|| શ્રી રત્નાકર આચાર્યનું જીવન ચરિત્ર અને રત્નાકર પચ્ચીસી ||
“રતનનું કરતા જતન, થયું સંયમી ભાવોથી પતન
મળ્યા સુધન શ્રાવક રતન, પસ્તાવાથી કર્યું કર્મ કર્તન”
શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા. એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં. એમની વાણીમાં ઓજસ્ હતું.પ્રવચન આપતા ત્યારે એમની જીભપર જાણે સરસ્વતી બિરાજમાન હોય તેવો જનસમુદાય પર પ્રભાવ પડતો. એમની વાણીમાં એવી તાકાત હતી કે પથ્થર પણ પીગળીને પાણીપાણી થઈ જતા. એકદા વિચરણ કરતાં કરતાં તેઓ બહોળા શિષ્યપરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા. એમની જોશીલીવાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો. કેટલાક વૈરાગ્ય પામી સંત બન્યા તો કેટલાક વ્રતધારી શ્રાવકો બન્યા. આ રીતે તેઓ સ્વ-પર કલ્યાણ કરી રહ્યા હતા.
**સુધન શ્રાવક ને સંતનું મિલન
ધંધુકાનો રહીશ, રૂનો મોટો વેપારી સુધન સી]નમાં રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરતો. એના હ્રદયમાં માવિત્રો તરફથી મળેલા ધર્મના સંસ્કારોને કારણે ધર્મભાવના તો હતી જ. તેમણે તપાસ કરી કે કોઈ સંતસતીજી અહીં બિરાજે છે? – તો ખબર પડી કે રત્નાકર સૂરિ પરિવાર સહિત બિરાજે છે. સુધન પ્રવચન સાંભળવા આવ્યો. સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરકિત જાગી. ખારા સંસારસાગર તરફ વહેતા જીવનપ્રવાહને પલટાવી દીધો. રાતદિવસ બજારમાં રખડનારો સુધન હવે કલાક બેકલાક પણ બજારમાં જતો ન હતો. દુન્યવી વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયો હતો, હવે એને ધર્મનો વ્યવહાર વહાલો લાગ્યો હતો. સુધનના હૈયાની સિતાર ઉપર ધર્મનું સૂરીલું સંગીત વહેતું મૂકનાર બીજું કોઈ નહીં પણ એ તરુણયોગી, અધ્યાત્મયોગીરાજ શ્રીરત્નાકરસૂરિ જ હતા. એમની વાણીએ સુધન પર ગજબનું કામણ કર્યું. સુધનના જીવનનું આમૂલપરિવર્તન થઈ ગયું. સુધનને મન રત્નાકરસૂરિ માત્ર ગુરુદેવ નહિં, ભગવાન સમાન હતા. આચાર્યને મન સુધન ભક્ત કે શિષ્ય સમાન હતો. પરસ્પર બન્ને ધર્મસંબંધથી જોડાયેલા હતા, સુધન સતત ઉપાશ્રયમાં રહી ગુરુ પાસેથી જ્ઞાનધ્યાનનો લાભ મેળવતો અને ધર્મકરણીમાં સમય વિતાવતો.
