|| ક્ષમાપના ||
ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે
અહિંસા એ જૈન ધર્મ નો પાયો છે, તો ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે.
ક્ષમા જ યશ છે,ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે.
માણસનો ઉત્તમ ધર્મ કયો હોઈ શકે ? ‘તત્ત્વાર્થસૂત્ર’માં ધર્મના ભેદો વિશે કહેવામાં આવ્યું છે : ‘ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારનો ઉત્તમ ધર્મ છે.’ ક્ષમાનો ગુણ જીવનમાં ઉતારવાથી ક્રોધ વગેરે દોષો ઓછા કરી શકાય છે. માણસમાં જો સહનશીલતા હોય તો ગુસ્સો ઉત્પન્ન થતો નથી. જો ઉત્પન્ન થાય તો એને વિવેકબળથી નકામો બનાવી શકાય છે. ક્ષમા કેળવવાની પાંચ રીતો બતાવવામાં આવી છે : પોતાનામાં ક્રોધના નિમિત્તનું હોવું કે ન હોવું એનું ચિંતન કરીને, ક્રોધવૃત્તિના દોષો વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પોતાના કરેલા કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણો ચિંતવીને. કોઈ ગુસ્સે કરે અથવા આપણને ગુસ્સો આવે તો એનાં કારણની પોતાની જાતમાં શોધ કરવી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. જો આપણે ક્ષમા ધારણ કરીએ તો આપણું ચિત્ત સ્વસ્થ બને છે અને બદલો લેવાની ભાવનામાં ખર્ચાતી શક્તિ સચવાઈ રહે છે, એ જ શક્તિને સંમાર્ગે વાળીએ તો એનાં ઉત્તમ પરિણામો આપી શકે છે, માટે ક્ષમાના ગુણોનું ચિંતન માણસે કરવું જોઈએ. મહાત્મા ગાંધીએ કહ્યું છે : ‘વેર લેવું કે વેર બાંધવું એ મનુષ્યનું કર્તવ્ય નથી. એનું કર્તવ્ય તો ક્ષમા છે.’ સૌ જાણે છે કે, વેરથી વેર શમતું નથી, ક્ષમા જ વેરનું ઉત્તમ ઔષધ છે.
‘ક્ષમા-સ્ત્રી (સં.) ખામોશી, દરગુજર કરવું તે, માફી (૨) પૃથ્વી’ એવો અર્થ થાય છે. બીજાની ભૂલોને માફ કરવી તે અતિ દુષ્કર કામ છે. જે સહજ રીતે બીજાને ક્ષમા આપે છે એ સાચો સંત હોય છે. ક્ષમા શું છે ? વેદવ્યાસે ‘મહાભારત’ના ‘વનપર્વ’ (૨૯/૩૬)માં કહ્યું છે : ‘ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞા છે, ક્ષમા વેદ છે તથા ક્ષમા શાસ્ત્ર છે.’ ‘ક્ષમા’ શબ્દમાં ધર્મ, યજ્ઞા, વેદ અને શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. માણસ હોવાના નાતે આપણી પાસે ક્ષમા કરવાનો અધિકાર છે. આપણે જાણીએ છીએ કે, પશુ-પ્રાણી કે પંખીઓને ક્ષમા સાથે કોઈ સંબંધ ખરો ? મનુષ્ય તરીકે આપણે વિચારીએ તો આપણામાં જ ક્ષમાની ભાવના રહેલી છે. ચાણક્યે કહ્યું છે : ‘કોયલનો સ્વર એ જ તેનું સૌંદર્ય છે, સ્ત્રીનું સૌંદર્ય તેનો પતિવ્રત ધર્મ છે, કુરુપોનું સૌંદર્ય તેમની વિદ્યા છે, તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમા છે.’ જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે. આપણે પણ જો ક્ષમા આપી શકીએ તો એ ગુણ આપણામાં છે એ સાબિત થાય છે. જે ક્ષમા આપવાની ક્ષમતા ધરાવે છે એના માટે મોક્ષનો દરવાજો ખૂલી જાય છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.’ ‘એ દિવ્ય દરવાજાને જો તમારે ખોલવો હોય તો ક્ષમા આપવાનું આચરણ કરો. વાલ્મીકિ ‘રામાયણ’ના ‘બાલકાંડ’ (૩૩/૭)માં કહ્યું છે : ‘સ્ત્રી કે પુરુષ માટે ક્ષમા જ અલંકાર છે.’ આપણે ઝવેરી બજારમાંથી લાવીને આભૂષણો પહેરીએ છીએ, પણ સર્વોત્તમ આભૂષણ તો ક્ષમા છે. એક વાત ચોક્કસ છે કે, જેનામાં ક્ષમા આપવાનો ગુણ કે ભાવના હોય છે એનો સમાજમાં તિરસ્કાર થતો હોય છે. એનું કારણ એ છે કે, ક્ષમા આપવાની ભાવનાવાળા કેટલા ? દરેકના મનમાં વેરનો બદલો વેર લેવાનો હોય છે. ઈસુ તો એક જ હોય અને ગાંધીજી પણ. ‘તમારા એક ગાલે કોઈ લાફો મારે તો બીજો ગાલ ધરજો’ એવી મહાનતા કોનામાં હોય ? ‘મહાભારત’ના ‘વનપર્વ’ (૨૮/૭)માં કહ્યું છે : ‘જે સદાય ક્ષમા કરે છે એના અનેક દોષ જોવાય છે. એના આશ્રિત, દુશ્મન કે ઉદાસીન-બધા જ એનો તિરસ્કાર કરે છે.’ મને જે ગમે તે બીજાને ન પણ ગમે. જેને જે વસ્તુ ના ગમે એનો વિરોધ થાય એ સ્વાભાવિક છે.
ક્ષમાની શક્તિ અમાપ છે, એને જે જાણતા નથી, એવા લોકો એનો વિરોધ કરતાં હોય છે. ‘મહાભારત’ના ‘ઉદ્યોગપર્વ’ (૩૩/૪૭-૪૮)માં કહ્યું છે : ‘ક્ષમાશીલ પુરુષોમાં એક જ દોષનું આરોપણ થાય છે. બીજાની તો સંભાવના જ નથી હોતી. દોષ એ છે કે, ક્ષમાશીલને લોકો અસમર્થ સમજી લે છે, પરંતુ એનો એ દોષ માનવો જોઈએ નહીં, કારણ કે ક્ષમામાં ખૂબ મોટી શક્તિ છે.’ એક વખત કોઈને ક્ષમા આપીને એનો પ્રયોગ કરી જુઓ, પછી એની તાકાતનો પરચો તમને મળી રહેશે. ‘ઉદ્યોગપર્વ’ (૩૩/૪૯)માં જ કહ્યું છે : ‘ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ તથા સમર્થ મનુષ્યોનું આભૂષણ છે.’ ક્ષમા આપવી અતિ કઠિન છે. જે મહાન હોય એ જ આ ગુણને કેળવી શકે છે. ક્ષમા આપવી એ સજ્જનતાનો ગુણ છે. ‘બ્રહ્મવૈવર્ત્તપુરાણ’માં કહ્યું છે : ‘સજ્જન મૂર્ખના દોષને સદાય માફ કરી દે છે.’ માફ કરનાર માણસ ભૂમિ જેવો ગણાય છે. ધરતી માતા કેટલું સહન કરે છે ? છતાંય એક હરફ પણ ઉચ્ચારતી નથી, એથી ‘ક્ષમા’ શબ્દનો બીજો અર્થ ‘પૃથ્વી’ થાય છે. ક્ષમા એ પૃથ્વીનો પર્યાય છે. બાણભટ્ટે ‘હર્ષચરિત’માં કહ્યું છે : ‘બધી જ તપસ્યાઓનું મૂળ ક્ષમા છે.’ ક્ષમા તો સૂર્યની બાર કલામાંની એક ગણાય છે. કેટલાક લોકો ‘ક્ષમાવ્રત’ કરતાં હોય છે. ગુરુ પાસે દોષની કબૂલાત કરી પ્રાયશ્ચિત કરતાં હોય છે. જેનામાં ક્ષમાના ગુણ અતિશય હોય તેને ‘ક્ષમાપતિ’ (રાજા) કહેવાય છે. જૈનો ‘ક્ષમાપના’ કરતા હોય છે એટલે તેઓ અપરાધની માફી માગતા હોય છે. જે ક્ષમાધર છે એ પોતે સહન કરીને બીજાને શાતા આપે છે. એથી તો આપણે આપણો સ્વભાવ સહનશીલ રાખવો, દયાળુ ભાવ રાખવો અને પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત પણ કરવું. ‘મત્સ્યપુરાણ’ (૨૮/૪)માં કહ્યું છે : ‘જેવી રીતે સાપ પોતાની જૂની કાંચળી ઉતારે છે એવી જ રીતે જે પોતાના ક્રોધનું ક્ષમા દ્વારા નિરાકરણ કરે છે એ જ સાચો પુરુષ કહેવાય છે.’
