|| શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ||
જેમણે તમારા હાથ પકડી ચાલતાં શિખવાડયું હતું ? લથડીને પડી જતાં હતા ત્યારે તમને જેમણે આંગડી પકડીને બચાવ્યા હતા ? તે માતા- પિતા આજે અશક્તિને કારણે લથડતા હોય અને તમો તેમનાથી દૂર તો નથી ભાગતાં ફરાતાં ને ?
”શ્રવણધર્મ” એટલે શ્રવણે જે ધર્મ બજાવ્યો હતો તેનો વિચાર આપણે કરવાનો છે. શ્રવણે જે રીતે માતા- પિતાની સેવા કરી હતી તેવે રીતે દરેક સંતાને માતાપિતાની સેવા કરવી જોઇએ. આજે શ્રવણ જેવા સંતાનોની ભારે અછત છે. અરે ! એમ જ કહો ને કે દુષ્કાળ પડયો છે.
પિતાજીની ઇચ્છા પરિપૂર્ણ કરવા પોતાનું જીવન બદલી દેનારા ભીષ્મ, રાજ્ય ગાદીનો ત્યાગ કરીને વનમાં જનારા રામ, કે કાવડ લઇને ફરનાર શ્રવણ… આદી પુત્રોથી આપણી સંસ્કૃતિ ઉજળી છે…
આજ કે ઇન્સાન કો ક્યાં હો ગયા ?
બરસો પુરાના પ્યાર કહાં પર ખો ગયા ?
જે વડીલોએ પોતાના સંતાનો માટે પોતાનું સ્વાસ્થ્ય પણ નીચોવી નાંખ્યું છે અને જે હવે લાચારી અને લથડતી તબિયતને કારણે પુત્રો પર નિર્ભર છે ત્યારે હવે પુત્રો માતા- પિતાને વચનો દ્વારા માથામાં એવા હથોડાનાં ઘણ ઝીંકે છે કે, તેમની આશા અને અરમાનોના ટુકડે ટુકડા થઇ જાય છે.
આજના વડીલોના ઉપકારોમાંથી છટકવા માટે કેટલા ટન આત્મવંચના જોઇએ ? એ વૃધ્ધ માતા- પિતાના નિસાસોને સહન કરવા કયા પર્વતની ચટ્ટાન જેવું દિલ જોઇએ ? સંગા મા- બાપ કે દાદા- દાદીને કોઇ અમીરોના દયાદાન પર ચાલતા વૃધ્ધાશ્રમોમાં નાખી આવવા માટે કેટલું જડ અને લાગણી વિનાનું હર્દય જોઇએ ? જેટલું જોઇએ એટલું પણ પણ તે સર્વે આજના યુવાનો પાસે છે અમે નક્કી લાગે છે.
આજે જીવનસંધ્યા, નિવાસ, તપોવન, રમાધામ, શાંતિસદન, દીકરાનું ઘર… આ કોઇ બંગલાના નામોની યાદી નથી. આ એ વૃધ્ધાશ્રમોનાં નામો છે જ્યાં આપણી કુટુંબ પરંપરાની કલંકિત દાસ્તાનો એક એક વૃદ્ધના હાયકારામાં સંઘરાઇ છે.
આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનાર મા- બાપની આવી દુર્દશા અને ધર્માદા ઉપર ચાલતા વૃધ્ધાશ્રમો એ શું ભારતની શાન છે ?
હા, અમુક મા- બાપના સ્વભાવો ઘણીવાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે માની શકાય છે, પણ એ બોજ બનીને કુટુંબનોભાર બની જાય છે, એ હરગીજ માની શકાય તેમ નથી, નથી ને નથી જ.
જે માતા- પિતાઓ શરીર અને મનથી થાકી ગયા છે, એમને ભૂખ, લાચારી અને એકલવાયાપણામાં વૃધ્ધાશ્રમોમાં મરવા માટે છોડી દેવાય ત્યારે કસાઇખાને જતી ગભરુ ગાયની આંખો આપણી આંખો સામે તરવરી ઉઠે છે.
