શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી

2

|| શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી ||

”મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી”

શ્રીમદ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીજીની આધ્યાત્મિક ભીડ સમયે માર્ગ દર્શાવનારા બન્યા અને મોહનદાસમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ સહુથી વધુ કોઈના જીવનમાંથી ધર્મવિચાર ગ્રહણ કર્યા હોય તો તે શ્રીમદ્ રાજચંદ્રજીના.

અલ્પ આયુષ્યકાળ હોવા છતાં જગતને શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી જગતને કેટલું બધું પાથેય સાંપડયું છે કે જેને સમજવા માટે માનવનું દીર્ઘાયુષ પણ ઓછું પડે. એમની સ્મરણશક્તિ, જાતિસ્મૃતિજ્ઞાન કે અવધાનના પ્રયોગ દ્વારા એમના પૂર્વ સંસ્કારો અને પ્રબળ સ્મૃતિનો પરિચય મળે છે. શતાવધાનને પરિણામે પોતાની કીર્તિ સતત ફેલાતી હતી, ત્યારે આ બાહ્ય સિદ્ધિઓને ક્ષણભરમાં ત્યાગીને શ્રીમદ્ રાજચંદ્રજીએ આંતર સિદ્ધિઓની ગરિમા બતાવી. એમનાં કાવ્યો, પત્રો અને ગદ્યગ્રંથો દ્વારા આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો મનુષ્યજાતિને માટે અનુપમ આલેખ આપ્યો. સ્વયંની દિવ્યજ્યોતિથી કેટલાય જીવોના જીવનને પ્રત્યક્ષ અને એ પછી પરોક્ષ રૃપે પ્રકાશિત કર્યાં.

એમના નિર્દોષ ચારિત્ર્યમય ચરિત્ર અને એમની સાહજિક વીતરાગવૃત્તિથી તેઓ ભગવાન મહાવીરના મૂળમાર્ગના પ્રદર્શક બની રહ્યા. તેઓએ ધર્મનાં ગૂઢ રહસ્યોને સરળ વાણીમાં સાચા સ્વરૃપે પ્રગટ કર્યાં. આમ, સ્વયં અમૃતપદ પામીને જગતને કાજે આત્માનો અમૃત પ્રકાશ વેરનાર શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાાને વિશ્વને યોગ્ય માર્ગ બતાવ્યો.

આવા શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્યપ્રકાશિત જીવનની થોડીક ઘટનાઓ અને તેનાં રહસ્યો અને મર્મો જિજ્ઞાસુઓને સાંપડે અને તેમનામાં જિજ્ઞાસા જાગે એ હેતુથી આગામી તા. ૨૨ એપ્રિલ શુક્રવારે અને ૨૩ એપ્રિલ શનિવારે સાંજે છ વાગ્યે અને ૨૪મી એપ્રિલ રવિવારે સવારે ૧૦ વાગ્યે ભારતીય વિદ્યાભવન (ચોપાટી)માં ડો. કુમારપાળ દેસાઈની જ્ઞાનગહન, ચિંતનયુક્ત છટાદાર વાણીમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. પણ શ્રીમદ્ રાજચંદ્ર કથામાં પ્રવેશ કરતાં પૂર્વે એ સમયનો પણ વિચાર કરવો જોઈએ. ઈ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની વિફળતા પછી ભારતની ભૂમિ પર આશાનાં કિરણો પ્રસરી રહ્યાં હતાં. દેશની ક્ષિતિજ પર કેળવણી, સમાજ-સુધારણા અને નવજાગૃતિનું પરોઢ ઊગી રહ્યું હતું. રાજા મનમોહનરાયે સતીની પ્રથા જેવી કુરૃઢિઓ સામે પ્રચંડ વિરોધ જગાવ્યો હતો. બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા નવીન ધર્મવિચારણાનો પ્રારંભ થઈ રહ્યો હતો.

બીજી બાજુ જડ ક્રિયાકાંડ, દાંભિક ધર્મચરણો, ધનની આછકલાઈથી ભરેલા ઉત્સવો અને રૃઢ માન્યતાઓએ સમાજને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. ધર્મનાં આચરણો થતાં હતાં, પણ ધર્મની મૂળ ભાવના અને એનું અંતિમ ધ્યેય વિસરાઈ ગયું હતું. ધર્મવિચાર અને ધર્મને નામે થતાં આચરણ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ હતી.

આ સમયે વિધિનો સંકેત હોય તેમ ભારતની ભૂમિ પર બે મહાન વિભૂતિઓનું પ્રાગટય હતું. એક અધ્યાત્મના શિખર સમા જૈન ધર્મના મૂળમાર્ગપ્રબોધક શ્રીમદ્ રાજચંદ્રજીનું અને બીજા દેશને સર્વાંગી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીનું. મહાત્મા ગાંધીજીના જન્મ પૂર્વે પોણા બે વર્ષ અગાઉ સૌરાષ્ટ્રના મોરબી નજીકના વવાણિયા બંદર નામના નાના ગામમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. મહાત્મા ગાંધીજીનો એ જ  સૌરાષ્ટ્રની ભૂમિના પોરબંદર ગામમાં જન્મ થયો. શ્રીમદ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીજીની આધ્યાત્મિક ભીડ સમયે માર્ગ દર્શાવનારા બન્યા અને મોહનદાસમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ સહુથી વધુ કોઈના જીવનમાંથી ધર્મવિચાર ગ્રહણ કર્યા હોય તો તે શ્રીમદ્ રાજચંદ્રજીના. આ બંને આ ભૂમિ પર અમૃતવર્ષા બનીને આવ્યા. એમણે મા વસુંધરાને યથાયોગ્ય ધર્મ અને કર્મથી શોભાવી.

આ તો થઈ બહારની દુનિયાની વાત, પણ વિભૂતિનો પ્રકાશ દુનિયાની એક જ બાજુને અજવાળતો નથી. એ મુમુક્ષુના હૃદયને પ્રેરે છે, તો સાથે માનવીના જીવનને જીવવાનો અર્થ અને દૃષ્ટિકોણ આપે છે.

વીતરાગ માર્ગ પર જામી ગયેલા રાગભર્યા વ્યવહારો અને આચારોને દૂર કરીને શ્રીમદે શુદ્ધ માર્ગનો પ્રકાશ આપ્યો. એમને કોઈ નવીન પંથ પ્રવર્તાવવો નહોતો. એમને તો વીતરાગપ્રણીત માર્ગને યથાર્થ રીતે દર્શાવવો હતો. એ માર્ગમાં પરસ્પરનાં શાસ્ત્રોનું સાદર વાંચન થાય, જુદા જુદા ફિરકાઓ વચ્ચે એકતા સધાય અને અન્યની સમૃદ્ધિ દ્વારા સ્વયંની અપૂર્ણતા દૂર થાય એવો શ્રીમદ્નો આશય હતો.

