સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

ચાતુર્માસ આરાધના – શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ

1

|| ચાતુર્માસ આરાધના – શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ ||

જૈન અને હિંદુ પંચાંગના પરિપ્રેક્ષ્યમાં એક વર્ષમાં ત્રણ ચાતુર્માસ હોય છે, કાર્તિકથી મહા, ફાગણથી જેઠ, અષાઢથી આસો. ઋતુચક્રના પરિપ્રેક્ષ્યમાં શીત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ચાતુર્માસ પ્રસ્તુત છે. જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં કાર્તિક શુક્લ પૂર્ણિમાથી ફાગણ શુક્લ ચતુર્દશી, ફાગણ શુક્લ પૂર્ણિમાથી અષાઢ શુક્લ ચતુર્દશી અને અષાઢ શુક્લ પૂર્ણિમાથી કાર્તિક શુકલ ચતુર્દશી એ ત્રણ ચાતુર્માસ પ્રસ્તુત છે. ત્રણ ચાતુર્માસમાં ધર્મ આારાધના કરવાની હોય છે. પરંતુ તૃતીય એવા વર્ષાવાસ ચાતુર્માસમાં વિશેષ પ્રકારે ધર્મ આરાધના કરવાની હોય છે.

કર્મબંધનના કારણ અંતર્ગત કષાય પણ પ્રધાન કારણ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયના પ્રાયિૃત પ્રતિક્રમણ દ્વારા નિત્ય કરવાના હોય છે. જેથી કષાય તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ ગાઢ નહીં બને. ચાતુર્માસિક પ્રતિક્રમણ કાર્તિક શુક્લ ચતુર્દશી, ફાગણ શુક્લ ચતુર્દશી અને અષાઢ શુક્લ ચતુર્દશીના દિવસે કરવાથી ઉપરોક્ત કષાય તીવ્રતાના દ્રષ્ટિકોણથી તૃતીય એવા અપ્રત્યાખ્યાન સ્વરૂપના ગાઢ નહીં બને. આ ચાતુર્માસિક પ્રતિક્રમણ પૃાત્ તે ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને તે પ્રમાણે નીતિ નિયમો અને મર્યાદાનું પાલન કરવાનું હોય છે. આ સંવાદ પ્રમાણે અષાઢ શુક્લ ચતુર્દશીના પ્રતિક્રમણ પૃાત્ વર્ષાવાસના નીતિ, નિયમો અને મર્યાદાનું પાલન કરવાનું હોય છે જેના પ્રભાવથી અનેક પ્રકારના કર્મબંધનથી મુક્ત રહી શકાય છે.

શ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞાા અને પૂર્વાચાર્યોએ પ્રસ્તુત કરેલા માર્ગ પ્રમાણે અષાઢ શુક્લ ચતુર્દશીથી પચાસ દિવસ પશ્વાતપૃાત્ એટલે કે ભાદરવા શુક્લ ચતુર્થી, સાંવત્સરિક, ક્ષમાપના પર્વ હોય છે. વર્ષો પૂર્વે સાંવત્સરિક પર્વ ભાદરવા શુક્લ ચતુર્થીનું આરાધવાનો પ્રારંભ થયો. તેથી તે ર્વાિષક પર્વથી પચાસ દિવસ પૂર્વે અષાઢ શુક્લ ચતુર્દશીનું ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ થયો. તે જ પ્રમાણે કાર્તિક શુક્લ ચતુર્દશી અને ફાગણ શુક્લ ચતુર્દશીના દિવસે તે ચાતુર્માસનું પ્રતિક્રમણ કરવાનો પ્રારંભ થયો. આ પરિવર્તન પૂર્વાચાર્ય પૂજ્ય શ્રી કાલિકાચાર્યજીએ તે સમયના સર્વે આચાર્ય ભગવંતોની સર્વ સંમતીથી કર્યું. અને તે સમયથી આજ પર્યન્ત, જૈન ધર્મના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનો મુખ્ય વર્ગ ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે સંવત્સરી પર્વની આરાધના કરે છે.

ત્રણે ચાતુર્માસ અંતર્ગત વર્ષાવાસમાં, વર્ષાના કારણે જીવ ઉત્પત્તિ તીવ્ર પ્રમાણે થાય છે. અને તેથી એક જ ગામ, નગર, ક્ષેત્ર અને વિશેષ કરીને એક જ સ્થાનમાં રહીને ધર્મ આરાધના કરવાની આજ્ઞાા પ્રસ્તુત કરવામાં આવી છે. ‘જીવ વિચાર’ નામના ગ્રંથમાં પ્રસ્તુત કર્યા પ્રમાણે જ્યાં જળ છે ત્યાં વનસ્પતિની   ઉત્પત્તિ સહજ સામાન્ય હોય છે. આપણો અનુભવ છે કે વર્ષાઋતુમાં, પાણીના ભરાવાના કારણે મચ્છર, ડાંસ આદિની ઉત્પતિ થાય છે. તે ભૂમિ પર લીલ, શેવાળ આદિની પણ તીવ્રપણે ઉત્પત્તિ થાય છે. અન્ન, લીલા શાકભાજી, કઠોળ તથા અન્ય ખાદ્ય સામગ્રી પર તે વર્ણની ફૂગ આદિ ઉત્પન્ન થાય છે. જૈન ધર્મ એ જીવદયા ને જયણા પ્રધાન ધર્મ છે. અહિંસાનો ઉત્કૃષ્ટ આદર્શ જૈન ધર્મે પ્રસ્તુત કર્યો છે. સ્થિર એવા સ્થાવર જીવો, હલનચલન કરતા ત્રસ જીવોની હિંસા નહીં થાય તે માટે જાગૃતિ રાખવાની છે. શારીરિક હલનચલન, ગમણાગમણ જેમ વધુ હશે તેમ ઉપરોક્ત જીવોની હિંસાની સંભાવના વધુ હશે. અને તેથી ગમણાગમણ આદિની પણ મર્યાદા રાખવાની હોય છે. જૈન શ્રમણ/શ્રમણી ભગવંતો એક જ સ્થાનમાં રહી વર્ષાવાસની આરાધના કરતા હોય છે. તે સ્થાનથી બહારની ભૂમિમાં જવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવે છે. પ્રાણાંતે પણ તે નગર, શહેર અને ગ્રામ્ય વિસ્તારની બહાર જવા પર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. તો ગૃહસ્થ એવા શ્રાવક/શ્રાવિકાઓ માટે પણ પોતાના આવાસ અને નિવાસથી પરિમિત અંતર સુધી ગમણાગમણ કરવાની મર્યાદા પ્રસ્તુત કરવામાં આવી છે. તે પ્રમાણે જ વાહન ઉપયોગની મર્યાદા પણ અંકિત કરવામાં આવે છે.

વિશેષમાં આહાર, પાણી, વસ્ત્ર, પગરખા તથા અન્ય આવશ્યક સાધનોની મર્યાદા અંકિત કરવામાં આવે છે. જે આહાર, પાણીમાં જીવોત્પત્તિની સંભાવના વધુ છે તેનો તો અવશ્ય ત્યાગ કરવામાં આવે છે. પરંતુ નિર્દોષ આહાર, પાણીની પણ મર્યાદા રાખવામાં આવે છે. આ નિવૃત્તિ પ્રધાન ધર્મ વિશેનો સંવાદ હતો. તો પ્રવૃત્તિ પ્રધાન ધર્મના પરિપ્રેક્ષ્યમાં પણ આવશ્યક ક્રિયા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ આદિ વ્રત તથા યથાશક્ય તપૃર્યા દ્વારા ચાતુર્માસિક આરાધના કરવાની હોય છે. આ ધર્મ દ્વારા સંસાર ભ્રમણના કારણરૂપ અવિરતિનો ત્યાગ કરવાનો છે તથા આહાર સંજ્ઞાાને અંકુશમાં રાખવાની છે. શ્રી જિન પ્રતિમાની ઉત્કૃષ્ટ દ્રવ્યોથી પૂજા તથા સત્વના કરી સમ્યક્ દર્શનને નિર્મળ કરવાનું છે. નિત્ય જિનવાણીનું શ્રવણ કરવાનું હોય છે. ચાતુર્માસમાં સ્થિર રહેલા પૂજ્ય શ્રમણ/શ્રમણીના પ્રવચન શ્રવણ કરીને ધર્મ આરાધના ઉલ્લાસપૂર્વક કરવાની હોય છે. જૈન દર્શનના ગંભીર તત્વજ્ઞાાનને પ્રસ્તુત કરતા દ્રવ્યાનુયોગને સાધવાનો છે. તો પૂર્વેના મહાપુરુષોના ચરિત્ર વાંચન દ્વારા ધર્મકથાનું યોગ સાધવાનો છે અને જીવન જીવવાનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. આ સર્વે ધર્મ આરાધના દ્વારા આત્મિક ગુણ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે. દાન ધર્મને ચરિતાર્થ કરવા કતલખાને જતા પશુ, ઢોરને અભયદાન આપવાનું છે. નિર્ધન, જરૂરીયાતમંદ માનવોને સહાય કરી અનુકંપાદાન કરવાનું છે. તો જેઓશ્રીનો માત્ર જૈન દર્શનના અનુયાયી પર નહીં, સારા વિશ્વ પર અમાપ ઉપકાર છે તેવા શ્રમણ/શ્રમણીની પણ સુપાત્ર ભક્તિ કરવાની છે. આ આરાધના કરવાથી જીવન નિરસ નથી બનતુ, સરસ બને છે અને અશુભથી નિવૃત્ત થઈ, શુભમાં વિશેષ પ્રસ્તુત થવાનો આદર્શ ચરિતાર્થ થાય છે. આ અધ્યાયનો તે સંદેશ છે.

