|| ભગવાનના ૨૫ પૂર્વ ભવોનું સંક્ષિપ્ત દિગ્દર્શન અને એમની સાધના ||
જૈન દર્શનમાં ઈશ્વર થવાનો અધિકાર એક જ વ્યક્તિને નહિ, પણ અનેક વિશિષ્ટ આત્માઓને આપવામાં આવ્યો છે. અને એનો યથાર્થ સુમેળ માનવદેહથી જ થઈ શકે છે. ઈશ્વર થનારો આત્મા, એક વખત લગભગ અન્ય જીવો જેવો જ હોય છે. ઈશ્વર થવાનું બીજ, ગત જન્મો પૈકી કોઈ ભવમાં રોપાય છે, એટલે કે પુણ્યોદય જાગવાનો હોય ત્યારે કોઈ સદ્-આલંબન-નિમિત્તથી અથવા સ્વતઃ અભૂતપૂર્વ તાત્ત્વિક વિવેકનો દીપક પ્રગટ થાય છે, જેને જૈન પરિભાષામાં सम्यक्त्व કહે છે. બીજા અર્થમાં તેને આત્માની સાચી સમજણનો અલ્પ-દિવ્ય પ્રકાશ કહી શકાય. એક વખત ઝબકેલો એ પ્રકાશ પ્રતિકૂળ નિમિત્તો મળતાં બુઝાઈ પણ જાય, તેમ છતાં એક વખત ઝબકી ગયેલો એ પ્રકાશનો મહામૂલો સંસ્કાર માત્ર માનવજાતનાં જ નહીં પણ જીવમાત્રના અન્તિમ લક્ષ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવ્યા વિના રહેતો નથી. આ આદ્ય પ્રકાશની પ્રાપ્તિથી જ તીર્થંકરોના ભવોની ગણતરી કરાય છે.
ચિત્ર-પરિચય : આ ચિત્રમાં ભગવાન શ્રી મહાવીરના કુલ ૨૭ ભવ પૈકીના ૨૫ ભવોનું દિગ્દર્શન કરાવ્યું છે. આ ચિત્રમાં મથાળેથી પહેલા વિભાગમાં પહેલો `નયસારનો’ ભવ, ત્યાર પછી બીજા વિભાગમાં ત્રીજો `મરીચિ’ નો ભવ અને પછી ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૩ અને ૨૫ આ ક્રમાંકવાળા ભવો, તેના એક એક પ્રસંગ સાથે બતાવ્યા છે.
આ ચિત્રના કેન્દ્રમાં વિમાન દ્વારા દેવભવનું અને તેની નીચે રાક્ષસી મુખ દ્વારા નરકભવનું અને બંને બાજુઓમાં ત્રિદંડી-બ્રાહ્મણનું પ્રતીક આપીને તેની નીચે તેના ભવોની સંખ્યા આપી છે.
|| વિશ્વવંદ્ય તીર્થકર મહાવીર ||
શાસનપતિ વિશ્વવંદ્ય તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક આજથી લગભગ ૨૬૧૫ વર્ષ પૂર્વે ચૈત્ર સુદ – ૧૩ ના પરમ પાવન દિવસે મહારાજા સિદ્ધાર્થના ગૃહે મહામાતા ત્રિશલા રાણીની કુક્ષીએ તેઓશ્રીનો જન્મ થયો હતો. ચૈત્ર સુદ – ૧૩ ના પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક માત્ર ભારતમાં જ નહિં પણ વિદેશોમાં જયા જયા જૈનો વસે છે ત્યાં સર્વત્ર પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક હર્ષોલ્લાસથી ઉજવાય છે
** કાયરતાની કરૂણતા
ભગવાન મહાવીરનો જીવ પોતાના પૂર્વભવના ત્રીજા ભવમાં આપણા પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર હતા. ત્યારે તેમનું નામ મરીચિકુમાર હતું. તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને તપ કરતા હતા. તેમાનથી આકરી જૈન દીક્ષા ન પળાતા તેઓ ત્રિદંડી સન્યાસી બની ગયા અને ભગવાનના સમવસરણની બહાર ઉભા રહેતા હતા. જયારે કોઈ તેમને વંદન કરવા આવે ત્યારે તેઓ વિનયપૂર્વક કહેતા કે ભગવાન ઋષભદેવ ઉપર સમવસરણમાં બીરાજે છે તેમના દર્શન કરો. મને વંદન કરશો નહીં. હું સાધુ નથી. મરીચિકુમાર સૂર્યના કિરણ જેવા તેજસ્વી હતા. તેઓ ૧૧ આગમોના મહાજ્ઞાની હતા. સાધુવ્રતધારી મરીચિકુમાર અત્યંત દુષ્કર એવા વિહાર દરમિયાન કાર્યકર્તાનો ભોગ બન્યા હતા. શરીરને કષ્ટ ન આપી શકતા તે ત્રિદંડી સન્યાસી બન્યા હતા. તેઓ માથા ઉપર છત્ર રાખતા. પગમાં ચાખડી પહેરતા. સચિત્ત પાણી વાપરતા અને લોચ કરતા નહીં. એમને કોઈ વંદન ન કરે તો અપમાન લાગતુ નહીં.
