|| બ્રહ્મચર્ય વ્રત ||
બ્રહ્મચર્ય આદરસત્કાર મેળવવા માટે નહિ , શીલસંપત્તિ મેળવવા માટે નહિ સમાધિસંપત્તિ મેળવવા માટે નહિ કે પ્રજ્ઞા પ્રાપ્ત કરવા માટે નહિ , પરંતુ આત્યંતિક ચિત્તવિમુક્તિ (નિર્વાણ) માટે છે ,
આત્યંતિક ચિત્તવિમુક્તિ એ બ્રહ્મચર્ય નો સાર છે , અને એ જ બ્રહ્મચર્યનું પર્યવસાન છે.
આત્મામાં વિચરવું એનું નામ બ્રહ્મચર્ય છે, પરંતુ વીર્યની રક્ષા કર્યા સિવાય આત્મામાં વિચારવું અશક્ય હોવાથી વીર્ય ની રક્ષા કરવી એ જ બ્રહ્મચર્ય , એમ મનાયું છે…
‘યોગસૂત્ર’ માં કહે છે કે ,
બ્રહ્મચર્યની દ્રઢતા થવાથી વીર્યનો લાભ થાય છે.
જે માણસ બ્રહ્મચર્યની રક્ષા કરે છે , તેને બ્રહ્મચર્ય ની વિશેષતાથી નિરતિશય સામર્થ્યનો આવિર્ભાવ થાય છે. વળી તેના સંયમથી શરીર , ઇન્દ્રાય અને મનમાં વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે…
‘શ્રી યોગભાષ્ય’ માં ગુપ્તેન્દ્રિયરૂપ ઉપસ્થના દ્રઢ નિગ્રહને બ્રહ્મચર્ય તરીકે વર્ણવ્યું છે.
‘શ્રી દક્ષસંહિતા’માં મૈથુનનાં આઠ અંગો વર્ણવ્યા છે , તેનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહ્યું છે.
‘યાજ્ઞવલ્કયસંહિતા’ માં કહ્યું છે કે –
“મન ,વાણી અને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વત્ર મૈથુન નો ત્યાગ કરવો ,તેને બ્રહ્મચર્ય કહેવાય”
બ્રહ્મ એટલે કુશળ અનુસ્થાન , તે અને એનું સેવન કરવું તે બ્રહ્મચર્ય. તાત્પર્ય કે આત્માનું હિત કરનારી જે ક્રિયા હોય તે બ્રહ્મચર્ય કહેવાય….
શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ ના પ્રથમ પ્રકાશમાં જણાવ્યું છે કે –
” દિવ્ય એટલે દેવતાના શરીર સંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને પશુનાં શરીર સંબંધી ; આમ બે પ્રકારનો કામ, તેને મન ,વચન અને કાયાએ ગુણતા ૬ પ્રકાર થાય અને તેને કરવા, કરાવવા, અને અનુમોદવારૂપ ૩ પ્રકારને ગુણતા ૧૮ પ્રકાર થાય , તેનો ત્યાગ કરવો તેનું નામ બ્રહ્મચર્ય .”
બ્રહ્મચર્ય એ શીલ અર્થાત ચારિત્રનો અતિ અગત્યનો ભાગ છે અને તેથી કાલાંતરે બ્રહ્મચર્ય અને શીલ એ સમાન અર્થ સૂચક શબ્દો બની ગયા છે.
બધી ઇન્દ્રિયોનો એકી વખતે જ સંયમ એ બ્રહ્મચર્યનું ન્યાય યુક્ત લક્ષણ છે.
મન, વચન, કાયા વડે સઘળી અવસ્થામાં મૈથુન નો ત્યાગ કરવો અને વીર્યની રક્ષા કરવી, તેને જ બ્રહ્મચર્ય કહે છે.
વર્તમાન વિચારકોમાં બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે : –
“બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ તે બ્રહ્મ ની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે, એટલે તે શોધ અંતર્ધ્યાન અને તેનાથી નીપજતા અંતર્જ્ઞાનથી થાય છે.