એમનામાં નાની વયથી જ માર્ગનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા પ્રવર્તતી હતી અને તેથી જ મૂળ માર્ગ પર લક્ષ કરીને અને પરમ શ્રુતની આરાધના કરીને શ્રીમદે અવનિને એ અમૃત ફરી પાછું ધર્યું. જૈન ધર્મના સિદ્ધાંતોના નિચોડ સમા ગ્રંથો રચ્યા. એમનામાં કવિતા અને તત્ત્વજ્ઞાાન એવા લય અને તાલ સાથે પ્રગટ થયા કે અગણિત મુમુક્ષુઓના અંતરમાં એનું અવિરત ગુંજન અદ્યાપિ ચાલ્યા કરે છે.

શ્રીમદ્નું જીવન સ્વયં એક સંદેશ બની ગયું. બાહ્ય ઉપાધિ અને પ્રબળ વ્યાધિ વચ્ચે જીવતા માનવીને માટે એ જીવન સમતાનો શીળો છાંયડો બની ગયું. એમણે ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મકલ્યાણના ઊર્ધ્વ શિખરનો સાધનાપંથ બતાવ્યો. એમનાં વચનોમાં હૃદયપરિવર્તનની શાંત તાકાત હતી. એમના આત્મલક્ષી ચિંતનમાં બાહ્ય જગતમાં ભમતા માનવીને ભીતરમાં ખોજ કરવાનું આહ્વાન હતું.

શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ ગચ્છ, મત કે સંપ્રદાયની તરફેણ કરી નહીં, કિંતુ આત્મધર્મની પ્રધાનતા દર્શાવી છે. શ્રીમદ્જીના પત્રોએ અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવામાં ખૂબ સહાય કરી છે. શ્રીમદ્ના શબ્દેશબ્દમાં એ પ્રતીત થાય છે કે તેઓ અન્ય દર્શનનું ખંડન કર્યા વિના જિનદર્શનની શ્રેષ્ઠતા દર્શાવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયાનો સુમેળ તથા નિશ્ચય અને વ્યવહારનો સમન્વય તેઓના તત્ત્વચિન્તનમાં પ્રગટ થાય છે. આમ આ તત્ત્વજ્ઞાન આ સમયમાં અનેક જિજ્ઞાસુઓને મુમુક્ષુ બનાવી દે છે.

શ્રીમદ્ જીવનવ્યવહારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિઓનાં ચક્રમાં ફસાયેલા માનવીઓ માટે સુખનો વિસામો બની ગયા. બાહ્ય ઉપાધિમાં વધુ ને વધુ ડૂબતા જતા આધુનિક માનવીને માટે શ્રીમદ્ આંતરિક સમાધિનો સંદેશ બની ગયા. આડંબરો અને વૈભવ-પ્રદર્શનોમાં ધર્મ માનીને રાચનારાઓના હૃદયને ઢંઢોળનાર ધર્મોપદેશક બની ગયા.

મતાર્થમાં ખૂંપેલા જ્ઞાનીઓને આત્માર્થ તરફ જવાનો સંકેત આપનારા બની રહ્યા. હિંસાથી સત્તા અને યુદ્ધથી સામ્રાજ્ય હાંસલ કરવાના નશામાં ડોલતા સત્તાધીશોને અહિંસાના અડગ અને પ્રબળ તાકાતનો અંદાજ આપનારા બની ગયા. જીવનના સ્થૂળ ભાવોની શબ્દલીલામાં રાચનારાને માટે આધ્યાત્મિક અપૂર્વ અવસર આલેખનારા કવિ બની ગયા.

‘મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી,’ એમ કહેનાર શ્રીમદ્નાં વચનો ભેદદૃષ્ટિ કે મતાગ્રહ છોડીને આત્મકલ્યાણનો માર્ગ પામવાનો પડકાર કરે છે. શુષ્ક જ્ઞાન કે જડ ક્રિયાનો નિષેધ કરવાની સાથોસાથ સમર્પણશીલ ભાવયુક્ત ભક્તિને સર્વોત્કૃષ્ટ માર્ગ તરીકે દર્શાવે છે. ”બીજું કશું શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધ” કહેનારા શ્રીમદે સદ્ગુરુનું માહાત્મ્ય બતાવ્યું. આત્મજ્ઞાન વિનાના ગુરુ તે સદ્ગુરુ નહિ એમ ભારપૂર્વક કહ્યું. શ્રીમદ્ના આવા ક્રાંતિકારી વિચારો અંગે એ સમયે વખતોવખત એમનો વિરોધ થયો હતો એ એમણે નિ;સ્પૃહભાવે સહ્યો હતો.

શ્રીમદ્નું વ્યક્તિત્વ જ વૈરાગ્ય-પ્રેરક હતું અને એમની શક્તિઓ અસાધારણ હતી. તેઓ એકાંતમાં રહી સ્વાધ્યાય, મનન અને ધ્યાનમાં સમય પસાર કરતા અને લોકસમૂહથી દૂર જંગલોમાં અને પહાડોમાં, નિર્જન સ્થળમાં કે વૃક્ષની નીચે ધ્યાન ધરતા હતા. જીવનમાં સંયમ, આહારમાં સાદાઈ અને સર્વ રીતે નિ;સ્પૃહી રહેવાની એમની વૃત્તિ એમના સત્સંગમાં આવનારને સ્પર્શી જતાં.

આવા શ્રીમદ્ રાજચંદ્રજી એક સમર્થ આત્મજ્ઞાાની મહાત્મા હતા. તેઓનું અધ્યાત્મજીવન અને તેઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૃપ બન્યો છે. અપૂર્વ સ્મરણશક્તિના દર્શાવનાર, જ્યોતિષવિદ્યાના અભ્યાસી, આજન્મ કવિ એવા શ્રીમદ્ રાજચંદ્રજી કીર્તિની ટોચે પહોંચ્યા હતા, ત્યારે તેમણે આ બધી બાબતને પરમાર્થબાધક ગણીને, સર્પ કાંચળી ઉતારી દે તેમ જગતને આંજી દેનારાં બાહ્ય પ્રદર્શનોને તૃણવત્ ગણીને સહજતાથી ત્યાગ કર્યો. એ પછી શ્રીમદ્જીએ પોતાના જીવનમાં આધ્યાત્મિકતાને જ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરી.