** જન્મોનું કારણ : કર્મ
મરીચિકુમારનો જીવ ચોવીસમા ભાવિ તીર્થકર થશે એવી ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તી સમક્ષ આગાહી કરી હતી. આ વાત સન્યાસીનો વેષ ધારણ કરેલા મરીચિકુમાર પાસે પહોંચી અને તેઓ કુળના અભિમાનથી નાચવા લાગ્યા. આમ કર્મના બંધનોને કારણે વિવિધ જન્મો ધારણ કરી ૨૬મા ભવમાં મહાવીરનો આત્મા પૂર્ણતાની લગભગ નજીક પહોંચી ગયો.
**કર્મની ગતિ ન્યારી !
પ્રભુ મહાવીરના ૨૭ ભવોમાં ૧૦ ભવો દેવલોકના દેવના થયા. બે ભવ નરકમાં નારકીના થયા. એક ભવ (વીસમો) તિર્યંચ અર્થાત્ પશુ રૂપે સિંહનો થયો. ૧૪ ભવ મનુષ્યના થયા. ૧૪ ભવમાં છ ભવ (૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪) બ્રાહ્મણના થયા. ૪ ભવ રાજકુમારના થયા. એક ભવ મહાવિદેહમાં ચક્રવર્તીનો થયો.
ભગવાન મહાવીરના ૬ ભવ બ્રાહ્મણ કુળમાં થયા. ભગવાન મહાવીરને બ્રાહ્મણ કુળનો ઋણાનુબંધ ઘણો હતો. જૈન ધર્મમાં દેવલોક ૧૨ કહ્યા છે. જેમાં ૧૦મુ પ્રાણત નામનું દેવલોક છે. આ દેવલોક એ સ્વર્ગ ભૂમિ છે. ૧૦મા દેવલોકના દેવોનું આયુષ્ય ૨૦ સાગરોપમનું હોય છે. આટલા બધા વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન મહાવીરનો જીવ આ ભારતની ભૂમિને પાવન કરવા ૨૬૦૦ વર્ષ પહેલા પધાર્યા હતા.
** જન્મ કલ્યાણક
કોને ઘેર જન્મ લેવો? કઈ માતાની કુક્ષીમાં જન્મ લેવો? કયા કુળમાં અને કયા પરીવારમાં જન્મ લેવો? કયા નગરમાં જન્મ લેવો. આ બધુ ગત જન્મના કર્મને આભારી છે. આ સર્વ ઉત્તમ મળે તો પરમ સૌભાગ્ય કહેવાય છે. ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાંથી ચ્યવીને ભારતની ભૂમિ પર આવી રહ્યો છે. સ્વર્ગથી નીચે આવવુ તેને જૈન પરિભાષામાં ચ્યવવું કહેવાય છે. તીર્થકરના પાંચ કલ્યાણક આ પ્રમાણે હોય છે. (૧) ચ્યવન (૨) જન્મ (૩) દિક્ષા (૪) કેવલજ્ઞાન (૫) નિર્વાણ. આમ તીર્થકરનું માતાની કુક્ષીમાં આવવુ તેને ચ્યવન કલ્યાણક તરીકે ઉજવાય છે.