એ અંતર્જ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે .તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી , વચનથી , કાયાથી સર્વક્ષેત્રે , સર્વકાળે , સંયમ તે બ્રહ્મચર્ય. આવા બ્રહ્મચર્યનું પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવા સ્ત્રી પુરુષ ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવા છે, જેની વિષયેન્દ્રીય સ્વપ્નમાંયે કદી વિકાર ન જ પામે તે જગત વંદનીય છે. તેને માટે બીજો સંયમ સહજ વસ્તુ છે એમાં શક નથી. ”
સદગત શ્રી કિશોરલાલ મશરૂવાલા બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા કહે છે કે –
“બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ અથવા ઈશ્વરના માર્ગે ચર્યા (ચાલવું) ”
“સર્વ શક્તિઓને ઈશ્વરના માર્ગે વાપરવી તે બ્રહ્મચર્ય”
બ્રહ્મચર્ય ની મહત્તા વિષે જૈનાગમોમાં કહ્યું છે કે –
“જેને બ્રહ્મચર્યની આરાધના કરી, તેને સર્વ વ્રતો, શીલ, તપ, વિનય, સંયમ, સમિતિ, ગુપ્તિ, અરે ! મુક્તિની પણ આરાધના કરી”
‘બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે , નિત્ય છે, શાશ્વત છે અને જિનોએ ઉપદેશેલો છે . એના પાલનથી પૂર્વ કાળમાં અનંત જીવો સિદ્ધ થઇ ગયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ‘
“દેવો, દાનવો અને ગાંધર્વ જાતિના દેવો, યક્ષો, રાક્ષસ અને કિન્નર જાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે, તેવા પુરુષોને નમસ્કાર કરે છે.”
જૈનાગમ ‘શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર’ માં એટલે સુધી કહ્યું છે કે –
“તે જ ઋષિ છે, તે જ મુની છે, તે જ સંયમી છે, અને તે જ ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે”
શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રમાં’ કહ્યું છે કે –
“બ્રહ્મચર્યના પાલનથી મનુષ્યો દીર્ઘાયુષ્ય, સુડોળ, સુદઢ બાંધાવાળા, તેજસ્વી તેમજ મહાવીર્યવાન બને છે. ચારિત્રના પ્રાણભૂત પરબ્રહ્મ -મોક્ષનાં અદ્વિતીય ઉપાયરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર મનુષ્ય નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ પૂજાય છે”
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે : –
“મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ,
બ્રહ્મચર્ય નર જે ધરે , તે પામે નવ નિધ”
જે મનુષ્ય બ્રહ્મચર્યને ધારણ કરે છે, તેને જ મંત્ર જપનું ફળ મળે છે .તેનો આ જગતમાં યશ વધે છે, તેને દેવો સહાય કરે છે અને તે નવ નિધિ પામે છે , તેને જગતની સર્વ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આજે મંત્રો ફળદાયક થતા નથી તેની જે બુમ ઉઠી છે, તેનું એક કારણ એ પણ છે કે તેની ગણના કરનારાઓ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. જો મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન થતું હોય તો મંત્ર ફળ્યા વિના રહે નહિ.
સદાચારની મર્યાદામાં બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને પણ દેવોએ સહાય કર્યાના અનેક દાખલાઓ છે. સતી સુભદ્રા ઉપર કલંક આવ્યું , ત્યારે શાસનદેવીએ તેનું નિવારણ કરવા માટે અજબ સહાય કરી હતી . સતી કલાવતીનાં કાંડા કપાયા અને તેને ભયંકર વનમાં એકલી છોડી દેવામાં આવી , ત્યારે પણ દેવોએ જ સહાય કરી હતી. આવા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં અનેક નોંધાયેલા છે.
બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને દુન્યવી ઋદ્ધિ સિદ્ધિની બહુ કામના રહેતી નથી ,
આમ છતાં બ્રહ્મચર્યનો પ્રતાપ એવો છે કે ઋદ્ધિ સિદ્ધિ સર્વ પોતાની મેળે જ ત્યાં આવી જાય છે.
