ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા

9

|| ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા ||

ફાગણ સુદ ૧૩ ને ગુજરાતી માં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે.
પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ ૮ કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા.તેથી આ ધાર્મિ‌ક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.કેટલાક તો એવા પણ લોકો આવેછે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.અને પુણ્યનું ભાતુ બાંધે છે. આજની ભાગ-દોડ ભરી જીંદગીમાં પણ જૈન લોકોએ આ પરંપરા જાળવી રાખી છે.

જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્ચત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈનશાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઇ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે.

શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.

જૈનશાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્ચત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા. તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્ચભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૧૭૦૦૦ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે.

આ મંદિરોનું સ્થાપત્ય અને બેનૂમન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયા મેળા અગર તો ઢેબરિયા તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.

આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરા ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઇ સૌ કોઇ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઇ જાય છે.

શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમા ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.

છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પૂણૉહુતિ કરે છે.
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધાર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધાર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતાં રહે છે.

મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્ચનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર, કાળભૈરવ દાદા, સતી રાજબાઇ, શ્રવણ મંદિર, ભીડભંજન મહાદેવ, સતુઆબાબા આશ્રમ, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. ખરેખર, પાલિતાણાની મુલાકાત સૌ કોઇ માટે કાયમી સંભારણું બની રહેશે.

|| ફાગણ સુદ તેરસની શત્રુંજયની છ ગાઉની યાત્રા ||
જૈન શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ વિશ્વમાં નવકાર મંત્ર જેવો કોઈ મહામંત્ર નથી, કલ્પસૂત્ર જેવું કોઈ પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને ર્તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ જેવું કોઈ મહાન ર્તીથ નથી.
સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય ર્તીથનો જૈનોમાં ભારે મહિમા છે. આ ર્તીથ પર અનંતાનંત પુણ્યાત્માઓ સિદ્ધગતિને પામ્યા હોવાથી અહીંની તસુએ તસુ જમીન અતિ પવિત્ર માનવામાં આવે છે.
શત્રુંજય ર્તીથ પર ફાગણ સુદ તેરસને દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે. સમગ્ર ભારતમાંથી આ પવિત્ર દિવસે લાખો ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઊમટે છે. આ યાત્રાનું માહાત્મ્ય દર્શાવતાં લખવામાં આવ્યું છે કે-
શામ્બ-પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા,
સાડીઆઠ કરોડ
તે તીર્થેશ્વર પ્રણમીએ
પૂર્વ કર્મ પિછોહ.
આત્મપરિણામને નર્મિળ બનાવનારાં અનેક ર્તીથસ્થાનોમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું સ્થાન સૌથી મોખરે છે. નદીના પ્રવાહની જેમ યાત્રિકોનો સ્રોત આ પાવન ર્તીથમાં અવિરત વહ્યા કરે છે. અહીં આવનાર આત્મા કોઈ દિવ્ય ધામમાં આવી પહોંચ્યાનો અહેસાસ અનુભવે છે. આ ર્તીથના પ્રભાવથી અહીં અનંત આત્માઓ સકળ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામ્યા છે અને એથી જ આ ર્તીથનો જૈન આલમમાં ભારે મહિમા છે. શત્રુંજયનો મહિમા ગાતાં કહેવામાં આવ્યું છે કે-
અકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ
ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.
શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, પૂજન વગેરે કરવાથી જે ફળ મળે છે એનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય ર્તીથની કથા સાંભળવાથી મળે છે. અયમુત્તા કેવલી ભગવંતે નારદ ઋષિને આ ર્તીથનું માહાત્મ્ય વર્ણવતાં કહ્યું છે કે અન્ય ર્તીથમાં ઉગ્ર તપર્યા અને બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આ ર્તીથમાં માત્ર વસવાથી જ મળે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એ આ ર્તીથમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. આ ર્તીથની ચોવિહારો છઠ્ઠ કરીને જે વ્યક્તિ સાત યાત્રા કરે છે એ ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. અષ્ટાપદ, સમ્મેતશિખર, ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થોનાં દર્શન-વંદન કરતાં શતગણું ફળ આ ર્તીથની યાત્રા કરતાં મળે છે.
શત્રુંજય ગિરિરાજની છ ગાઉ પ્રદક્ષિણા યાત્રા સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની તળેટીએ દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચીને શાંતિનાથ ભગવાનના જિનાલયે, રાયણ પગલાંએ, પુંડરીકસ્વામીના દેરાસરે અને ર્તીથાધિપતિ શ્રી આદિનાથ ભગવાનના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી ર્તીથપતિ શ્રી આદીશ્વરદાદાને ભાવપૂર્વક ભેટી રામપોળથી બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં દેવકીજીના છ પુત્રોની પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વાસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુકેષા પાસે મૂકી દીધા હતા. ત્યાં તેઓ મોટા થઈ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યાર પછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને આ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાને ‘નમો સિદ્ધાણં’ કહીને સૌ ભાવપૂર્વક દર્શન કરી આગળ વધે છે.
અહીં હવે ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. એમ છતાં આ પવિત્ર દિવસનો મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણાયાત્રા કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહાપુણ્યયોગે મળ્યો છે એમ સમજીને લોકો પોતાનો બધો થાક અને કષ્ટ ભૂલીને દાદા આદીશ્વર ભગવાનની જય બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગળ વધતાં શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શત્રુંજય ગિરિરાજ પર ચાતુર્માસ કરેલા એની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ ર્તીથમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે.
અહીંથી આગળ વધતાં ‘ચિલ્લણ તલાવડી’નું પવિત્ર સ્થળ આવે છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે પણ ઓળખે છે. ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નર્મિળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ચિલ્લણ યાને ચંદન તલાવડી પ્રસિદ્ધ થયું. ચિલ્લણ મુનિએ અહીં ઇરિમાવહિયં કરી જીવોની વિરાધનાનું પાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ચિલ્લણ નામે સુંદર વિહાર બનાવ્યો હતો એ કાળાંતરે નષ્ટ થઈ ગયો છે. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા સગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થયેલા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમાનાં દર્શન કરાવે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં નંદરાજાએ, વીરરાજાએ અને આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ તપ કર્યું ત્યારે કદર્પિ યક્ષે પ્રસન્ન થઈને તેમને આ અલૌકિક રત્ન-પ્રતિમાનાં દર્શન કરાવ્યાં હતાં. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધશિલા છે. આ ર્તીથમાં કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે એમ છતાં આ સિદ્ધશિલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે એથી આ શિલા સિદ્ધશિલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૧૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.
ચંદન તલાવડીથી આગળ વધતાં એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. આ ભાડવાનો ડુંગર છે. સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં જણાવ્યું છે કે ‘પુજ્જુન્ન સંબ-પમૂહા અદ્ધઠ્ઠાઓ કુમારકોડિઓ’ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય છે અને હૃદયમાં પ્રકટેલા અનેરા ઉલ્લાસથી કર્મની ર્નિર્જરા પણ થાય છે. ફાગણ સુદ તેરસની છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને અતિશય ભાવથી ચૈત્યવંદન વિધિ કરે છે.
ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

શ્રી ગિરનાર તીર્થ

7

|| શ્રી ગિરનાર તીર્થ ||

(શ્રી નેમિનાથ ભગવાન)

યદુવંશ સમુદ્રેન્દુ: કર્મકક્ષ હુતાશન:
અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાદ્વોઙરીષ્ટનાશન:

વર્તમાન ચોવીશીના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના જ્યાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયા છે અને આવતી ચોવીશીના બધા જ તીર્થંકરો જ્યાં નિર્વાણ પામશે તેવું પવિત્ર અને શાશ્વત તીર્થ એટલે ગિરનારજી. ગઈ ચોવીશીના આઠ તીર્થંકરોના 24 કલ્યાનાકો પણ આ જ ક્ષેત્રમાં થયા હતા.