**શ્રદ્ધાવંત શ્રાવકને આશ્ચર્ય
રત્નાકર સૂરિ પૂર્વજીવનમાં અબજોપતિ શ્રીમંતના પુત્ર હતા. તેઓ એક સોનાની વીંટી પહેરતા. તેમાં કેટલાંય સાચા રત્નો જડેલાં હતાં. સંસાર ત્યાગી સંયમી બનતી વખતે એ રત્નો પ્રત્યેની આસક્તિથી વીંટીમાંથી એ રત્નો કઢાવી, પોતાની સાથે એક સફેદ કપડાની પોટલી બનાવી, તેમાં રત્નો બાંધી દીધા. રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખી લીધી. રજોહરણનું પડિલેહણ સ્વયં કરી લેતા. ધીમેધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી. અનેક યુવાનો એમના શિષ્ય થયા. શિષ્યોને પણ ક્યારેય રજોહરણનું પડિલેહણ કરવા ન દ્યે. શિષ્યો જ્યારે અન્ય ક્રિયાઓમાં વ્યસ્ત હોય, ત્યારે રત્નાકરસૂરિ પોટલી ખોલીને રત્નોને જોઈ લેતાં, આનંદ પામતા. આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ, સુધનની આંખો મીંચાઈ ગઈ. તેનાં મન તર્ક વિતર્કમાં ચડયું. મારા આવા બહુશ્રુત ગુરુદેવ જરૂર જાણતાં હોય કે, “પરિગ્રહ પાપનું મૂળ છે” હજારો શ્રોતાજનોને “પરિગ્રહ પરિમાણ વ્રત” આપનારા ગુરુદેવ રત્નોને પરિગ્રહ જાણ્યા છતાં કેમ પોતાની પાસે રાખતા હશે? અહો! આખો સંસાર છૂટયો અને આ રત્નો ન છૂટયા? સુધન આવા વિચારોમાં લીન હતો ત્યાં તો સૂરિજીએ પોટલી બાંધી રજોહરણમાં મૂકી દીધી. ગુરુદેવ પ્રત્યે અસીમ ભક્તિ, અખૂટ શ્રદ્ધાઃ બીજા કોઈ એમના વિષે બોલે તો પણ મૂંગો કરી દે. અતૂટ વિશ્વાસ, અચલ શ્રદ્ધાથી આચાર્યના ચરણોમાં જીવન સમર્પ્યું હતું. અન્ય કોઈએ કહ્યું હોય કે આચાર્યશ્રી રત્નો રાખે છે તો સુધન એ વાત ધરાર ન માનત. કદાચ સુધન એને મારવા પણ દોડત. પણ આ તો પોતે પ્રત્યક્ષ જોયું છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો પહાડ આજે તૂટી રહ્યો છે. સુધન સામાયિક કરવા બેઠો, પણ એ જ વિચારો સતત મનમાં ઘૂમરાયા કરે છે. મારા અનંત ઉપકારી, મહાન ઉપકારી ગુરુદેવને મારે શું કહેવું? એ ન મળ્યા હોત તો મારો ઉદ્ધાર કેમ થાત? ધર્મના અમૂલ્ય તત્વઓ કોણ સમજાવત? મારાથી ગુરુદેવને કાંઈ કહેવાય નહિ. અવર્ણવાદ બોલાય નહીં. એમની ક્ષતિ બતાવવા માટે હું બહુ ટૂંકો પડું છતાં આવા જ્ઞાની ગુરુવર્યના સંયમરત્ન પર પરિગ્રહની મમતાનો પડદો પડયો છે તેને કોઈપણ ઉપાયે દૂર તો કરવો જ પડશે. એથી હું તેમના ઉપકારનો બદલો વાળી શકીશ. પણ આચાર્યશ્રીને કહેવાય કેમ? અન્યસંતોને કહેવાથી તો શિષ્યોની ગુરુભક્તિમાં ખામી આવવાની સંભાવના છે. સમર્થ ગુરુને સન્માર્ગે લાવવા ઉપાય પણ સમર્થ જોઈએ. જેવો તેવો ઉપાય હોય તો અર્થનો અનર્થ થઈ જાય. ગુરુની ખામી જોવા છતાં ગુરુ પ્રત્યેના બહુમાનભાવમાં અંશમાત્ર ખામી ન આવવા દીધી. એના સ્થાને હું કે તમે હોઈએ તો? રોજના નિયમાનુસાર સુધન આવે, વંદન કરે, સુખશાતાની પૃચ્છા કરે, સામાયિક કરે. એને શ્રદ્ધા છે કે પ્રેમથી કાર્ય થશે,દ્વેષ કે તિરસ્કારથી નહિ. પ્રેમ પ્રેમને પ્રગટાવશે. રત્નાકરસૂરિને એવું જાણવા પણ ન દીધું કે સુધન