કહ્યું છે કે –
‘અણિશુદ્ધ બ્રહ્મચર્યચારી જેઓ, ખરે ન જેનું વીર્યબિંદુ,
અતુલ બલી તે પ્રચંડ કાર્યો , કરતા પ્રકટાવે સુખસિંધુ. ‘
જે બ્રહ્મચર્યનું અણિશુદ્ધ પાલન કરનારા છે , જેનું વીર્ય સ્ખલન પામતું નથી. તે અતુલ બળવાન બનીને જગતમાં પ્રચંડ કાર્યો કરે છે અને સુખનો સિંધુ – સાગર પ્રકટાવે છે .
બ્રહ્મચર્ય માટે આ જેવું તેવું પ્રમાણપત્ર નથી. ઈતિહાસ પણ કહે છે કે, જેમને શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળ્યું તેઓ જ આ જગતમાં મહાન કાર્યો કરવાને શક્તિમાન થયા.
આપણા મહાન આચાર્યો શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરીભદ્રસુરી, શ્રી હેમચંદ્રાચાર્ય , શ્રી હીરવિજયસુરી વગેરે જે મહાન કાર્યો કરી ગયા, તેનું કારણ એ હતું કે તેઓ શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા હતા. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, અને મહર્ષિ રમણ વગેરે એ પોતાના જીવન દરમિયાન જનતા પર જે મહાન પ્રભાવ પાડ્યો, તે બધા પાછળ મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી . આચાર્ય વિનોબાજી એ આ ઉમરે ભૂમિદાનરૂપી યજ્ઞ શરુ કરી પ્રજા ને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે, તેની પાછળ પણ બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિસ્સો નથી.
‘શિવસંહિતા’ માં બ્રહ્મચર્ય વિષે કહ્યું છે કે –
“વીર્યનો પાત કરવો એ જ મરણ છે અને વીર્યને ધારણ કરવું એ જીવન છે. માટે ભગીરથ પ્રયત્ન કરીને પણ વીર્યની રક્ષા કરવી જોઈએ”
મહર્ષિ ચરકે કહ્યું છે કે –
” સ્ત્રી સાથે સંયમમાં રહેનારો દીર્ઘાયુષ ભોગવે છે , અને તેનું શરીર હષ્ટપુષ્ટ તથા તેજસ્વી બને છે. તેને વૃદ્ધાવસ્થા સત્વર આવતી નથી અને વૃદ્ધ થવા છતાં તે યુવાન જેવો આનંદ ભોગવે છે”
શ્રી વાગ્ભટ્ટાચાર્યે કહ્યું છે કે –
“સંસારમાં જેટલા સુખ છે તે સર્વે આયુષ્યને આધીન છે અને આયુષ્ય બ્રહ્મચર્યને આધીન છે”
સંત તુલસીદાસજીએ કહ્યું છે કે –
“રામ તિહાં નવ કામ ભાસે, કામ તિહાં નહિ રામ;
તુલસી દોનો નાં રહે, રવિ-રજની એક ઠામ”
જ્યાં રામ હોય ત્યાં કામ દેખાતો નથી અને જ્યાં કામ દેખાય ત્યાં રામ દેખાતો નથી. તુલસીદાસ કહે છે કે , રામ અને કામ એ બે એવી પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે કે જે સૂર્ય અને રાત્રીની માફક એક સ્થળ રહી શકતા નથી..
