|| પંચામૃતનુ મહત્ત્વ ||
દૂધ દહીં,ઘી,મધ અને સાકરથી યુક્ત પંચામૃત તમારા સ્નાન માટે લાવ્યો છું, માટે હે પ્રભુ! તેનો સ્વીકાર કરો.’
* પંચામૃતથી સ્નાન !
પૂજા કરતી વખતે આ મંત્ર આપણે કેટલીય વાર બોલીએ છીએ. સોપારીને મંત્રિત કરીને તેના ગણપતિ બનાવવાના અને તેને પંચામૃતનું સ્નાન કરાવવાનું. લક્ષ્મીપૂજનમાં લક્ષ્મીને પંચામૃતનું સ્નાન કરાવવાનું, બાલકૃષ્ણ અને ભગવાન શિવજીને પણ પંચામૃતનો અભિષેક કરી નવરાવવાના! પંચામૃતના અભિષેક વગર આપણી પૂજા અધૂરી જ રહે છે. ત્યારે ઘણી વાર થાય કે, પંચામૃતથી એટલે કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધ આ પાંચેના મિશ્રણથી ભગવાનને નવરાવવાનું કારણ? અને આ પંચામૃતથી નવરાવ્યા પછી વળી પાછું તેને પાણીથી નવરાવવાનું! આ ઊલટો ધંધો કીધો કોણે? ઘી અને મધ ચોપડીને તે સ્નાન થતું હશે? સ્નાનનો હેતુ જ શુદ્ધિ છે તો પછી મધ ચોપડીને શુદ્ધિ ક્યાંથી આવી? ઘી લગાડીને કે સાકર ઘસીને શુદ્ધિ ક્યાંથી આવે?
તે પણ ભગવાનને આ પાંચેથી સ્નાન કરાવવાનું? ભલા ભગવાનને અને સ્નાનની જરૂર? એ વળી કયે દિવસે મલિન થવાના હતા?
પરંતુ આ પંચામૃત સ્નાન પાછળ એક સુંદર ઉન્નત ભાવ છે. તે સમજવો જરૂરી છે.
* પંચામૃત સ્નાન પાછળનો હેતુ
ભગવાનની પૂજા આપણા વિકાસ માટે છે. આત્મોન્નતિ માટે છે, નહિ કે ભગવાનને જરૂર છે માટે. જે રીતે ભગવાનને ચરણે ઘરેલું પુષ્પ એ આપણા જીવનપુષ્પનું પ્રતીક છે; આપણું જીવનપુષ્પ સુંદર, સુગંધિત અને કોમળ બનાવી ભગવાનને ચરણે ધરવાનું, રસયુક્ત ફળ આપણા રસમય જીવનનું પ્રતીક છે, તેવી રીતે પંચામૃત આપણા જીવનવિકાસને લક્ષમાં રાખીને જ કરવાનું હોય છે, પંચામૃત સ્નાન એ આપણા વિકાસનું દ્યોતક છે.
ભગવાનના મસ્તક પર જ્યારે પંચામૃતનો અભિષેક કરીએ છીએ, ત્યારે સફેદ,શુભ,ધવલ દૂધની ધાર દેખાય છે. દૂધ શુભ્ર છે. આપણું જીવન પણ શુભ્ર હોવું જોઈએ. આપણી કીર્તિ પણ દૂધ જેવી ધવલ હોવી જોઈએ. આપણું જીવન નિર્વિકારી, નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. આવું નિર્મળ જીવન પ્રભુને ચરણે ઓળધોળ કરવાનું. પયસ્નાન કરાવતી વખતે આપણું જીવન શુભ્ર બનાવવું છે, અને પવિત્ર થયેલા જીવનનો ભગવાન પર અભિષેક કરવાનો છે, તેનું સતત ધ્યાન રહેવું જોઈએ.
દૂધ એ જાણે આપણા ઊજળા યશનું પ્રતીક છે. દૂધની માફક આપણો એ ઊજળો યશ ઈશ્વરને સમર્પિત કરવાનો છે તેનો સતત ખ્યાલ રહેવો જોઈએ અને તે દૂધ પણ કેવું?