સ્વજનો સ્મશાન સુધી જ સાથ આપશે…, ધર્મ તો ભવોભવ (મોક્ષ સુધી) પર્યંત સાથ આપશે

4

|| સ્વજનો સ્મશાન સુધી જ સાથ આપશે…, ધર્મ તો ભવોભવ (મોક્ષ સુધી) પર્યંત સાથ આપશે ||

અસંયમ-અનાચારની દુર્ગંધથી ખદબદતા જીવનને પણ સંયમની-સદાચારની સુવાસથી તર-બ-તર કરી દેવાની સરસ ક્ષમતા ધરાવતા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણાનો આજે ચતુર્થ દિવસ છે. પર્યુષણાના જ નહિં, આરાધનાના પણ સારસ્વરૃપ ‘મિચ્છા મિ દુક્કડં’ મન્ત્રવાક્યના એકેક અક્ષર પર આધારિત આપણી ચિંતનયાત્રામાં આજે આવે છે ‘મિ.’ એના અર્થઘટન માટે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ટીકામાં લખે છે કે ”મિ ઈત્યેતદક્ષરં મેરાયાં – ચારિત્રમર્યાદાયાં સ્થિતો।હમિત્યેતદર્થાભિધાયકં ભવતિ.” ભાવાર્થ કે આ ‘મિ’નો અર્થ છે મર્યાદામાં રહેવું. અલબત્ત, એ ટીકાગ્રન્થ જૈન શ્રમણ-શ્રમણીભગવંતોની સામાચારીને અનુલક્ષી છે. તેથી ત્યાં ચારિત્રમર્યાદા અર્થ કરાયો છે. પરંતુ આપણે અહીં મર્યાદાને વ્યવહારજગતના અનેક સંદર્ભમાં વિચારીશું.

પૂર્વકાલમાં જ્યારે વિમાનની શોધ ન હતી થઈ અને રાજા-રજવાડાઓ ભૂમિમાર્ગે જ પરસ્પર આક્રમણ કરતા હતા ત્યારે દરેક ગામની ચોતરફ મજબૂત કિલ્લો કરાતો હતો. કિલ્લાની બહાર ચાહે તેટલી વિશાળ જગ્યા હોય અને ગામમાં ચાહે તેવી ગીચ જગ્યા હોય છતાં કોઈ કિલ્લાની મર્યાદાની બહાર મકાનો-નિવાસસ્થાનો રચાવતું નહિ. કારણ ? એ જ કે આક્રમણ સમયે કિલ્લાની અંદરના મકાનો સંપૂર્ણ સુરક્ષિત રહે અને કિલ્લાની મર્યાદાની બહારનાં મકાનો સાવ જ અસુરક્ષિત રહે. આ દર્શાવે છે કે મર્યાદાનું શું મહત્ત્વ છે. નદીનાં નીર જો બંધની મર્યાદામાં રહે તો સૃષ્ટિને અનેક રીતે આશીર્વાદરૃપ બને, અને એ જ નીર જો બંધની મર્યાદા તોડી-ફોડીને બેકાબૂ વહે તો મોટી હોનારતનું કારણ બની જઈને અભિશાપ રૃપ બને. અરે ! સીતાજી પણ જ્યાં સુધી લક્ષ્મણરેખાની અંદર હતા ત્યાં સુધી એમને ઊની આંચ આવી ન હતી. જ્યારે એ લક્ષ્મણરેખાની મર્યાદાની બહાર ગયા ત્યારે જ આપત્તિઓનો આરંભ થયો. ખબર છે આ જ સંદેશ સુણાવતી પેલી લઘુકથા ?

શિક્ષકે બાળકોને એક પડકારરૃપ પ્રશ્ન કર્યો કે ”એક પણ અક્ષર બોલ્યા વિના કે એક પણ અક્ષર લખ્યા વિના રામાયણનો સાર દર્શાવો.” બધા બાળકો સ્તબ્ધ થઈ ગયા કે બોલ્યા-લખ્યા વિના કાંઈ દર્શાવી શે શકાય ? આખર એક વિચક્ષણ બાળક આગળ થયો. એ ચોક લઈને બ્લેક બોર્ડ તરફ જતો હતો ત્યાં અન્ય બાળકોએ અક્ષર ન લખવાની શરત યાદ કરાવી. ચતુર વિદ્યાર્થીએ સસ્મિત ઉત્તર આપ્યો કે ”અક્ષર લખવાની ના છે, ચોકના ઉપયોગની ના નથી.” બાળકો કાંઈ સમજી ન શક્યા. પેલા ચતુર વિદ્યાર્થીએ માત્ર એક લીટી દોરીને શિક્ષક સામે વિજયી નજરે નિહાળ્યું. શિક્ષકે તરત ખુશી ખુશીથી બાળક ઉત્તીર્ણ થયાનું જાહેર કર્યું. પેલા બાળકે સમગ્ર વર્ગને રહ્સય સમજાવ્યું કે ”આ લીટી દોરીને મેં રામાયણનો સાર એ દર્શાવ્યો છે કે મર્યાદાની લક્ષ્મણરેખામાં રહેવામાં જ જીવનની સલામતી છે. એ રેખા તોડશો તો દુ:ખી દુ:ખી થઈ જશો ??”

મર્યાદા જો આટલી મહત્વપૂર્ણ બાબત છે તો આપણાં જીવનમાં એ વિવિધ સ્વરૃપે આત્મસાત્ થવી જ જોઈએ. મર્યાદાનાં કેટલાક અગત્યનાં સ્વરૃપો આ રીતના વિચારી શકાય :

(૧) સદાચાર મર્યાદા :- માનવ અને પશુ વચ્ચે માત્ર આકારનો જ તફાવત નથી હોતો, એથી ય વિશેષ તફાવત પ્રકારનો છે. પશુ એ પ્રકારમાં – એ કક્ષામાં આવે છે કે જ્યાં વિવેકનો શૂન્યાવકાશ હોય. એથી એ ગમે તેમ વર્તે તો એટલું અયોગ્ય ન લાગે. જ્યારે માનવી એ પ્રકારમાં – એ કક્ષામાં આવે છે કે જ્યાં પૂરેપૂરો વિવેક હોય. આજે ઘણી વાર એવું નિહાળાય છે કે વ્યક્તિ સંપત્તિના મદમાં છાકટી થઈને વર્તે, તો જુવાનીના જોશમાં બેફામ થઈને વર્તે. ક્યાંક ઈન્ટરનેટ પોર્નોગ્રાફીનો શોખ તો ક્યાંક અશ્લીલ નવલકથાઓનો શોખ, ક્યાંક ડ્રગ્સ અને ડ્રીંક્સનાં તાંડવ તો ક્યાંક જુગાર-આંકડા રમવાની આદત : આવી આવી તો કૈંક આદતો છે જે જીવનને સર્વત : અધોગતિના ખપ્પરમાં હોમી દે. સાવધાન ? વ્યક્તિ જો આ બધાથી ખરેખર બચવા ચાહતી હોય તો એને જીવનમાં સદાચારમર્યાદાની લક્ષ્મણરેખા આંકી દેવી જ જોઈએ કે આવી આવી બાબતોને મારાં જીવનમાં સ્થાન કદાપિ નહિ જ આપું. એક સંસ્કૃત પંક્તિ પણ આ જ પ્રેરણા આપે છે કે ”અકર્તવ્યં ન કર્તવ્યં, પ્રાણૈ : કણ્ઠગતૈરપિ.” મતલબ કે પ્રાણ કંઠે આવી જાય તો ય અકર્તવ્ય – દુરાચરણ ન જ કરવું…

