ અને ધોલણ કરેલ હોય તેને જ અનશન વ્રતની આરાધના કરવાનું અને સંથારો લેવાનું મન થાય. સંથારાનું મહત્વ બતાવતા જૈન દર્શનમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, ‘સાર જિણવર ધમ્મં, સારૃં સંલેહણા પંડિય મરણં’ અર્થાત જગતનાં સર્વે પદાર્થોમાં જો કોઈ સારભૂત તેમજ આત્મ કલ્યાણકારી બાબત હોય તો તે જિનેશ્વર પ્રરૃપિત ધર્મ તથા સંથારા સહિતનું પંડિત મરણ છે.

શરીર એક સાધન કહી શકાય. બાકી સાધ્ય તો મોક્ષ જ છે. આ કાયા પાસેથી જેટલું લેવાય એટલું કામ લીધા પછી હવે જ્યારે એમ લાગે કે આ કાયા જગતને ઉપકાર કરવા લાયક રહી નથી ત્યારે જૈન મુનિઓ એક સંથારો પાથરીને અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને પોતાના આત્માનું ધ્યાન ધરે છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આત્માનું ધ્યાન કરતાં કરતાં વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરે છે આમ આત્માનું તો કલ્યાણ કરે જ છે, પરંતુ જગતને માર્ગદર્શન આપી જગતનું પણ કલ્યાણ કરે છે.

વાસ્તવિકતામાં સંથારો એ ઇચ્છામૃત્યુ કરતાં પણ ઘણી મોટી ઉપરની વસ્તુ છે. જેમ ગટરનાં પાણી અને ગંગાના પાણીમાં તફાવત છે તેટલાં જ તફાવત સંથારો અને ઇચ્છામૃત્યુમાં છે. સંથારો તો આના કરતાં પણ વધારે સારી વાત ગણાય. આત્મહત્યા એ ગટરનું પાણી છે, જ્યારે સંથારો એ ગંગાનું પાણી તો ખરું જ પરંતુ ઘણી પવિત્ર વસ્તુ છે.

સામાન્ય રીતે સ્થાનકવાસી જૈન સંથારો શબ્દ વાપરે છે. દેરાવાસી જૈનોમાં આ જ વસ્તુ અનશણ તરીકે ઓળખાય છે અને સમસ્ત જૈન સંપ્રદાય સંલેખ્ખણા શબ્દ પણ વાપરે છે. દેરાવાસી લોકો સંથારા પોરસી શબ્દનો પણ પ્રયોગ કરે છે એમાં માત્ર એક જ દિવસ માટે આ જ ક્ધસેપ્ટની વાત હોય છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પણ આ જ ક્ધસેપ્ટ એટલે કે સંથારો શબ્દનો અર્ક આપેલો જ છે.

સંથારો એ આત્મહત્યા નથી એક ધાર્મિક અનુષ્ઠાન છે. આત્મહત્યા એ કરુણ કિસ્સો છે, જ્યારે સંથારામાં પ્રસન્તા છે. સમાધિ મૃત્યુ છે. આત્મહત્યામાં મોટાભાગે માનસિક દબાણ હોય છે, જ્યારે સંથારો સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે.

પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) થી મુક્તિના દ્વાર સુધી

|| પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) થી મુક્તિના દ્વાર સુધી ||

પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન)થી આગળ વધતો સાધક છેક મુક્તિના દ્વાર સુધી પહોંચે છે
જૈન ધર્મનું છઠ્ઠું આવશ્યક પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાન એ તપ અને ત્યાગ કરવાનો વ્યક્તિનો દૃઢ નિર્ધાર છે. આ પ્રત્યાખ્યાનતી એના કર્મબંધના કાર્ય અટકી જાય છે અને કહ્યું છે કે પ્રત્યાખ્યાન વિના સુગતિ નથી.

જીવને મોક્ષના લક્ષે ધર્મરૃપી રાજમાર્ગ પર રાખવા માટે તે ઈતર પ્રલોભનોથી બચવા માટે ઉત્તમ ઉપાય સમાન પ્રત્યાખ્યાન ઘણા પ્રકારો છે અને તેથી વ્યક્તિમાં જો પ્રત્યાખ્યાન લેવાની વૃત્તિ હોય તો પોતાની પ્રકૃતિ અનુસાર એ પ્રત્યાખ્યાન લઈ શકે છે. આહાર, સંપત્તિ, પરિગ્રહ, દૂષણો અને પાપમાંથી બચવા માટેનાં અનેક પ્રકારનાં પ્રત્યાખ્યાન વ્યક્તિ નિશ્ચિત સમય માટે કે જીવનભર સ્વીકારતી હોય છે. પ્રત્યાખ્યાનના આ બધા પ્રકારોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે જીવનમાં આવનારાં અશુભ બળોને રોકવા માટે કેવી સુંદર વ્યવસ્થા કરી છે! તમે દિવસના નિશ્ચિત સમય માટે આહારત્યાગનું પ્રત્યાખ્યાન લઈ શકો, તો એની સાથોસાથ અમુક દિવસ સુધી હિંસા, મૈથુન કે ક્રોધથી અળગા રહેવાનાં પ્રત્યાખ્યાન પણ લઈ શકો. નિર્દોષ અને નિષ્પાપ જવન જીવવા માટેનો આ ધર્મમાર્ગ છે. આ પ્રત્યાખ્યાન કઈ રીતે લેવાં એ વિશે પણ પણ ઘણું વિચારાયું છે. એની પૂર્ણશુદ્ધિ માટે શ્રદ્ધાશુદ્ધિ, જ્ઞાાનશુદ્ધિ, વિનયશુદ્ધિ, અનુભાષણશુદ્ધિ, અનુપાલનશુદ્ધિ અને ભાવશુદ્ધિ દર્શાવવામાં આવ્યા છે.