પ્રાચીન સમયમાં આ તીર્થ ઉજ્જયંતગિરિ, રૈવતાચલ, સુવર્ણગીરી, નંદભદ્ર વગેરે નામથી ઓળખાતું હતું. આ તીર્થનાં અત્યારસુધીમાં 16 વખત ઉદ્ધાર થયા છે. ભરત ચક્રવર્તીએ આ ગીરિરાજનો પ્રથમ ઉદ્ધાર કરાવી સ્ફટિક રત્નમય જિનાલય બનાવ્યું હતું. જે 111 મંડપો, જાળીઓ, ઝરૂખાઓથી સુશોભન પામેલું હતું. તેનું નામાભિધાન “સુરસુંદર પ્રાસાદ” કરવામાં આવ્યું હતું.

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ પ્રભુ નેમિનાથ પરમાત્મા એ પોતાના હાથે કરેલી છે. ગીરનાર મહાતીર્થમાં વિશ્વની સોથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યૂન (ઓછા ) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીશી ના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બર્હામેન્દ્ર દ્વારા બનાવામાં આવેલ હતી, આ પ્રતિમાને પ્રતિષ્ઠીત કર્યા ને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આજ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયીકા દ્વારા પાતાળલોકમાં લઇ જઈને પૂજાશે.

આ ગિરિરાજ ઉપર તીર્થંકરો, ગણધરો, જુદા જુદા અધીષ્ઠાયકોના મંદિરો તથા પ્રતિમાઓ જુહારવા લાયક છે. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ વગેરેના જિનમંદિરો આવેલા છે, જેમાં ચોરીવાળું જિનાલય વિખ્યાત છે.
પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં,
રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં;
સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પામતાં,
એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂરે જતાં.

સૌરાષ્ટ્રના જૂનાગઢની પાસે આવેલા ગિરનાર પર્વત વિશે શાસ્ત્રાેમાં ઉજ્જયંતગિરિ અને રૈવતગિરિ આદિ નામે ઉલ્લેખ મળે છે. આને નેમિનાથ પર્વત અથવા તો શત્રુંજયગિરિની પાંચમી ટુંક પણ ગણવામાં આવે છે. પ્રથમ તીર્થંકરના સમયથી ચરમ તીર્થંકર સુધીના સમયમાં અનેક ચક્રવર્તીઓ , રાજાઓ અને શ્રેષ્ઠીઓએ રૈવતાચલની યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. એમ કહેવાય છે કે ભાવિ ચોવીસીમાં વીસ તીર્થંકરો અહીં મોક્ષ મેળવશે. આ ગિરનાર તીર્થંમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની 140 સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. નેમિનાથ ભગવાનના દીક્ષાકલ્યાણક, કેવળ જ્ઞાનકલ્યાણક અને નિર્વાણકલ્યાણકથી પાવન આ ગિરિરાજનાં ગગનચુંબી શિખરો ભાવિકોના હૃદયને ભાવનાઓથી છલોછલ ભરી દે છે. નેમિનાથ ભગવાનની આ પ્રતિમા ગઈ ચોવીસીના તીર્થંકર શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈદ્રએ ઘડાવી હતી એમ કહેવાય છે. આ પ્રતિમા ભગવાન નેમિનાથના સમય સુધી ઈદ્રલોકમાં રહી અને પછી શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં હતી. દ્વારકાનગરી ભસ્મ થઈ ત્યારે શ્રી અંબિકાદેવીએ આ પ્રતિમાને સુરક્ષિત રાખી. રત્નાશાહની તપý ાર્યાથી પ્રસન્ન થયેલાં અંબિકાદેવીએ રત્નાશાહને આપી જેની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. વિ.સં. 609 માં કાશ્મીરના શ્રેષ્ઠી રત્નાશાહ અને અજિતશાહે અને તે પછી બારમી સદીમાં વસ્તુપાળ-તેજપાળ તથા સિદ્ધરાજના મંત્રી સજ્જન શાહે આનો જિર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અનેક રાજાઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અહીં બીજાં બે શ્વેતાંબર મંદિરો પણ મળે છે. આ દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો પર કરેલી શિલ્પકળા આહલાદક છે.

મહિમા ગિરનાર નો………..

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ પ્રભુ નેમિનાથ પરમાત્મા એ એમના હાથે કરેલી છે.

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે વિશ્વ માં કે જે એક દેવે બનાવેલી છે.
આ એક માત્ર તીર્થ છે કે જેમાં વિશ્વ ની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે.
આ એક માત્ર તીર્થ છે કે જેમાં આખુ દેરાસર ગ્રેનાઈટ ના પથ્થર થી બનેલું છે.
ગિરનાર મહાતીર્થ ઉપર અનંતા અરીહંત પ્રભુ ના કલ્યાણક થયા છે અને પછી પણ અનંતા અરીહંત પ્રભુ ના કલ્યાણક થશે એ એક સત્ય છે.
ગીરનાર એવું તીર્થ છે કે જેમાં દરેક ચોવીશી માં કોઈ એક કે વધુ ભગવાન ના કલ્યાણક તો થયા છે , છે અને થશે.
ગિરનાર ઉપર કાંકરે કાંકરે અરીહંત પ્રભુ વિચર્યા છે અને તેમના કલ્યાણક ની એક માત્ર પાવન ભૂમિ છે.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (સિદ્ધિગિરિ) તીર્થ

8

|| તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (સિદ્ધિગિરિ) તીર્થ ||

(શ્રીઆદીશ્વર ભગવાન)

તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. આવાં તીર્થોંમાં સૌરાષ્ટ્રના ભાવનગરથી 48 કિ.મી. દૂર અને શિહોરથી 29કિ.મી. દૂર આવેલું શ્રી શત્રુંજય તીર્થ એ પ્રાયઃ શાશ્વતું તીર્થ ગણાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને માનવ-સંસ્કૃતિના આદિ સ્થાપક શ્રીઋષભદેવ ભગવાન આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા. ચોવીસ તીર્થંકારોમાંથી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થંકારોએ આ તીર્થ પરથી વિશ્વને જૈનધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો. મંદિરોની મહાનગરી જેવું શત્રુંજય તીર્થ એ આગમમાન્ય પ્રાયઃ શાશ્વત સિદ્ધક્ષેત્ર છે. એના મૂળનાયક શ્વેતવર્ણીય પધમાસનસ્થ શ્રી આદીશ્વર ભગવાન છે. ગિરિરાજની ઊંચાઈ 1640 ફૂટ છે અને એના પરનો ગઢ વિસ્તાર વીસએકરમાં પથરાયેલો છે. એની નવ ટૂંકોમાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ આવેલી છે અને સાતેક હજાર જેટલી જિન પ્રતિમા છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી બધી પ્રતિમાજી નહિ મળે અને એ જ રીતે આટલી ઊંચાઈએ આટલી વિપુલ સંખ્યામાં કમનીય કારીગરી ધરાવનારાં દેરાસરો જગતમાં મળશે નહીં.પ્રાચીન સમયમાં આ તીર્થ પર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી મોક્ષે પધાર્યા હતા તેથી એને પુંડરિકગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 108 નામ ધરાવતા આ મહાતીર્થનો અવસર્પિણી કાળમાં સોળ વાર જીર્ણોદ્ધાર થયો. આ તીર્થ ની એક યાત્રા એકસો યાત્રા આવે છે. તળેટીથી શિખર સુધી પહોંચવાનો રસ્તો સવા બે માઈલનો તથા 3750 પગથિયાં ધરાવતો છે. કશાય રાજયાશ્રય વિના કે મજૂરો પાસે વેઠ કરાવ્યા વિના લોકસમૂહની ધર્મભાવનાથી થયેલું આ તીર્થ જગતમાં અજોડ ગણાય

========================================================

પાલીતાણા – જૈનોનું એક પવિત્ર અને શાશ્વત તીર્થ સ્થાન . આ તીર્થ નો મહિમા અવર્ણીય છે . આ તીર્થ પર અનંતા આત્માઓ મોક્ષે ગયા અને હજુ પણ અનંતા આત્માઓ મોક્ષ પ્રાપ્ત કરશે . તેથી જ તો આ ચોવીશી ના ત્રેવીસ તીર્થંકરો થી આ તીર્થ પાવન થયેલ છે . ઉપરાંત પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુ આ તીર્થ પર પૂર્વ નવાણું વાર પધારી તીર્થ ને મહિમાવંતુ કર્યું છે . આ તીર્થ નો એક વાર સાક્ષાત્કાર થાય એટલે સમજવું કે આપનો મોક્ષ પાક્કો . કારણકે આ તીર્થના દર્શન ફક્ત ભવ્ય(જેઓ ભવાંતરમાં ક્યારેક પણ મોક્ષ પ્રાપ્ત કરવાના છે) આત્મા ઓને જ પ્રાપ્ત થાય છે .