(૨) સંસ્કારમર્યાદા :- લોકવ્યવહારમાં સામાન્યત : એવું નિહાળાય છે કે પિતાની સંપત્તિમાં વૃદ્ધિ કરે તે શ્રેષ્ઠ પુત્ર ગણાય, પિતૃદત્ત સંપત્તિને યથાવત્ જાળવી રાખે એ મધ્યમ પુત્ર ગણાય અને એ સંપત્તિને સાફ કરી નાંખે તે કનિષ્ઠ પુત્ર ગણાય. આ જ ગણિત જો સંસ્કારની બાબતમાં અપનાવી લેવાય તો કેવું સરસ ? વસ્તુત : સંપત્તિને જેટલી અગત્ય અપાય છે એટલી અગત્ય સંસ્કારોને અપાતી નથી. માટે એની રક્ષા-વૃદ્ધિ માટે ધ્યાન અપાતું નથી. બાકી સંસ્કાર તો એવી મૂડી છે જે જીવનને કાયમ માટે શણગારે-ઉજ્જવલ કરે. માતા-પિતાએ એનાં સિંચન માટે કેવા તત્પર રહેવું જોઈએ એ જાણવું છે ? તો વાંચો આ મસ્ત પ્રેરણા કથા :

નાના પુત્ર સાથે મેળો માણવા ગયેલ પિતાએ ટિકીટબારી પર પૂછ્યું : ”મેળાનાં દર્શન માટે ટિકીટના દર શું છે ?” નિયામકે ઉત્તર આપ્યો : ”દશ રૃ.નો દર છે. પણ છ વર્ષ સુધીના બાળકો માટે ટિકીટ લેવાની નથી. તમે દશ રૃ. આપો.” પિતાએ દશના બદલે વીશ રૃ. આપતા કહ્યું : ”મારા પુત્રની વય સાડા છ વર્ષ છે. માટે એની પણ ટિકીટ લેવી છે.” નિયામકે નિખાલસતાથી પૂછ્યું : ”ભાઈ ! મને ખુદને તમારા પુત્રની વય છ વર્ષની અંદરની લાગતી હતી. તમે ખુલાસો ન કર્યો હોત તો તમારા દશ રૃ. બચત. મને ક્યા જૂઠની ખબર પડવાની હતી ?” ભાઈએ હૃદયસ્પર્શી ઉત્તર આપ્યો : ”તમને ભલે ન ખબર પડત, પણ મારા આ પુત્રને તો મારા જૂઠની ખબર પડી જ જાત. એ જૂઠના – અપ્રામાણિકતાના સંસ્કારો મારી પાસેથી શીખે એ મને હરગિજ મંજૂર નથી…” સંસ્કારની મર્યાદા આવી હોવી જોઈએ…

(૩) સભ્યતામર્યાદા : ‘સભાયાં સાધુ : સ સભ્ય :’ આ સંસ્કૃત વ્યાખ્યા અનુસાર વિચારીએ તો સભા વચ્ચે ય શોભી શકે એવી પ્રવૃત્તિ તે છે સભ્યતા. શું સભા વચ્ચે વ્યક્તિ કોઈની સાથે ગાળાગાળી કરે – અપશબ્દ વર્ષા કરે – ભયંકર ગુસ્સો કરે – મારામારી કરે – ઉદ્દંડતાથી વર્તે યા અશ્લીલ ચેનચાળાદિ કરે તો એ શોભે ખરું ? જવાબ જો ના છે, તો સભ્યતાનાં સ્તરેય આ કે આવી આવી કોઈ ગલત પ્રવૃત્તિઓ ન જ શોભે. પોતાના વિચારભેદની અભિવ્યક્તિ યોગ્ય શબ્દો અને યોગ્ય પ્રવૃત્તિથી જરૃર થઈ શકે, પરંતુ એના માટે ઉપરોક્ત જેવી અસભ્યતાનો આશ્રય ન લેવાવો જોઈએ. સભ્યતાની મર્યાદા આ શિક્ષણ-આ બોધ આપે છે…

(૪) ધર્મમર્યાદા :- ધર્મની વ્યાખ્યા ‘યોગશાસ્ત્ર’માં આ કરાઈ છે કે ‘દુર્ગતિમાં પડતા જીવોને ધારે બચાવે તે ધર્મ.’ ધર્મ આ સુરક્ષા ત્યારે જ કરે કે જ્યારે આપણે ધર્મમર્યાદાની સુરક્ષા કરીએ. એક જૈન તરીકે કમસે કમ આપણે અભક્ષ્યત્યાગ-કંદમૂળત્યાગ-રાત્રિ ભોજન ત્યાગ- જિન પૂજા – જીવદયારૃપ ધર્મમર્યાદાનું પાલન તો અવશ્ય કરીએ. આપણે આ ધર્મમર્યાદાના સંદર્ભમાં એક સરસ વાક્ય સાથે આજની ચિંતનયાત્રા સમાપ્ત કરીશું કે ”પત્ની શેરી સુધી સાથે આવશે, સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે, પણ ધર્મ તો ભવોભવ સાથે આવશે.”

અક્ષય તૃતીયા – અખાત્રીજ – વર્ષીતપના પારણા

   1

|| અક્ષય તૃતીયા – અખાત્રીજ – વર્ષીતપના પારણા ||

“અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા”

“ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ”

વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે.

વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે

આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ કારણ કે વરશે પ્રભુની કૃપા ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે. પાંચના સમન્વયે આ અદકેરો તપ સફળ થાય, તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદના એ પણ તપ- અંતરાય. કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે.

આદિશ્વર દાદાને માત્ર મોઢે છઠ્ઠનો તપ જ હતો પરંતુ આંતરાયકર્મ પુર્વજન્મે કર્યો તેઓ આ જન્મમાં દીક્ષા ગ્રહણની સાથે જ ઉદયમાં આવ્યો.

શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ ૮ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પછી ભિક્ષા અર્થે લોકોને ત્યાં જવા લાગ્યા, પણ એ ભદ્રપરિણામી લોકો સાઘુને કેવો આહાર વહોરાય તે જાણતા નહિ હોવાથી તેમની આગળ મણિ, માણેક, રત્નો, હાથી ,ઘોડો, ગાય, બળદ આદિ અનેક વસ્તુઓ ધરવા લાગ્યા, પ્રભુ સર્વતા ત્યાગી હોવાથી એ કોઇ વસ્તુને અડતા નહિ એ રીતે વિચરતા એક વર્ષથી પણ અધિક કાલ વ્યતીત થઇ ગયો.

ભગવાન ઋષભદેવ પુર્વભવમાં એક માર્ગે થઇને જતા હતા ત્યારે ધાન્યના ખળામાં બળદ અનાજ ખાઇ જતા હતા અને તેથી ખેડૂત તેને મારતો હતો. એ જોઇને તેમણે કહ્યુંકે, “અરે મૂર્ખ ! આ બળદોને મોઢેથી બાંધ”, ખેડૂતે કહ્યું મને બાંધતા આવડતુ નથી તે વારે પોતે ત્યાં બેસીને પોતાના હાથે છીંકુ બાંધી બતાવ્યું. તે વખતે બળદે ત્રણસો સાઠથી અધિક નિશાસા નાખ્યા તેથી અનંતરાય કર્મ બંધાયું, તે કર્મ દીક્ષા લીધી તે જ દિવસે ઉદયમાં આવ્યુ તેથી પ્રભુને આ રીતે આહાર મળવામાં અંતરાય થયો.

એક દીવસ ગજપુરનગર કે જયાં બાહુબલીજીના પુત્ર સૌમયશાના પુત્ર શ્રેયાંસકુમાર રહેતા’તા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંત પધાર્યા. તેમને જોઇ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પુર્વે આરાધેલ સાઘુપણું યાદ આવ્યું તેથી સાઘુને કેવો આહાર અપાય તે જાણ્યું, હવે તે જ વખતે ઇક્ષુરસના ૧૦૮ ઘડા આવેલા હતા. એટલે શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે આપ સૂઝતો આહાર ગ્રહણ કરવાની કૃપા કરો.