* શ્રદ્ધાશુદ્ધિ : સર્વજ્ઞા ભગવાને આપેલો આ ઉપદેશ છે અને તે નિર્જરાનું કારણ છે, એવી દૃઢ શ્રદ્ધાથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો.

* જ્ઞાનશુદ્ધિ : પ્રત્યાખ્યાનનું સ્વરૃપ, એની સમયમર્યાદા, એના આગાર (છૂટ, અપવાદ) વગેરે વિષયોનું જ્ઞાન મેળવ્યા પછી જ પ્રત્યાખ્યાન લેવાં, તો જ એ સફળ થાય.

* વિનયશુદ્ધિ : ગુરુ આદિને વિનયપૂર્વક વંદન કરીને મન, વચન કાયાના અશુભ યોગનો નિગ્રહ કરી, આદરપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવો.

* અનુભાષણશુદ્ધિ : પ્રત્યાખ્યાન સૂત્રનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું.

* અનુપાલનશુદ્ધિ : ગુરુ જ્યારે ‘વોસિરેહ’નો શબ્દોચ્ચાર કરે અને તરત જ ‘વોસિરામિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું તે અનુપાલનશુદ્ધિ પ્રત્યાખ્યાન છે. કપરા પ્રસંગોમાં પણ લીધેલા પ્રત્યાખ્યાનનું બરાબર પાલન કરવું. કોઈ મુશ્કેલી જણાય તો પણ ક્યારેય છૂટછાટ રાખવી નહીં.

* ભાવશુદ્ધિ : પ્રત્યાખ્યાનનો પ્રારંભ કરતી વેળાએ જે દૃઢ શ્રદ્ધા અને ભાવવિશુદ્ધિ હતી, તે છેક સુધી ચાલુ રાખવી, રાગ-દ્વેષ, અહંકાર જેવા મલિન ભાવો પ્રત્યાખ્યાનને દૂષિત બનાવે છે, તેથી ભાવવિશુદ્ધિ બરાબર રાખવા માટે તે જરૃરી છે.

આનો અર્થ જ એ થયો કે પ્રત્યાખ્યાનમાં સાચી શ્રદ્ધા, સમજ, વિનય, સ્પષ્ટ સૂત્રોચ્ચાર, પાલનની દૃઢતા અને ભાવની વિશુદ્ધિ હોવાં જોઈએ. પ્રત્યાખ્યાન લીધા પછી પ્રત્યાખ્યાનનું કઈ રીતે પાલન કરવું એનો પણ ઊંડો વિચાર કરવામાં આવ્યો છે. અર્થાત્ પ્રત્યાખ્યાન લેતાં પહેલાંની માનસિક સજ્જતા અને પ્રત્યાખ્યાન સમયની મનની દૃઢતા એ બંને વિશે ગહન ચિંતન કરવામાં આવ્યું છે.

આમ અશાંતિ જગાડતી બાબતોને દૂર કરીને પ્રશાંતતા તરફ લઈ જવા માટે પ્રત્યાખ્યાનની જરૃર છે. પ્રત્યાખ્યાનના દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એવા બે પ્રકારે મળે છે અને સ્વાભાવિક રીતે જ બંનેમાં તૃષ્ણાનો ત્યાગ એ મહત્ત્વનો છે. ‘પ્રવચનસારોદ્વાર’માં એક ચતુર્ભંગીનું વર્ણન છે.

આમ અશાંતિ જગાડતી બાબતોને દૂર કરીને પ્રશાંતતા તરફ લઈ જવા માટે પ્રત્યાખ્યાનની જરૃર છે. પ્રત્યાખ્યાનના દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એવા બે પ્રકારે મળે છે અને સ્વાભાવિક રીતે જ બંનેમાં તૃષ્ણાનો ત્યાગ એ મહત્ત્વનો છે. ‘પ્રવચનસારોદ્વાર’માં એક ચતુર્ભંગીનું વર્ણન છે.

(૧) સુજ્ઞા સુજ્ઞાની સમીપ
(૨) અજ્ઞા સુજ્ઞાની સમીપ
(૩) સુજ્ઞા અજ્ઞાની સમીપ
(૪) અજ્ઞા અજ્ઞાની સમીપ

આમાં પ્રથમ ભાંગામાં પ્રત્યાખ્યાનના સૂત્રનો અર્થ જાણે અને એને જાણકાર પાસે ગ્રહણ કરે, તે વિશુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ જાણે અને જાણકાર ન હોય તેમની પાસે ગ્રહણ કરે, તે શુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ ન જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે, તે શુદ્ધ ભાંગો કહેવાય, પચ્ચક્ખાણ સૂત્રના અર્થ ન જાણે અને આપનાર પણ ન જાણતા ન હોય, તેમની પાસે ગ્રહણ કરે, તે અશુદ્ધ ભાંગો કહેવાય.

