|| જૈન ધર્મમાં કોરા જ્ઞાાનની કોડીનીય કિંમત નથી જ્ઞાાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાાન બને છે ||
ભગવાન મહાવીરનો માર્ગ વિશિષ્ટ અને વિશદ છે. તેમની આર્ષ દૃષ્ટિની બહાર કંઈ જ રહ્યું નથી. તેમણે જે જોયું તે કહ્યું. જીવનની બે જ સંભાવનાઓ છે. મોત અને મોક્ષ. મોત એટલે જીવનું સંસારમાં આવાગમન. જન્મ-જરા અને મૃત્યુ. તેની ઘટમાળમાં સર્વ જીવો જકડાયેલા છે. આ ઘટમાળની બહાર નીકળી જવું અને આનંદમાં સ્થિત થવું એટલે મોક્ષ. ભગવાન મહાવીરે દર્શાવેલ મોક્ષ એટલે પરમાત્મપદ. તે મેળવવા માટે તેમણે જે માર્ગ બતાવ્યો તે સુરેખ અને સ્પષ્ટ. ભગવાનની ભાવના હતી કે સંસારના સર્વ જીવોને મોક્ષ માર્ગે ચઢાવી દઉં જેથી તેમના ઉપર ક્યારેય દુ:ખની છાયા પણ ન અડે. આ માટે તેમણે તલસ્પર્શી ચિંતન કર્યું અને સર્વ જીવોને માટે સરળ અને સુલભ બની રહે તેવા માર્ગનું નિરૃપણ કર્યું અને પોતે સ્વયં તેના ઉપર યાત્રા કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.
જૈનધર્મ આમ તો જ્ઞાનપ્રધાન અને ધ્યાનપ્રધાન છે, પણ આ માર્ગે તત્કાળ આગળ વધવાની સર્વ જીવોની ક્ષમતા હોતી નથી તેથી ગણધર ભગવંતોએ પંચાચારનું નિર્દેશન કર્યું. આ પાંચ આચારો સર્વ જીવો માટે સરળ અને સુલભ છે. જે માણસ આ પાંચ આચારોનું નિત ભાવપૂર્વક પાલન કરે છે તે મોડો-વહેલો મોક્ષમાર્ગે આવી જાય છે. પંચાચારમાં સાધકને સિદ્ધિપદ સુધી પહોંચાડવાની ક્ષમતા છે. આમ પંચાચાર જૈનધર્મનો રાજમાર્ગ છે જે અંતે સિદ્ધશિલા ઉપર જઈને વિરમે છે. જેના હૈયામાં સિદ્ધિપદ મેળવવાનો ભાવ હોય તેના માટે પંચારા એ પૂર્વાચાર જેવો છે. તેથી લેખકે તેમની ‘જૈન આચાર મીમાસાં’માં વિગતે ચર્ચા કરી છે.
જૈનધર્મમાં જે પાંચ આચારોનું આટલું બધું મહત્ત્વ છે તે છે : દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેમાંથી આપણે થોડાક સમય પહેલાં દર્શનાચારની વાત કરી હતી. વાસ્તવિકતામાં દર્શન એ જ્ઞાનનું જનક છે. સામાન્ય રીતે પ્રથમ દર્શન ઊતરે જેનાથી વસ્તુનું સામાન્યજ્ઞાન થાય જેને કારણે વિષય ઉપર શ્રદ્ધા થાય પણ વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષમાર્ગે આગળ ન વધાય. સંસારમાં કેવળ જૈનધર્મે જ દર્શન અને જ્ઞાનને જુદાં પાડી તેનું નિરૃપણ કર્યું છે. બાકી સર્વ ધર્મોએ તેમને એકબીજાના પર્યાય જેવાં ગણ્યાં છે. જે મોક્ષમાર્ગના યાત્રી માટે જ્ઞાનાચાર અતિ મહત્ત્વનો છે. તેમાં જ્ઞાનપ્રાપ્તિની વાત આવે જેનાથી ગભરાઈ જવાની જરૃર નથી. જ્ઞાનાચારના પાલન માટે બહુ વાંચવાની કે અભ્યાસ કરવાની જરૃર નથી. તે માટે જરૃર છે સાચી સમજણની.