મારા સંયમ પ્રત્યે કે સાધુતા પ્રત્યે શંકાશીલ છે. દિવસો પર દિવસો પસાર થતા જાય છે, સુધનને ઉપાય જડતો નથી. સીધેસીધું એમ કેમ કહેવાય કે આપ સાધુ થઇને રત્નો કેમ રાખો છો? શિષ્યોના ગુરુ પ્રત્યેના બહુમાનમાં ફરક પણ ન પડે અને મારા ગુરુ રત્નોનો મોહ છોડી દે એવો કંઇક ઉપાય શોધી કાઢું. સુધન વિચારે છે કે શાસ્ત્રની એવી કોઇ ગાથા મળી જાય, ગ્રન્થોમાંથી કોઇ એવો શ્લોક મળી જાય જેનો અર્થ કરાવવા ગુરુ પાસે જાઉં, એનો અર્થ કરાવતાં એ શબ્દો એમના હૃદયને સ્પર્શી જાય, પરિગ્રહ પ્રત્યે ધૃણા જન્મે અને પરિગ્રહને ફગાવી દે તો કામ થઇ જાય. (આવા શ્રાવક સાધુસાધ્વીના અમ્માપિયા કહેવાય.) એવો શ્લોક ક્યાંથી મળે? હજારો શ્લોક કંઠસ્થ કરનાર લોકોને એમના અર્થ ભાવાર્થ સમજાવનાર આચાર્યને એક શ્લોકમાં સમજાવવા એ સહેલ નથી, છતાં સુધનને શ્રદ્ધા છે કે જરૂર મને આ કાર્યમાં સફળતા મળશે.
**શાસ્ત્ર મહાસાગરમાંથી શ્લોકરત્ન સાંપડયું
સુધન હૈયાની હામથી, અંતરની ધગશથી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી શાસ્ત્રાે ઉથલાવી રહ્યો છે. કેટલા પુસ્તકો! કેટલાં ગ્રન્થોને જોયા, વાંચ્યા, ઘણા દિવસોની મથામણના અંતે શાસ્ત્રાેના મહાસાગરમાંથી ચાર ચરણવાળો શ્લોક જડયો. જેમાં ચારહજાર લીંટીના ભાવો ભર્યા હતા. “ઉપદેશમાળા” નામક ગ્રન્થનો એ શ્લોક લઈ સુધન ઉપાશ્રયે આવ્યો.ગુરુદેવને એ શ્લોક બતાવી તેનો અર્થ પૂછયો. સુધન આ શ્લોક લઈને આવ્યો ત્યારે પણ ગુરુદેવના અન્ય સર્વ શિષ્યો ત્યાં હાજર ન હતા. ગુરુદેવ રજોહરણનું પડિલેહણ કરતા હતા અને પોટલી ખોલીને રત્નો જોતા હતા. સુધનને જોઈ જરા ખચકાયા, `કેમ અત્યારે ? આ ગ્રન્થ શાનો છે ?’ ગુરુદેવ! આ “ઉપદેશમાળા” ગ્રન્થ છે. એમાંથી એક શ્લોકનો અર્થ બરાબર બેસતો નથી. આપને શાતા હોય તો મને એનો અર્થ સમજાવો!’
મોહનો નશો ઉતરનાર ગારુડીમંત્ર સમો શ્લોક
ઉપરોક્ત શ્લોક આચાર્યના હાથમાં આવતાં જ તેઓ કહે – `સાવ સહેલો શ્લોક છે, સુધન! તારા જેવા શ્રુતપ્રેમી શ્રાવકને આવા સરળ શ્લોકનો અર્થ ન બેઠો એ તો આýાર્ય ાળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’
કહેવાય! પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે. એનો અર્થ આ પ્રમાણે છે. સાંભળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’
‘સુધન! આવો સીધો સાદો અર્થ આ શ્લોકનો છે – સમજાયો અર્થ?’ `ગુરુદેવ! આપે તો બરાબર જ અર્થ કર્યો, પરંતુ મને હજુ એ સમજાતો નથી.’ આચાર્ય કહે છે, `કાલે તને વધુ સારી રીતે સમજાવીશ’ હજારો ભક્તોના જટિલ પ્રüાાેનું સેકંડમાં સમાધાન કરનાર ગુરુ પોતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તો થઇ રહ્યુંને? રોજ અર્થ સમજાવે, સુધન રોજ કહે `હજી અર્થ નથી સમજાતો.’ છ માસ વીત્યા, પણ ન સમજાયો. સમતામૂર્તિ ગુરુમહારાજને લેશમાત્ર ક્રોધ નથી આવતો કે કેટલીવાર એના એ શ્લોકનો અર્થ સમજાવું? ધન્ય ગુરુદેવ ! ધન્ય એમનો અનન્યભક્ત!