પ્રત્યાખ્યાનના પાલનનાં છ અંગો દર્શાવવામાં આવ્યાં છે :

(૧) ફાસિયં (સ્પર્શિત) : જે પ્રત્યાખ્યાન લીધું હોય તેને વચ્ચે તોડયા વિના શુદ્ધભાવથી અખંડ રીતે પાલન કરવું તે સ્પર્શના. (૨) પાલિયં (પાલિત) : પ્રત્યાખ્યાનને વખતોવખત યાદ કરીને જાગ્રતપણે એની જાળવણી કરવી. (૩) સોહિયં (શોધિત) : પ્રત્યાખ્યાનના પાલનમાં કોઈ દોષ થઈ જાય તો તત્કાળ એની શુદ્ધિ કરવી. (૪) તીરિયં (તીરિત) : લીધેલા પ્રત્યાખ્યાનની સમયમર્યાદા પૂર્ણ થાય પછી જ એની સમાપ્તિ કરવી. (૫) કિટ્ટિયં (કીર્તિત) : પ્રત્યાખ્યાનનો મહિમા પ્રદર્શિત કરવો, મનમાં એના તરફ આદરભાવ થાય અને એની સમાપ્તિપૂર્વે ઉલ્લાસપૂર્વક કહેવું, ‘મેં અમુક પ્રત્યાખ્યાન લીધું હતું અને તે સમ્યક્ પ્રકારે પૂર્ણ કર્યું છે’ (૬) આરાહિયં (આરાધિત) : ઉપરોક્ત સર્વ અંગથી સર્વ દોષોનો ત્યાગ કરીને પ્રત્યાખ્યાનની આરાધના કરવી જોઈએ (પાલન કરવું જોઈએ).

આ છ અંગ દ્વારા પ્રત્યાખ્યાનની આરાધના કરવી જોઈએ એમ છતાં ક્યારેય છદ્મસ્થપણાને કારણે આરાધનામાં ક્ષતિ થાય તો તેની આલોચના કરીને પ્રત્યાખ્યાન સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરી વિશુદ્ધ બની શકાય છે.

પ્રત્યાખ્યાન દસ પ્રકારના હોય છે અને આ દસ પ્રત્યાખ્યાનમાં નીચે પ્રકારના પંદર આગાર હોય છે.
જૈન આગમ સાહિત્યમાં પ્રત્યાખ્યાન વિશે વિશેષ છણાવટ મળે છે. ભગવતીસૂત્રના સાતમા શતકમાં પ્રત્યાખ્યાનનું સ્વરૃપ, તેના ભેદો અને તેનાં લક્ષણો મળે છે. આવશ્યકનિર્યક્તિ વગેરે ટીકાગ્રંથોના તેમજ જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના ‘પ્રત્યાખ્યાન’ વિશેના ભાષ્યમાં, શ્રી માણગણિવિજયવર્યના ‘ધર્મસંગ્રહ’માં પણ આચાર્ય હરિભદ્રસૂરિ તથા કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાં પણ આ વિશેનું વિશદ નિરૃપણ થયું છે.

પ્રત્યાખ્યાનના મૂળ ગુણાત્મક અને ઉત્તરગુણાત્મક એવા બે મુખ્ય પ્રકારો છે. જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મૂળભૂત તેમજ સામાયિક, પૌષધ, દિક્પરિમાણ, અતિથિસંવિભાગ વગેરે ઉત્તરગુણ કહેવાય છે. આ ઉત્તરગુણ અને મૂળગુણનું પોષણ કરે છે.
આ બે ઉપરાંત અન્ય દસ પ્રકાર આ પ્રમાણે છે :

(૧) અનાગત : ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવાની ભાવના હોય, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરે લેવું પડે તે.

(૨) અતિક્રાંત : પર્વ કે અમુક દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પણ સંજોગોવસાત્ તે ન કરી શકતાં એ પર્વના દિવસો વીતી ગયા પછી એવી તપશ્ચર્યા કરવાનું પ્રત્યાખ્યાન લેવું તે.

(૩) કોટિસહિત પ્રત્યાખ્યાન : એક પ્રત્યાખ્યાનની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં તેવું કે તે પ્રકારનું પ્રત્યાખ્યાન ઉમેરી દેવું તે કોટિસહિત પ્રત્યાખ્યાન છે. ઉપવાસની સાથે ઉપવાસ, એ પ્રકારનું પ્રત્યાખ્યાન એ સમકોટિ પ્રત્યાખ્યાન અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની સાથે છઠ્ઠ વગેરેનું પ્રત્યાખ્યાન તે વિષમકોટિસહિત પ્રત્યાખ્યાન કહેવાય છે.

(૪) નિયંત્રિત : કોઈ પણ સંજોગોમાં પછી ગમે તે વિઘ્ન હોય, કોઈ તીવ્ર રોગ હોય, અણધાર્યું સંકટ કે ઉપસર્ગ હોય, છતાં તેને નિશ્ચયપૂર્વક પાર પાડવું.

(૫) અનાગાર : કોઈ પણ પ્રકારના આગાર (છૂટ કે અપવાદ) વગર પ્રાણાંતે પણ પ્રત્યાખ્યાન પાર પાડવું. આ પ્રત્યાખ્યાનમાં ‘અન્નથણાભોગેણં’ અને ‘સહસાગાર’ એવા બે અપવાદો રાખવા પડે.

(૬) સાગાર : કેટલાક અપવાદો સાથેનું પ્રત્યાખ્યાન. જોકે આમાં અતિચારનો દોષ લાગે, જેની શુદ્ધિ થઈ શકે અને બીજો આગાર તે સહસાગાર એટલે કે એકાએક કોઈ એવી ઘટના બને કે પ્રત્યાખ્યાનનો ભંગ થાય તે પરિસ્થિતિમાં છૂટ આપવામાં આવે છે.

(૭) નિરવશેષ : સંલેખનાવ્રત સંથારો લેનાર ચારે પ્રકારે આહારનો સર્વથા ત્યાગ કરવાનું નિરવશેષ પ્રત્યાખ્યાન લે છે.

(૮) પરિમાણકૃત : આહાર વગેરે અમુક વાનગીની કે અમુક કોળિયાનું પરિમાણ કે માપ નક્કી કરીને આહાર લેવાનું પ્રત્યાખ્યાન.