સં. ૧૯૨૪માં જન્મ ધારણ કરનાર શ્રીમદ્ રાજચંદ્રજીએ સં. ૧૯૪૭માં શુદ્ધ સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું અને તેઓ આંતરિક રીતે તીવ્ર ગતિએ પ્રગતિ કરતા રહ્યા. આ ખરેખર અનન્ય, અપૂર્વ અને અલૌકિક ઘટના ગણાય.

એમનો જીવનપ્રકાશ એવી રીતે પ્રસાર્યો કે એમાંથી સહુ કોઈને સમયે સમયે જીવનની ઊર્ધ્વયાત્રાનો વિરલપંથ દૃષ્ટિગોચર થતો ગયો.

શ્રીમદ રાજચંદ્ર

1

|| શ્રીમદ રાજચંદ્ર ||
ગાંધીજીના આઘ્યાત્મ ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ૯-૧૧-૧૮૬૭માં દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ પંચાણભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨ થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ એકસાથે બાવન ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં તેમ મનાય છે. પત્ની ઝલકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિનાં ઉચ્ચ શિખરો સર કર્યા. ૩૩ વર્ષની વયે ૯-૪-૧૯૦૧નાં રોજ દેહત્યાગ કર્યો.
  • ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
  • પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
  • સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને  સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
  • ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
  • આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
  • સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
  • પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
  • જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
  • 14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
  • 17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને  પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
  • અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
  • ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
  • ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
  • 23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
  • ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ  નિવૃત્તિ
  • ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા   એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
  • ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
  • તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ.
  • તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના  પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
  • સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

અપૂર્વ અવસર

1

|| અપૂર્વ અવસર ||

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

 

વાગોળવા જેવા વિચાર

A

|| વાગોળવા જેવા વિચાર ||

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.

[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

[14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.

[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.

[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.

[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.

[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે.

હૃદયરેખા

A

|| હૃદયરેખા ||

[1] જિંદગીનું મહાન સત્ય મારા મત મુજબ એ છે કે જિંદગી એક દીર્ધતમ પ્રલંબ પ્રહસન છે. પ્રત્યેક અંકમાં આપણું પાત્ર બદલાતું રહેવાનું છે. પ્રત્યેક અંકમાં આપણી વેશભુષા પાત્રને અનુરૂપ બદલાતા રહેવાનાં, પ્રત્યેક અંકમાં આપણા સંવાદો બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં આપણી અદાઓ બદલાતી રહેવાની, પ્રત્યેક અંકમાં આપણા હાવભાવ બદલાતા રહેવાના, પ્રત્યેક અંકમાં છાયા-પડછાયા અને સાઉન્ડ ઈફેકટ અલગ અલગ રહેવાના. બેકગ્રાઉન્ડ બદલાતા રહેવાના અને એટલું જ નહિ, પ્રત્યેક પ્રસંગે, પ્રત્યેક સ્થળે પ્રેક્ષકો પણ બદલાતા રહેવાનાં. ક્યાંક તાળી મળે, ક્યાંક ટીકા-ટીપ્પણ અને ટીખળ સાંભળવાની તૈયારી રાખવી પડે.

[2] પ્રત્યેક જિંદગી ભાવ અને અભાવ વચ્ચે હલેસા ખાતી રહે છે. જિંદગીનું આ પણ એક સત્ય છે. જિંદગીની એક વ્યાખ્યા મુજબ જિંદગી એટલે, ‘અપેક્ષિત વસ્તુઓનો અભાવ અને અનઅપેક્ષિત વસ્તુ માટે મુકાબલો.’ માંગ્યુ મળી જાય તો ચમત્કાર અને ધાર્યું ન થાય તો સહન કરવાનો વારો. માણસની જિંદગીમાં અપેક્ષાઓનો અંત નથી. ઈચ્છા, આશા, અપેક્ષાઓની લાંબી વણઝાર પડી છે. તમે એકને ન્યાય આપો ત્યાં બીજી ઊભી. બીજી માંડ પૂરી થાય ત્યાં વળી ત્રીજા આગળ. ઈચ્છાઓ જિંદગીને અજગરની જેમ ભરડો લે છે અને પછી આખી જિંદગી માણસ તેની ઈચ્છાઓની તૃપ્તિ માટે તડપે છે અને તે માટે તુટતો જાય છે, ખતમ થતો જાય છે. આમ જોવા જઈએ તો ભાવ અને અભાવ વચ્ચેનું શીતયુદ્ધ આખી જિંદગી ચાલતું રહે છે. ક્યારેક વિજયની પળનો આસ્વાદ તો ક્યારેક પરાજય પામ્યાનો હતાશાભાવ.

[3] પ્રશ્ન છે કે જિંદગી એટલે શું ? જિંદગીના અર્થ છે તો જિંદગીના અર્થ ન સમજવામાં અનેક અનર્થ પણ છે. જિંદગી અર્થ, ધર્મ, કામ અને મોક્ષના ચાર પાયા પર રચાયેલી સજીવ કલાકૃતિ જ છે. જન્મથી કંડારાતી આ કૃતિમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના વિધવિધ અંગ આકાર હોય છે. સહુ કોઈ અહીં જીવે છે, જિંદગી પોતપોતાના પોતીકા ખ્યાલો સાથે, પોતપોતાના ખ્વાબો સાથે, પોતપોતાની ખૂબીઓ સાથે, પોતપોતાની ખામીઓ સાથે, ખાલીપા સાથે, ખાસીયતો સાથે, પોતપોતાની રૂઢીઓ, રીવાજ સાથે, પોતપોતાની પરંપરા સાથે. કોઈ રીતિ નીતિને ખંડીત કરીને તો કોઈક નવા રૂપે સ્વરૂપે મંડીત કરીને. કોઈનો જિંદગી માટેનો મતલબ છે માત્ર જીવવું તે જ. કોઈ જિંદગીમાં ધર્મનો ધોળો ધાબળો ઓઢીને ફરે છે તો કોઈ જિંદગીમાં કામની કાળા કરતુતોની કાળી કાળી કામળી ઓઢીને ફરે છે. કોઈને મર્યા પછી પણ મોક્ષનો મોહ જતો નથી કરવો તો કોઈ અર્થ માટે થઈને જિંદગીમાં તમામ અનર્થ આચરતો ફરે છે, દોડતો રહે છે.