પ્રભુએ તેને પ્રાસુક સમજી બે હાથનો ખોબો કરી તેને વહોર્યો અને પારણું કર્યું, શ્રેયાંસકુમારને અતિ આનંદ થયો અને દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રકટ કર્યા, ઇક્ષુરસનું આ દાન શ્રેયાંસકુમારને અક્ષય ફળ આપનારૂ બન્યું. ત્યારથી એ દિવસ અક્ષય તૃતિયા પ્રસિઘ્ધથયો.

આજે અનેક ભવ્યાત્માઓ વર્ષીતપ કરે છે અને તેનું પારણું આજ દિવસે કરે છે. તે વખતે સ્નેહીઓ સબંધીઓ, સાધર્મિકો વગેરે ચાંદીના એક અતિ નાના ઘડામાં ઇક્ષુરસ ભરી તેમને પીવડાવે છે. ઘણા

સિઘ્ધક્ષેત્રોમાં જઇ આ તપની પુર્ણાહુતિ કરે છે.તેથી આ દિવસે તપસ્વીઓ સિઘ્ધક્ષેત્રમાં બહુ મોટી સંખ્યામાં એકઠા થાયછે. અને તેમના સગાસબંધી વગેરેની પણ વિપુલ હાજરી થતાં ત્યાં મોટો ઉત્સવ ઉજવાય છે.

અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે. અન્ય લોકો પણ અખાત્રીજના દિવસને મોટુ પર્વ ગણે છે

શ્રી શત્રુંજયતિર્થની ચૈત્રી પૂનમ ની કથા

  1

|| શ્રી શત્રુંજયતિર્થની ચૈત્રી પૂનમ ની કથા ||

વર્ષની બાર પૂર્ણિમા મધ્યે ચૈત્રીપૂનમનું માહાત્યમ ઘણું જ છે,તે અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનાર છે.ચૈત્રી પુનમના દિવસે અનેક વિદ્યાધર, ચક્રવર્તી વિગેરે મહાપુરુષો વિમલગિરિ તીર્થ ઉપર મોક્ષે ગયા છે. શ્રી ઋષભદેવ પ્રભુ ના બે પુત્રો નમિ અને વિનમિ અને તેમના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી પાંચ ક્રોડ સાધુના પરિવાર સાથે મુક્તિપદ ને પામ્યા છે.તેથી ચૈત્રી પૂનમનો દિવસ ઉત્તમ છે.

શ્રી ઋષભદેવ સ્વામીએ દિક્ષા લીધી ત્યારે તેમના રાજ્યો ભરત અને બાહુબલી વગેરેને સોપ્યા,તેમાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને અને અયોધ્યાનું રાજ્ય ભરત ને સોપ્યું.તથા અન્ય રાજ્યો અન્ય પુત્રોને સોપ્યા.

ભગવાનની દિક્ષા સમયે નમિ અને વિનમિ હાજર નહોતા તેથી તેમને રાજ્ય નો હિસ્સો મળ્યો નહી.પરદેશથી આવીને ભરત રાજાને પૂછ્યું કે હે ભરત આપણા પિતાશ્રી ક્યા ગયાં ? ત્યારે ભરતે કહ્યું તેમને દિક્ષા લીધી છે. એટલે તેઓ તેમની પાસે રાજ્યની માંગણી કરવા ગયા.ભગવાન તો નિસ્પૃહી હતા.તેમની પાસે રાજ્યની માંગણી કરે તો પણ શુ આપે ? તેથી નમિ અને વિનમિ તેમની સેવા કરવા પાછળ પાછળ ફરવા લાગ્યા.સવાર સાંજ ભગવાન ને વંદન કરે છે અને ફરી ફરી રાજ્યની માગણી કર્યા કરે છે.આ રીતે ઘણા વખત સુધી ભગવાન ની પાછળ ફર્યા.એક દિવસ ધરણેન્દ્ર ભગવાન ને વંદન કરવા આવ્યા ત્યારે ધરણેન્દ્ર નમિ અને વિનમિ ને ભગવાન ની સેવા કરતાં જોઇને પ્રસન્ન થઇ અડતાલીશ હજાર સિદ્ધિ વિદ્યાઓ આપી.સોળ વિદ્યાદેવીઓ નું આપ્યું અને વૈતાઢ્ય ગિરિ ની દક્ષિણ દિશામાં રથનુંપુર,ચક્રવાલ વગેરે પચાસ હજાર રાજ્યો વસાવી આપ્યા.તથા ઉત્તર દિશા માં ગગન વલ્લભ વિગેરે સાઠ શહેરો વસાવી આપ્યા.આ રીતે નમિ અને નમિ વિશાલ રાજ્ય પામ્યા. ઘણાં વરસ સુધી રાજ્યનું સારી રીતે પાલન કરી,અંતે દિક્ષા અંગીકાર કરી.ચૈત્રી પૂનમમે શ્રી વિમલાચલ તીર્થ પર આવી શ્રી ઋષભદેવ સ્વામીને વંદન કરી બે ક્રોડ મુની સાથે મુક્તિપદ પામ્યા.

શ્રી ઋષભદેવ સ્વામીના ગણધર શ્રી પુંડરિકજી પણ ચૈત્રી પૂનમ ના દિવસે વિમલાચલ ગિરિ ઉપર મોક્ષપદ પામ્યા.આ જ કારણથી શ્રી સિદ્ધચલ તીર્થને પુંડરિકગિરિ પણ કહેવાય છે.શ્રી ઋષભદેવ સ્વામી છદ્મસ્થ અવસ્થામાં વિચારતાં વિચારતાં પુરિમતાલ ની પાસે શકટ નામના ઉદ્યાન માં આવ્યા.તે જ ઉદ્યાનમાં તેઓશ્રીને કેવલજ્ઞાન ઉતપન્ન થયું.ત્યારે દેવતાઓએ સમવસરણ ની રચના કરી. આ જોઇને વનપાલકે ભરત રાજાને કેવલજ્ઞાનની વધામણી આપી.તે સંભાળીને ભરત રાજા અંત્યંત હર્ષ પામ્યો.એ જ વખતે બીજો પણ સેવક આવ્યો વધામણી આપતા તેને કહ્યું,હે મહારાજ ! આયુધ શાળામાં ખુબ જ તેજસ્વી રત્ન ઉત્પન્ન થયું છે.આ બન્ને વધામણી સાંભળી ભરત રાજા વિચારમાં પડ્યો. બે માંથી કંઈ વધામણી ને વધારે મહત્વ આપવું ? કેવલજ્ઞાન મહોત્સવ કરૂ તો ભવોભવ નો અર્થ સરે એમ વિચારી કેવલજ્ઞાન મહોત્સવ કરવો એમ નક્કી કર્યું.

ભરતરાજા મારુદેવા માતાને હાથી પર બેસાડી સમોવસરણ ની દિશામાં લઇ જાય છે ત્યાં રસ્તામાં મારુદેવા માતાને અનિત્ય ભાવના ભાવતા કેવલજ્ઞાન અને પછી તરત મોક્ષ થાય છે.ભરતરાજા મારુદેવા માતાના દેહને ક્ષિર સમુદ્રમાં પધરાવી, શોક નિવારીને ભગવાન પાસે આવીને તેમને વંદન કરી અને ભગવાન ની દેશના સાંભળવા બેઠા.ત્યાર બાદ શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા.ત્યાં ધર્મોપદેશ સંભાળીને ભરતરાજાના પુત્ર પુંડરીક અને ઘણાં પુત્ર-પુત્રાદિકો એ દિક્ષા અંગીકાર કરી.

શ્રી ઋષભદેવસ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.તેમાં સૌ પ્રથમ શ્રી પુંડરિકસ્વામીની પ્રથમ ગણધર ની પદવી થઇ.એક વખત પુંડરીક સ્વામી પાંચ ક્રોડ મુનીઓ સાથે સોરઠ દેશ આવ્યા,અનેક રાજાઓ,શેઠીઆઓ, સેના પતિઓ વગેરે તેમને વંદન કરવા આવ્યા,પુન્ડરિકજિએ ધર્મોપદેશ આપ્યો,વ્યાખ્યાન સમય કોઈ એક ચિંતાતુર સ્ત્રી પોતાની મહાદુઃખી વિધવા દીકરીને લઈને ત્યાં આવી.