(૯) સંકેત : સમયમર્યાદા પૂર્ણ થતાં છતાં પ્રત્યાખ્યાનનો અવસર પ્રાપ્ત ન થાય એમ હોય તો બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કોઈ સંકેત ધારણ કરવો અને એ સંકેત પ્રાપ્ત થતાં પ્રત્યાખ્યાન દૂર કરવું.

(૧૦) અદ્ધા : કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક લેવાતા પ્રત્યાખ્યાન, જેના દસ પેટાપ્રકાર છે : (૧) નવકારસી (૨) પોરસી (૩) પુરિમડ્ઢ (૪) એકાસણું (૫) એકલઠાણું (૬) આયંબિલ (૭) ઉપવાસ (૮) દિવસચરિમ કે ભવચરિમ્ (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ.

આમ પ્રત્યાખ્યાનની પાળ બાંધી દઈને વ્યક્તિ એના મન, વચન અને ઈંદ્રિયોને સંયમમાં રાખી શકે છે. એ પ્રપંચ, પ્રભાવ  કે પ્રલોભનોમાંથી બચી શકે છે આમ પ્રત્યાખ્યાનથી આગળ વધતો સાધક ઠેઠ મુક્તિના દ્વાર સુધી પહોંચે છે.

ઉપવાસ એટલે શું ? શા માટે કરવા જોઈએ ?

1

|| ઉપવાસ એટલે શું ? શા માટે કરવા જોઈએ ? ||

તમે નિયમિત કસરત કરશો તો શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો તે ઉપવાસ કરવાનો

ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. કશું જ પેટમાં નાખવું નહીં. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉપવાસ વિષે ઘણી વાતો લખી છે. ઉપવાસ શબ્દને છૂટો પાડીએ તો ઉપ + વસત્ એટલે કે ઊંચી કક્ષાએ જીવવું. ભૂખ લાગવી એ શરીરનો ધર્મ છે શરીરના ધર્મથી ઊંચે જવું એટલે કે પરમ બ્રહ્મમાં વિલીન થવું ઉપવાસ કરવાથી મન પવિત્ર થાય છે આ વાત આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં, જૈન અને બુદ્ધ ધર્મમાં અને ક્રિશ્ચીયન ધર્મમાં પણ ઘણી વિગત સાથે જણાવેલ છે. ઉપવાસ કરવાથી આ જન્મના અને પૂર્વ જન્મના પાપો- ખોટા કર્મોનો નાશ થાય છે, ધર્મમાં શ્રદ્ધા વધે છે, શરીર ચોક્ખું થાય છે દરેક પ્રકારના ત્યાગમાં ઉપવાસ શ્રેષ્ઠ ગણાય છે. હિન્દુ ધર્મમાં એકાદશી (અગિયારસ)નો ઉપવાસ (આજે સૂર્ય ઉગે ત્યારથી બીજે દિવસે સૂર્ય ઉગે ત્યાં સુધી પેટમાં ખોરાક કે પાણી કશું નાખવાનું નહીં. તેને એકાદશી વ્રત કહે છે.) આ વ્રત કરવાથી ખૂબ પુણ્ય મળે છે.
મારી દ્રષ્ટિએ ધર્મગ્રંથ લખનારા ગુરૃઓ વિચક્ષણ અને દૂર દ્રષ્ટિવાળા હતા.

૧. તેઓએ માનવી જન્મથી મૃત્યુ સુધી રોગરહિત રહે અને લાંબુ જીવે એ માટે ઉપવાસ કરવાની ભલામણ કરેલી. રોજેરોજના શરીરને સુખ આપે અને પરેશાન કરે તેવા અનેક જાતના ખોરાક ખાઈને બીમાર પડે માટે આ પ્રકારની સૂચના જુદા જુદા દિવસે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય તે વાત જણાવેલી છે. આ જ રીતે.

૨. માનવી કસરત કરીને તંદુરસ્તી જાળવે માટે તમે રોજ બે વખત તમારા ધાર્મિક સ્થાને જાઓ ચાલીને અને દંડવત્ પ્રણામ કરો, દર્શન કરવાથી પુણ્ય મળે તે વાત પણ કદાચ માનવી જાણે અજાણે કસરત કરીને રોગરહિત રહે અને લાંબુ જીવે માટે ધર્મગુરૃઓએ બે વખત દર્શન કરવા જવાનું જણાવેલું હશે.

|| ઉપવાસ કરવાથી શરીરમાં કઈ ક્રિયા થાય છે ? ||

દિવસે કામ કરનારાં તમારા અગો છે.
૧. હાથ,
૨. પગ,
૩. લીવર,
૪. હોજરી,
૫. મગજ,
૬. આંખો,
૭. કાન,
૮. જીભ,
૯. દાંત,
1૦. હોર્મોન ગ્રંથી વગેરે.