છેવટે ગુરુદેવની ઊંઘ હરામ થઇ! ભુખ ભાગી ગઇ! રાત્રે ઊંઘમાંથી ]બકીને જાગી જતા. છ છ મહિનાથી સુધનને એક સામાન્ય શ્લોકનો અર્થ મગજમાં બેસાડી શકાતો નથી એનો અમને ભારે ખેદ થાય છે. એમને પોતાની વિદ્વતા પર તરસ્કરા છૂટ્યો `િધIાર છે મારી વિદ્વતાને! હજારો લાખો લોકો મારી વિદ્વત્તાને વખાણે અને હું એક સામાન્ય શ્લોકનો અર્થ મારા અનન્ય ભક્તજનને ગળે ન ઉતારી શકું? આવી વિદ્વતા શું કામની?’
**જગત ઊંઘતું હતું-સૂરિજી જાગી ગયા
આખું નગર નિદ્રાધીન બન્યું છે, શિષ્યો પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા છે. રાયખંડવડલીના એ ધર્મસ્થાનકમાં એક માત્ર આચાર્ય જાગે છે, નિદ્રાદેવી રૂઠ્યા છે, ઘણી રાતો એ શ્લોકના અર્થના ચિંતનમાં વિતાવી છે. છ મહિના પૂર્ણ થયા. આજે સાતમા માસની પ્રથમ મધરાત! આંખમાં આંસુ આવી ગયા! હું કેમ સમજાવી શકતો નથી? પેલી રત્નોની પોટલી યાદ આવી. `અહો! હું શું કરી રહ્યો છું? ન જોઇએ એ બહુમૂલા રત્નો?’ પ્રાતઃકાળે સુધન આવ્યો ત્યારે એ પોટલી ખોલી, રત્નો બહાર કાઢી પથ્થર વડે ચૂરો કરવા લાગ્યા, ફેંકવા લાગ્યા. સુધનની ભાવના ફળી, મહેનત કામયાબ નીવડી. શ્લોકના અર્થના બહાને ધારેલ કાર્ય પૂર્ણ થયું. સુધન શ્રાવક કહે, `ગુરુદેવ ! આ શું કરો છો? આવા કિંમતી રત્નોને ભાંગીને આમ ધૂળ ભેગાં કરાય?’ `સુધન! તારા શ્લોકનો અર્થ આજસુધી બેસાડી ન શક્યો તેનું કારણ આ રત્નો જ હતા. લાવ તારો શ્લોક!’ એ જ અર્થ ફરીવાર કર્યો. સુધન કહે હવે બરાબર અર્થ સમજાઇ ગયો. ધન સેંકડો અનર્થોનું મૂળ છે – ગુરુદેવ કૃતાર્થભાવે કહે છે `સુધન! તું મારો શિષ્ય નહિ, પણ મારી શિથિલતાને દૂર કરી સન્માર્ગે લાવનારો મારો સાચો ગુરુ છો!’