[4] આપણે હંમેશા જિંદગીમાં સુખી થવાના, સફળ થવાનાં સ્વપ્નાઓ સેવીએ છીએ. સ્વપ્ના સાથે લઈને જીવીએ છીએ પણ સરવાળે તમામ સ્વપ્નો સફળ નથી થવાનાં. કોઈક સાકાર થશે તો કોઈક સ્વપ્નું મરણને શરણ થશે. અરે યુવાનો, કંઈ વાંધો નહિ. એમ થાય તો થવા દો, જિંદગી આપણી છે. જિંદગીની મંઝિલ હજુ ઘણી લાંબી છે. એક સ્વપ્ન રોળાઈ ગયું તો કંઈ નહિ, બીજુ સાકાર કરીશું એવી શ્રદ્ધા ને વિશ્વાસ સાથે ઊઠો અને ઊઠાવો નવા સ્વપ્ના. આપની આંખોમાં બિછાવો નવા સ્વપ્ના…. બસ, આ જ તો મસ્તીભરી જિંદગી જીવવાની રીત છે, તરકીબ છે, કળા છે.

[5] માની કૂખથી માંડી ડાઘુઓની કાંધ સુધીની શ્વાસભરી સફર એટલે જિંદગી. જીવી લો આજ, માણી લો આજ. બસ, મુઠી ઉંચેરા માનવી થઈને, કોઈકના માટે જીવનમંત્ર થઈને. આખરે જિંદગી ધગધગે છે લાવારસ થઈને. આખરે જિંદગી લબકારા મારે છે આગ થઈને. આખરે જિંદગી ઝબકારા મારે છે તેજ લીસોટા થઈને. જિંદગી ઉછાળા મારે છે દરિયાના મોજાની જેમ. જિંદગી જાજરમાન છે વિદ્વાનોની વિદ્વતાથી. જિંદગી શણગાર છે સજ્જનોની સજ્જનતાથી, ધર્મપરાયણતાના આભૂષણોથી. આ એટલા માટે કહું છું કે, હે મારા યુવા દોસ્તો, અંગત રીતે મારો અભિપ્રાય છે કે આખરે જિંદગીમાં જીવવાની અને જીરવવાની તાકાત હોય તો જિંદગી જીવવા જેવી છે. જીવો તો જવામર્દની જિંદગી. જીવો મસ્ત હાથીની જેમ કે હણહણતા અશ્વની તાકાતથી જીવો. બાકી મરતા જતા, મરવા પડેલા, મરેલા, માંયકાંગલાઓ અને માંદલાઓની જિંદગી હાથી, ઘોડા જેવી તાકાતવર નહિ પણ બિચારા ખચ્ચર-ટટ્ટુ જેવી જાણવી. હવે નક્કી આપે કરવાનું છે કે જિંદગી માણસાઈના પવિત્ર મંત્રની શ્રદ્ધાના સહારે જીવવી કે અંધશ્રદ્ધાના આધારે ? અરે યારો, બસ જિંદગીમાં આપણી જિંદગી જીવવાના માણસાઈના શ્રેષ્ઠ જ નહિ બલ્કે શ્રેષ્ઠતમ મંત્રને સ્વીકારીને જિંદગીની રાહો પર આગળ વધીએ. સ્વામી વિવેકાનંદજીના ઊઠો, જાગો…. અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો – તે મંત્રને જીવનમંત્ર બનાવીએ. હા, મારી દષ્ટિએ જો કોઈ જોરદાર, જાનદાર અને ધમાકેદાર જીવનમંત્ર હોય તો તે એક એક ને એક જ – માણસાઈ, માનવતાનો જીવનમંત્ર. માણસ છો ભાઈ, બસ માણસ થઈને જીવો.

[6] જિંદગી સમયના વ્હીલ પર સંજોગોના સ્ટેશને થોભતી થોભતી અને સુખની સીસોટી મારતી કે દુઃખના ધુમાડા ઓકતી સંબંધોના સહયાત્રીઓ સાથે ડબ્બામાં જીવન પ્રવાસ કરાવતી એક લાંબી આગગાડી છે.

[7] ખરેખર, દરેક વ્યક્તિનું જીવન ખુદ એક જીવનસંદેશ છે, ચાહે હકારાત્મક હોય કે નકારાત્મક, પણ પ્રત્યેક સજીવની જિંદગીમાંથી કંઈક સંદેશ તો પ્રગટ થાય જ છે. દારૂડીયો ભલે દારૂ પી ને લવારો કરતો હોય પણ તેની દશા જોઈને કોઈક તો સંદેશ ગ્રહણ કરશે કે દારૂ દૈત્ય જ છે. સટ્ટા-જુગારમાં કરોડપતિમાંથી રોડપતિ થનારની જિંદગી જોઈ કોઈક તો સમજશે કે જુગારની બદી બહુ બુરી ચીજ છે. ક્યારેક આબાદ જિંદગી બરબાદ થઈ જાય તેની કોઈ જ કલ્પના નહિ. પ્રત્યેક સારી જિંદગી કે નઠારી જિંદગીમાંથી એક પ્રકારનો હકારાત્મક કે નકારાત્મક સંદેશ માણસ પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે માણસની જિંદગીમાંથી જ માત્ર સંદેશ મળી રહે. પરંતુ તમામ પ્રકારના પશુ-પક્ષી-પ્રાણી-વૃક્ષ-વનસ્પતિ અને પ્રત્યેક કુદરતી રચનાઓમાં પણ એક પ્રકારનો ગર્ભિત સંદેશ હંમેશા અભિપ્રેત રહે છે.

[8] યાદ રાખો દોસ્તો, જિંદગી એ જવાબવહી છે. જિંદગીના પ્રત્યેક પન્ના પર પળ-પળ પુછાતા પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે. જવાબ આપતા રહેવાનું છે. આખરે જિંદગી એક જવાબદારી છે. આપણે એક જવાબદેહી નાગરિક છીએ. આપણે આપણી જાતને પણ નહિ છેતરી શકીએ. આપે આપની જાતના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા પડશે. આપે આપના મા-બાપના પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. આપ આપની પત્ની-સંતાનો અને આપના કુટુંબને જવાબદાર છો. આપ આપના સમાજ-સગા-સંબંધીને પણ જવાબદાર છો. આપ આપણા રાષ્ટ્રને પણ આખરે જવાબદાર છો ત્યારે, આપણે જવાબદારીમાંથી હરગિજ છટકી શકીએ તેમ નથી.