પ્રભુ મહાવીરનો આત્મા આ પૃથ્વી પર આવ્યો એ મંગલમય દિવસ હતો અષાઢ સુદ-૬ આ દિવસની તારીખ કહી શકાય નહીં. કારણ કે અત્યારે જે તારીખની પ્રથા ચાલે છે. તે ઈશુના સમયથી ચાલી છે. તે સમયમાં ઈશુનો જન્મ થયો નહોતો.ઈશુના જન્મના પાંચસોથી પણ વધારે વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો.
**ઋણાનુબંધથી જન્મ
વૈશાલીનગરના બ્રાહ્મણકુંડમાં ઋષભદત્ત નામના એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રહ્મવિદ્યામાં નિપુણ હતા. એમની પત્નિનું નામ દેવાનંદા હતું. એમનુ જીવન ત્યાગમય તથા તપોમય હતું. મહામંગલમય માતા દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો આત્મા આવ્યો. ભગવાન મહાવીર ઋણાનુબંધે દેવાનંદાની કુક્ષીમાં પ્રવેશ કરે છે. હવે તમને સમજાયુ હશે કે ભગવાન મહાવીરનો આત્મા ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદાની કુક્ષીમાં શા માટે આવ્યો? આનું જ નામ છે ઋણાનુબંધ. જયારે મહાવીરનો આત્મા દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષીમાં આવ્યો ત્યારે દેવાનંદાને મંગલ સુચક ૧૪ સ્વપ્ન આવ્યા હતા. પણ તે ઝાંખા હતા. આમ પ્રથમ માતા દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો આત્મા ૮૨II રાત્રી રહ્યો.
**ઈન્દ્રની ચિંતા
આ સમયે દેવલોકમાં ઈન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ઈન્દ્ર મહારાજ વિચારવા લાગ્યા અને હરીણગમૈષી નામના દેવને બોલાવીને કહે છે કે ભારત ખંડમાં વૈશાલી નગરના બ્રાહ્મણકુંડમા ઋષભદત્તને ત્યાં દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૨II રાત્રીનો એક ગર્ભ છે તેનું હરણ કરો. કારણ કે દેવાનંદા સાથેનો તેમનો જન્મો જન્મનો સંબંધ પૂરો થયો છે. તેવી જ રીતે તે જ નગરમાં ક્ષત્રિયકુંડમાં મહારાજા સિદ્ધાર્થની પટ્ટરાણી મહામાતા ત્રિશલાદેવીની કુક્ષીમાં રહેલ ગર્ભના સ્થાને આ મહાવીરના ગર્ભને સ્થાપન કરો અને ત્રિશલાદેવીની કુક્ષીનો ગર્ભ માતા દેવાનંદાની કુક્ષીમાં મૂકો.
**હરિણગમૈષી દ્વારા ગર્ભ હરણ
આવુ અસામાન્ય કાર્ય તો હરિણગમૈષી દેવ જ કરી શકે માણસની તાકાત નથી. હરિણગમૈષી દેવ તો વૈશાલીનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘરે મધ્ય રાત્રીના સમયે આવે છે. માતા દેવાનંદા અર્ધનિંદ્રામાં પોઢેલા હતા. કંઈક અંશે હજુ જાગૃત અવસ્થામાં તંદ્રામાં હતા. હરિણગમૈષી દેવે માતા ઉપર અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કર્યો. દેવાનંદા માતા અત્યંત ગાઢ નિંદ્રામાં ડૂબી ગયા. હરિણગમૈષી દેવે પોતાની વિદ્યાથી એવી રીતે ગર્ભ બહાર કાઢી લીધો કે માતા દેવાનંદાને ખબર પણ પડી નહીં. હરીણગમૈષી દેવ ભગવાન મહાવીરના ગર્ભને લઈ ક્ષત્રિયકુંડમાં માતા ત્રિશલાદેવી પાસે પહોંચ્યા. ત્યાં જઈ તેમની કુક્ષીમાંથી ગર્ભને કાઢી ભગવાન મહાવીરના ગર્ભને સ્થાપન કરી દીધો અને ત્રિશલાદેવીની કુક્ષીમાંથી ગર્ભને લઈ જઈ બ્રાહ્મણકુંડમાં દેવાનંદાની કુક્ષીમાં સ્થાપી દીધો.