જે મહાન છે એ જ ક્ષમાવાન હોય છે. મોટો જ ક્ષમા આપી શકે છે, નાનો નહીં. રહીમે કહ્યું છે : છિમા બડન કો ચાહિયે, છોટિન કો ઉત્પાત’ જેનામાં સમજનો, વિદ્યાનો અને જ્ઞાનનો અભાવ છે એ ક્યારેય ક્ષમા આપી શકે જ નહીં, એ તો સદાય બદલાની ભાવનામાં જ રાચતો હોય છે, એટલે એવો માણસ જે કંઈ સાચાં કાર્યો કરવાનો પ્રયત્ન કરે તો પણ એ નકામાં થઈ જાય છે.
અચિત્યાનંદવર્ણીએ ‘શ્રીહરિલીલાકલ્પતરુ’ (૪/૧૦/૪૭)માં કહ્યું છે : ‘ક્ષમાહીન વ્યક્તિ જે પણ પુણ્ય કરે છે એ નિરર્થક છે.’ જેનામાં ક્ષમા આપવાની ક્ષમતા નથી એ શું કરી શકે આપણે એમ માનીએ કે, ક્ષમાનું ફળ માત્ર જે ગુનેગાર છે એને જ મળે છે, પણ એવું નથી. ક્ષમા કરનારને એનું સૌથી વધારે ફળ મળે છે. એનું કારણ એ છે કે, ક્ષમા માનવભાવોમાં સર્વોપરી છે, દયાનું સ્થાન એના જેટલું ઊંચું નથી. પ્રેમચંદે કહ્યું છે : ‘દયા નામના દાણા તો માત્ર પોચી ધરતી ઉપર જ ઊગે છે, પણ ક્ષમારૂપી દાણા તો કાંટોમાં ઊગે છે. દયાનું ઝરણું તો સમથળ ભૂમિ ઉપર વહે છે જ્યારે ક્ષમા કાંકરા અને ભેખડોમાં વહેવાવાળી ધારા છે. દયાનો માર્ગ સીધો અને સરળ છે જ્યારે ક્ષમાનો માર્ગ વાંકોચૂકો અને કઠણ છે.’ કોઈપણ માણસ કોઈનીય દયા ખાય છે, પણ અઘટિત ઘટના માટે જો કોઈને માફ કરવો હોય તો તે કરી શકતો નથી. ક્ષમા માટે ક્રોધનું મારણ જરૂરી છે. માણસને ક્રોધ કશું જ કરવા દેતો નથી. જે ક્રોધને જીતે છે એ સહજ રીતે બીજાને ક્ષમા આપી શકે છે. ઓમદેવે ‘કથાસરિત્સાગર’ (૬/૨)માં કહ્યું છે : ‘પ્રિય અને અપ્રિય બંનેમાં સમભાવે હોવાના કારણે મનસ્વી પુરુષે આ નશ્વર દેહના નિમિત્તે ક્રોધ શા માટે ? ‘ક્ષમા હિ બ્રહ્મણઃ પદમ્’ (ક્ષમા બ્રહ્મપદ છે). ક્ષમાની શક્તિનું આ માપ છે. જો આપણી પાસે ક્ષમા નામનું શસ્ત્ર હોય તો કોઈપણ વ્યક્તિ આપણું શું બગાડવાની હતી ? ક્ષમાની ભાવનાવાળાના મનમાં કોઈ અનિષ્ટ, અનુચિત ભાવ કેવી રીતે પેદા થઈ શકે ?