આ તીર્થ ના મૂળનાયક શ્રી આદીશ્વર દાદા ને ભેટવા માટે 2000 ફુટ ની ઉંચાઈ અને 3500 જેટલા પગથીયા ચઢવા પડે છે . આ તીર્થ પર 9 ટુંક આવેલી છે . નવ ટુંક માં નરશી કેશવજી ની ટુંક(વિક્રમ સં 1921, મુળનાયક – શાંતિનાથ પ્રભુ), ચૌમુખજીની ટુંક(વિક્રમ સં 1675, મુળનાયક – આદિનાથ પ્રભુ ), છીપવસહીની ટુંક(વિક્રમ સં 1791, મુળનાયક – આદિનાથ પ્રભુ ), સાકારવસહીની ટુંક(વિક્રમ સં 1893, મુળનાયક – ચિંતામણી પાર્શ્વનાથપ્રભુ ),નંદીશ્વર ની ટુંક(ઇ.સ.1893, મુળનાયક – ચંદ્રાનન પ્રભુ),હેમવસહીની ટુંક(ઇ.સ.1886,મુળનાયક – આદિનાથ પ્રભુ),પ્રેમવસહીની ટુંક(ઇ.સ.1843, મુળનાયક – આદિનાથ પ્રભુ ),બલાવાસહીની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ),મોતીશાહની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ) .
આ તીર્થ નો અત્યાર સુધીમાં 16 વખત જીર્ણોદ્ધાર થયેલ છે .

1). સૌ પ્રથમ જીર્ણોદ્ધાર ભગવાન આદિનાથ ના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાએ કરાવ્યો હતો.
2). બીજો જીર્ણોદ્ધાર રાજા દંદાવીર્યએ કરાવ્યો હતો.
3). ત્રીજો જીર્ણોદ્ધાર પ્રથમ અને બીજા તીર્થંકર ની વચ્ચે ના સમયમાં શ્રી ઈશાનેશ્વર દ્વારા થયો હતો.
4). ચોથો જીર્ણોદ્ધાર ચોથા દેવ લોક ના ઇન્દ્ર (મહેન્દ્ર) દ્વારા થયો હતો.
5). પાંચમો જીર્ણોદ્ધાર પાંચમાં દેવ લોક ના ઇન્દ્ર(બ્રહ્મેન્દ્ર) દ્વારા થયો હતો.
6). છઠ્ઠો જીર્ણોદ્ધાર ભવનપતિ દેવ લોક ના ઇન્દ્ર(ચમ્રેન્દ્ર) દ્વારા થયો હતો.
7). સાતમો જીર્ણોદ્ધાર બીજા તીર્થંકર શ્રી અજીતનાથ પ્રભુના સમયમાં બીજા ચક્રવર્તી શ્રી સાગર ચક્રવર્તી દ્વારા થયો હતો.
8). આઠમો જીર્ણોદ્ધાર ચોથા તીર્થંકર શ્રી અભિનંદન પ્રભુના સમયમાં શ્રી વ્યન્તારેન્દ્ર દ્વારા થયો હતો.
9). નવમો જીર્ણોદ્ધાર આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં રાજા શ્રી ચન્દ્રયાશા દ્વારા થયો હતો.
10). દસમો જીર્ણોદ્ધાર સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુના સમયમાં તેમનાં જ પુત્ર શ્રી ચક્રધરે કરાવ્યો હતો.
11). અગિયારમો જીર્ણોદ્ધાર વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત પ્રભુના સમયમાં શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજીએ કરાવ્યો હતો.
12). બારમો જીર્ણોદ્ધાર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંચ પાંડવોએ કરાવ્યો હતો.
13). તેરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 108માં મહુવા નિવાસી શેઠ શ્રી જાવેદ શાહ એ કરાવ્યો હતો.
14). ચૌદમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1213માં કુમારપાળ મહારાજાના સલાહકાર બાહડ એ કરાવ્યો હતો.
15). પંદરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1371માં સમરશાહ એ કરાવ્યો હતો.
16). સોળમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1587માં વૈશાખ વદ છઠ્ઠ ના રોજ ચિતોડ ના શ્રી કરમશાહે કરાવ્યો હતો..
તે સિવાય શ્રી રાજા સમ્પ્રતિ, રાજા વિક્રમાદિત્ય,રાજા અમ, ખંભાતના શ્રી તેજપાલ સોની અને આણંદજી કલાયાણજીની પેઢી દ્વારા અવારનવાર જીર્ણોદ્ધાર થતા રહે છે.

========================================================

|| તીર્થંકર, પરમાત્મા વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે અને શત્રુંજ્ય ગિરિરાજ તીર્થોમાં શ્રેષ્ઠ છે ||

પરમાત્મા શ્રી તીર્થંકર ભગવંતો જો ધર્મપ્રવર્તકોની દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, તો તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યગિરિરાજ તીર્થોની દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. કેમ કે તીર્થંકર પ્રભુ જેવી વિભૂતિ સમગ્ર સૃષ્ટિમાં કોઈ નથી અને તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિ જેવું કોઈ તીર્થ સમગ્ર સૃષ્ટિમાં કોઈ નથી!!

તીર્થંકરપ્રભુ અને તીર્થાધિરાજ વચ્ચે કરવી હોય તો ઘણી બધી મજેદાર સરખામણીઓ થઈ શકે. જેમ કે શ્રી તીર્થંકર પ્રભુ સ્વયંબુદ્ધ છે અર્થાત્‌ કોઈનાય ઉપદેશ વિના સ્વયં બોધ પામનાર છે, તો શત્રુંજ્ય ગિરિરાજ સ્વયંશુદ્ધ છે એટલે કે પરાપૂર્વથી એ આપોઆપ જ પવિત્ર છે. એની પરમ પવિત્રતાથી આકર્ષાઈને જ અગણિત આરાધકોએ આ તીર્થાધિરાજ પર કર્મક્ષયકારક સાધના સામે પગલે આવીને કરી છે. તીર્થંકર પ્રભુનો આત્મા પરોપકારરસિક હોવાથી પરાર્થવ્યસની ગણાય છે, તો તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિ પણ અનાદિકાળથી અગણિત જીવો માટે દુર્ગતિનિવારક-સદ્‌ગતિસહાયક-પરમગતિપ્રદાયક બનતો હોવાથી પરાર્થવ્યસની કહી શકાય છે. તીર્થંકર પ્રભુ એમના સંપર્કમાં આવનારને સંસારપાર ઉતારતા હોવાથી તારક ગણાય છે, તો શત્રુંજ્ય મહાતીર્થ પણ એના સંપર્કમાં આવનારને ભવસાગર પર ઉતારતું હોવાથી તારક કહેવાય છે. આવી તો કેટકેટલી સરખામણી તીર્થંકરપ્રભુ સાથે આ મહિમાશાલી તીર્થની થઈ શકે.

આપણે એ મહિલાશાલી તીર્થાધિરાજની ભક્તિયાત્રા છ મજાના કલ્પનાશીલ વિશેષણો દ્વારા કરી રહ્યા છીએ. એમાં બીજું વિશેષણ છે સત્ત્વતીર્થ.