**આનંદનો અનુભવ
ભગવાન મહાવીર ગર્ભ રૂપે મહામાતા ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્થાપિત થયા ત્યારે માતા ત્રિશલાને પરમ દિવ્ય આનંદનો અનુભવ થવા લાગ્યો. અચાનક વાતાવરણમાં પરિવર્તન આવ્યું. આકાશમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ તથા ચંદ્ર દિવ્ય પ્રકાશથી પ્રકાશવા લાગ્યા. મંદ મંદ વાયુ લહેરાવા લાગ્યો. સમગ્ર વાતાવરણ જ બદલાઈ ગયું. ભગવાન મહાવીર માતાના ગર્ભમાં આ છેલ્લીવાર આવ્યા છે. હવે પછી કયાંય જન્મ લેવાના નથી. માતા ત્રિશલાને આ સમયે નિંદ્રામાં તેજસ્વી ૧૪ સ્વપ્નો આવે છે.
** વિનય અને સંયમ
મહામાતા ત્રિશલાના ૧૪ સ્વપ્નો પૂરા થતા તેઓ જાગૃત થયા. પોતાના સ્વામી સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં આવ્યા. પ્રભાત થવાને હજુ થોડીવાર હતી. એમણે પ્રેમાળ, સમધુર અને ધીમા અવાજથી પ્રભાતિયા ગાઈ સિદ્ધાર્થ રાજાને જગાડયા.
**રાણીના આગમનનું પ્રયોજન
માતા ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં આવીને મધુર ધીમા સ્વરે બોલ્યા : ‘‘હે દેવાનુપ્રિય ! હે સ્વામીનાથ ! હે આર્યપુત્ર ! હે પુણ્યશાળી ! જાગૃત થાઓ. હે પ્રાણનાથ ! નિંદ્રાનો ત્યાગ કરો.”
મહારાજા આવા મીઠા મધુરા વચનો સાંભળી નિંદ્રામાંથી જાગૃત થયા. નિંદ્રાનો ત્યાગ કરી, મૂલ્યવાન રજાઈ દૂર કરી અને નયનો ખોલી પલંગમાં બેઠા અને પૂછ્યું : હે પ્રિયે ! પ્રભાતમાં આપના આગમનનું શું પ્રયોજન છે? ત્રિશલા માતાએ પોતાના સ્વપ્નોની વાત કહી. રાજાએ એ વાત અથથી ઈતિ સુધી શાંતિથી સાંભળી.
** સ્વપ્નપાઠકની આગાહી
મહારાજએ કહ્યું : ‘‘મને લાગે છે કે તમારી કુક્ષીમાં કોઈ ઉત્તમ આત્મા ગર્ભરૂપે આવ્યો હોવો જોઈએ તેનાથી આપણને સૌથી મોટો અલભ્ય લાભ થવાનો છે. મહેલમાં આપણે સ્વપ્નપાઠકોને – સ્વપ્નનું ફળ કહેનાર એવા મહાન જયોતિષાચાર્યોને બોલાવીશું.”