[9] જિંદગીમાં હંમેશા સુખ અને દુઃખની ભરતી-ઓટ આવવાની. લાગણી અને સંજોગોના હુમલા હંમેશા થવાના. ક્યાંક ખુવાર થવાનું છે, તો ક્યાંક ખુમારીથી લડવાનું છે. તો જ ક્યાંક ખ્વાબને વાસ્તવિકતામાં બદલી શકાશે. જિંદગીમાં થતા આવા તમામ પ્રકારના સારા-નરસા અનુભવો અંતે તો મૂલ્યવાન જ ગણાય. આ બધી બાબતોમાંથી બોધ ગ્રહણ કરી, તે સંદેશ મેળવીને આપણે આપણી જિંદગીને નવો માર્ગ આપી શકીએ, નવી દિશા પ્રાપ્ત કરી શકીએ. આ જ તો સંજોગોમાંથી અને અનુભવોમાંથી સ્ફુટ થતો જીવનસંદેશ છે.

[10] જિંદગીનો મતલબ જ એ છે કે – તમે સાચું કરો, તમે સારું કરો, તમે સાચી દિશા પકડો, તમે સારી દિશામાં દોડો… તમે સાચા જ છો તો કોઈની ફિકર ન કરો. તમે ખોટી દિશામાં ન દોડો. તમે ખોટું ન કરો અને જો તમે સાચા હશો તો તમને સહુ યાદ કરી તમારી જિંદગીને આદર્શ તરીકે સ્વીકારી તેમાંથી જીવનસંદેશ મેળવશે. જો તમે ખોટા હશો તો કોઈ તમને માફ નહિ કરે અને ખોટા ઉદાહરણ તરીકે તમને હંમેશા યાદ રાખશે.

વીણેલાં મોતી

A

|| વીણેલાં મોતી ||

[01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.

[02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.

[03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.

[04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.

[05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.

[06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.

[07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.

[08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.

[09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.

[10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.

[11] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.

[12] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી.

[13] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.

[14] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે.

[15] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો.

[16] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે.

[17] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે.

[18] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે.

[19] તમે એક આદત કેળવી લો – પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની.

[20] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.

[21] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય.

[22] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી.

[23] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો.

[24] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો.

[25] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે.

[26] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો.

[27] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો.

[28] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે.

[29] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.

[30] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે.

[31] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.

[32] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે.

[33] હંમેશાં બતક જેવું વર્તન કરો – સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો.

[34] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે.

[35] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.

[36] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે.

[37] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા.

[38] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો.

[39] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.

[40] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે.

[41] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે.

[42] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો.

[43] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો.

[44] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું.

[45] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની.

[46] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.

[47] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.

[48] હસવામાં ઉડાડી દો… એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો.

[49] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો.

[50] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો.

=========================================

પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
* શ્રીમદ્ રાજચંદ્ર :

મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ?
* ગાંધીજી :

જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે.
* ખલીલ જિબ્રાન :

પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે.
* વિનોબા ભાવે :

સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય.
* બર્ટ્રાન્ડ રસેલ :

હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ.
* ઐતરેય ઉપનિષદ :

દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે.
* પ્રે. મહાદેવ ધોરિયાણી :

તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ.
* રોબર્ટ બ્રાઉનીંગ :

જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે.
* ચાણક્ય :

જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે.
* બેન્જામીન ફ્રેન્કલીન :

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
* સ્વામી વિવેકાનંદ :

પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.
* શ્રી રામકૃષ્ણ પરમહંસ :

પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી.
* કાકા કાલેલકર : જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે, તેવું કર્મ કદી ન આરંભો. પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
* ભગવાન મનુ :

બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે.
* કવિ કાલીદાસ :

મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે.
* હજરત અલી :

મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે.
* સ્વામી અખંડઆનંદ સરસ્વતી :

જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરિક વિકાસ નિરંતર થયો હોય.
* શ્રી અરવિંદ :

જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે.
* કનૈયાલાલ મુનશી :

જેણે ધન ભેગું કર્યું અને તેને ગણવામાં જ રહ્યો છે તે એવા ભ્રમમાં હોય છે કે ધન તેને જીવિત રાખશે.
* કુરાન :

પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આપ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
* મહાત્મા ગાંધી :

કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.
* સરદાર વલ્લભભાઈ પટેલ :

સજા આપવાનો અધિકાર કેવળ પ્રેમ કરવાવાળાને જ છે !
* રવિન્દ્રનાથ ટાગોર :

મનને હજાર પાંખ છે. હૃદયને એક જ પાંખ છે. છતાં જીવનનું સઘળું તેજ પ્રેમના અસ્ત સાથે વિલીન થઈ જાય છે.
* ફાન્સિસ બાઉડિર્ણાન :

જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે.
* યોગવસિષ્ઠ :

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
* સ્વામી વિવેકાનંદ :

કવિતા એ બધા જ માનવીય જ્ઞાન, વિચાર, ભાવ, અનુભવ અને ભાષાની સુગંધ કળી છે.
* જયશંકર પ્રસાદ :

માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી તેને ઓળખી, તેનો અહર્નિશ આભાર માનતાં જિવંત મંત્રો એ જ માણસ !
* ડૉ. ભરત મિસ્ત્રી :

સાચુ બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તો પણ દુ:ખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ.
* ગુણવંત શાહ :

નિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે.
* કાકા કાલેલકર :

સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.
-જેઈમ્સ લોવેલ

અત્તરનાં પૂમડાં

A

|| અત્તરનાં પૂમડાં ||

[1] ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત

[2]

હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

[3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી

[4]

હું હંમેશાં ધાર્મિક માનવ રહ્યો છું.
મારે ઈશ્વરની ભાગીદારીમાં કામ કરવાનું છે.
મારી શક્તિ કેટલી છે ?
50 ટકા શક્તિ હોય તો ઈશ્વર મારી નિષ્ઠા જોઈ બીજી 50 ટકા શક્તિ ઉમેરે છે
તેવી મને પાક્કી શ્રદ્ધા છે.’ – ડૉ. અબ્દુલ કલામ

[5] ધર્મનાં પુસ્તકો અને સંતોનાં લખાણો વાંચવા માટે દષ્ટિ જોઈએ. એ કોઈ અભ્યાસ નથી, સંશોધન નથી, મનોરંજન નથી. એ જ્ઞાન છે, ધર્મ છે, સાધના છે, શુદ્ધ નિર્મળ પવિત્રજળ છે. એ તરસ માટે છે, સ્વાદ માટે નહીં. – ફાધર વાલેસ

[6]
ખુરશીને આજે
તાતી જરૂર છે
સાચા નેતાની !
પણ અફસોસ !
સાચા નેતાને
જરૂર નથી હોતી
ખુરશીની ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

[7] ફ્રેન્ચ લેખક શોપનહાવરે પોતાનાં પુસ્તકોની કડક ટીકાથી એક દિવસ કહ્યું : ‘મારા પુસ્તકો તો દર્પણ જેવાં છે, પણ કોઈ ગર્દભ એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન ક્યાંથી થવાના છે !’ – અજ્ઞાત

[8] મોટામાં મોટો દોષ પોતાનામાં એક પણ દોષ નહીં હોવાની માન્યતાનો છે. – થૉમસ કાર્લાઈલ

[9] જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, તે પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે. – ઓલિવ શ્રાઈનર

[10] માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ/વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી. – વિક્ટર ફ્રેંકલ

[11] સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન. – જે. કૃષ્ણમૂર્તિ.