કામધેનોઃ સમુદ્ભત્ દેર્વિષપિત્તૃપિદમ્ ।
પયોદદમિ દેવેશ રુનાર્થ પ્રતિગુહ્યતામ્ ।।
‘કામધેનુ ગાયનું, દેવ, ઋષિ અને પિતૃઓને તૃપ્તિ આપનારું દૂધ હું તમને આપું છું. માટે હે પ્રભુ, તે દૂધનો તમે સ્નાન માટે સ્વીકાર કરો.’ પયસ્નાન પછી ભગવાનને દહીંથી નવરાવવાના.
ચન્દ્રમંડલસકાશંલશંસર્વદેવપ્રિયદધિ ।
રુનાર્થ તે મયાદત્તં પ્રીત્યર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘ચંદ્ર જેવું સફેદ અને બધા દેવોને પ્રિય એવું દહીં, સ્નાન માટે અર્પણ કરું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.’
દહીમાં ‘સ્નેહ’ તો છે જ. પરંતુ દહીંનો એક વિશિષ્ટ ગુણ છે. દહીં બીજાને પોતાના જેવું બનાવે છે. અધમણ દૂધમાં ચમચો દહીં મેળવણ તરીકે નાંખીએ તો બધું જ દૂધ, દહીં બની જવાનું. આપણી બુદ્ધિ પણ આ દહીં જેવી, મેળવણ જેવી બનાવવાની. ગમે ત્યાં જઈએ પણ બુદ્ધિ પોતાનો રંગ ન બદલે, બીજામાં મેળવણની જેમ ભળી જાય. સહુમાં ભળે પણ પોતાનું વ્યક્તિત્વ હેમખેમ રાખો. બીજાને પોતાના જેવા સત્શીલ અને સત્વૃત્તિના બનાવે અને બીજાને પોતાના રંગે રંગી દે તેવી બુદ્ધિ (અર્થાત્ સત્માર્ગે રંગી દે તેવી) પ્રભુ ચરણે ધરવાની. જતન કરીને જાળવેલું દહીંરૂપ વ્યક્તિત્વ ઈશ્વરને સમર્પિત કરવાનું.
ભગવાનને દહીંનો અભિષેક કરવા પાછળનો, દહીંથી સ્નાન કરાવવા પાછળનો ભાવ સમજવા જેવો છે. અને આપણી બુદ્ધિ તેવી થાય તે માટે આપણે સતત જાગૃત રહેવું જરૂરી છે.
દધિસ્નાન થયા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીએ છીએ અને શુદ્દોદકં સ્ત્રાનાસ્તે ધૃતસ્ત્રાનં સમર્પયામિ ।
ઘીનું વૈશિષ્ટય તેની સ્નિગ્ધતામાં છે.
ભગવાનને ધૃતસ્નાન કરાવતી વખતે આપણે સતત લક્ષમાં રાખવું જોઈએ કે, આપણું જીવન પણ ઘીના જેવું સ્નેહયુક્ત બનાવવું છે. આપણા બધા સંબંધો સ્નેહાળ રાખવાના છે. ફક્ત પ્રિય બોલીને, મીઠું બોલીને ન ચાલે. પણ આપણું જીવન પણ આવું બનાવવાનું છે.
ઘીથી સ્નાન કરાવતી વખતે
નવનીતસમુત્કા સર્વસંતોષકારમ્ |
ધૃતં તુમ્યં પ્રદાસ્યામિ સ્ત્રાનર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘નવનીતમાંથી નિર્માણ થયેલું અને બધાને સંતોષ આપનારું’ ઘી’ હું સ્નાનાર્થે તમને અર્પણ કરું છું,તો કૃપા કરી તેનો સ્વીકાર કરો, બોલી ભગવાનને ઘીથી સ્નાન કરાવવાનું.