પ્રભાત પૂર્ણ કળાએ ખીલી ઉઠતા મહેલમાં સ્વપ્નપાઠકોને બોલાવવામાં આવ્યા. રાજાએ રાણીને આવેલ સ્વપ્નોની વાત કહી. સ્વપ્નપાઠકોએ સ્વપ્ન શાષાને આધારે કહ્યું : ‘‘મહારાજા, આ ૧૪ સ્વપ્નો દર્શાવે છે કે મહારાણીની કુક્ષીમાં કોઈ અલૌકિક દિવ્ય શકિતનો સ્વામી ગર્ભરૂપે આકાર ધારણ કરી રહ્યો છે. જન્મ જન્માંતરનો સાથી, જન્મોનો છેદ કરી મહારાણીની કુક્ષીમાં આવ્યો છે. આ એનો છેલ્લો જન્મ છે. ભલભલા ચક્રવર્તીઓ તેમના ચરણે વંદન કરશે. ત્રણેય લોકમાં જેમની કિર્તી સદાય ગવાશે. અસંખ્ય માનવીની અંતર જયોતિને જાગૃત કરે એવો મહાપુરૂષ પ્રગટ થઈ આ અવનીને ધન્ય બનાવશે. આમ કહી સ્વપ્નપાઠકોએ નીચે પ્રમાણે સ્વપ્નોનો ફલાદેશ બતાવ્યો.”
** સ્વપ્ન ફલાદેશ
૧. ગજવરનું સ્વપ્ન :
માતા ત્રિશલા રાણીએ પહેલા સ્વપ્નમાં ગજવર દીઠો. ગજવર એટલે ઐરાવત હાથી. હાથીને આપણે ત્યાં શુકનવંતો ગણવામાં આવ્યો છે. પ્રભુ તે હાથી જેવા ધીર ગંભીર થવાના છે.
૨. ઋષભનું સ્વપ્ન :
બીજા સ્વપ્નમાં વૃષભ એટલે બળદ જોયો. વૃષભ શકિતનું તથા ફળદ્રુપતાનું પ્રતિક ગણાય છે. બળદ ખેતીના ભારવહનનું ઉત્તમ સાધન છે. પ્રભુ બળદની જેમ ચતુર્વિધ શ્રી સંઘનું સફળતાપૂર્વક વહન કરશે.
(૩) સિંહનું સ્વપ્ન :
ત્રીજા સ્વપ્નમાં સિંહને જોયો. સિંહ શૌર્યતા અને પરાક્રમનું પ્રતીક છે. પ્રભુ સિંહ જેવા શૂરવીર અને પરાક્રમી થશે.
(૪) લક્ષ્મીનું સ્વપ્ન :
ચોથા સ્વપ્નમાં લક્ષ્મીને જોઇ. લક્ષ્મી સમૃધ્ધિનું પ્રતીક છે. ભગવાન મહાવી સ્વપુરુષાર્થથી કે કેવળજ્ઞાન રૂપી શાશ્વતી લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
(૫) પુષ્પમાળાનું સ્વપ્ન :
પાંચમાં સ્વપ્નમાં પુષ્પમાળા જોઇ. પુષ્પોની માળાને શુભ અને શુકનવંતી ગણવામાં આવી છે. પુષ્પમાળામાં બે માળા એ સૂચવે છે કે, ભગવાન મહાવીર આગાર અને અણગાર બંને ધર્મની સ્થાપના કરશે.
(૬) ચંદ્રનું સ્વપ્ન :
છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને જોયો. ચંદ્ર શીતલતા અને નિર્મળતાનું પ્રતીક છે. ચંદ્ર મગજને ઠંડુ રાખવાનું સૂચન કરે છે. પ્રભુ મહાવીર ચંદ્ર જેવા શિતલ અને નિર્મળ હતાં.
(૭) સૂર્યનું સ્વપ્ન :
સાતમા સ્વપ્નમાં સૂર્યને જોયો. આજકાલ સૂર્યનારાયણ બહુ તપે છે. આ પૃથ્વી ઉપર જો સૂર્ય ન હોત તો આ જીવન આટલું સમૃધ્ધ ન હોત. પ્રભુ સૂર્ય જેવા પ્રતાપી અને તેજસ્વી પુરુષ થશે. એમના પ્રતાપથી કંઇક આત્માઓ જાગૃત થનાર છે.