માતા-પિતા વૃધ્ધ થાય, એમના માટે ચાલવાનું અઘરું બને, એમનાં આંખે- દાંત સાથ ન આપતાં હોય, શરીર ક્ષીણ થયું હોય ને એવે સમયે પુત્રી કે પુત્ર જો માતા-પિતા ને ભૂલે તો ? જે દીકરીને વહાલનો સાગર લેખી હોય, જે દીકરાને પ્રેમનું આકાશ લેખ્યો હોય એ જ જો પોતાના માતા-પિતા તરફથી મોં ફેરવી લેતો ? જે શેર માટી માટે માતા- પિતા એ પથ્થર એટલા દેવ કર્યા હોય, કડક માનતાઓ રાખી હોય અને સંતાનપ્રાપ્તિ થતાં ઇશ્વરને લાખ લાખ પ્રણામ કર્યા હોય- એ માતા-પિતાની પછી કેવી મનઃસ્થિતિ થાય ? એવા પુત્ર-પુત્રીની પણ જ્યારે તે કોઇના માતા-પિતા થશે ત્યારે એમનાં સંતાનો તેમની પણ એવી જ અવમાનના કરવાનાં ને ? આખી ગૃહવ્યવસ્થા જ ઉલટી થઇ ને ? આજના ઘરડાંઘર, વૃદ્ધાશ્રમો, વૃદ્ધોની આત્મહત્યાઓ એ અવ્યવસ્થા ભણી ધકેલાઇ રહેલા સમાજને જ સંકેત કરી રહ્યાં છે. માતા-પિતાને ન ભૂલવા એ કંઇ કોઇ પરંપરાથી મળેલું ગુલામીખત નથી. બલ્કે આદર્શ સમાજવ્યવસ્થા છે.
એક દીકરી ઘર છોડે ત્યારે…. અને બીજું દીકરા તરછોડે ત્યારે પણ માએ તો જિંદગી ભર રડવાનું જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહી એટલે મા રડે અને એ છોકરા મોટા થઇને જમાડે નહી ત્યારે મા રડે છે ! સંજોગો ની એ વિચિત્ર વિડંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઇને માને ચૂપ રહેવાનું કહે છે. હે ! સંતાનો થોડું વિચારો… કાંઇક બ્રેક મારો. માતા- પિતાની આંતરડી કાંઇક ઠરે એવું વર્તન કરો.
કોઇપણ માતા-પિતા પોતાના સંતાનો પાસેથી પાછલી વયે શું ઝંખતાં હોય છે ? બંગલા- ગાડી, નોકર- ચાકર સાહ્યબી ? ના. ના.. ઘરડાં મા-બાપની જરૃરીયાતો માત્રને માત્ર ભૌતિક નથી હોતી. હવે તો ભૂખ પણ માંડ એકાદ રોટલીનો કે એકાદ પ્યાલા દૂધ ના જેટલી જ લાગે છે. બે કોળીયા ખીચડી ના આહારથી જ એમને ઓડકાર આવી જતો હોય છે. પાછલી વયે તેમને તેમના પુત્રો- પુત્ર વધુઓ- તેમનાં સંતાનો તેમની સાથે શાંતિથી બેસે. બે વાત સાંભળે. અમારા અસ્તિત્વની એ ઉપેક્ષા ન કરે. અમારી સાથે સરળ અને નિખાલસ રહીને, અમારી વાત સાંભળે એ જ એમની અંતિમ ઇચ્છા- મનોરથ હોય છે. તેથી જ ેકવિએ માતા- પિતાની ઇચ્છાને આ રીતે શબ્દોમાં ગોઠવી છે કે,
હું વધુ કશું નથી માગતો તમારી પાસે,
માગું છું માત્ર એટલું જ-
થોડીક વાતો કરી મારી સાથે,
થોડો સમય આપો મને,
મારી પાસે બેસશો ?
ખરેખર, યુવાન મિત્રો જે ઘરડાં હોય ને એને જ ખબર પડે છે કે, ઘડપણએ કેવી અવસ્થા છે અને…
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે, બુઢ્ઢા થવું શું ચીજ છે ?