[12] દરેક મનુષ્યે અને દરેક પ્રજાએ મહત્તા પ્રાપ્ત કરવી હોય તો, ભલાઈમાં દઢ વિશ્વાસ રાખવો, અદેખાઈ અને અવિશ્વાસમાંથી મુક્તિ મેળવવી અને સારા થવાનો તેમ જ સારું કરવાનો પ્રયત્ન કરનાર દરેકને સાથ આપવાનો પ્રયાસ કરવો. વિકાસની આ કેડી છે. – સ્વામી વિવેકાનંદ

[13] ઘરની બહાર ખાતરનો ઢગલો કરી રાખો તો તમારા ફરતે દુર્ગંધ પ્રસરી રહેશે, પણ એ જ ખાતરને નાખીને બાગ બનાવશો તો સુગંધ પ્રસરશે. નષ્ટ કરવા જેવું જીવનમાં કશું જ નથી, પણ પરિવર્તન કરવા જેવું, ઉદાત્ત કરવા જેવું, ઉન્નતિ કરવા જેવું જીવનમાં પુષ્કળ છે. – આચાર્ય રજનીશ

[14] જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે. – રવીન્દ્રનાથ ટાગોર

[15] એક માર્ગ પકડીને ચાલવાનો પ્રારંભ કરો. તમને માર્ગમાં ઘણા વધારે યાત્રીઓ મળશે. લક્ષ્ય નક્કી કરીને તે માર્ગે ચાલવા લાગશો તો રસ્તામાં અન્ય યાત્રીઓ મળતાં આગળનો માર્ગ બતાવી દેશે. તમે ચાલવાનું શરૂ કરો ! બેસી ન રહો ! – જ્યોતિબેન થાનકી

નવપદજીની આયંબિલની ઓળી

1 

|| નવપદજીની આયંબિલની ઓળી ||

“ચૈત્ર-આસો મહિનામાં આવતી નવપદજીની આયંબિલની ઓળીનો અનેરો મહિમા”

જૈન ધર્મમાં એને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે : જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે

અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –

યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…

જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.

જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.

આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.

વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.

જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ આયંબીલ તપને આરોગ્‍ય માટે શ્રેષ્‍ઠ માનવમાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસોમાસમાં આવે છે. આ તપ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. તપ એ તો કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્‍યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવેલ છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે. આગમ બતાવે તપ ધર્મની ધુરા, ગુરૂ કૃપાએ મનોરથ થાય પૂરા.

આયંબીલની ઓળીમાં નવ દિવસ સુધી નવપદ જેમાં નમો અરિહંતશરણ પદથી લઈને નમો લોએ સવ્‍વસાહૂર્ણ અને જ્ઞાન – દર્શન ચારિત્ર અને તપની આરાધના કરવાની હોય છે.

ગ્રંથોમાં આયંબીલ તપનું મહત્‍વ બતાવતા અનેક પ્રેરક દૃષ્‍ટાંતો આવે છે જેમાં શ્રી પાલ અને મયણાનું દૃષ્‍ટાંત સુપ્રચલિત છે કે આયંબીલ તપ કરવાથી શ્રીપાલની કાચા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ પણ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી હતી. આ આયંબીલ તપની તાકાત એટલી જબરદસ્‍ત છે.

આયંબીલ તપ કરવાથી રસેન્‍દ્રીય ઉપર વિજય મેળવી શકાય છે. કારણ કે પાંચ ઈન્‍દ્રિયમાં રસેન્‍દ્રિયને જીતવી ખૂબ જ કઠીન છે. જીભ બે કામ કરે, ખાવુ અને બોલવુ પરંતુ મોટાભાગે આ જીભ ખાઈને બગાડે છે અને બોલીને પણ બગાડે છે. આયંબીલ એટલે સાપ જેમ દરમાં પ્રવેશ કરે તેમ ખોરાકને મોં માં પ્રવેશ કરાવવાનો હોય છે. આ કાયા પાસેથી તપ કરીને કામ કઢાવી લેવાનુ છે. ફકત પેટને ભાડુ દેવા ખાતર જ ખોરાક ગ્રહણ કરવાનુ લક્ષ રાખવાનુ હોય છે.

“આયંબીલથી ચમકાવજો તમારો ચહેરો,
રસેન્‍દ્રીય ઉપર મુકજો ચોકી પહેરો,
ચૂકવી દયો ચાર ગતિનો કરવેરો,
સફળ થાશે આ માનવફેરો”

પ્રભુ પરમાત્‍માને જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે હે પ્રભો ! આપના ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્‍વીઓમાંથી શ્રેષ્‍ઠ તપસ્‍વી કોણ? ત્‍યારે કરૂણાસાગર જવાબ આપે કે કાંકદીના ધન્‍ના અણગાર કે જે  જાવજજીવ છઠના પારણે છઠ અને પારણમાં પણ આયંબીલ ઉચ્‍છિત આહાર કરતા, એટલે જ સાધુ વંદનામાં સ્‍તુતિ કરતા બોલીએ છીએ કે વીરે વખાણયો…ધન્‍નો… ધન્‍નો અણગાર.