સત્ત્વના ઘણા ઘણા અર્થો મળે છે. જેમ કે સત્ત્વ એટલે જીવ-પ્રાણી. આ અર્થસંદર્ભમાં જ ‘જીવદયા’ના પર્યાયરૂપે ‘સત્ત્વાનુકમ્પા’ શબ્દપ્રયોગ થાય છે. સત્ત્વ એટલે ‘પરાક્રમ’ અર્થ થાય, સત્ત્વ એટલે ‘ગંભીર સ્વભાવ’ અર્થ થાય, તો સત્ત્વ એટલે ‘દ્રઢ મનોબળ’ અર્થ પણ થાય. આપણે આ ‘દ્રઢ મનોબળ’ સંદર્ભમાં જ શત્રુંજ્યતીર્થાધિરાજને સત્ત્વતીર્થ તરીકે બિરદાવીએ છીએ.

કારણ કે ગત લેખમાં નિહાળ્યા મુજબ, આ પવિત્ર તીર્થના પાવન પરમાણુઓ જેમ સાધકોને-ભાવિકોને ભાતભાતના મુશ્કેલ શુભ સંકલ્પો કરાવે છે તેમ એ મુશ્કેલ-કઠિન સંકલ્પો સાકાર કરવા કાજેનું દ્રઢ મનોબળ પણ પ્રગટાવી આપે છે. યાદ રહે કે જેની એક યાત્રામાં સાડા ત્રણ હજાર પગથિયા ચડવાના હોય છે તે શત્રુંજ્યમહાતીર્થની નવાણુંયાત્રા નિશ્ચિત સમયમાં કરવાનો સંકલ્પ એક વાત છે અને એ નવાણુંયાત્રા બરકરાર ત્વરિત પૂર્ણ કરવી એ સાવ અલગ વાત છે. ચોવિહાર છટ્‌ઠ (અન્ન-જળ વિનાના સળંગ બે ઉપવાસ) કરીને શત્રુંજ્યગિરિરાજની સાત વાર યાત્રાનો સંકલ્પ એક વાત છે અને તે ચોવિહાર છટ્‌ઠપૂર્વક સાત યાત્રા પરિપૂર્ણ કરવી એ સાવ અલગ વાત છે. સત્ત્વ અર્થાત્‌ દ્રઢ મનોબળ વિના આ બેમાંથી એક પણ બાબત આજના સુખશીલયુગની સુવિધાપ્રેમી વ્યક્તિઓ માટે આસાન નથી. આમ છતાં આ વર્ષ સુધીનો તાજો ઈતિહાસ ગવાહ છે કે પ્રતિવર્ષ હજારો ભાવિક શત્રુંજ્યગિરિની પગપાળા નવાણુંયાત્રાઓ કરે છે અને હજારો ભાવિકો ચોવિહાર છટ્‌ઠ સાથે સાત યાત્રાઓ પણ કરે છે. માનવું જ જોઈશે કે શત્રુંજ્યગિરિરાજના પાવન પરમાણુઓ જ આ ભગીરથ યાત્રાઓ માટે યાત્રાળુઓમાં સત્ત્વનું-દ્રઢ મનોબળનું નિર્માણ કરે છે.

અરે! શત્રુંજ્યગિરિરાજની ઉપરોક્ત બે પ્રકારની યાત્રાઓ તો જૈન સંઘોમાં સર્વત્ર વ્યાપક પ્રસિદ્ધ છે જ. આ ઉપરાંત પણ ભાગ્યવાનો શત્રુંજ્યગિરિનો પાવન યોગ પામીને એવી અવનવી નિરાળી આરાધનાઓ કરે છે કે જેમાં એમની ઊછળતી શત્રુંજ્યભક્તિ ઉપરાંત આ સત્ત્વની દ્રઢ મનોબળની પણ પ્રતીતિ થાય. આ સંદર્ભમાં ટાંકીશું આપણે અમને થયેલ એક ભૂતકાલીન અનુભવ

વિ.સં. ૨૦૬૨. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં સામૂહિક નવાણુંયાત્રા દરમ્યાન અમે પણ નવાણુંયાત્રામાં સામેલ હતા. રોજ બે-બે યાત્રા આનંદપૂર્વક-ભાવપૂર્વક થતી હતી.

એક દિવસની વાત. હિંગળાજહડાથી ઉપરના ભાગનું આરોહણ પૂર્ણ થવા આવ્યું ત્યાં એક યાત્રિકે પગથિયાં પર જ અમને થંભાવીને કહ્યું ‘‘મહારાજશ્રી! માંગલિક સંભળાવો અને આશીર્વાદ આપો.’’ અમે એ કર્યું ખરું. પરંતુ આમ પગથિયાં પર ઊભા રાખી દેવાનો એમનો અવિવેક જરાક ખૂંચ્યો. હિતશિક્ષાની બુદ્ધિથી અમે એમને પ્રશ્ન કર્યો ‘‘આમ એકાએક પગથિયાં પર માંગલિક આશીર્વાદનું કારણ શું?’’ એ યાત્રિકે જે ઉત્તર આપ્યો એનાથી હિતશિક્ષાનો-ટકોરનો વિચાર તો દૂર રહ્યો, તત્ક્ષણ એમના સત્ત્વશીલ પુરુષાર્થને નમન થઈ ગયા. એમણે કહ્યું ‘‘મહારાજશ્રી! આ તીર્થ પર ભગવાનને તો સહુ પગે લાગે છે. પરંતુ મને થોડા માસ પૂર્વે વિચાર આવ્યો કે ભગવાન સુધી લઈ જતાં પ્રત્યેક પગથિયાને પણ પગે લાગવું જોઈએ. મેં પગથિયાને કુલ એક લાખ વાર ખમાસણમ (વિધિપૂર્વક નમન)નો ઉત્તમ ભાવ કર્યો. અત્યારની ક્ષણે મેં એક લાખમી વારનું ખમાસમણ દીઘું અને તુર્ત આપના પર દ્રષ્ટિ ગઈ. એથી મેં માંગલિક-આશીર્વાદ આપવાનું કહ્યું!!’’

આ ઉત્તર શું છે? શત્રુંજ્યગિરિના પાવન સ્પર્શે ભાવિકોમાં પ્રગટતા દ્રઢ મનોબળનો સત્ત્વનો નેત્રદીપક પુરાવો છે…

હવે વિચારીએ ત્રીજું વિશેષણ. એમાં ગિરિરાજ માટે શબ્દપ્રયોગ છે શૌર્યતીર્થ.

શૌર્ય એટલે? પરાક્રમની પરાકાષ્ઠા. આમ ભલે વ્યક્તિ શૂર-વીર-પરાક્રમી હોય, પરંતુ એનું જુંજાર જ્વલંત સામર્થ્ય સામાન્ય યુદ્ધ-સંઘર્ષમાં એટલું નથી પ્રગટતું જેટલું એ ચોતરફથી ઘેરાઈ ગયો હોય ત્યારે પ્રગટે છે. ભારતના રાજપૂતરાજાઓના યુદ્ધ ઇતિહાસમાં એવી ઘણી બાબતો કથાઓ મળે છે કે જેમાં ચોતરફથી ઘેરાઈ ગયેલો રાજા-યોદ્ધો જીવસટોસટનાં ઝનૂનથી યુદ્ધ ખેલીને કાં તો યુદ્ધની વેદી પર પોતાના પ્રાણોની આહૂતિ દઈ દે છે અને કાં તો નિશ્ચિત હારની બાજી જીતમાં પલટાવી દે. ગુજરાતના સ્થાપક વનરાજ ચાવડાના પિતા રાજા જયશિખરી માટે એવી દંતકથા પ્રચલિત છે કે યુદ્ધમાં એ એવા શૌર્યથી ઝઝૂમ્યો કે શિર કપાઈ ગયા પછી ય બે હાથમાં તલવાર સાથેનું એનું ધડ કેટલોક સમય શત્રુઓ સામે લડ્યું હતું. ભલે આ દંતકથા હો, પણ એમાં શૌર્યની રોમાંચક વ્યાખ્યા પ્રતિબંિબિત થાય છે ખરી.