જે જ્ઞાન મોક્ષમાર્ગે ન લઈ જાય અને સંસારમાં રખડાવે તેને જૈનધર્મ જ્ઞાન નથી ગણતો પણ મિથ્યાજ્ઞાન કહે છે. જૈન ધર્મમાં કોરા જ્ઞાનની કોડીનીય કિંમત નથી. જ્ઞાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાન ગણાય. બાકી બધી માહિતી. માહિતીનાં પોટલાં ઊચકીને માણસ ફર્યા કરે તેને જૈન ધર્મ જ્ઞાની નથી કહેતો. વળી આગમોમાં કહેવાયું છે કે જે જ્ઞાન વિરતીમાં-સંયમમાં ન પરિણમે, જે જ્ઞાનની પ્રાપ્તિ પછી ચરિત્ર ન આવે-આચરણમાં ન ઊતરે તે જ્ઞાન નિરર્થક છે. કેવળ ભારરૃપ છે. જ્ઞાનાચાર સત્યની પ્રાપ્તિ માટેનો આચાર છે.
જૈન ધર્મ પ્રમાણે જ્ઞાન બહાર નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૃપ છે પણ જ્ઞાનની આડે જ આવરણો આવેલાં છે તેને કારણે આત્મા અજ્ઞાનમાં કૂટાય છે. આખો જ્ઞાનાચાર આત્મામાં પડેલા જ્ઞાનનો ઊઘાડ કરવામાં આવી જાય છે. વાસ્તવિકતામાં જ્ઞાનમાં કંઈ નવું મેળવવાનું નથી પણ આત્માની જ્યોતિ આડે જે આવરણો આવેલા છે – ”પડળો પડેલાં છે તેને ખસેડવાની વાત જ્ઞાનાચારમાં છે. જૈન ધર્મની આ સૂક્ષ્મ વાત છે. જ્ઞાનાચારના સાધકે આ વાત સમજીને અન્ય આચારોમાં આગળ વધવાનું છે.”
જૈન ધર્મે બોધને જ્ઞાન કહ્યું છે. સંસારમાં શું જાણવા જેવું છે, શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તે સમજાવે અને જે પ્રાપ્તવ્ય હોય તે તરફ પ્રવૃત્તિ કરવાનો માર્ગ બતાવે તેને જ જૈનધર્મ જ્ઞાન કહે છે. ધર્મ માર્ગમાં જ્ઞાનની ઘણી મહત્તા છે કારણકે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં જાણ્યા વિના જે પ્રવૃત્તિ કરે છે તે ભટકી જાય છે. સંસારના મોટાભાગના ધર્મો આચારપ્રધાન અર્થાત્ કે ક્રિયાપ્રધાન છે. આચારને પ્રથમ ધર્મ માનવામાં આવે છે, પણ જૈનધર્મે આચારોની આરાધના માટે જ્ઞાનને આવશ્યક ગણ્યું છે તેથી જૈન ધર્મમાં સૂત્ર છે. જ્ઞાાન ક્રિયાભ્યાં મોક્ષ: એટલે કે મોક્ષની સિદ્ધિ માટે જ્ઞાન અને આચાર (ક્રિયા) બંને આવશ્યક છે.
આચારોમાં સિદ્ધિ સુધી પહોંચવાની ક્ષમતા હોય છે, પણ જ્ઞાન વિનાનો આચાર સમજણ વિનાની પ્રવૃત્તિ જેવો છે જે સાગરમાં તરતી-અથડાતી દિશા વિહીન નૌકા જેવો છે. તે પ્રવાસ ઘણો કરે પણ લક્ષ્ય સુધી પહોંચે નહિ. જે જીવનના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય તેણે તો જ્ઞાનના અજવાળામાં લક્ષ્યને નજરમાં રાખીને પોતાની યાત્રા કરવી રહી. ધર્મ માર્ગમાં જ્ઞાનનું ઘણું મહત્ત્વ છે. જ્ઞાન આચારને દિશા આપે છે અને આચારોમાં પ્રાણ પૂરે છે. આમ મોક્ષમાર્ગમાં જ્ઞાનાચાર અનિવાર્ય બની જાય છે. જ્ઞાાનાચારને આપણે એક રીતે સત્યદર્શન પણ કહી શકીએ કારણ કે તે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં ઓળખાવે છે.
જ્ઞાનાચાર માટે ચાર વસ્તુની અપેક્ષા રહે છે. એક તો જ્ઞાનની વિશુદ્ધિ. બીજી છે એકાગ્રતા-તન્મયતા. ત્રીજી વાત છે સ્વયંમાં સ્થિર થવાની અને ચોથી બાબત છે અન્યને પણ સત્યમાં પ્રતિષ્ઠિત કરવાની. આ રીતે જૈનધર્મનો જ્ઞાનાચાર મોક્ષમાર્ગી માટે એક આવશ્યક પૂર્વાચાર બની રહે છે.