વાદમાં નથી મજા, સ્‍વાદમાં છે સજા, સ્‍વાદિષ્‍ટ આહારને આપો રજા, આયંબીલની ફરકાવવો ધજા, તપસ્‍વીઓ એ તો સંઘ અને શાસનના અણમુલા રત્‍નો ગણાય છે. તપસ્‍વીઓને ખૂબ ખૂબ સુખશાતા – સમાધિ રહે તેનુ શ્રી સંઘે કાળજી રાખવાથી તપસ્‍વીઓ તપમાં આગળ વધતા રહી કર્મોની નિર્જરા કરે છે સાથોસાથ શાસનની આન – બાનને શાનમાં પણ વધારો કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતુ હોય તો તે ઉત્તમ છે પરંતુ જેનાથી કોઈ કારણસર ન થઈ શકતુ હોય તો છૂટક – છૂટક પણ આયંબીલ કરી શકાય છે. જેથી જીવાત્‍મામાં તપના સંસ્‍કાર આવે છે.

|| ઓળી કરનાર ભાઇ – બહેનોને આવશ્યક સૂચનો ||

1. આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
2. આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
3. દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
4. પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
5. જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
6. કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
7. થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
8. પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
9. આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા `સુર સુર’ `ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું.
10. ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
11. પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
12. થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
13. ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
14. નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
15. દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.

|| નવપદજીની શાસ્વતી ઓળી એટલે ||

*આયંબિલ તપ કરી પુણ્યનુ ભાથુ બાધશો.
*એક આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે.
*આયંબિલ એટલે સ્વાદીષ્ટ ભોજન કરવાની આશક્તિ પર નિયંત્રણ કરવાનો અચૂક ઉપાય.
*કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમા આયંબીલ કરવું મહા-મંગલકારી છે.
*આયંબિલ એટલે કઠીન કર્મો ક્ષય કરવાનો રામ-બાન ઈલાજ.
*આયંબિલ અશુભ કર્મોને જલ્દી ખપાવે.
*આયંબિલથી પુણ્યનો ઉદય જલ્દી થાય.
*આયંબિલથી દુઃખ ટળે.
*આયંબિલથી sukh મળે.
*આયંબિલની ઓળી કરવી એ શ્રેષ્ટ તપમનુ એક તપ છે.
*ઓળીમાં ઓછામા ઓછા ત્રણ આયંબિલ કરવા જેથી વિધ્નો દૂર થાય અને શાંતિ મળે.

*વિરાધાનાના વિશ દૂર કરીને અમૃતનું પાન કરવાનું પુણ્ય પર્વ.
*સમતાની સાધના દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનું પુણ્ય પર્વ.
*કર્મના બંધનથી મુક્ત બનીને મુક્તિ મહેલમાં સહેલ કરવાનું પુણ્ય પર્વ.
*ક્રોધના અગ્નિને શાંત કરવા માટે ક્ષમાના જળનું સિંચન કરવાનું પુણ્ય પર્વ.
*વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ પ્રગટાવવાનું પુણ્ય પર્વ.
*વાત્સલ્યના વારિ (પાણી) ના સ્નાન દ્વારા આત્માને શુદ્ધ કરવાનું પુણ્ય પર્વ.
*વાસનાથી વિમુખ બનીને ઉપાસના કરવાનું પુણ્ય પર્વ.
*જીવનના દરેક કાર્યને મોક્ષના લક્ષને ધ્યાનમા રાખીને કરવાનું પુણ્ય પર્વ.
*આત્મ્વાદનો સ્વીકાર કરીને ધર્મ સત્તાને શરણે જવાનું પુણ્ય પર્વ.
*શ્રી ઋષભદેવ ભગવાને બતાવેલ જીવન શૈલી પ્રમાણે જીવતા શીખવાનું પુણ્ય પર્વ.
*દુરાગ્રહોને છોડીને સત્યને સમજવાની દ્રષ્ટિ કેળવવાનું પુણ્ય પર્વ.

|| આ છે …….આયંબિલ તપના મહાન તપસ્વીઓ ||

* વર્ધમાન તપની અખંડ રીતે ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર શ્રી ચંદ્રકેવળી બન્યા. જેઓ ગઈ ચોવીસીમાં બીજા નિર્વાણી પ્રભુના શાસનમાં મોક્ષે પધાર્યા.તેમનું નામ ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.
* ભગવાન રઋશભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ.
* સનત્કુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળીપૂર્ણ કરીને લોકોત્તર પુણ્ય પ્રાપ્ત કરી ચક્રવર્તી થઇ ત્રીજા દેવલોકે ગયા.
* ભગવાન નેમીનાથના સદુપદેશથી દ્વારિકાનો ઉપદ્રવ ટાળવા ૧૨ વર્ષ સુધી અખંડ આયંબિલ ચાલેલ.
* પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરેલ.
* મહાસતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી દૂર થવા માટે છ મહિના પર્યંત છઠણા પારણે આયંબિલ કર્યા હતા.(જ્ઞાતા સૂત્ર)
* મહાસતી દમયંતીએ પૂર્વ ભવમાં ૫૦૪ અખંડ આયંબિલથી તીર્થંકર તપ કરીને ૨૪ ભગવાનના લલાટમાં હીરાના તિલક સ્થાપેલ.
* ચરમ કેવળી જંબુસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* ધન્ના અણગારે જાવજજીવ સુધી સુધી છઠના પારણે આયંબીલ કરેલા.
* સિંહસેન દિવાકર સૂરીએ ૯ વર્ષ સુધી અખંડ આયંબીલ કરેલા.
* વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગત્ચંદ્રસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.
* સંતિકર સ્તોત્રના કરતા મુનિસુંદરસૂરીએ જાવજજીવ સુધી આયંબીલ કરેલા.

 

 

 

કવિતા – મા – માતા – બા – મમ્મી

2

|| કવિતા – મા – માતા – બા – મમ્મી ||

(૦૧) “મા”

આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રો’યો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ‘ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જા’તી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
“મા” હતી મારી એ, જેને “ઓજલ” થઈની, “રામ”ને આ દુનિયામા દિપાવ્યો..
સેજપાલ શ્રીરામ પી.

(૦૨) બા લાગે વહાલી

બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી

જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી

હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી

વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

(૦૩) “બા”

ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં
ઘંટ વગાડ્યો,પૂજા-અર્ચના કરી મેં
પ્રસાદ લીધો,લઈને ઘરે હું આવ્યો
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

બા,તારા પૌત્રના આજે લગ્ન કીધાં
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં
પૂત્રવધુના ઘરે આજ પગલાં પડ્યાં
હૃદયનાં બંધ બેફામ સૌ તૂટી પડ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

ઝરણાં,નદીઓ એમ જ વહેતાં રહેશે
સાગર ઊછળશે,વાદળો પણ છવાશે
એજ વાયુને એજ રોજિંદુ વાતાવરણ
પણ બા,તમે ક્યાં છો,તમે ક્યાં છો?
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

(૦૪) “મા”

આમ તો આકાશની ઉંચાઇ પણ
ઓછી લાગે
એની બાજુમાં
એમ
ચૂપકીદીથી
એ વધારતી રહે છે એની ઉંચાઇ
આકાશની જેમ જ અકળ રીતે ”
-હર્ષદેવ માધવ

આશિર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા,
એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે ‘માં’.”
-વેણીભાઇ પુરોહીત

શાંતુ બા:

“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી,

પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા,

મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું ”

– વિકાસ બેલાણી

(૦૫) મા,હજી યાદ છે મને

મારી પાંપણોની ભીનાશ થઇ
ને મારા ગાલોને મીઠું ચુંબન દઇ
મારા ઓષ્ઠ પર હજારો સ્મિતનું ઝોલું થઇ વરસતી ‘તું’
હજી યાદ છે મને

કેદ છે હજીયે મારી આંખોમાં તારા વ્હાલનો એ દરિયો
જેમાં પીગળતી બધીજ ખારાશ મારી
ને તારા ખોળામાં ખૂંદેલું મલક આખાનું એ સુખ,
હજી યાદ છે મને

ક્યાંક પા પા પગલી ભરાવતી તું
ને અમસ્તું ‘પગલી’ એ ચૂકી જતાં
અંતરમાં ઉંડાણથી આવતો એ સાદ, ‘વાગ્યું તો નથી ને બેટા?’
હજી યાદ છે મને.