સ્વામી રામતીર્થે એક સ્થળે કહ્યું છે કે –
“આગળ વધવાનું મુખ્ય સાધન જેમ બ્રહ્મચર્ય છે તેમ પાછળ પડવાનું મુખ્ય કારણ બ્રહ્મચર્યનો ભંગ છે
આ લોકમાં તથા પરલોકના સાધનોમાં શિરોમણી બ્રહ્મચર્ય છે”
સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે કે –
“સંસારમાં મનુષ્યનું સૌથી પ્રથમ અને અગત્યનું કર્તવ્ય બ્રહ્મચર્ય જ છે , કારણકે સર્વ મનુષ્યો સુખની ઈચ્છા કરે છે , પણ સાંસારિક અને પારમાથીક સર્વ પ્રકારના સુખનું મૂળ સાધન બ્રહ્મચર્ય જ છે”
બ્રહ્મચર્ય પ્રકૃતિ છે, અને અબ્રહ્મચર્ય એ વિકૃતિ છે.
બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક દ્રષ્ટિ છે.
એકવાર મૈથુનના સેવનથી એમાં બે થી નવ લાખ સુધી જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થવાની શક્યતા છે.
આ હકીકતનો ઉલ્લેખ કરી શ્રીમદ હેમચંદ્રાચાર્યે પણ ‘યોગશાસ્ત્ર’ માં કામાચાર ન સેવવાનો ઉપદેશ આપ્યો છે.
હાલમાં વિજ્ઞાનશાસ્ત્રની શોધ અનુસાર એક સમાગમ વખતે લગભગ ૨૨,૫૦,૦૦,૦૦૦ (બાવીસ કરોડ પચાસ લાખ) શુક્રાણુઓ ઉત્પન્ન થાય છે, જે પૈકી એક શુક્રાણુ પણ મહામાનવ સર્જવાનું સામર્થ્ય ધરાવે છે .
આવું જ્યારે વિજ્ઞાન બતાવે ત્યારે આપના અહિંસક શ્રાવકો અને શ્રાવિકાઓએ આના આધારે પણ બ્રહ્મચર્યની મહતા બહુ સમજવા જેવી છે .
બ્રહ્મચર્યના પાલન સિવાય માનવી કદી પણ સંપૂર્ણ અહિંસક બની સકતો નથી , એ હકીકત આમાંથી સાબિત થાય છે .
જૈન શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યના મુખ્ય બે પ્રકારો દર્શાવ્યા છે; સર્વથી અને દેશથી . સાધુ – સાધ્વિઓએ જે બ્રહ્મચર્ય પાળવાનું છે તે સર્વ એટલે કે જીવન સ્પર્શી સંપૂર્ણ સંયમ છે. સંપૂર્ણ સંયમ માં શ્રધ્ધા, જ્ઞાન, ક્ષમાડી સ્વાભાવિક સદ્વૃત્તીનો પણ સમાવેશ થાય છે.
સાધુ મુનિરાજને દિક્ષા લેતી વખતે ચોથા મહાવ્રત માટે નીચે પ્રમાણે પ્રતિજ્ઞા લેવી પડે છે :-
“હું સર્વ મૈથુનનો પરિત્યાગ કરું છું, અર્થાત દૈવી, માનુષી કે તિર્યંચ નાં કોઈ પણ જાતના મૈથુનને હું મનથી, વચનથી અને કાયાથી જીવન પર્યંત સેવું નહિ; તેમજ બીજા પાસે સેવરાવું નહિ, અને કોઈ બીજો સેવતો હોય તો તેમાં હું અનુમતિ પણ આપું નહિ ”
શ્રાવકોએ સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કરવાનું હોય છે, એટલે પોતાની સ્ત્રીથી જ સંતોષ માનવાનો હોય છે અને તેની સાથે પણ સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો છે .
અહી એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, કામભોગથી મુક્ત વ્યક્તિ પણ જો જીવનમાં બીજા વ્રતો જેવા કે અહિંસા, સત્ય, ચોરી, અને પરિગ્રહની બાબતે અસંયમપૂર્વક જીવે તો તેના બ્રહ્મચર્યને નુકસાન થયા સિવાય રહેતું નથી . મહાવ્રતોની સંકલના એ પ્રકારની છે કે એક વ્રતનો ભંગ થતા બીજા વ્રતોને પણ તેની અસર પહોંચે.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ‘બ્રહ્મચર્યવ્રત’ ની પૂજામાં સ્પષ્ટ કહ્યું છે કે –
વ્રતોમાં થતા દોષોના મુખ્યત્વે ચાર વિભાગો પાડવામાં આવ્યા છે આ ચારે વિભાગોનું સ્વરૂપ આ પ્રમાણે છે :-
૧) અતિક્રમ – લીધેલા વ્રતમાં ભંગ કરવાનો માનસિક સંકલ્પ કરવો તે .