ગુજરાતીમાં એક ઉક્તિ છે કે ‘‘એકે હજાર તો લાખે બિચારા.’’ આ ઉક્તિ એમ જણાવે છે કે ઘેરાઈ ગયેલ શૂરવીર વ્યક્તિ જ્યારે એકલી પણ હજાર જેવી બનીને શત્રુ પક્ષ પર તૂટી પડે છે ત્યારે સામેના લાખ શત્રુઓ ય રાંક-બિચારા બની જતાં હોય છે. ઘણીવાર શૌર્ય કેવી અદ્‌ભુત અને બાજી પલવાટી દે તેવી ચીજ છે એ આ ઉક્તિ પરથી પણ સમજાય છે.

જૈન શાસ્ત્રોએ આ ઠેઠ સુધી ઝઝુમવાની વૃત્તિને-શૌર્યને આત્મસાધના-આરાધના સાથે જોડી દઈને ‘વીર્યાચાર’નો પ્રેરક આદર્શ આપ્યો છે. ‘નાણંમિ.’ શબ્દથી શરૂ થતાં પંચાચાર સૂત્રમાં જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચારની ‘ટુ ધ પોઈન્ટ’ વ્યાખ્યા એકેક યા બે ગાથા દ્વારા પ્રસ્તુત કરાઈ છે. એમાં ‘વીર્યાચાર’નાં નિરૂપણમાં જણાવાયું છે કે ‘જુંજઈ અ જહાથામં, નાયવ્વો વીરિયાયારો.’ મતલબ કે શક્તિ-સામર્થ્યના છેલ્લા અંશ સુધી ઝઝુમવું તે છે વીર્યાચાર.

આ વીર્યાચાર કહો કે શૌર્યવૃત્તિ કહો ઃ અનેક આરાધક આત્માઓએ તીર્થાધિરાજ શત્રુંજ્યગિરિનું સાન્નિઘ્ય પામીને એનો વિકાસ એવો બેજોડ કર્યો છે કે એમની શૌર્યવૃત્તિને સહસા શત શત નમન-વંદન થઈ જાય. એવા અગણિત મુનિરાજોના ઈતિહાસ જૈન શાસ્ત્રોમાં અંકિત છે કે જેમણે પરાકાષ્ઠાના શૌર્યપૂર્વક, મુક્તિપ્રાપ્તિ અર્થે આમરણ અનશન કર્યું હોય. ન અન્ન, ન પાણી, ન ઠંડી-ગરમીનું સંરક્ષણ અને કાળમીંઢ શિલાઓની શય્યા પર મઘ્યાહ્‌નના ભયંકર સૂર્યાતાપ વચ્ચે પણ શયન; આવું સ્વૈચ્છિક બાહ્ય કષ્ટ સ્વીકારીને ભીતરથી અઘ્યાત્મમાં લીન રહેવા દ્વારા એ તમામ સાધકોએ વિપુલ કર્મનિર્જરા અને અંતે મોક્ષનું મહાન લક્ષ્ય હાંસલ કર્યું હતું!! અરે! સંસારત્યાગી મુનિવરોની ક્યાં વાત? એક સંિહની ઘટના પણ એવી નોંધાયેલી છે કે જેણે જાતિસ્મરમ જ્ઞાન થતાં હંિસાનો સર્વથા ત્યાગ કર્યો, અનશન કર્યું અને સદ્‌ગતિની પ્રાપ્તિ ગિરિરાજ પર કરી!!

આપણી આંખ સામેના વર્તમાનની વાતો વિચારીએ તો, નિકટના સમયમાં પણ અનેક શૌર્યકથાઓ આ શત્રુંજ્યગિરિરાજને સંલગ્ન એવી સર્જાઈ છે કે જે આપણાં આંખ-અંતરમાં અહોભાવની અંજન આંજે. એ તમામ નજરસમક્ષની સત્ય ઘટનાઓમાં શિરમોરસ્વરૂપ ઘટના છે દિવંગત આચાર્યપ્રવર શ્રી વિજયઅરિહંતસિદ્ધ સૂરીશ્વરજી મહારાજની.

એ જ્યારે ગૃહસ્થપણામાં પંદરેક વર્ષના હતા ત્યારે ટી.બી.ની અસાઘ્ય કક્ષાની બિમારીનો ભોગ બન્યા હતા. તબીબોએ એમના માટે સ્પષ્ટ જણાવી દીઘું હતું કે આ તરુણ માત્ર થોડા જ દિવસનો મહેમાન છે, તો શત્રુંજ્યયાત્રાની લગનથી આ અવસ્થામાં તેઓ ભાગીને પાલિતાણા આવ્યા ત્યારે કોઈ ધર્મશાળા સંચાલકોએ એમને પ્રવેશ ન આપ્યો ઃ એ ભયથી કે રાત્રે આ અવસાન પામી જાય તો જવાબદાર કોણ? થોડું ચાલવાની ય એમની શક્તિ ન હતી. એ ચાલે તો જાણે જીવતું હાડપંિજર લાગે.

આમ છતાં શ્રી શત્રુંજ્યગિરિરાજ પ્રત્યેની તીવ્ર ભક્તિથી એમણે એ અવસ્થામાં પૂર્વોક્ત ચોવિહાર છટ્‌ઠતપ સાથે ગિરિરાજની સાત યાત્રાનું અપ્રતિમ શૌર્ય દાખવ્યું. મનમાં એ દ્રઢ નિશ્ચય હતો કે ભલે પ્રાણપંખેરુ ઉડી જાય, પણ ચોવિહાર છટ્‌ઠ સાથે સાત યાત્રા તો કરવી જ છે ઃ જાણે કે રોગ સામે એમણે ‘કેસરીયા’ કર્યા!! અસંભવ લાગે તેવું પરિણામ એ આવ્યું કે એમની ચોવિહાર છટ્‌ઠયુક્ત સાત યાત્રા સરસ સંપન્ન થઈ, રોગમાં મંદતા આવી અને શત્રુંજ્યભક્તિમાંથી દીક્ષાના ભાવ પ્રગટ્યા. દીક્ષા લઈને એ ક્રમશઃ આચાર્ય અને ગચ્છનાયકપદે આરૂઢ થયા. આ સમગ્ર કાળ દરમ્યાન તેમણે વારંવાર ચોવિહાર છટ્‌ઠ સાથે ગિરિરાજની સાત સાત યાત્રા જારી રાખી. કહેવાય છે કે આજના યુગમાં સાતયાત્રા સાથેના ચોવિહાર છટ્ઠ સૌથી વઘુ સંખ્યામાં એમણે કર્યા છે!! શૌર્યતીર્થ ગિરિરાજનો આ પ્રભાવ છે કે એનાથી, માંયકાંગલી લાગતી વ્યક્તિ પણ મહારથી સમી શૌર્યવાન બની.

આપણે શૌર્યતીર્થ ગિરિરાજને ભાવનમન કરતાં ગાઈએ કે…

‘‘હે સિદ્ધગિરિ! તુજ દર્શને મુજ આત્મા પાવન થયો,

હે સિદ્ધગિરિ! તુજ દર્શને મુજ સમય મનભાવન થયો’’

શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ – જમીનથી અદ્ધર

3  1

|| જમીનથી અદ્ધર….શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ||

શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના મનોહર પ્રતિમાજી આધાર વિના જમીનથી અદ્ધર રહેલાં છે.

શિરપુર (અંતરિક્ષજી) તીર્થના ભોંયરામાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના મનોહર પ્રતિમાજી આધાર વિના જમીનથી અદ્ધર રહેલાં છે. શ્યામવર્ણના આ પ્રતિમાજી વેળુનાં છે અને અર્ધપદ્માસને બિરાજે છે. 36 ઈંચ ઊંચા આ પ્રતિમાજી ફણાસહિત 42 ઈંચ ઊંચા છે. આ પ્રતિમાની પહોળાઈ 30 ઈંચ છે.

આજે પણ અવકાશમાં અદ્ધર રહીને અંતરિક્ષ નામની ગુણનિષ્પન્નતાનો પરિચય કરાવતા આ પ્રભુજીને નિત્ય ભાવુકો રાત્રિક પ્રતિક્રમણમાં તીર્થવંદના સૂત્રમાં પ્રણમે છે. અર્ધપદ્માસને બિરાજતાં વેળુનાં આ શ્યામલ પ્રતિમાજી અત્યંત પ્રાચીન છે.