શ્રી પુંડરીક સ્વામીને વંદન કરીને પુછવા લાગી,મહારાજ ! મારી દીકરીએ પૂર્વભવ માં એવા ક્યા કર્મો કર્યા છે કે હસ્ત મેળાપ વખતે તેનો ભર્તાર(પતિ) મરી ગયો.ચારજ્ઞાન ના ધણી શ્રી પુંડરીક સ્વામીજીએ કહ્યું,અશુભકર્મ નું ફળ અશુભ જ હોય છે,પ્રાણીઓ પોતાના કરેલા શુભાશુભ કર્મના જ ફળ પામે છે,પણ અન્ય વસ્તુઓ અને પ્રાણીઓ તો માત્ર નિમિત્ત જ હોય છે.એનો પૂર્વભવ સાંભળો.

ચંદ્રકાન્તા નામની નગરીમાં સમરથ નામનો રાજા અને ધારિણી નામે તેની રાણી છે.તે જ નગરમાં એક મહા ધનવાન પરમ શ્રાવક ધનાવહ નામનો શેઠ છે.તે શેઠની બે પત્નીઓ એકનું નામ ચંદ્રશ્રી અને બીજી મિત્રશ્રી. એક દિવસ ચંદ્રશ્રી મર્યાદાનું ઉલ્લંધન કરીને પોતાની શોક્ય મિત્રશ્રી ને બદલે પોતે પતિ પાસે ગઈ.ત્યારે તેનો ભર્તાર પૂછે છે કે આજે તારો વારો નથી છતાં પણ મર્યાદા મુકીને કેમ આવી ? મર્યાદા છોડાવી એ કુળવાન સ્ત્રીને યોગ્ય નથી.આવું સાંભળી ચંદ્રશ્રી કૂબ ગુસ્સે થઇ અને પોતાની શોક્ય મિત્રશ્રી પર દ્રેષ રાખવા લાગી.એક દિવસ ચંદ્રશ્રી પોતાના પિતાના ઘરે ગઈ અને મંત્ર તંત્ર દ્વારા મિત્રશ્રી ના શરીરમાં ડાકણ નો પ્રવેશ કરાવ્યો. તેથી મિત્રશ્રી ની સુંદરતા ચાલી ગઈ. તેથી ધનાવહ શેઠ ચંદ્રશ્રી ને વશ થયો.થોડા સમય પછી શેઠને હકીકતની જાણ થતા તેમને ચંદ્રશ્રી નો ત્યાગ કર્યો.ચંદ્રશ્રી શ્રાવકધર્મ પાળતી હોવા છતાં ઘણાં અશુભ કર્મોનો બંધ કર્યો અને આલોયના લીધા વિના મૃત્યુ પામી અને તારી પુત્રી તરીકે અહી અવતરી છે.પૂર્વભવમાં મિત્રશ્રી ને પતિનો વિયોગ કરાવ્યો તેથી વિષકન્યા થઇ છે.એ જ અશુભ કર્મના લીધે તેનો પતિ મરી ગયો.

તેની માતા એ ફરીથી પૂછ્યું હે સ્વામી ! આજે મારી દીકરી ગળે ફાસો ખાઈને આપઘાત કરતી હતી ત્યાંથી બચાવીને હું તેને અહી લાવી છું,તેથી આપ તેને દુઃખ હરનારી દિક્ષા આપો.ત્યારે શ્રી પુંડરીક સ્વામીએ કહ્યું,આ તારી દીકરી દિક્ષા લેવાને પણ લાયક નથી.ફરી વખત માતા વિનંતી કરે છે,મહારાજ ! આપ તેને યોગ્ય ધર્મચરણ બતાવો.ત્યારે પુંડરીક સ્વામીએ ચૈત્રી પૂનમનું વિધિપૂર્વક આરાધન કરાવો તેનાથી અશુભ કર્મો નાશ પામશે.

આ પ્રમાણે ચૈત્રી પૂનમનું મહત્યમ સાંભળી ને કન્યાએ ખુબજ હર્ષપૂર્વક ચૈત્રી પૂનમનું વ્રત અંગીકાર કર્યું,અને ભાવ પૂર્વક ચૈત્રી પૂનમનું તપ કરી છેવટે અનસન કરી આયુપૂર્ણ કરીને સૌધર્મ દેવલોક માં દેવ બની.ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ લેશે પંદર સ્ત્રીઓ અને પંદર પુત્રો થશે.અંતે દિક્ષા લઇ મોક્ષે જશે.ભવિષ્યમાં ઘણાં જીવો ચૈત્રીપૂનમનું તપ કરીને મોક્ષે જશે. ઉપરાંત શ્રી કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન,દશરથ પુત્ર ભરત,શુક મુનિરાજ,પંથકજી ,રામ,દ્રવિડરાજા,નવ નારદ,પાંચપાંડવ વગેરે સિધ્ધાચલગિરિ ઉપર મોક્ષને પામ્યા છે.

ચૈત્રી પૂનમના દિવસે જે શુભભાવ પૂર્વક ઉપવાસ કરીને શ્રી સિદ્ધાચલ ની યાત્રા કરે તે જીવ નરક કે તીર્યંચ ગતિમાં ન જાય.ચૈત્રી પૂનમે સ્નાત્રજલ ઘરમાં લાવીને હંમેશા છાંટે તે સંપદા પામે. ચૈત્રી પૂનમનું જો ભવીજીવ આરાધન કરેતો મોક્ષપદ પામે,ચૈત્રી પૂનમે શત્રુંજય તીર્થ પર રહેલ પ્રતિમાઓનું પૂજન કરવાથી શ્રી નંદીશ્વરદ્વિપમાં રહેલ શાશ્વતા ભગવાન ની પૂજા કરતાં અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્રી પૂનમે કોઈ મનુષ્ય કોઈપણ જગ્યાએ રહીને શ્રી ઋષભદેવની તેમજ પુંડરીક સ્વામીની પૂજા કરેતો દેવતાઈ સુખો પામે છે.ચૈત્રી પૂનમે કરેલી ધાર્મિક ક્રિયાઓ પાંચ કરોડ ઘણું ફળ આપે છે.તેથી જે પ્રાણી શુદ્ધ વિધિપૂર્વક ચૈત્રી પૂનમે આરાધના કરે,તે પોતાના સ્થાનમાં રહીને પણ ભાવના ભાવતો ભાવતો તીર્થયાત્રાનું ફળ પામે છે.

નવપદજીની આયંબિલની ઓળી

1 

|| નવપદજીની આયંબિલની ઓળી ||

“ચૈત્ર-આસો મહિનામાં આવતી નવપદજીની આયંબિલની ઓળીનો અનેરો મહિમા”

જૈન ધર્મમાં એને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે : જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –

યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે. આ તપ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. તપ એ તો કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. આગમ બતાવે તપ ધર્મની ધુરા, ગુરૂ કૃપાએ મનોરથ થાય પૂરા.

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે.

ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. આયંબીલ એટલે સાપ જેમ દરમાં પ્રવેશ કરે તેમ ખોરાકને મોં માં પ્રવેશ કરાવવાનો હોય છે. આ કાયા પાસેથી તપ કરીને કામ કઢાવી લેવાનુ છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

“આયંબીલથી ચમકાવજો તમારો ચહેરો,
રસેન્‍દ્રીય ઉપર મુકજો ચોકી પહેરો,
ચૂકવી દયો ચાર ગતિનો કરવેરો,
સફળ થાશે આ માનવફેરો”

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

વાદમાં નથી મજા, સ્‍વાદમાં છે સજા, સ્‍વાદિષ્‍ટ આહારને આપો રજા, આયંબીલની ફરકાવવો ધજા, તપસ્‍વીઓ એ તો સંઘ અને શાસનના અણમુલા રત્‍નો ગણાય છે. તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

|| ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો ||

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.

|| નવપદજીની શાસ્વતી ઓળી એટલે ||

*આયંબિલ તપ કરી પુણ્યનુ ભાથુ બાધશો.
*એક આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે.
*આયંબિલ એટલે સ્વાદીષ્ટ ભોજન કરવાની આશક્તિ પર નિયંત્રણ કરવાનો અચૂક ઉપાય.
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*આયંબિલ અશુભ કર્મોને જલ્દી ખપાવે.
*આયંબિલથી પુણ્યનો ઉદય જલ્દી થાય.
*આયંબિલથી દુઃખ ટળે.
*આયંબિલથી sukh મળે.
*આયંબિલની ઓળી કરવી એ શ્રેષ્ટ તપમનુ એક તપ છે.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