૨) વ્યતિક્રમ – સંકલ્પની સહાયક સામગ્રીના સંયોગની યોજના કરવી તે.
૩) અતિચાર – જે પ્રવૃત્તિથી લીધેલી પ્રતિજ્ઞામાં આંશિક ભંગ થાય અર્થાત વ્યવહારમાં પણ દુષણ મનાય તે.
૪) અનાચાર – વ્રતનો સર્વથા નાશ.
જૈન ધર્મશાસ્ત્રોમાં મૈથુન સિવાય બીજી કોઈ પણ વસ્તુનો એકાંતે નિષેધ નથી. કોઈ પણ વસ્તુનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી એક વખત નિષેધ હોય તો બીજે પ્રસંગે તેનું વિધાન પણ હોય. આમ છતાં, બ્રહ્મચર્યની બાબતમાં આવો કોઈ અપવાદ નથી; દરેક કાળે , દરેક સ્થળે, ગમે તેવી પરિસ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય કરવાનું જ હોય છે.
‘આચારાંગસૂત્ર ‘ની ટીકામાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે : –
‘જો ભિક્ષુને એમ થાય કે હું કામવાસનામાં સપડાયો છું , અને તેના વેગને સહી શકું તેમ નથી , તો તે વસુમાન અને સમજદાર ભિક્ષુએ અકાર્ય્માં પ્રવૃત્તિ ન કરતા આત્મવિસર્જન કરવું ; તે જ તેના માટે ધર્માચાર છે . ‘
બ્રહ્મચર્યના પાલન પર આટલો ભાર મુકવાનું કારણ એ જણાય છે કે, બ્રહ્મચર્ય એ જ સાધુઓના ચારિત્રનું મુખ્ય આભુષણ છે
એક સાધુ કેશનો લોચ કરતો હોય, મહાન તપશ્ચર્યા કરતો હોય, વિના વસ્ત્રે રહેતો હોય, સ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ, મચ્છરના અનેક ઉપદ્રવો સહન કરતો હોય, પણ તે બ્રહ્મચર્ય પાલનમાં જરા પણ શિથિલ હોય તો તેની તમામ ક્રિયાઓ ફોગટ છે – અર્થહીન છે.
જે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે છે અને પોતાનું વીર્યનો કેઈ પણ રીતે નાશ કરતો નથી , તેનામાં શારીરિક અને માનસિક બંને પ્રકારની શક્તિઓ એવી સરસ પ્રાપ્ત થાય છે કે, તેને કોઈ દિવસ કોઈ પણ રોગ માટે દવા લેવાની જરૂર પડતી નથી . દવાની જરૂર તો દુર રહી, પરંતુ ધારેલું કામ તે ઘણી સરસ રીતે કરી શકે છે.
વીર્યરક્ષાથી કોઈ પણ પ્રકારના રોગને અવકાશ મળતો નથી, એટલું જ નહિ, પરંતુ ઘર કરીને રહેલા શ્વાસ, ક્ષય, પ્રમેહ આદિરોગો પણ વીર્યની રક્ષાથી જલ્દી દુર થઇ જાય છે..
શ્રીમદ શંકરાચાર્યે કહ્યું છે કે –
“જે પુરુષ પરમાર્થ બુધ્દ્ધીથી રહિત છે અને ધ્યાન, પૂજા વગેરે જગતમાં લોકો જુએ તે ખાતર કરે છ, તે દમ્ભાચારી કહેવાય છે” આવા દંભી વ્રતધારીઓ વળી શાસ્ત્રોની દલીલો ટાંકી અનાચાર સેવતા છતાં પોતાના વ્રતનો બચાવ કરે છે.