આ વાત આપણને જવાનીના તોરમાં સમજાતી નથી. અને જ્યારે તમારી અવસ્થા થશે ત્યારે તમને એ વાત સમજાશે ? પણ પછી શું ? હાથમાંથી બાજી સરી ગયા પછી શું ? માટે સુજ્ઞા, વ્યક્તિ એને જ કહેવાય છે કે, સમયસર વાતને સમજી લે.
તમો જ્યારે નાના હતા ને ત્યારે તમને કોઇ તકલીફ ના પડે ને એટલે તમારા આ માતા- પિતાએ કેવી કેવી રીતે તમારી કાળજી લીધી છે એની તમને ખબર ?
રાતભર બાપે દબાવી ખાંસીને,
એ જ ચિંતા, છોકરાં જાગી જશે.
હે, સંતાનો થોડો વિચાર કરો ? જે માતા- પિતાએ કેટ કેટલી તમારી કાળજી લીધી છે તેનો વિચાર કરો અને તમોને જે તેમના પ્રત્યે એલર્જી થઇ ગઇ છે તેને ટાળી નાંખો અને આ પવિત્ર શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ને અપનાવો.
એક કવિએ કહ્યું છે કે,
ભૂલો ભલે બીજું બધું,
માબાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના,
એહ વિસરશો નહિ
પરંતુ આજના સંતાનોને આ વાત સમજાય છે ક્યાં ? જેમ અત્યારે ઘણા વૃધ્ધ માતા- પિતાની આંખમાના આસું જોવાની યુવાનો પાસે નજર નથી.
એક કવિએ કહ્યું છે કે,
છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે,
ઓટ આવી કે તરત આઘા કિનારા થઇ ગયા.
મહાભારતના યુધિષ્ઠિર જેવા જ સમર્થ મહાનાયક પિતામહ ભીષ્મ પિતા માટે થઇને રાજ્યનોને સંસાર સુખનો ત્યાગ કરીને દેવવ્રતમાંથી ભીષ્મ બની ગયા છે. તો ઘટોત્કચ પિતા ભીમ માટે જ જીવ્યો છે અને મૃત્યુ પામ્યો છે.
કૃષ્ણ હોય, રામ હોય, ભીષ્મ કે યુધિષ્ઠિર હોય, કે સહજાનંદ સ્વામી… એ સૌ કોઇએ ભારતીય પરંપરાની આજ સુધીની પેઢી માટે જે અમૂલ્ય સંપત્તિ પ્રદાન કરી છે તે માતા- પિતાના પ્રેમને સમજવાની, તેમને આરાધવાની છે.
ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના માતા- પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની કેટલી સેવા કરી છે ? તેઓ બંને જ્યારે બિમાર હતા ત્યારે તેમની પાસે બેસીને પોતે સ્વયં ધર્મગ્રંથોની પારાયણ કરી છે. માતા- પિતાને દિલાસો આપ્યો છે અને દિલથી સેવા કરી છે. તેમના જીવનમાંથી કાંઇક આપણે શીખવાનું છે અને સમજવાનું અને જીવનમાં ઉતારવાનું છે.
ભારતની ભૂમિ એટલી તો સમૃદ્ધ છે કે અહી ધરતીની સોડમ આપતું લોકસાહિત્ય પણ પાંગર્યું છે. આપણા એક લોકગીતમાં કહેવાયું છે.
મોટું તીરથ માવતરનું, ઇ જે જનમના ઝાડ,
ગુણ ભૂલ મા તું ગાંડિયા, જેણે નવ માસ ઉપાડયો ભાર. નવ માસ ઉપાડયો તે ભાર કઇ,
ચરણ ધોઇ જેના ચરણામૃત લઇએ.
આ ભારતની ભૂમિ ઉપર કેટ કેટલો મહિમા માતા- પિતાનો ગવાયો છે. એ ભૂમિના ઉપર આપણો જન્મ થયો છે. કાંઇક તેના સંસ્કારો તો આપણામાં આવવા જોઇએ ને ? આ પવિત્ર શ્રાવણમાસમાં ”શ્રવણધર્મ”ના પંથે પગલું તો ભરવું જ રહ્યું ને ?