મરાઠીમાં તુકારામે ‘તુકારામ અભંગ ગાથા’માં તથા સંસ્કૃતમાં પણ એવો જ શ્લોક છે : ‘જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર (ધનુષ્ય) છે. દુષ્ટ એનું શું બગાડી શકવાનો હતો ? અગ્નિમાં તણખલાં નાખવામાં ન આવે તો તે જાતે જ ઓલવાઈ જાય છે.’ ક્ષમાની શક્તિ એટલી પ્રબળ છે કે, એને કોઈ કશું જ કરી શકતું નથી. આપણે કોઈને શિક્ષા કરી શકીએ એમ હોઈએ તોય જો એમ ન કરીએ અને એને ક્ષમા આપીએ એ મોટી ઘટના છે, માણસની એ જ મહાનતા છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, ‘દંડ કરવાની શક્તિ હોવા છતાં પણ એને દંડ ન કરવો એ જ સાચી ક્ષમા છે.’ જે થઈ શકે એમ હોય છતાં એ પ્રમાણે ન કરીએ એ જ માણસની મોટાઈ છે. પાલિમાં ‘સંયુત્તનિકાય’ (૧/૧૧/૨૪)માં કહ્યું છે : ‘ભિક્ષુઓ ! બે પ્રકારના મૂર્ખ હોય છે- એક જેઓ પોતાના અપરાધને અપરાધની રીતે જોતા નથી અને બીજા જે બીજાના અપરાધ સ્વીકારી લીધા પછી એને ક્ષમા આપતા નથી.’ બીજાના દોષને ક્ષમા આપવી એ વિશાળ દિલના માનવીની ઉદારતા છે.
==================
|| મિચ્છામી દુક્કડમ ||
ખામેમિ સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મેં
મિતીમે સવ્વ ભુએસુ વેરમ મજ્ઝમ ન કેણઈ – ભગવાન મહાવીર
હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે !
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ! – કલાપી
હૃદયમાં ઉગેલો સાચો પ્રશ્ચાતાપ એ સ્વર્ગમાં થી ઉતરી આવેલું પવિત્ર ઝરણું જ છે, આવો મન,વચન, કાયા થી એમાં સ્નાન કરી આપણા જાણતા અજાણતા થયેલા પાપોને ધોઈ પુણ્યશાળી બનીએ !!
સાવંતસરિક પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વ જીવોને ખમાવતાની સાથે આપ સૌને પણ અંત:કરણ પૂર્વક ખમાવીએ છીએ – મિચ્છામી દુક્કડમ
==============================================
** પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ.
=============================
|| ક્ષમાપના ||
** જૈન ધર્મ — અહિંસા એ જૈન ધર્મ નો પાયો છે, તો ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે. ક્ષમા જ યશ છે,ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે. જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે.
** ભગવાન મહાવીર – ખામેમિ સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મેં, મિતીમે સવ્વ ભુએસુ વેરમ મજ્ઝમ ન કેણઈ
** વિષ્ણુપુરાણ — ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્ગમતિ પામે છે.
** સરદાર વલ્લભભાઈ પટેલ — ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
** ભર્તુહરિ — સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
** ભગવાન શંકરાચાર્ય — પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
** ગૌતમ બુદ્ધ — જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
** ભર્તુહરિ — ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
**જયશંકર પ્રસાદ — ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
** પંચતંત્ર — જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
** વેદવ્યાસ — ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
** વેદવ્યાસ — ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
** પ્રેમચંદજી — જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
** અજ્ઞેય — ક્ષમા હ્રદયનો ધર્મ છે.
** ગાંધીજી — ક્ષમા વીરોનું આભૂષણ છે.
** વાલમીકિ — ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
** કલાપી – હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ! પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે !
** હૃદયમાં ઉગેલો સાચો પ્રશ્ચાતાપ એ સ્વર્ગમાં થી ઉતરી આવેલું પવિત્ર ઝરણું જ છે, આવો મન,વચન, કાયા થી એમાં સ્નાન કરી આપણા જાણતા અજાણતા થયેલા પાપોને ધોઈ પુણ્યશાળી
બનીએ !!