માનવીમાત્રને સ્નેહાળ હૂંફની જરૂર છે, પછી તે પતિની હોય કે પત્નીની, માતાની હોય કે પિતાની, ભાઈની હોય કે બહેનની, મિત્રની હોય કે સ્નેહીની, હૂંફ મળે તો જ જીવન વિકસિત થાય. આપણું જીવન પણ આવું સ્નેહયુક્ત બને, આપણા સહયાત્રીઓને (જીવનમાં) આવો સ્નેહ પીરસીએ. આપણી હૂંફ તેમને આપીએ, અને આવું સ્નેહાળ સ્નિગ્ધ જીવન ભગવાનને ચરણે ધરીએ, જ્યાં સ્નેહ છે, ત્યાં જીવનનો કલહ નથી, જીવનમાં કર્કશતા નથી, સર્વત્ર આનંદ જ આનંદ છે. જ્યાં સ્નેહનો ઉદધિ ઉછળતો હોય ત્યાં આનંદ અને ઉલ્લાસનો મધુર છંટકાવ જ હોય ને!
ઘીથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને મધથી સ્નાન કરાવવાનું.
સવૌંષધિસમુત્પન્નં પીયૂસદ્શંમધુ ।
સ્ત્રાનાર્થં તે પ્રચ્છામિ ગૃહણ પરમેશ્વર ।।
‘બધી ઔષધિઓથી ઉત્પન્ન થયેલા અમૃત જેવું આ મધ તમને સ્નાન માટે આપું છું. હે ભગવાન! તમે તેનો સ્વીકાર કરો.’
જીવનને દૂધના જેવું ધવલ-ઊજળું બનાવ્યું, પોતાનો રંગ ન બદલાતાં બીજાના જીવનને સત્શીલ બનાવે તેવા દહીં જેવી પ્રભાવી બુદ્ધિ તૈયાર થઈ. સ્નેહયુક્ત જીવન બને તે માટે ધૃતસ્નાન કરાવ્યું. પરંતુ કોઈને જીવનમાં મીઠી હૂંફ આપવી. એ પણ પૂરતું નથી. જો મધનું સ્નાન ન હોય તો સ્નાન અધૂરું ગણાય એમ જીવન પણ અધૂરું જ ગણાય. મધમાં મીઠાશ તો છે જ પણ તે પુષ્ટિદાયક છે. આપણું જીવન પુષ્ટ થયું હશે તો જ આ કરાળ કાળમાં આસુરી વૃત્તિને ખાળી શકીશું. જીવન પુષ્ટ થયું હશે તો શ્રીમદ્ વલ્લભાચાર્યે કહ્યું છે, તેમ ભગવાનનો – ભગવદ્ પ્રેમનો આનંદ માણી શકાશે.
જીવન એક સંગ્રામ છે, દૈવાસુર વૃત્તિનો સતત સંઘર્ષ ચાલે છે. જો પુષ્ટ જીવન નહીં હોય, તો લડી કેમ શકાશે? જીવન સામર્થ્યશીલ હોવું જોઈએ. ભક્ત કવિ સુરદાસ કહે છે, તેમ ‘અપબલ, તપબલ ઔર બાહુબલ, ચોથા હૈ બલરામ.’ જીવનને આ ચાર બળ મેળવીને પુષ્ટ કરવાનું અને પુષ્ટ થયેલું જીવન પ્રભુચરણે ધરવાનું. આત્મસમર્પણ કરવાનું.
મધુ સ્નાન પછી ભગવાનને છેલ્લે શર્કરાસ્નાન કરાવવાનું.
દક્ષુદંડસમુદ્ધતા દિવયશર્કરયાહરિમ ।
સ્ત્રાપયામિસદા ભકત્યાપ્રીતિ જીવસુરેશ્વર ।।
‘શેરડીમાંથી બનેલી આ પવિત્ર સાકરથી, હે ભગવાન, હું તમને ભક્તિથી સ્નાન કરાવું છું, તો મારા પર પ્રસન્ન થાઓ.’ આમ કહી ભગવાનને શર્કરાસ્નાન કરાવવાનું.