જ્યારે રાત્રે માનવી પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે તમારી કિડની- લીવર – આંતરડા – ફેફસા સતત કામ કરે છે તમારા શરીરની ૧૦૦ ટકા શક્તિમાંથી ૮૦ ટકા જેટલી શક્તિ આ અંગો (દિવસના) વાપરી નાખે તો શરીરમાં કિડની દ્વારા પેશાબ અને મળ આંતરડા દ્વારા અને ફેફસા જે શરીરને નુકસાન કરે તેવા પદાર્થો દૂર કરે છે. આ કામ ૨૪ કલાક ચાલે છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ જો આ ટોક્સીસ પદાર્થો શરીરની બહાર સમયસર નીકળી ના જાય તો શરીરને નુકસાન કરે. જો દિવસના ભાગના બધા અંગો ૮૦ ટકા શક્તિ વાપરી નાખે તો સતત કામ કરનારા અને શરીરને ચોક્ખું રાખનારા કિડની અને આંતરડા અને ફેફસા (જે ખરાબ વાયુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ કરે છે.)ને પોતાની જરૃરત કરતાં ઓછી (ફક્ત ૨૦ ટકા) શક્તિ મળે તો કામ કેવી રીતે કરી શકે મતલબ શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય જેથી તમને કારણ વગર થાક લાગે, બગાસા આવે, સુસ્તી લાગે, કામમાં મન ના રહે આરામ કરવાનું મન થાય, ખોરાકનું પાચન ન થાય, પેશાબમાં ગરબડ થાય કશું યાદ ના રહે. વારે વારે ગુસ્સો આવે મન ઠેકાણે ના રહે આ બધું થવાનું કારણ તમારા શરીરને ચોક્ખું રાખનારા ત્રણ અંગો કીડની- આંતરડા અને ફેફસાને જોઈએ ૫૦ ટકાથી વધારે શક્તિ તેને બદલે ફક્ત ૨૦ ટકા કે તેથી ઓછી શક્તિ મળે એટલે પોતાનું કામ સંપૂર્ણ રીતે ના કરી શકે. શું કરશો ?

તમારી પાસે બે જ રસ્તા છે. એક સરળ રસ્તો છે કસરત કરવાનો, જે કરવાનો તમારી પાસે સમય નથી (આળસુ થઈ ગયા છો) તમને ખબર ના હોય તો જણાવું કે જો તમે નિયમિત કસરત કરશો તો તમારા શરીરમાં ત્રણ ગણી શક્તિ એકઠી થશે જેથી શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો સરળ નથી પણ છૂટકો જ નથી તે ઉપવાસ કરવાનો. કરશો ને ?

|| ઉપવાસ કરવાથી શરીરના બધા અંગો ગમે તે ઉંમરે સરસ કામ કરશે ||

તમારા આગળ જણાવેલા આખો દિવસ કામ કરનારા અંગો- હાથ, પગ હોજરીને તમે ઉપવાસ કરો છો માટે તેમની શક્તિ વાપરવાનો સવાલ નથી એટલે શક્તિ વધશે. ઉપવાસને દિવસે તમે જાણી જોઈને કામ પણ ઓછું કરવાના એટલે હાથ- પગ- આંતરડા અને હોજરીને ઓછું કામ પડવાનું એટલે જે શક્તિ વધે તે તમારા આંતરડા અને કીડનીને મળે એટલે તમારા શરીરમાં રહેલો કચરો દૂર થઈ જાય એટલે તમને તમારા શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય, થાક ના લાગે માટે બગાસા ન આવે, શરીરને સાફ રાખવાનો (ટોક્સીક પદાર્થોથી) સમય મળે. તમારા શરીરના અગત્યના અંગો સારી રીતે કામ કરે અને તાજામાજા રહે.

|| ઉપવાસથી ગભરાશો નહીં ||

વૈજ્ઞાાનિકોએ પ્રયોગોથી નક્કી કર્યું છે કે જો તમને માનસિક સ્ટ્રેસ ના હોય અને તંદુરસ્ત હો તો ખોરાક વગર ૩૦થી ૪૦ દિવસ જીવી શકો. એક પાઉન્ડ ચરબી બરોબર ૩૫૦૦ કેલેરી ગણાય. ૧૦ પાઉન્ડ એટલે ૩૫૦૦૦ કેલરી તમારા શરીરને શારીરિક માનસિક કામ ના હોય તો તમે ગણત્રી કરો પુરુષ કે સ્ત્રી ૧૧૦૦ કે ૧૨૦૦ કેલેરીથી વધારે વાપરે નહીં અર્થાત્ ૩૫૦૦૦ કેલેરી (૧૦ ગ્રામ ફેટ શરીરને કશા નુકસાન વગર ફક્ત ચરબી ઓછી થાય. ૩૦ દિવસ જીવી શકો ઉપવાસ પૂરા થયા પછી ફરી નોર્મલ થવા માટે તમારે જરૃર છે આરામ (પૂરતી ઉંઘ) વૈજ્ઞાાનિકોએ માટે કહ્યું છે ઉપવાસથી ગભરાશો નહીં. જો શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય અને તમે કસરત પણ ના કરો તો શરીરમાંથી બને તેટલો કચરો તમારા ફેફસા આંતરડા કિડની (હવા- મળ- પેશાબ) મારફતે કાઢી નાખે ત્યારે પણ જો શરીરમાં ટોક્સીક પદાર્થો તમારી બેફામ જીવનશૈલીને કારણે રહ્યા હોય તો શરીર તેને કાઢી નાખવા

૧. શરીર પર ગુમડા કરે જે ફૂટે અને કચરો નીકળી જાય,
૨. પરસેવો ખૂબ થાય,
૩. ઝાડા થઈ જાય,
૪. ઉલટી થાય,
૫. મોમાં ખૂબ ચિકાશ આવે વારેવારે થુંક આવે,

આટલું કર્યાથી પછી જો શરીરમાં જમા થએલા બધા ઝેરી પદાર્થો દૂર ન થાય તો એ પદાર્થો

૧. સાંધામાં જમા થાય,
૨. અને તેથી આગળ અંગોમાં જમા થાય અને તે અંગના કામમાં તકલીફ થાય. હાડકાની તકલીફ થાય, ડાયાબીટીસ થાય, હાર્ટ એટેક આવે, અનેક જાતની નબળાઈ આવે.