*વિરાધાનાના વિશ દૂર કરીને અમૃતનું પાન કરવાનું પુણ્ય પર્વ.
*સમતાની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પુણ્ય પર્વ.
*કર્મના બંધનથી મુક્ત બનીને મુક્તિ મહેલમાં સહેલ કરવાનું પુણ્ય પર્વ.
*ક્રોધના અગ્નિને શાંત કરવા માટે ક્ષમાના જળનું સિંચન કરવાનું પુણ્ય પર્વ.
*વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રગટાવવાનું પુણ્ય પર્વ.
*વાત્સલ્યના વારિ (પાણી) ના સ્નાન દ્વારા આત્માને શુદ્ધ કરવાનું પુણ્ય પર્વ.
*વાસનાથી વિમુખ બનીને ઉપાસના કરવાનું પુણ્ય પર્વ.
*જીવનના દરેક કાર્યને મોક્ષના લક્ષને ધ્યાનમા રાખીને કરવાનું પુણ્ય પર્વ.
*આત્મ્વાદનો સ્વીકાર કરીને ધર્મ સત્તાને શરણે જવાનું પુણ્ય પર્વ.
*શ્રી ઋષભદેવ ભગવાને બતાવેલ જીવન શૈલી પ્રમાણે જીવતા શીખવાનું પુણ્ય પર્વ.
*દુરાગ્રહોને છોડીને સત્યને સમજવાની દ્રષ્ટિ કેળવવાનું પુણ્ય પર્વ.

|| આ છે …….આયંબિલ તપના મહાન તપસ્વીઓ ||

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

 

 

 

ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા

9

|| ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા ||

ફાગણ સુદ ૧૩ ને ગુજરાતી માં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે.
પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ ૮ કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા.તેથી આ ધાર્મિ‌ક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.કેટલાક તો એવા પણ લોકો આવેછે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.અને પુણ્યનું ભાતુ બાંધે છે. આજની ભાગ-દોડ ભરી જીંદગીમાં પણ જૈન લોકોએ આ પરંપરા જાળવી રાખી છે.

જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્ચત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈનશાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઇ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે.

શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.

જૈનશાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્ચત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા. તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્ચભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૧૭૦૦૦ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે.

આ મંદિરોનું સ્થાપત્ય અને બેનૂમન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયા મેળા અગર તો ઢેબરિયા તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.

આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરા ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઇ સૌ કોઇ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઇ જાય છે.

શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમા ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.

છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પૂણૉહુતિ કરે છે.
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધાર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધાર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતાં રહે છે.

મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્ચનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર, કાળભૈરવ દાદા, સતી રાજબાઇ, શ્રવણ મંદિર, ભીડભંજન મહાદેવ, સતુઆબાબા આશ્રમ, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. ખરેખર, પાલિતાણાની મુલાકાત સૌ કોઇ માટે કાયમી સંભારણું બની રહેશે.

|| ફાગણ સુદ તેરસની શત્રુંજયની છ ગાઉની યાત્રા ||
જૈન શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ વિશ્વમાં નવકાર મંત્ર જેવો કોઈ મહામંત્ર નથી, કલ્પસૂત્ર જેવું કોઈ પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને ર્તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ જેવું કોઈ મહાન ર્તીથ નથી.
સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય ર્તીથનો જૈનોમાં ભારે મહિમા છે. આ ર્તીથ પર અનંતાનંત પુણ્યાત્માઓ સિદ્ધગતિને પામ્યા હોવાથી અહીંની તસુએ તસુ જમીન અતિ પવિત્ર માનવામાં આવે છે.
શત્રુંજય ર્તીથ પર ફાગણ સુદ તેરસને દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે. સમગ્ર ભારતમાંથી આ પવિત્ર દિવસે લાખો ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઊમટે છે. આ યાત્રાનું માહાત્મ્ય દર્શાવતાં લખવામાં આવ્યું છે કે-
શામ્બ-પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા,
સાડીઆઠ કરોડ
તે તીર્થેશ્વર પ્રણમીએ
પૂર્વ કર્મ પિછોહ.
આત્મપરિણામને નર્મિળ બનાવનારાં અનેક ર્તીથસ્થાનોમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું સ્થાન સૌથી મોખરે છે. નદીના પ્રવાહની જેમ યાત્રિકોનો સ્રોત આ પાવન ર્તીથમાં અવિરત વહ્યા કરે છે. અહીં આવનાર આત્મા કોઈ દિવ્ય ધામમાં આવી પહોંચ્યાનો અહેસાસ અનુભવે છે. આ ર્તીથના પ્રભાવથી અહીં અનંત આત્માઓ સકળ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામ્યા છે અને એથી જ આ ર્તીથનો જૈન આલમમાં ભારે મહિમા છે. શત્રુંજયનો મહિમા ગાતાં કહેવામાં આવ્યું છે કે-
અકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ
ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.
શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, પૂજન વગેરે કરવાથી જે ફળ મળે છે એનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય ર્તીથની કથા સાંભળવાથી મળે છે. અયમુત્તા કેવલી ભગવંતે નારદ ઋષિને આ ર્તીથનું માહાત્મ્ય વર્ણવતાં કહ્યું છે કે અન્ય ર્તીથમાં ઉગ્ર તપર્યા અને બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આ ર્તીથમાં માત્ર વસવાથી જ મળે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એ આ ર્તીથમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. આ ર્તીથની ચોવિહારો છઠ્ઠ કરીને જે વ્યક્તિ સાત યાત્રા કરે છે એ ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. અષ્ટાપદ, સમ્મેતશિખર, ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થોનાં દર્શન-વંદન કરતાં શતગણું ફળ આ ર્તીથની યાત્રા કરતાં મળે છે.
શત્રુંજય ગિરિરાજની છ ગાઉ પ્રદક્ષિણા યાત્રા સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની તળેટીએ દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચીને શાંતિનાથ ભગવાનના જિનાલયે, રાયણ પગલાંએ, પુંડરીકસ્વામીના દેરાસરે અને ર્તીથાધિપતિ શ્રી આદિનાથ ભગવાનના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી ર્તીથપતિ શ્રી આદીશ્વરદાદાને ભાવપૂર્વક ભેટી રામપોળથી બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં દેવકીજીના છ પુત્રોની પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વાસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુકેષા પાસે મૂકી દીધા હતા. ત્યાં તેઓ મોટા થઈ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યાર પછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને આ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાને ‘નમો સિદ્ધાણં’ કહીને સૌ ભાવપૂર્વક દર્શન કરી આગળ વધે છે.
અહીં હવે ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. એમ છતાં આ પવિત્ર દિવસનો મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણાયાત્રા કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહાપુણ્યયોગે મળ્યો છે એમ સમજીને લોકો પોતાનો બધો થાક અને કષ્ટ ભૂલીને દાદા આદીશ્વર ભગવાનની જય બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગળ વધતાં શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શત્રુંજય ગિરિરાજ પર ચાતુર્માસ કરેલા એની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ ર્તીથમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે.
અહીંથી આગળ વધતાં ‘ચિલ્લણ તલાવડી’નું પવિત્ર સ્થળ આવે છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે પણ ઓળખે છે. ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નર્મિળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ચિલ્લણ યાને ચંદન તલાવડી પ્રસિદ્ધ થયું. ચિલ્લણ મુનિએ અહીં ઇરિમાવહિયં કરી જીવોની વિરાધનાનું પાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ચિલ્લણ નામે સુંદર વિહાર બનાવ્યો હતો એ કાળાંતરે નષ્ટ થઈ ગયો છે. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા સગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થયેલા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમાનાં દર્શન કરાવે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં નંદરાજાએ, વીરરાજાએ અને આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ તપ કર્યું ત્યારે કદર્પિ યક્ષે પ્રસન્ન થઈને તેમને આ અલૌકિક રત્ન-પ્રતિમાનાં દર્શન કરાવ્યાં હતાં. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધશિલા છે. આ ર્તીથમાં કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે એમ છતાં આ સિદ્ધશિલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે એથી આ શિલા સિદ્ધશિલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૧૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.
ચંદન તલાવડીથી આગળ વધતાં એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. આ ભાડવાનો ડુંગર છે. સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં જણાવ્યું છે કે ‘પુજ્જુન્ન સંબ-પમૂહા અદ્ધઠ્ઠાઓ કુમારકોડિઓ’ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય છે અને હૃદયમાં પ્રકટેલા અનેરા ઉલ્લાસથી કર્મની ર્નિર્જરા પણ થાય છે. ફાગણ સુદ તેરસની છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને અતિશય ભાવથી ચૈત્યવંદન વિધિ કરે છે.
ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક

1  2

|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક  ||

પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.

ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.

|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||

૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ

=========================================

ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩

કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬

==========================================

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.

 

 

 

કાર્તિકી પૂર્ણિમાનો મહિમા – કારતક સુદ ૧૫

2

|| કારતક સુદ ૧૫ – કાર્તિકી પૂર્ણિમાનો મહિમા ||

આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થવાથી શત્રુંજય ગિરિરાજ ઉપર જઈને આદેશ્વરદાદાને ભેટવાનો પહેલો દિવસ હોય છે. આ દિવસની સાથે દ્રાવિડ અને વારિખિલ્લ રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે

જૈન પરંપરા મુજબ જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસની સમાપ્તિ અને નવા વર્ષે વિહાર કરવાની પરંપરા છે. તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાએ શત્રુંજય-ગિરિરાજજીના યાત્રાનો પ્રારંભ પણ થશે. સાથોસાથ કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય મહારાજનો જન્મદિવસ પણ છે. પૂ. મુનિરાજ જગતચન્દ્રવિજયજી મહારાજના જણાવ્યા પ્રમાણે કારતકી પૂનમ એટલે રત્નત્રયી આરાધના, તત્ત્વત્રયીની ઉપાસનો દિવસ છે. ચોમાસામાં ચાર મહિના માંગલિક રહેલી શ્રી શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ થાય છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. કેટલાક નવ્વાણુ યાત્રાનો આરંભ કરે છે.

આ દર્શન એટલે દેવની ઉપાસના. કલિકાલ સર્વજ્ઞા પૂ. હેમચન્દ્રચાર્યજીનો જન્મ દિન એટલે ગુરુભગવંતના સ્મરણથી ગુરુતત્વની ઉપાસના અને છેલ્લે ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહેલા સાધુ-સાધ્વીજીઓએ ભાવિકોને તપ-ત્યાગની આરાધના કરાવી હોય છે. તેઓ હવે વિહાર કરશે. એ સંદર્ભમાં એ પણ એક ઉપાસના છે. આમ આ ત્રિવેણી પર્વ છે.

પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્ય્મ અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આરાધના કરે છે તે આ લોકમાં સર્વ પ્રકારે સુખ ભોગવી અલ્પ સમયમાં મુક્તિ સુખને પામે છે. કાર્તિકી પૂનમના દિવસે માત્ર એક ઉપવાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજની ભાવપૂર્વક યાત્રા કરવાથી ઋષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળ હત્યા જેવા ઘોર પાપોથી માનવી મુક્ત થઇ જાય છે.

તિર્યંચગતિ,દેવગતિ અને નરકગતિમાં ચોરાસી લાખ ફેરા ફરતાં ફરતાં કોઈ મહાપુણ્ય યોગે આજે માનવભવ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયો છે.પરંતુ માનવભવ મળ્યા પછી એ બધા ભૂતકાળને ભૂલી ગયો છે અજ્ઞાનતાના કારણે અનેક પ્રકારના પાપોના પોટલાં બાંધે છે. પરંતુ જ્ઞાની ભગવંતોએ એવા ભયંકર બંધનોમાંથી છુટવાના અનેક ઉપાયો બતાવી આપના પર મહાન ઉપકાર કર્યા છે. એક એક પર્વતિથીની આરાધનાથી પૂર્વે કરેલા ઘોર પાપો ક્ષણવારમાં બળીને ભસ્મી ભૂત થઇ જાય છે.

|| દ્રાવિડ અને વારીખિલ્લ ની કથા ||

કાર્તકીપૂનમે દ્રાવિડ અને વારિખિલ્લ કેવા કેવા કર્મોનો ક્ષય કરી આ પવિત્ર પર્વ તિથીએ મુક્તિપદને વર્યા તેની આ કથા અત્યંત અનુકરણીય અને બોધદાયક છે.

ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર દ્રવિડરાજાએ સંયમ સ્વીકારતા પહેલા પોતાના બે પુત્રો દ્રાવિડ અને વારિખિલ્લને રાજપાટના બે ભાગ કરી મોટા પુત્ર દ્રાવિડને મીથીલા નગરીનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિ ખિલ્લને એક લાખ ગામો વહેચી આપ્યા. દ્રાવિડ ને મનમાં અસંતોષ રહેવા લાગ્યો કે હું મોટો હોવા છતાં મને ઓછું મળ્યું અને વારિખિલ્લ ને વધુ હિસ્સો મળ્યો. એને લીધે નાના ભાઈ વારિખિલ્લ ઉપર હર હંમેશ ઈર્ષ્યા અને અદેખાઈ રાખતો.વખત આવ્યે એની ઈર્ષ્યા પ્રગટ થઇ જતી. એટલે વારિખિલ્લથી પણ સહન કરવું મુશ્કેલ બન્યું. અરસપરસ દ્રેષભાવ વધતો ગયો.પરસ્પર યુદ્ધની તૈયારીઓ થવા લાગી.એક પિતાના બન્ને પુત્રો ! વળી પિતાએ તો રાજપાટને લાત મારી દિક્ષા લીધી છે અને દાદા તીર્થંકર છે છતાં બન્ને ભાઈયોમાં વૈરભાવે સ્થાન લીધું.

બન્ને ના લશ્કર યુદ્ધભૂમિમાં સામસામાં ગોઠવાઈ ગયાં.માત્ર માન અપમાન,ઈર્ષ્યા દ્રેષ અને મમત્વભાવે યુદ્ધનો દાવાનળ સળગી ઉઠ્યો,લાખ્ખો માનવીઓનો સંહાર થવા લાગ્યો.આ રીતે નિરંતર યુદ્ધ કરતાં કરતા સાત માસ વીતી ગયા.એવામાં વર્ષાઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખી બન્ને પક્ષ પોતપોતાની છાવણીઓમાં આરામ કરવા લાગ્યા.તે વખતે યુદ્ધ બંધ થયા પછી કોઈ દગો,ફટકો,કે કુડ કપટ કરતું નહી.યુદ્ધ ના સમયેજ લડવામાં આવતું.

વર્ષાઋતુનો કાળ પૂર્ણ થતાં ચાતુર્માસમાં સ્થિરતા કરી રહેલા સાધુમહાત્માઓ વિહારની તૈયારી કરી રહ્યા છે,સૌન્દર્ય અને મનોહર વાતાવરણમાં નીકળેલો દ્રાવિડરાજા પણ સૌન્દર્યનો આનંદ માનવા નીકળી પડ્યો,જયારે કંઈ શુભ થવાનું હોય ત્યારે સંજોગો પણ સારા મળી આવે છે.તેમ જંગલમાં તેઓ એક ઋષિમુનિના આશ્રમ પાસે આવી ચડ્યા.અને આશ્રમમાં પ્રવેશ કર્યો,પ્રભાવશાળી તપસ્વી મુનિના દર્શન થતાં જ રાજા દ્રાવિડનું મસ્તક નમી પડ્યું અને વંદન કરી મુનિની સન્મુખ બેઠા.મુનીએ ધ્યાન માંથી મુક્ત થઇ રાજાને આશીર્વાદ વચનો કહેતા રાજાએ પ્રસન્નતા અનુભવી.

ઋષિમુનિ શ્રી હિતબુદ્ધિએ ધર્મોપદેશ દેતાં કહ્યું,હે રાજન ! તમે બન્ને બંધુઓ શ્રી ઋષભદેવના પૌત્રો છો અને તુચ્છ એવા જમીનના ટુકડા માટે લડવું એ બિલકુલ યોગ્ય નથી.તારા મનમાં કશાય રૂપી જે શત્રુઓ પેસી ગયા છે તે તને પીડા ઉપજાવે છે.અને તે તને સુખ કે શાંતિ ભગાવવા નથી દેતાં.માટે હે રાજન ! સૌ પ્રથમ તારા મનમાંથી ઈર્ષ્યા,લોભ,ક્રોધ ઇત્યાદિ શત્રુઓને હાંકી મુક ! જેથી તને તારા સાચા સ્વરૂપનું ભાન થશે.અને સાચા સુખ શાંતિ માટેનો માર્ગ દેખાશે.રાજન ! તમો મુક્તિપુરીનું શાશ્વત સુખ સંપાદન કરવા ઉદ્યમવંત બનો ! તમારામાં અનંત શક્તિ ભરેલી છે.તેના ઉપર મોહનું જે આવરણ છે તે હટાવીદો.