(૮) ધ્વજનું સ્વપ્ન :
આઠમા સ્વપ્નમાં ધ્વજને જોયો. ધ્વજ મંદિરમાં કોઇપણ સ્થળે સૌથી ઊંચો રખાય છે. પ્રભુ મહાવીરનો યશ અને કીર્તિ ધ્વજ ત્રણેય લોકમાં સદા ફરકતો રહેશે.
(૯) કળશનું સ્વપ્ન :
નવમાં સ્વપ્માં કળશ જોયો. કળશ એ સફળતાનું પ્રતીક છે. પ્રભુના સંયમ જીવનને જોઇ કોઇ સંયમની આરાધના કરી સફળતાને પામશે.
(૧૦) પધ્મસરોવરનું સ્વપ્ન :
દસમાં સ્વપ્નમાં પધ્મસરોવરને જોયું. સરોવરમાં જો કમળ ન હોય તો એ સરોવરની કંઇ જ કિંમત નથી. કમળ એ સૌભાગ્યનું પ્રતીક છે. વીર પ્રભુ પરમ સૌભાગ્યના પ્રેરક થશે.
(૧૧) ક્ષીરસાગરનું સ્વપ્ન :
અગિયારમાં સ્વપ્નઃ અગિયારમાં સ્વપ્નમા ક્ષીરસાગર જોયો. આ શ્વેત સાગર સાત્વિકતાની નિશાની છે. આ એવું સૂચન કરે છે કે પ્રભુ ઉછળતા દૂધ જેવા ભાવોને અપનાવી અસંખ્ય માનવીઓને શાંતિ પમાડશે.
(૧૨) દેવવિમાનનું સ્વપ્ન :
બારમાં સ્વપ્નમાં દેવવિમાન જોયું. દેવવિમાન ઊંચી ગતિનું સૂચન કરે છે.
(૧૩) રત્નરાશિનું સ્વપ્ન :
તેરમાં સ્વપ્નમાં રત્નરાશિ એટલે જોયો રત્નોનો ઢગલો. જેમાં મન સદાય રમ્યા કરે તે રત્ન કહેવાય. જેનું મૂલ્ય ઊંચુ રહે રત્ન કહેવાય. સંતો-સાધ્વીજીઓ એ પ્રભુ મહાવીરની આસપાસના રત્નોનો સમૂહ છે. શ્રાવકો તથા શ્રાવિકો સાચા મૂલ્યવાન મોતી સમાન છે.
(૧૪) નિર્ધૂમ અગિ્નનું સ્વપ્ન :
ચૌદમાં સ્વપ્નમાં નિર્ધૂમ અગિ્ન જોયો. નિર્ધૂમ અગિ્ન એટલે ધુમાડા વગરનો અગિ્ન. ભગવાન મહાવીરના સર્વ ગુણો ધુમાડા વગરના અગિ્ન જેવા હશે.
મહારાજા સિધ્ધાર્થે સ્વપ્નપાઠકોને મૂલ્યવાન આભૂષણો, વષાો ઇત્યાદિ આપી પ્રસન્ન કર્યા અને એમને પ્રસન્નતાથી વિદાય આપી.
મંગલ ભાવે સવા નવ માસ પૂર્ણ થતાં ભગવાન મહાવીરનો બાલસ્વરૂપે મહારાજા સિદ્ધાર્થને ઘેર માતા ત્રિશલા રાણીની કુક્ષિએ ચૈત્ર સુદ-૧૩ના જન્મ થયો. ભગવાન મહાવીરનો જન્મ થતાં ગ્રામ, નગરમાં બધે વૃધ્ધિ થવા લાગી. તેથી તેમના માતા-પિતાએ ગુણનિષ્પન્ન જન્મ નામ વર્ધમાન આપ્યું. ભાગવતી દીક્ષા બાદ તેમનો ઉપસર્ગો અને પરિષહોને સમતાપૂર્વક સહન કરવાની અદ્વિતીય શક્તિ જોઇ સ્વર્ગના દેવોએ ભેગા થઇ તેમનું નામ મહાવીર રાખ્યું. આવા જગત ઉધ્ધારક ભગવાન મહાવીર સ્વામીને આપણાં સૌના કોટી કોટી વંદન.