|| ઉપવાસ શરૃ કરો ત્યારે શરૃના બે દિવસ ||

૧. તમારી જીભ પર છારી બાઝે,
૨ મોમાંથી ખરાબ વાસ આવે,
૩. શરીરના દરેક છિદ્રોમાંથી ટોક્સીક પદાર્થ બહાર નીકળે,
૪. બે દિવસ ખાવાનું યાદ આવે (ભૂખ લાગે) પછી ભૂખ જતી રહે અને શરીરની સાફસૂફી શરૃ થાય. બધો જ કચરો સાફ થયા પછી જન્મથી તમારા શરીરમાં જાણે- અજાણે દાખલ થયેલા ટોક્સીક પદાર્થો પણ નીકળવા માંડે જેને પરિણામે તમારા મગજનું કામ સરસ ચાલે. ઉપવાસથી તમને પરેશાન કરનારા ટોક્સીક પદાર્થ જેમાં ચરબી- મીઠુ- ખાંડવાળા પદાર્થો ગણાય તેની અસર દૂર થાય તેમજ બેક્ટેરીયા વાયરસ ફંગસ એલર્જી કરનારા પદાર્થો પણ શરીરને નુકસાન કર્યા વગર બહાર નીકળી જાય. છેલ્લી સ્ટેજ વખતે તમે ઉપવાસ નકોરડા કરવાના બદલે ફળો, શાકભાજીના રસ લો તો તમને વિશેષ ફાયદો થાય, કેન્સર ઉત્પન્ન કરનારા ટોક્સીક પદાર્થો જે કેન્સર સેલને પોષણ આપે છે તે પણ જો ઉપવાસ કરો તો તે નાશ પામે છે અને કેન્સર મટી જાય છે એમ સંશોધકો જણાવે છે.

|| ઉપવાસ કરતા ગભરાતા લોકો આ બે વાત યાદ રાખે ||

૧. બે દિવસ પછી ભૂખ નહીં લાગે. ભૂખ લાગવાનું કારણ તમારા ૨૨ વર્ષ સુધી તમારા શરીરની વૃદ્ધિ અને કાર્યશક્તિ માટે જરૃરી પદાર્થો પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટની જરૃર હતી.

૨. ઉપવાસ કરવાથી શરીરનો બધો જ ના જોઈતો કચરો અથવા વેસ્ટ પ્રોડક્ટ (આગળ જણાવ્યા પ્રમાણે) શરીરની બહાર નીકળી જવાથી શરીરમાં સ્ફૂર્તિ લાગશે. યાદ રાખો ઉપવાસ એ તમારી પાસે રહેલું એવું હથિયાર છે જેની તમારે વારેવારે જેમ ઉમર વધે તેમ તમારા શરીરમાંથી દૂષિત પદાર્થો કાઢી નાખવા માટે મદદ કરે છે. એટલું જ નહીં દૂષિત પદાર્થોની ગેરહાજરીથી તમને કોઈ પણ રોગો થતા નથી અને એ રીતે તમે લાંબુ આરોગ્યમય જીવન જીવો છો. આ ઉપરાંત બીજી દ્રષ્ટિએ તમે થાકેલા, ડીપ્રેશનવાળા નહીં લાગો. શરીરમાં ઉપવાસથી શક્તિનો સંચાર લાગશે. દરેક વસ્તુને નકારાત્મક ભાવથી જોવાની ટેવ જતી રહેશે. વિચાર તો કરો ઊંઘનો સમય અને પુરુષો માટે નોકરી ધંધાનો સમય અને સ્ત્રીઓને રોજીંદા કાર્યો સિવાય રોજ ત્રણ ચાર વખત ખાવાનું બનાવવામાં – ખાવામાં જે સમય જશે તે બચી જશે. તમારી પાસે સમય હોવાથી મેડીટેશન કરી શકશો. સારા વિચારો આવશે ફક્ત ‘કૂપમંડુક’ થઈ પોતાના ઘરનો વિચાર કરવાને બદલે બીજાનો પણ વિચાર આવશે તમે બીજાને દુઃખમાં મદદગાર થઈ શકશો. તમારું મગજ સુધરી જશે કોઈ રોગ (મગજના) નહીં થાય.

જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમારી હોજરી, આંતરડા, લીવર, કિડની અને નાના મોટા અંગોને (ખોરાક ન લીધો હોવાથી) શક્તિની જરૃર નહીં પડે માટે એ શક્તિ મગજ વાપરશે, તમારી યાદશક્તિ વધશે, તમારી એકાગ્રતા વધશે. જૂની દુઃખભરી યાદો મગજ વારેવારે યાદ નહીં કરે. તમે પ્રસન્ન ચિત્ત, હસમુખા અને ઉત્સાહવાળા લાગશો. તમારા મિત્રો- કુટુંબીજનોને નવાઈ લાગે એટલા શારીરિક અને માનસિક ફેરફાર તમારામાં થશે. તમે બીમાર ઓછા પડશો અને સૌને ગમે તેવા તમારા વાણી- વર્તન અને વ્યવહાર થઈ જશે.
પશુ- પક્ષી ખાવાનું ક્યારે છોડી દે છે – બાળકો ક્યારે ખાતા નથી ?