પૂજ્ય ગાંધીજીએ શાસ્ત્રોની બાબતમાં એક સુંદર વાત કહેલી છે.તેઓએ કહ્યું છે કે –
“શાસ્ત્રના અર્થ કરવામાં સંસ્કાર અને અનુભવની આવશ્યકતા છે. શૂદ્રને વેદનો અભ્યાસ ન હોય એ વાક્ય સર્વથા ખોટું નથી.
શૂદ્ર એટલે અસંસ્કારી, મૂર્ખ, અજ્ઞાની વેદ આદિનો અભ્યાસ કરી તેનો અનર્થ કરે”
નંદિસૂત્ર’ માં તો ચોક્ખું કહ્યું છે કે : –
“જેની દ્રષ્ટિ સમ્યક છે તેને શાસ્ત્રો સમ્યકરૂપે પરિણમશે, જ્યારે જેની દ્રષ્ટિ મિથ્યા છે તેને શાસ્ત્રો પણ મિથ્યારૂપે પરિણમશે”
માણસને આહાર, નિંદ્રા અને હવા વિના ચાલી ન શકે, કારણકે જીવન માટેની આ મુખ્ય વસ્તુઓ છે. પરંતુ વિષયેચ્છા ને રોકવાથી સ્ત્રી કે પુરુષ મરી જતા નથી, પણ તેઓ વધુ તંદુરસ્ત અને શક્તિશાળી બને છે. આવી ઈચ્છા રોકવાની શક્તિ કુદરતે માનવી માત્રને બક્ષેલી છે.
શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘કામ’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે : –
સ્ત્રી વગેરે અજ્ઞાની પરિવારથી વીંટાયેલા, તથા કામભોગની ઈચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને ધર્મ માર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે. તેથી તે કામ કહેવાય છે. વળી અન્ય પંડિતોએ તેનું બીજું નામ “રોગ’ આપેલું છે . કામભોગની ઈચ્છા કરનારો જીવ વાસ્તવિક રીતે રોગની જ ઈચ્છા કરે છે …
શ્રી ધર્મદાસગણિજીએ કહ્યું છે કે –
“જેમ કોઈ માણસને ખસ થઇ હોય અને તેના પર ચળ-ખુજલી આવે , ત્યારે તેને ખણવામાં સુખ માને છે , તેમ મોહમાં આતુર થયેલા માણસો કામ ભોગવતાં દુઃખને – વિષયોને સુખ કહે છે”
મનોકામનાઓ અને વાસનાઓને દાબી દેવાથી કે દંભ કરીને ચિત્તમાં તેને સંતાડી રાખવાથી તેનો નાશ થઇ શકતો નથી,
પરંતુ બ્રહ્મચર્ય સાધકે પ્રયત્નો વડે આવી વૃત્તિઓને શુદ્ધ કરી તેને સુયોગ્ય માર્ગે વાળવી જોઈએ. એ માટે જૈન ધર્મે વિશાલ તત્વ જ્ઞાન અને વિસ્તૃત આચાર માર્ગ આપ્યો છે.
શ્રી જે. કૃષ્ણમૂર્તિ આ સંબંધમાં કહે છે કે : –
આપણે મનને સમજાવવાને બદલે મનનું દમન – નિયમન કરીએ છીએ, અને એ રીતે દુઃખના મૂળને સમજવાને બદલે એ દુઃખને વિસરવાના જ ઉપચારો જ કરીએ છીએ. પરિણામે સંયમ, નિયમન, આદર્શો અને સદગુણો આપણા જીવનમાં મહત્વનું સ્થાન ભોગવતા છતાં મનની શુદ્ધિ થતી નથી. એ સઘળાની પાછળ કઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ રહેલી છે, અને તેથી જ એ અહંને પોષનારા બળો છે, અને એ સઘળા દુઃખના પ્રશ્નને મોકૂફ જ રાખે છે. માટે માણસની વૃત્તિ એ જ સાચું નિયમન કહેવાય.