એ દિવસથી આચાર્ય જીવનની તમામ શિથિલતાઓને દૂર કરી, પશ્ચયાતાપ કરવા લાગ્યા. `અહો! આજ સુધી હું સાધુ ન હતો, માત્ર બાહ્ય દેખાવ જ હતો. મારું શું થશે? `ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા!” બહારથી સાધુવેષ! અંદરમાં દંભ! અરે ! મેં લોકોને ઠગ્યા! અજ્ઞાનવશ મેં સમ્યજ્ઞાનદર્શનચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડામાં મમત્વ રાખ્યું.’ રત્નાકરસૂરિએ પોતાના હૈયાની આ વેદના સ્તુતિરૂપે ઠાલવી. પચ્ચીશ શ્લોકો દ્વારા એમણે પાપનો પસ્તાવો કર્યો અને જગતને `રત્નાકર પચ્ચીશી’ ની ભેટ મળી ! આ મહાપુરુષની આંતરવેદના જગતને આશીર્વાદરૂપ બની! ઇતિહાસ કહે છે વિ.સં. 1384માં રત્નાકરસૂરિ કાળધર્મ પામ્યા, પણ એમની અમરકૃતિ આજે જૈનોના મોઢે ગવાઇ રહી છે. જેના દ્વારા અનેક લોકો પશ્ચાત્તાપની પાવનગંગામાં પાપ મેલને ધોઇને શુદ્ધ-વિશુદ્ધ બને છે!
|| રત્નાકર પચ્ચીસી ||
મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ!
ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના,
ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા.(1)
ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા,
વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુખો તણા.
વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું;
જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરું.(2)
શું બાળકો મા બાપ પાસે બાળક્રીડા નવ કરે?
ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.(3)
મેં દાન તો દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ,
તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ.
એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યુ,
મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું.(4)
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને.
ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયા જાળમાં મોહન! મહા મુંઝાય છે;
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.(5)
મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યુ નહિ,
તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ.
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કવાને થયા;
આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.(6)
અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ,
ભીંજાય નહિ મુજ મન અરે રે! શું કરૂં હું તો વિભુ.
પથ્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે કયાંથી દ્રવે ?
મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે(7)
ભમતાં મહા ભવ સાગરે, પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન-દર્શન ચરણ રૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં.
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં
કોની કને કીરતાર આ, પોકાર હું જઈને કરૂં ? (8)
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા.
વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું;
સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું…(9)
મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને,
ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને;
વળી ચિત્તને દોષિત કર્યુ, ચિંતી નઠારું પરતણું,
હે નાથ! મારૂં શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું…(10)
કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી,
એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને,
જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંક ને…(11)
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને;
કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યા,
મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા…(12)
આવેલ દૃષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને,
મે મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને,
નેત્ર બાણો ને બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ,
શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ.. (13)
મૃગ નયની સમ નારી તણા, મુખ ચંદ્ર નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ;
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.. (14)
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી,
ઉત્તમ વિલાસ કળા તણી, દેદિપ્યમાન પ્રભા નથી;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું,
ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું . (15)
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે,
આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે.
ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું;
બની મોહમાં મસ્તાન હું, પાયાવિનાના ઘર ચણું … (16)
આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદ થી.
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દિવો લઈ કૂવે પડ્યો, ધિકકાર છે મુજને ખરે… (17)
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ,
પામ્યો પ્રભુ નર ભવ છતાં, રણમાં રળ્યા જે વું થયું,
ધોબી તણા કુત્તા સમું, આ જીવન સહુ એળે ગયું. (18)
હું કામધેનું ક્લપતરું ચિંતામણીના પ્યાર માં,
ખોટા છતાં ઝંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં.
જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ તે સેવ્યો નહિ,
મુજ મૂર્ખ ભાવોને નહાળી, નાથ ! કર કરૂણા કંઈ … (19)
મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ,
આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછયું નહિ;
નહિ ચિંતવ્યું મેં નર્કકારાગૃહ સમી છે નારીઓ,
મધુ બિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો . (20)
હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો,
કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો;
વળી તીર્થના ઉધ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા,
ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા . (21)
ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને,
દુર્જન તણા વાક્યો મહિ, શાંતિ મળે ક્યાંથી મને ?
તરૂ કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી,
તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી? (22)
મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી
તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ?
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ, નાથ ! હું હારી ગયો,
સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો … (23)
અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું?
હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું;
જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં?.(24)
ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ !
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી..(25)