જ્યારે તબિયત બરાબર ન હોય ત્યારે પશુ- પક્ષી ખાતા નથી, બાળકો ખાતા નથી. આ નિયમ મોટા થઈને આપણે ભૂલી ગયા છીએ. જો અત્યાર સુધીની મારી વાત તમારા મગજમાં ઉતરી હોય તો –

તમને તાવ આવ્યો કે નબળાઈ લાગી એનું કારણ શરીરમાં કચરો (ટોક્સીક પદાર્થ) ભરેલો છે. તમારે બીજુ કંઈ નથી કરવાનું. ફક્ત પશુ- પક્ષી કે બાળકને જેમ સ્વયં ખબર પડે છે તેમ તમે બે દિવસ કે વધારે ઉપવાસ કરી નાખો. ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય મળે અને સ્વર્ગનું સુખ મળે તેવું સુખ તમારા જીવતા જીવ તમને જ્યારે ઉપવાસથી શરીર ચોક્ખું થઈ જશે ત્યારે તમને મળશે. જોયું, કેટલો બધો ફાયદો છે! ઉપવાસના હિમાયતી અને ઉપવાસ ઉપર જેમણે ચોપડી લખી છે તે ડો. રાય કેસી (યુએસએ) જે ઉપવાસ કરનારાના ડોક્ટર છે તેમણે લખ્યું છે કે, ”મારી ન્યુયોર્કની ૨૦ વર્ષની પ્રેક્ટિસમાં સેંકડો ઉપવાસીઓને તપાસ્યા છે અને જોયા છે. એક વાત ભાર દઈને જણાવું છું કે, ગમે તે ઉંમરે ધીરે ધીરે વધારી દર મહિને ચાર કે પાંચ ઉપવાસ કરવાથી તમે તમારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જાઓ છો, જ્યાં તમને પરમ શક્તિનો સાક્ષાત્કાર થાય છે અને મન અને શરીરમાં ફક્ત આનંદ જ આનંદનો ભાવ રહે છે મનને સખત સતત શાંતિ પ્રાપ્ત થાય છે.”

|| કઈ પરિસ્થિતિમાં (રોગોમાં) ઉપવાસ તમને મદદ કરે છે ? ||

૧. સાંધાનો વા,
૨. દમ,
૩. બ્લડપ્રેશર,
૪. લ્યુપસ,
૫. સતત થાક લાગતો હોય (ગમે તે ઉંમરે)
૬. ખોરાકનું પાચન ન થતું હોય,
૭. આંતરડાનો સોજો અને બીજા પાચન સંસ્થાનના રોગો,
૮. ન્યુરાઇટીસ,
૯. કેન્સર,
૧૦ લકવો.

ડો. રાય કેસીએ તો ઘણી બીમારીઓ જણાવી છે પણ છેલ્લે એમ કહે છે કે તમારા કારખાનામાં રાખેલા મજૂરને એક બે દિવસ રજા આપો તો જ્યારે પાછો નોકરીએ આવે ત્યારે સરસ રીતે કામ કરે તેવી રીતે તમારા કામગરા (હોજરી વગેરે) અંગોને આરામ ઉપવાસથી આપો તો બીજા અંગો સરસ કામ કરે છે તે રીતે એક બીમારી એવી છે જેમાં તમારાથી ઉપવાસ ના થાય. તે લિવરની બીમારી અથવા તકલીફ (લીવરનો સોજો- જુદા જુદા પ્રકારના જોન્ડીસ).

|| ઉપવાસથી તમે કોઈની પર આધાર નહી રાખવાનું શીખી જશો ||

સમાજના મોટા ભાગના લોકો એમ માને છે કે જ્યારે બીમાર પડીશું ત્યારે ડોક્ટરને બોલાવીશું. એ દવા કે ગોળી આપશે તેથી તમે સાજા થઈ જશો. તમે એમ જ માની બેઠા છો કે વિજ્ઞાાને એટલી બધી પ્રગતિ કરી છે કે જો તમે બીમાર પડશો તો ડોક્ટર એકલો જ તમને નવી નવી દવાઓથી સાજા કરી દેશે. આ તમારી મોટી ભૂલ છે. ખરો ઉપાય તમારી બીમારીનો તમારી પાસે જ છે પણ તમારી દશા ‘કસ્તુરી મૃગ’ જેવી થઈ ગઈ છે. તમારી પાસે ઉપવાસનો ખરો અને ૧૦૦ ટકા સાચો (રામબાણ) ઉપાય છે તેની ખબર નથી અને બીજે શોધો છો. તમારા ડોક્ટર તમને (દર્દી)ને નથી જોતા- દરદ શોધવા પ્રયત્ન કરે છે. લક્ષણો જુએ છે. જરૃર લાગે તો એક્સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી રીપોર્ટ જોઈને દરદ નક્કી કરે છે અને પછી દરદની સારવાર કરે છે. ડો. રાય કેસી કહે છે કે આવી મગજમારી કર્યા વગર તમે થોડા ઉપવાસ કરી નાખો. ફરી વાર લખું કે ઉપવાસથી શરીરમાંથી કચરો કાઢી નાખનારા અને તમને સાજા કરનારા અંગો પ્રવૃત્ત થશે અને તમે સાજા થઈ જશો.