વાસ્તવિક ભગવાનને શર્કરાસ્નાન કરાવવા જેવી હાસ્યાપદ બીજી એકેય વાત નથી. પરંતુ તેની પાછળનું હાર્દ સમજવા જેવું છે. જીવનમાં શર્કરાની મીઠાશ લાવવાની છે. બધું જ હોય, પણ જીવનમાં મીઠાશ જ ન હોય તો તે જીવન શું કામનું? અને મીઠાશ વાણીથી વ્યક્ત થાય છે. આપણામાં કહેવત છે ને કે જેની જીભ કડવી તેનું બધું જ કડવું. તેથી ઋષિઓએ કહ્યું છે કે,’તું સાચું બોલે તે પણ પ્રિયકર બોલજે.’
સત્યં બ્રુયાત્ પ્રિયં બ્રુયાત્ નાપ્રિયં કદાચન । તો જીવનમાં મીઠાશ આવશે.
માનવીએ સમૂહમાં રહેવાનું છે, સમૂહમાં જીવવાનું છે અને સમૂહમાં રહેવું હોય તો જીવનમાં મીઠાશ લાવવી પડશે. સુભાષિતકારે કહ્યું છે. પ્રિય બોલવાથી સર્વેને આનંદ થાય છે, તો પ્રિય શા માટે ન બોલવું? અર્થાત્ વિકાસના શરૂઆતનાં પગથિયે ભલે ‘પોલિસી’ તરીકે પણ તું મીઠું બોલ, હળવે હળવે તારો સ્વભાવ થઈ જશે. પણ એ યાદ રાખજે કે તને પોલિસી તરીકે મીઠું બોલવાની ટેવ પડી ન જાય. નહીં તો તે દંભ ગણાશે.
માણસના મનની અવસ્થા એની વાણીમાં વ્યક્ત થયા વિના રહેતી નથી. મનનું આ માધુર્ય વાણી રૂપે વ્યક્ત થઈને વહે અને એની નરી મીઠાશ પણ જો ઈશ્વરને ચરણે નહિ ધરીએ તો આ જીવનની કડવાશ કેમ જશે?
* પંચામૃત સ્નાન-અમૃતમય જીવનનું પ્રતીક
માત્ર વાણીની મીઠાશ તો ખુશામતમાં પરિણમે. પરંતુ એ પ્રિય વાણીમાં આખુ હૃદય પારદર્શક રીતે પ્રગટ થતું હોય તો એ નર્યા સ્નેહનું પ્રતીક છે, ઘી એ આ હૃદયની સ્નિગ્ધતાનું સૂચન કરે છે, પયસ્નાન ઊજળા જીવનનું પ્રતીક છે. દધિસ્નાન એ બુદ્ધિને મેળવણી જેવી બનાવ, બીજાને પણ તારા જેવા સત્શીલ બનાવ એવું સૂચન કરે છે. આવું જીવન બનાવ્યા પછી- એટલે જીવનમાં સ્નેહ ભર્યો હોય, ભારોભાર મીઠાશ પણ હોય પણ એમાં જો રસાયણ પામેલી ર્સ્ફૂિત ન હોય તો એ યાંત્રિકતા જ બની જાય. મધુસ્નાન આપણને એ યાંત્રિકતામાંથી બચાવે અને જીવન પુષ્ટ કરવાની પ્રેરણા આપે. પંચામૃત સ્નાનની સમજણ આપતાં પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ સરસ કહ્યું છે, ‘પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી તેમાંથી છૂટકારો ન લેતાં આપણું જીવન પણ આવું બનાવવાનું છે. તે માટે સતત જાગરૂક રહી પ્રયત્નશીલ રહેવાનું છે. આપણા જીવનમાં આ પાંચ ગુણો આવશે તો જીવન ઝેર જેવું ન લાગતાં અમૃત જેવું લાગશે.’
પંચામૃતસ્નાન એ આપણા અમૃતમય થયેલા જીવનનું પ્રતીક છે, અમૃતમય જીવન બનાવવાની સતત પ્રેરણા આપે છે. આવા જીવનથી પલાળી નાખવા તેનું સૂચક છે. તે ભાવ સમજી આપણે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીએ.