'નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)

4

|| ‘નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)||

એક વર્ષની ચોવીસ અગિયારસ માં જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠસુદ.૧૧. આ એકાદશી માતા કુંતા જી પોતાના પાંચે પુત્રો ને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા. પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં. પરંતુ યેન કેન  પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેન ને કહ્યુ જાવ આજે અગિયારસ છે યમુનાજીમાં સ્નાન કરી આવ. અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન  કરી લીધું છે. ભીમસેને કહ્યુ મા પહેલા ખીચડી ખાશુ, જમુના નાશુ ખીચડી ખાશું’. જપતો જપતો જમુનાજીમા સ્નાન કરવા માટે  નીકળી ગયો. પરંતુ ખાવાની ધૂન માં ને ઘૂન માં જમુનાજીનો  રસ્તો ભૂલી ગયો. અને અવળે રસ્તે ચડી ગયો.   રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું.

મધ્યાનનો સમય હતો. ભીમે જાણ્યું આ જમુનાજી જ છે. એમ સ્મરણ કરીને તલાવડી નું બધુ જ પાણી શિવમંદિર માં ભરાયુ. આથી માતા પાર્વતિજી શિવને પૂછે છે, પ્રભુ.. ! આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયુ, ત્યારે શિવજી કહે છે..

દેવી ! મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડયો છે તેથી  આ પાણી આપણા મંદિરમાં આવ્યુ છે, હવે આનો એક જ ઉપાય છે.  હું સિંહ બનું છું અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેન ને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઉભો થશે મને પકડવા અને તુરત જ પાણીં બધું મંદિરમાંથી ઉતરી જશે.

આમ કહીને  સિંહરૃપી શિવ પાર્વતીરૃપી ગાયને  મારવા દોડયા . તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો. પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું. તેથી ભીમ સેન પૂંછડી  પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરતજ મહાદેવજી પ્રસનન્ન થયા. ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવુ લોખંડી બનાવી દીઘું.

શિવ કહે છે, હે ભીમસેન… ! બીજું જે જોઈએ તે વરદાન માંગો. ભીમ કહે છે,’ વરદાન આપો મુજને હું ઝાઝો જોરાવર થાઉં, મ્હારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઉ. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માંગ.

ભીમે બીજું વરદાન માંગ્યું,’ કાચું ખાઉં, રોગ જરા નવ થાય, મ્હારાવતીનો શકુની મામો, ઝાડે ફરવા જાય.’ મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તૂં કરીશ અને દિશાએ જવા મામા જાય ? ભીમ કહે મારો શકુનિ મામો એનેજ લાયક છે.

આમ શિવ દર્શન કરી વરદાન મેળવી ભીમસેન ઘરે આવે છે. માતા કુંતાજીને બધી વાત કરે છે મા કહે છે, શિવે આજે મને એકાદશી કરવાની કહી છે.

આમ ભીમસેને જ્યારથી આ એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે.

આપણા હિન્દુધર્મમાં આપણે પણ અગિયારસ નું વ્રત કરીએ છીએ. પરંતુ તેમાં ફકત ફળાહારનું અપભ્રંશ કરીને ફરાળ અગિયારસ કરીએ છીએ, જે યોગ્ય નથી.

‘ આજે મારે એકાદશી ઉપવાસ. મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે !
મેં વેઠયો ભૂખનો ત્રાસ. મેં બીજું કાંઈ ખાઘુ નથી રે !
‘ સીંગોળાનો શિરો કીધોને , રાજગરાની  પુરી!
શાક સુરણ નું ધીમાં કીધુ તોયે ન થાય સબુરી!
મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે… !
‘મોરૈયા નો ભાત કીઘોને ,કઢી બનાવી તાજી !
દુધ બાળીને બાસુંદી કીઘી. મારા મનને કરાવારાજી !!
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે… !
‘ સાંજ પડી  ત્યારે વેફર સાથે થોડો ચેવડો લીધો !
ચીકુનો મેં  હલવો મંગાવી, મારા મોં માં મૂકી દીધો !
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે !
‘ હરતા ફરતા કેળા પપૈયા ને દ્રાક્ષની સાથે કેરી !
મોસંબી નો મેં રસ  પીધો, લોકો કહે મને લહેરી !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !
‘ સુતિ વેળાએ દૂધ મંગાવી દોઢ સેર મેં પીધું!
રામ ભક્ત મેં  પુનિત થાવા. આવું એકાદશી વ્રત કીધું !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !

Leave a comment