|| ઉપવાસના ફાયદા કેટલા બધા છે ||

૧. મગજ ચોખ્ખું થઈ જાય છે.
૨. એકાગ્રતા અને સ્મરણ શક્તિ વધે છે.
૩. શરીરમાં ઉપવાસ વખતે પ્રથમ ચરબી ઓગળે એટલે તમે જાડા ન લાગો. વજન કોઈ નુકસાન વગર ઓછું થતું જાય.
૪. નર્વસ સિસ્ટમ (સંદેશા લઈ જનાર- લાવનાર મોટર સેન્સરી) સુધરે
૫. જેટલા લાંબા તમારા ઉપવાસ (૧થી ૩૦ દિવસ) તેટલી તમારી શક્તિ અને ઉત્સાહ વધે.
૬. ઉંઘ ઓછી થાય પણ કામ કરવાના કલાક વધે, નુકસાન ન થાય
૭. શરીરના બધા અંગો તાજામાજા થઈ જાય.
૮. ચામડી સુંવાળી, રેશમ જેવી થઈ જાય છે.
૯. હલનચલનમાં સ્ફૂર્તિ આવે છે.
૧૦. શ્વાસોચ્છવાસની ગતિ એકદમ સુધરે છે
૧૧. તમારી જીભની સ્વાદ પારખવાની શક્તિ, તમારા કાનની સાંભળવાની શક્તિ, તમારા નાકની સુંઘવાની શક્તિ, તમારી સ્પર્શ શક્તિ અને આંખની જોવાની શક્તિ ખૂબ સુધરે છે. ૧૨. પાચન સંસ્થાન (ડાયજેસ્ટીવ સિસ્ટમ)માં અકલ્પનીય ફેરફાર થાય છે. ૧૩. શરીરમાં બેલેન્સીંગ સુધરી જાય છે.
૧૨ ટોક્સીક પદાર્થ ઘટવાથી રોગ થતા નથી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

|| ઉપવાસના પ્રકારો ||

૧. એક દિવસના (આગળ જણાવેલ છે.) ઉપવાસ જેમાં કશું ખાવાપીવાનું નહીં.
૨. એક કે બે દિવસના ઉપવાસ જેમાં તાજા ફળોનો કે લીલા શાકભાજીનો રસ.
૩. લીંબુ પાણી. તાજા શાકભાજી (ગાજર- મુળા- ટમેટા- કાકડી) અને બધા ફળો લેવાય.
૪. મુસ્લિમ ભાઈઓમાં રમઝાન વખતે રોજા જેમાં ૪૦ દિવસ સૂર્ય ઉગે ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધી કાંઈ ખાવા-પીવાનું નહીં, ફક્ત રાત્રે જ ખાવાનું.
૫. હિન્દુ ધર્મમાં ઉપવાસ કે વ્રત એકાદશી- પૂનમને દિવસે કરવામાં આવે છે.

શિવ શંકરમાં માનનારા સોમવારે ઉપવાસ કરે વિષ્ણુ ભગવાનમાં માનનારા ગુરૃવારે અને બજરંગબલીમાં માનનારા શનિવારે ઉપવાસ કરે, હિન્દુ તહેવારમાં મહા-શિવરાત્રિ વખતે, શ્રાવણ માસમાં દર સોમવારે, નવરાત્રિ વખતે નવ દિવસ, રાજસ્થાનમાં કડવા ચોથ વખતે ઉપવાસ કરે છે. આગળ જણાવ્યા પ્રમાણે સૂર્ય ઉગે ત્યારથી બીજા દિવસનો સૂર્ય ઉગે ત્યાં સુધી કોઈ ખોરાક કે પાણી નહીં લેવાનું. એક દિવસના ઉપવાસમાં હોય છે. આમાં કોઈ વખત ફરાળી ચીજો ફળો વગેરે લેવાની છૂટ હોય છે.

|| જૈનોમાં અનેક પ્રકારના ઉપવાસ હોય છે ||

૧. ચૌવિહાર – (ખોરાક કે પાણી સાંજના ૬ વાગ્યાથી બીજા દિવસ સવાર સુધી બંધ)
૨. તીવિહાર – જે ચોવિહારની માફક જ પણ ઉકાળેલું પાણી પીવાની છૂટ.
૩. જૈનોના પર્યુષણના તહેવાર વખતે આઠ દિવસના ઉપવાસને અઠ્ઠાઈ અને દસ દિવસના ઉપવાસને દસલક્ષણ, આખો મહિનો હોય તેને માસ ક્ષમાન. આયંબીલ નામના ઉપવાસમાં સ્વાદ વગરનું (મીઠું- મરચું- ખાંડ વગરનું) ખાવાનું દિવસમાં એક વાર જમવાનું તેને એકાસણા. જૈન મુનિઓ જાણીજોઈને ભૂખ્યા રહીને દેહત્યાગ કરે તેને ‘સંથારો’ કહે છે. ઓપરેશન પહેલા ૧૨ કલાક ખાવાની ડોક્ટરો રજા નથી આપતા. આ ઉપવાસથી પણ ઓપરેશન વખતે ગરબડ ના થાય માટે કરવામાં આવે છે.

|| વધારે પડતા ઉપવાસ કરવાનાં જોખમો ||

કશું ખાધાપીધા વગર લાંબા સમય સુધી ઉપવાસ કરવામાં તમારા શરીરમાં ક્ષારોનું બેલેન્સ ખોરવાઈ જાય, વાળ ઓછા થઈ જાય અને કોઈકવાર હાર્ટના ધબકારા અનિયમિત થવાથી (કાર્ડિયાક એરીથમીઆ) મૃત્યુ પણ થાય, કિડની કામ કરતી બંધ થાય. ઉપવાસ વખતે જો સાદી પેરાસીટામોલ ગોળી લેવામાં આવે તો આડઅસરમાં મૃત્યુ થાય. ઘણા લોકો વજન ઓછું કરવાની ઘેલછામાં ધીરે ધીરે ખોરાક ધટાડતા જાય એટલે સુધી કે માનસિક બીમારી થઈ જાય, જેમાં ખોરાક જુએ અને ઉલ્ટી થાય. ખાવા ઇચ્છે તો પણ ખાઈ ના શકે જેને એનોરેક્ષીયા નર્વીઆ કહેવાય. ખાસ ધ્યાન રાખશો, ઉપવાસના ફાયદા વધુમાં વધુ મેળવવા ઉપવાસ કરવાનું વ્યસન ના થઈ જાય.