કૂર્મના લાંછનથી યુક્તશ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રાવણ નામનો મહા પરાક્રમી પ્રતિવાસુદેવ થયો. રાજ્યના મહત્ત્વના કાર્યાર્થે રાવણે એકદા પોતાના બનેવી ખરદૂષણ રાજાને દૂર દેશમાં મોકલ્યો. વિદ્યાના બળથી આકાશમાર્ગે પ્રયાણ કરતો આ રાજા ભોજનના અવસરે વિગોલી દેશમાં પહોંચ્યો. પણ આ ટેકધારી શ્રાવક જિનપૂજા વિના ભોજન કેમ કરે ? પરમાત્મ બિંબ સાથે લાવવાનું વિસરી જવાથી જિનપૂજા કેમ કરવી તે સમસ્યા ઉપસ્થિત થઈ. પોતાની ટેકને પાળવા તેણે વેળુની એક મનોહર મૂર્તિ બનાવી અને નમસ્કાર મહામંત્રના ઉચ્ચારપૂર્વક તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. આ પ્રતિમાને પૂજીને તેણે ભોજન કર્ય઼ું.

કાર્ય પૂર્ણ થતાં ખરદૂષણ રાજાએ આ પ્રતિમાજીને એક કૂવામાં પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે આ પ્રતિમાજીને ]ાળલી લીધી. દૈવી પ્રભાવથી પ્રતિમાજી વજ્રમય બન્યાં. ચિરકાળ પર્યંત આ પ્રતિમાજી કૂવામાં દેવદ્વારા પૂજાયાં.

વરાડ દેશના એલચપુર નગરનો શ્રીપાલ નામનો ચંદ્રવંશી રાજા કર્મસંયોગે ભયાનક કુષ્ઠ રોગથી પીડાતો હતો. રોગઉપશમના સર્વ ઉપચારો નિષ્ફળ નીવડયા. એકદા નગર બહાર નીકળેલો આ રાજા તૃષાતુર થયો. પાણીની શોધમાં ફરતો તે આ કૂવા પાસે આવ્યો. કૂવાના જળથી પોતાના હાથ , પગ તથા મુખ ધોઈને અને કૂવાના મધુર જલનું પાન કરીને રાજા પોતાની છાવણીમાં ગયો. શય્યામાં પોઢતાની સાથે જ રાજા પહેલીવાર નિરાંતે ઊંઘ્યો. વ્યાધિની પીડા અચાનક શમી ગઈ હતી. પ્રભાતે ઊઠતાં રાજાના હાથ , પગ તથા મુખ કુષ્ટ રોગથી રહિત બનેલાં જણાયાં. કૂવાના પવિત્ર જલનો જ

આ પ્રભાવ જાણીને રાજાએ તે કૂવાના જલથી સમગ્ર શરીરે સ્નાન કર્ય઼ું અને દૈવી ચમત્કાર થયો. વર્ષોથી વ્યાધિથી પીડાતો દેહ ક્ષણમાં કંચનવર્ણો થઈ ગયો.
આ જલના પાવિત્ર્યના રહસ્યને પામવા રાજાએ આરાધના દ્વારા કૂવાના અધિષ્ઠાયક દેવને પ્રત્યક્ષ કર્યો. સર્વ પ્રકારના વ્યાધિ અને ઉપાધિથી , ભય અને શોકથી આફત અને આપદાથી મુક્તિ અપાવનાર જલની આ પ્રચંડ તાકાતનું રહસ્ય છતું કરતાં અધિષ્ઠાયક દેવે કૂવામાં રહેલી શ્રી પાર્શ્વ પ્રતિમાની રાજાને જાણ કરી. આ પ્રતિમાના માહાત્મ્યથી પ્રભાવિત બનેલા રાજાએ દેવતા પાસેથી આ પ્રતિમા મેળવવા હઠાગ્રહ સેવ્યો.

તેના ભક્તિપૂર્ણ આગ્રહથી તુષ્ટ બનેલો ધરણેદ્ર તેને પ્રતિમા સોંપવા સંમત થયો. પ્રભાતે સ્નાન કરીને રાજા કૂવા પાસે ગયો. દેવની સૂચના અનુસાર જુવારીના સાંઠાની પાલખી બનાવીને સૂતરના તાંતણાથી બાંધીને તેણે કૂવામાં ઉતારી. દેવે પ્રતિમા પાલખીમાં મૂકી અને રાજાએ બહાર આણી , બહાર આણીને જુવારના સાંઠાના જ બનાવેલા રથમાં તેણે પ્રસ્થાપિત કરી. સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તેણે રથ ચલાવ્યો.

થોડા આગળ ગયા પછી શક્તિ હૃદયે તેણે પાછળ જોયું. તેની આ શંકાથી મૂર્તિ ત્યાં જ સ્થિર થઈ અને રથ પસાર થઈ ગયો. ઘણા પ્રયત્નો છતાં પ્રતિમાજી ત્યાંથી ચલિત ન થયાં. વડના વૃક્ષ તળે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલા આ પ્રતિમાજી અંતરિક્ષ પાર્શ્વનાથ ના નામથી પ્રસિદ્ધ થયાં.

શ્રી સંઘે બંધાવેલા ભવ્ય જિનપ્રાસાદમાં વિ.સં. 1142 ના મહાસુદ 5 ને રવિવારે વિજયમુહૂર્તે મલ્લધારી શ્રીઅભયદેવસૂરીશ્વરજીના પુનિત હસ્તે આ પ્રભાવપૂર્ણ પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. રત્નમય આભૂષણોથી શ્રી અંતરિક્ષ પાર્શ્વપ્રભુને પૂજીને શ્રીપાલ રાજાએ આરતી ઉતારી. આ સ્થાને આ રાજાએ શ્રીપુર નામનું નગર વસાવ્યું. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના આ તીર્થનો મહિમા વ્યાપક બન્યો.

કહેવાય છે કે આ પ્રતિમાની નીચેથી પનિહારી કે ઘોડેસવાર પસાર થઈ જાય તેટલી તે પૂર્વે જમીનથી અદ્ધર હતી. દૂષિત કાળના પ્રભાવે હવે માત્ર અંગલૂછણું પસાર થાય તેટલી જ અદ્ધર છે.
શ્રી ભાવવિજય ગણિના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો. તેમના જ પુનિત હસ્તે વિ.સં. 1715 ના ચૈત્ર સુદ 5 ના દિને જીર્ણોદ્ધૃત જિનપ્રાસાદની પ્રતિષ્ઠા થઈ.

====================================================

સમગ્ર વિશ્વમાં સર્વોપરિ સ્થાન શ્રીઅરીહંત પરમાત્માનું છે. અરીહંત પરમાત્માની ભક્તિથી મોક્ષ સુધીના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. વર્તમાન કાળમાં અરીહંત પરમાત્માઓમાં પણ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં જેમ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં અંતરીક્ષજી પાર્શ્વનાથનો પ્રભાવ વિશ્વપ્રસિદ્ધ છે. અંતરીક્ષ-આકાશમાં અદ્ધર રહેવાથી પરમાત્મા “અંતરીક્ષજી”ના નામે વિશ્વપ્રસિદ્ધ છે.ધરણેન્દ્ર પદ્માવતીએ પોતે જ પરમાત્માને આકાશ માર્ગથી લાવીને દેરાસરમાં સ્થાપિત કર્યા હતા. આજે પણ પરમાત્માની 42” ઇંચની પ્રતિમાની આકાશમાં નિરાલંબન સ્થિતિથી જ પરમાત્માના અધિષ્ઠાયકોની ઉપસ્થિતિ સિદ્ધ થાય છે.

આવા પરમ પાવન, પ્રગટ પ્રભાવી, અત્યંત મહિમાશાળી, પ્રાચિનતમ, ઐતિહાસિક, વિશ્વ પ્રસિદ્ધ અજાયબી સ્વરૂપ તીર્થનાં આધિપતિ શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનના સીમાંતીત વર્ણન શબ્દોમાં કરવું અસંભવ છે. માટે નજરોથી જોવા તથા આત્માથી પામવા માટે તીર્થભુમી પર આપનું આગમન અનિવાર્ય છે.

વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં રાવણ નામના પ્રતિવાસુદેવ થયા. તેમની બહેન સુપર્ણખાના પતિ પાતાળ લંકેશ રાજા ખર રાવણના સેવક રાજા હતા. રાજ્યના કામ માટે વિમાન દ્વારા આકાશમાર્ગે નીકળ્યા.ભોજનનો સમય થતા હિગોલી નગરની પાસે રહેલા જંગલમાં વિમાન ઉતાર્યું. સ્નાન વગેરે કરી પૂજા માટે તૈયાર થયા અને સેવકને જિન-પ્રતિમા લાવવાનો આદેશ કર્યો. પરંતુ પ્રવાસમાં હમેશા સાથે રહેનારી પ્રતિમા મહેલમાં રહી ગયેલી. હમેશા જિન-પૂજા પછી જ ભોજનના નિયમના પાલન માટે ખર રાજાએ પ્રતિમા બનાવવા માટી અને ગોબર ભેગા કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બનાવી, નવકારમંત્ર થી જિનેશ્વર પરમાત્માની સ્થાપના કરી પૂજા કરી. કોઈ પણ રીતે આશાતના ના થાય એ આશયથી પ્રતિમાને કુવામાં વિસર્જિત કરી, પછી ભોજન કાર્ય પતાવી, રાજાએ આગળ પ્રસ્થાન કર્યું .કુવામાં રહેલ દેવે તે પ્રતિમાને પવિત્ર-પુંજની જેમ ધારણ કરી વજ્ર જેવી બનાવી તથા ભક્તિથી જિન-પ્રતિમાની પૂજા કરતા રહ્યા.

એલચપુર(અચલપુર) નગરના ચંદ્રવંશીય રાજા શ્રીપાલને પાપ કર્મના ઉદયથી એક દિવસ કોઢ રોગ પ્રકટ થયો. જેની પીડાથી રાજા વારંવાર મૂર્છિત થવા લાગ્યો. વિવિધ ઔષધ-ઉપચાર કરવા છતાં પણ રોગથી શાંતિ ના થઈ. એક દિવસ રાજા રાજ્યમાં ભ્રમણ કરવા માટે નીકળ્યો. રાજા પાણીની શોધમાં એક આમલીના ઝાડ નીચે રહેલા કુવાની પાસે આવ્યો(જે કુવામાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા હતી). તે કુવાના પાણીથી રાજાએ હાથ,પગ,મુખ ધોયા અને સ્વચ્છ પાણી પીને પોતાની છાવણીમાં પાછો ફર્યો.

પ્રત્યેક રાત્રીમાં માછલીની જેમ તડપતો રાજા આજે શાંતિથી નિંદ્રાધીન થઇ ગયો. સવારે જાગેલા રાજાના હાથ, પગ, મુખને રોગ રહિત જોઇને રાણીએ કારણ પૂછ્યું, તથા કારણ જાણીને કુવાના પાણીથી સંપૂર્ણ સ્નાન કરીને નીરોગી બનવા જણાવ્યું. રાજાએ તે જ પ્રમાણે કર્યું અને શરીર સુવર્ણ જેવું બની ગયું.

આ ઘટનાથી આશ્ચર્યચકિત થઇને રાજા-રાણીએ અન્ન-જલ ત્યાગ કરીને કુવાના અધિષ્ઠાયક દેવની આરાધના શરુ કરી અને દર્શન આપવાની પ્રાર્થના કરી. રાજાને દ્રઢ નિશ્ચય વાળો જોઈ ત્રીજા દિવસે દેવતાએ પ્રસન્ન થઇ રાજાને પ્રતિમાના સ્પર્શથી પવિત્ર થયેલા જળથી સ્નાન કરવાનો ચમત્કાર બતાવ્યો. વધુમાં જણાવ્યુકે પાર્શ્વનાથ ભગવાનના સ્પર્શથી શ્વાસ, કાસ, તાવ, કોઢ વગેરે દૂર થાય છે. દ્રષ્ટિહીનને દ્રષ્ટિ, બહેરાને કાન, મૂંગાને વાચા, અપંગને પગ, વિર્યહીનને મહાવીર્ય, નિર્ધનને ધન,પત્ની વિનાને પત્ની, પુત્ર વિનાને પુત્ર, રાજ્ય વિનાને રાજ્ય,વિદ્યાર્થીને વિદ્યા મળે છે. ભૂત, વેતાળ, ડાકણ, શાકણ વગેરે દૂર રહે છે. દુષ્ટ ગ્રહો શાંત થાય છે. બધા જ મનોરથો પૂર્ણ કરનાર કળિયુગમાં રત્ન ચિંતામણી જેવા પરમાત્માનું શું વર્ણન કરવું? હું નાગરાજ ધરણેન્દ્રનો સેવક છું, તેમની અજ્ઞાથી અહી રહીને પરમાત્માની ઉપાસના કરું છું. આ સાંભળી રાજાએ તે પ્રતિમાની યાચના કરી, પરંતુ તે દેવે ના પાડતા કહ્યું કે, મૂર્તિ સિવાય બધી જ ઈચ્છાઓ પૂરી કરી આપું. તે પછી રાજાએ મૂર્તિની પ્રાપ્તિ વિના ઉપવાસ નહિ છોડવાનો નિર્ધાર કર્યો.

આ રીતે અન્ન-જલ ત્યાગ કર્યે સાત દિવસ વીતી ગયા, પછી ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રગટ થઈ કહ્યું “હે રાજન, તમે હઠ શા માટે કરો છો? આ મહાચમત્કારિક મૂર્તિની પૂજા તું નહિ કરી શકે,હવે તું તારા ઘરે ચાલ્યો જા. તારો રોગ દૂર થઇ ગયો, તારું કામ સિદ્ધ થઇ ગયું.” ત્યારે રાજાએ કહ્યું કે “હે ધરણેન્દ્ર દેવ! હું સ્વાર્થી નથી. મારું કામ પૂરું થઇ ગયું તો શું થયું, આખી દુનિયાના ભલા માટે મને આપ આ પરમાત્માની પ્રતિમા આપી દો. પ્રતિમા લીધા વિના મારા પ્રાણ જાય તોયે હું અહીંથી પાછો જઈશ નહિ.”

આ પછી દ્રઢ નિશ્ચયી સાધર્મિક રાજાને દેવે કહ્યું “હે રાજન! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, આથી પ્રાણોથી પ્યારી આ પ્રતિમા હું દુનિયાના ઉપકાર માટે તને જરૂર આપીશ, પણ તેની આશાતના ના થાય તે વાતનું ખાસ ધ્યાન રાખજે, નહિતર મને ખુબ દુ:ખ થશે.” આ વાત રાજાએ સ્વીકારી લીધી, ત્યારે ધરણેન્દ્ર દેવે કહ્યું કે “હે રાજન! સવારે સ્નાનાદી કરી કુવા પાસે આવી, નાની પાલખી બનાવી,તેને કાચા સુતરના દોરથી બાંધી કુવામાં ઉતારજે. હું તેમાં પ્રતિમા મૂકી દઈશ, ત્યારબાદ તેને બહાર કાઢી, વધાવીને તેને નાડીરથમાં પ્રસ્થાપિત કરજે. રથ સાથે સાત દિવસના જન્મેલા વાછરડાને જોડીને તું આગળ સાથે ચાલજે. રથ જાતે તારી સાથે પાછળ આવશે. પરંતુ જતી વખતે તું પાછળ ફરીને જોઈશ નહિ, નહીતર આ પ્રતિમા ત્યાં જ અટકી જશે. પંચમ કાળ હોવાને લીધે અદ્રશ્ય રૂપે હું આ મૂર્તિને અધિષ્ઠિત રહીશ અને ઉપાસકોના મનોરથો પૂર્ણ કરીશ.” આટલું બોલી ધરણેન્દ્ર દેવ ચાલ્યા ગયા.