આ પ્રમાણે ઋષિમુનિના વચનો સાંભળી દ્રવિડ રાજાને પોતાની ભૂલનું ભાન થયું અને મુનિશ્રી પાસે પોતાની કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ કરવા લાગ્યા,આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.આ પ્રમાણે દ્રવિડ રાજાના હૃદયમાં ભારે પરિવર્તન થવા લાગ્યું.પશ્ચાતાપના પવિત્ર જળથી વૈરનો દાવાનળ શાંત થઇ ગયો.એટલે નાના ભાઈ વારિખિલ્લનો જ્યાં વાસ હતો ત્યાં જવા કદમ ઉઠાવ્યું,વારિખિલ્લ પણ પોતાના બંધુને સન્મુખ આવતો જોઇને તેની સામે ગયો.અને વિનય પૂર્વક તેના પગમાં પડ્યો,દ્રાવિડરાજાએ તેને ઉભો કરી સ્નેહ પૂર્વક આલિંગન કર્યું.વારિખિલ્લ ને પણ મનમાં અત્યંત દુઃખ થયું, અરેરે ! એક જમીન ના ટુકડા માટે મેં મોટાભાઈ સાથે યુદ્ધ ખેલ્યું,લાખો સૈનિકો-હાથી ઘોડા વગેરેની હિંસા કરી, અરે હું કેટલું ભૂલ્યો ? અમે દાદા ઋષભદેવના પૌત્રો.પિતાજીએ દાદાના પગલે સર્વ પ્રકારનો મોહ ઉતારી રાજપાટ નો ત્યાગ કર્યો,આરીતે મનમાં મંથન કરતાં મોટાભાઈ પ્રત્યે પ્રેમ અને વિવેક ઊભરાવા લાગ્યો. મોહરાજા એ હું અને મારૂ મંત્ર વડે પાથરેલો અંધકાર રૂપી પડદો ખસી ગયો.અને સમજણ રૂપી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો.વારિખિલ્લે મોટાભાઈ ને કહ્યું, હે વડીલ બંધુ ! આપ મારા જ્યેષ્ટ બંધુ છો.માટે મારૂ રાજ્ય ગ્રહણ કરો.મને આ બધી વસ્તુ ઉપરથી મોહ ઉતરી ગયો છે.રાજા દ્રાવિડને પણ બધો મોહ ઉતરી ગયો હતો,

એટલે ગદ્દગદ્દ કંઠે કહ્યું ભાઈ રાજ્ય તો શુ મને પણ હવે કોઈ વસ્તુ પર મોહ રહ્યો નથી.દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ શરણભૂત નથી.માટે મારેતો વ્રતગ્રહણ કરવું છે.તેથી તને ખમાવવા આવ્યો છું.નાનો ભાઈ વારિખિલ્લ તો તૈયાર જ હતો.તેને કહ્યું,હે ભાઈ તમે જો સર્વ પ્રકારને શ્રેયકરનાર વ્રતને સ્વીકારવા ઈચ્છો છો તો મારે પણ તે વ્રત અંગીકાર કરવું છે.આરીતે બન્ને એ પોતપોતાના પુત્રોને રાજ્ય સોપી. દ્રાવિડ અને વારિ ખિલ્લે તેજ તાપસો પાસે જઈ મંત્રીઓ સહિત દસ કરોડ જણ સાથે સંયમવ્રત સ્વીકાર્યું.

તાપસો જંગલ અથવા ગંગાનદીના કિનારે રહેતા હતા.એક વખત નમિ વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યા.તેમને સર્વે તાપસોએ વંદન કરીને પૂછ્યું આપ કંઈ બાજુએ જાઓ છો ? ત્યારે બન્ને મુનિઓએ ધર્મલાભનું કારણ સમજી મીઠીવાણીથી પોતે સિદ્ધગિરિની યાત્રા કરવા જઈ રહ્યા છે,તે વાત કરી.બન્ને સાધુ મહાત્માઓ વિદ્યાના જાણકાર હતા.તપ,ત્યાગ અને સંયમ ના તેજથી પ્રકાશિત હતા.તેમના પ્રભાવને કારણે તાપસોને તેઓ પર ખુબજ આકર્ષણ થયું.અને સિદ્ધિગિરિનું મહત્વ કેવું છે તે જાણવાની ઉત્કંઠા થઇ.એટલે તાપસોની વિનંતીથી શાશ્વતગિરિનું મહાત્યમ કહ્યું.

શ્રી સિદ્ધિગિરિનો મહિમા સાંભળી તેમના રોમેરોમમાં સિદ્ધિગિરિ જવાના ભાવ પ્રગટ થયા.સાચા સમકિતની પ્રાપ્તિ થઇ.અને એ સંવેગી સાધુઓની સાથે બધા તાપસો ભૂમિમાર્ગે સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળી પડ્યા.વળી વિદ્યાધર મુનિઓના ઉપદેશથી સર્વે તાપસો એ લોચ કરી શુદ્ધ સંવેગી સાધુ જીવન અંગીકાર કર્યું. હવે એ તાપસો તાપસને બદલે મુનિરાજ બની ગયા.

વિહાર કરતાં કરતાં દુરથી શ્રી સિદ્ધચલ ગિરિરાજના દર્શન થતાં હૃદયમાં ખુબજ ઉલ્લાસ અને હર્ષ વ્યાપી ગયા.થોડાજ સમયમાં ગિરિરાજને ભેટી મુક્તિપુરિના મહેમાન બનવા યાત્રાના પ્રારંભે એકએક સોપાન ચડતાં કર્મની નિર્જરા કરવા માંડી.ઉપર પહોચી ચક્રવર્તી મહારાજ શ્રી ભરત મહારાજાએ ભરાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ભક્તિ પૂર્વક નમી પડ્યા તેમનો ભાવોલ્લાસ વધવા લાગ્યો અને સિદ્ધપદને પામવા અધીરા બની ગયાં.

માસક્ષમન કરેલા બન્ને તપસ્વી મુનિઓએ જ્ઞાનથી જોયું કે આ દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિવરો સાથે આ ગિરિરાજ પર મુક્તિપદને પામવાના જ છે એટલે છેલ્લો ઉપદેશ દેતાં બોલ્યા કે હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલા પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે.માટે તમારે અહીજ તપસંયમ માં તત્પર થઈને રહેવું કલ્યાણકારી છે.તમો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉદ્યમવંત બન્યા છો તે પરમાત્મ સ્વરૂપ કેવું છે ? એને તે પ્રાપ્ત કરવા માટે સરળ અને ત્વરિત ઉપાય શુ ? આ જીવ બહિરાત્મ દશાનો એટલે મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્દષ્ટિ બને તે અંતરાત્મા અને અંતરાત્મ દશા પ્રાપ્ત કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરવા પરમાત્માનું ધ્યાન ધરતો ઉદ્યમવંત બનતાં પૂર્ણ કક્ષાએ પહોચેતો તે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે,એટલે તે પોતે જ પરમાત્મા બને છે.પરમાત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે,જ્યોતિ સ્વરૂપ છે અને એ જ જગતનો ઈશ્વર છે.એ સ્વરૂપ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે.તેને પુનર્જન્મ કે મૃત્યુ સ્પર્શ કરતાં નથી.તેનું સુખ અનંત અને અક્ષય છે.વચનથી તેનું વર્ણન થઇ શકતું નથી.જે પરમ આત્મા સિધ્ધ માં વસે છે તેવોજ આત્મા આપણા શરીર માં વસે છે.

આ પ્રમાણે પરમાત્મ સ્વરૂપ સમજાવી બન્ને મુનિઓ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.પછી તે દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે દસ ક્રોડ સાધુઓ ત્યાંજ રહીને બાહ્ય અને અભ્યંતર તપમાં મગ્ન બની મોક્ષની આરાધના કરવા લાગ્યા.અન્નપાણીનો ત્યાગ કરી અણસણ શરુ કરી દીધું.અને આત્મ્ધ્યાનમાં લયલીન બની સર્વ કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામી કાર્તિકીપૂનમ ના દિવસે ગિરિરાજ પર મુક્તિપદ ને વર્યા.

એટલે આ પવિત્ર દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ આદિ મુનિઓનું અનુકરણ કરી જે આત્માઓ શુદ્ધ મન,વચન અને કાયાના યોગે આ ગિરિરાજની યાત્રા ભક્તિ પૂર્વક કરશે તે પણ તેમની જેમ મુક્તિપદને પ્રાપ્ત કરશે.