સવારે આજ્ઞા અનુસાર રાજાએ કર્યું અને મૂર્તિને લઈને અચલપુર તરફ પ્રયાણ કર્યું.વચ્ચે માર્ગમાં આવતા રથ વિષે શંકા જાગી, તેણે અધીરાઈથી પાછળ જોયું, તે સમયે રથ આગળ નીકળી ગયો અને મૂર્તિ ત્યાં વટવૃક્ષ નીચે સાત હાથ અધ્ધર આકાશમાં સ્થિર થઇ ગયી.

માર્ગમાં પ્રતિમા સ્થિર થવાથી રાજા ખુબ દુ:ખી થયો, ફરીથી આરાધના કરી ધરણેન્દ્ર દેવને વિનંતી કરી. ધરણેન્દ્ર દેવે કહ્યું “આ પ્રતિમા હવે અહીં જ રહેશે.” રાજાએ ધરણેન્દ્ર દેવની સુચના અનુસાર રંગમંડપથી સુશોભિત વિશાળ મંદિર બનાવ્યું. મંદિર જોઇને રાજાને મંદિર અને પરમાત્માની સાથે પોતનું નામ વિશ્વમાં અમર થવાનું મિથ્યાભિમાન જાગ્યું. આથી પ્રતિષ્ઠા કરવા રાજાએ જયારે પરમાત્માને મંદિરમાં પધારવા વિનંતી કરી ત્યારે તે નિષ્ફળ રહ્યો. ત્યારે ધરણેન્દ્ર દેવ પણ રાજાના બોલાવવા છતાં હાજર થયા નહિ.

આ ઘટનાથી દુ:ખી રાજાના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું “હે રાજન! હવે એક જ ઉપાય છે. સર્વ શાસ્ત્ર વિશારદ,રાજાઓના વંદનીય, દેવતાઓની સહાયતાવાળા, મલ્લધારી મહાપદથી વિભૂષિત અભયદેવસૂરી નામના એક આચાર્યશ્રી છે. ગયા વર્ષે ખંભાતથી સંઘ સાથે માણીકય દેવની યાત્રા કરવા માટે કુલપાકજી તીર્થ પધાર્યા છે. અત્યારે તેઓ દેવગીરી-દૌલતાબાદમાં બિરાજે છે. તેઓ જો અહી બિરાજે તો આપણું ઈચ્છિત પૂર્ણ થાય. રાજાની આજ્ઞા લઇ મંત્રી આચાર્યશ્રી પાસે પહોંચ્યા. તેઓ આચાર્યશ્રીને લઈને ત્યાં આવી પહોંચ્યા. આકાશમાં નિરાલંબ રહેલી પ્રતિમા જોઇને આચાર્યને પણ આશ્ચર્ય થયું. રાજાના મોઢે આખી ઘટના સાંભળી આચાર્યશ્રીએ ત્રણ દિવસના ઉપવાસ કરીને ધરણેન્દ્ર દેવને આહ્વાન કર્યું. ધરણેન્દ્ર દેવે આવીને આચાર્યશ્રીને કહ્યું “રાજાના મીથ્યાભીમાનના કારણે રાજાના મંદિરમાં પરમાત્મા હવે પ્રવેશ નહિ કરે, પરંતુ જો સંઘનું મંદિર બનાવવામાં આવે તો ત્યાં પ્રતિમા પ્રવેશ કરશે.”

ધરણેન્દ્રની વાત સાંભળી આચાર્યશ્રીએ સંઘને સુચન કર્યું અને સંઘે તરત આચાર્યશ્રીની આજ્ઞા અનુસાર જિનમંદિર બનાવ્યું. ત્યાર પછી આચાર્ય દ્વારા પ્રાર્થના કરવાથી દેવતાઓથી સંક્રમિત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાએ બધા લોકોની સામે આકાશમાંથી ઉતરીને શ્રાવકોએ બનાવેલા જિનાલયમાં પ્રવેશ કર્યો. જિનાલયમાં પણ પ્રતિમા જમીનથી સાત આંગળ અધ્ધર જ રહી. વી.સં. 1142ના મહા સુદ – પાંચમને રવિવારે વિજય મુહુર્તે આચાર્યશ્રીએ પશ્ચિમ દિશા સન્મુખ પ્રતીમાજીની પ્રતિષ્ઠા કરી. તીર્થરક્ષાહેતુ જમણી બાજુ શાસનદેવની પણ સ્થાપના કરી. (રાજાનું જે મંદિર ખાલી રહ્યું તે “પવલી મંદિર”ના નામથી પ્રસિદ્ધ થયું.) પ્રતિષ્ઠા સમયે શ્રીપાલ રાજાએ પરમાત્માને અનેક રત્નોથી સુશોભિત મુગટ, કુંડળ, હીરાની તિલક, મોતીનો હાર, સોનાની આંગી અને અમૃત વરસાવનારા ચક્ષુ ચઢાવ્યા. શ્વેત છત્ર અને તેજોમય ભામંડળની સ્થાપના કરી તથા અજ્ઞાનના અંધકારને દૂર કરનારી આરતી ઉતારી.

આચાર્યશ્રીએ રાજાના મસ્તક ઉપર વાસક્ષેપ કરીને “સંઘ પતિ”ની પદવી આપી. ત્યારબાદ રાજાએ ત્યાં નગર વસાવ્યું. શ્રીજી(પ્રભુ)નો વાસ હોવાથી તે નગરનું નામ “શ્રીપુર” રાખવામાં આવ્યું. જે કુવામાંથી પ્રતિમાજી કાઢવામાં આવ્યા હતા, તે કુવા પર રાજાએ એક કુંડ બનાવડાવ્યો, જેથી તે પવિત્ર જળથી પ્રાણી માત્ર ઉપર ઉપકાર થતો રહે.

એકવાર શ્રી ભાવવિજયજી ગણી નામના શ્વેતાંબર મુનિ મહાત્મા સંઘની સાથે આ તીર્થની યાત્રા કરવા આવ્યા. તેમની બંને આખોની ગયેલી દ્રષ્ટિ અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી પાછી મળી. ત્યારબાદ શાસન દેવતાની સૂચના અનુસાર મહાત્માની પ્રેરણાથી જિનાલયનું વિસ્તૃતીકરણ સહિત પુન:નિર્માણ થયું. વી.સં. 1715 ના ચૈત્ર સુદ – 6 ને રવિવારના શુભ દિવસે અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની પુન: પ્રતિષ્ઠા પૂર્વ દિશા સન્મુખ થઇ. ત્યારે પરમાત્મા જમીનથી કેવળ એક જ આંગળ અધ્ધર રહ્યા.(ભૂગર્ભમાં રહેલા અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં બીજું એક ભૂગર્ભ છે. જેમાં પહેલા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ પશ્ચિમ દિશા સન્મુખ બિરાજમાન હતા, ત્યાં આજે બીજા અધિષ્ઠાયક દેવ બિરાજમાન છે. પુન: પ્રતિષ્ઠા કરાવનાર ભાવવીજયજી ગણીના ગુરુ શ્રી વિજય દેવસુરીજીના પાદુકા બિરાજમાન છે.)

17મી સદીના ઉત્તરાર્ધમાં શિવાજી મહારાજે મોગલોથી મંદિરની રક્ષા કરવા માટે પોલકર(યાદવ) જાતિના ચાર સરદારોને મોકલ્યા ત્યારથી આ મંદિરનો વહીવટ પોલકરોએ સંભાળ્યો. કેટલાક સમય બાદ પોલકરોના વહીવટમાં શીથીલતા આવી. મંદિરનો વહીવટ પોતાના હાથમાં લઇ તેને વ્યવસ્થિત કરવાના હેતુથી શ્વેતાંબરોએ પ્રયત્નો શરુ કર્યા. તે વખતે દિગંબર જૈન સમાજના લોકો પણ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ રાખતા હતા, તેથી તેમની મદદ લઇ વી.સં. 1959માં (તા. 10/09/1903ના દિવસે) શ્વેતાંબરોએ પોલકર પૂજારીઓ પાસેથી અલંકાર સહિત તીર્થને કબજામાં લીધું.