હસાવતી, રમાડતી ને છાતી સરસી ચાંપતી
હતી ન હતી એવી તું હકીકત થઇ છતાં
મારા શમણાઓને પરી બની ઘેરી વળતી ‘તું’
હજી યાદ છે મને.

ને આજ
અચાનક
એક શિશુના ગાલ પર કાળું ટપકું જોયું
ને એણે મારા શૈશવને પ્રશ્નરૂપે સ્પર્શ કર્યો, ‘હજી યાદ છે તને?’
હા

અવનિ પર અવતરેલી મારી પ્રથમ ગઝલ ‘માં’
હજી યાદ છે મને

– ડીમ્પલ આશાપુરી

(૦૬) માતા

માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી.
કહે છે કે કવિ જન્મે છે –
તો તેં જ તો મને જન્મ આપ્યો છે.
પણ ત્યારે તને જાણ નહીં હોય કે હું કવિ થઇશ.
તારે તો મને માનવી બનાવવો હતો –
એક સુખી માનવી, હસતો માનવી,
અને એ માટે તેં કેટલા બધાં દુ:ખો સહ્યાં ?
કેટલા અશ્રુઓ સાર્યાં ?
ત્યારે તેં કશા બદલાની આશા નહોતી રાખી.
અને હું તને બદલો પણ શો આપું?
બદલો આપવા જેવું મારી પાસે છે પણ શું ?
કદાચ ઇશ્વર પાસે પણ કશું નથી.
હા, ઇશ્વર પાસે
તને આપવા માટે એક વસ્તુ છે,
તારા આત્માની શાંતિ,
ઇશ્વરે તને સ્ત્રી ઘડી હતી.
અને ઇશ્વરને જે પ્રાણ અત્યંત પ્યારો હોય છે,
એને જ એ સ્ત્રીનું રૂપ આપે છે.
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે એણે તને સ્ત્રીનો જન્મ આપ્યો,
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે જ એણે તને મૃત્યુ પણ આપ્યું.

તું અલ્લાહને પ્યારી થઇ ગઇ,
અલ્લાહે તને પોતાની પાસે બોલાવી લીધી.
પણ સ્ત્રી મરે છે, માતા મરતી નથી.
તું જીવે છે, જીવતી હતી એમ જ.
અને તું જીવતી હોવા છતાં તને મરેલી માનું ?
અરે, જેણે મારા હાલરડાં ગાયાં,
એના હું મરશિયા ગાઉં ?
છતાં યે ગાઉં-
પણ જે જન્મ આપે છે, એ મરી જ કેમ શકે?

હું કવિ થયો છું એટલે જાણું છું;
કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે;
ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખે છે;
પણ ઇશ્વર ?
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી –
એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે,
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે,
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
માં ઉદરમાં નવ મહીના
એના બાળકનો ભાર વેઠે છે….
માત્ર એ નવ મહીનાનો બદલો આપવા ધારું તોય
મારા નેવું વરસ પણ કોઇ વિસાતમાં નથી.

છતાં મને શ્રધ્ધા છે –
તારા એક સો દસ વરસની વયે પણ
તેં તારા અંતરમાં
મારા નેવું વરસનોય ભાર વેઠ્યો હોત.
પણ હું નેવું વરસનો નથી.
તું એક સો દસ વરસની નથી;
તારા અને મારા સંબંધ વચ્ચે
સમયનું અસ્તિત્વ જ નથી –
અસ્તિત્વ છે માત્ર તારું
અને તારે લીધે મારું.
અને એ પણ માતા અને બાળક જેવું જ

માતા કદી મરતી નથી
અને બાળક કદી મોટો થતો નથી.
માં ! હજી હું કવિતા લખી શકું એટલો મોટો નથી થયો,
હજી હું પારણામાં પોઢેલો પુત્ર છું.
અને હું પારણામાં પોઢીને તારે માટે કવિતા લખું,
એને બદલે પારણાની દોરી ખેંચીને
તું જ મારે માટે હાલરડું ગા –
ઇશ્વર તારા આત્માને શાંતિ આપશે,
અને તારું હાલરડું મારા આત્માને શાંતિ આપશે.

– બરકતઅલી ગુલામહુસેન વીરાણી ‘બેફામ’

(૦૭) “મા“

એ તો એને ચાલતું નથી એટલે,
બાકી તો –
મા જાણે છે કે દેહથી અલગ કર્યા પછી
એ મોટો થવાનો છે અને દૂર જવાનો છે.
ખોળામાં પડ્યો પડ્યો એ પયપાન કરશે
કેડે ચડશે, આંગળી ઝાલીને ફરશે
માના હાથનો કોળિયો મોંમાં લેશે
-ને આંગળીને વ્હાલમાં બચકુંય ભરી લેશે !
પણ આ બધું તો
ધીમે ધીમે દૂર થવા માટે જ જાણે…
પછી તો એ ખોળામાંથી ઊતરી પડશે
કેડેથી કૂદી પડશે.
હોંસે હોંસે ખાતા શીખી જશે;

ખોળામાંથી ઉંબર ભારો આંગણામાં ને શેરીમાં
કેડેથી ઉતરી કેડીમાં, ને એમ દૂર દેશાવરમાં…
કાગળ લખશે રોજ પ્રથમ તો
પછી માસે બે માસે
ક્ષમાયાચના કરશે, કાન પકડશે, સોગન ખાશે
કહેશે : ભૂલ્યો નથી માં તને, પરંતુ ખૂબ કામમાં વ્યસ્ત
તારે ખોળે ફરી આવવું છે મા – લખશે
(જાણે છે કે અશક્ય છે એ, એ ના સાચું પડશે.)

છેવટ બીજા ગ્રહ પર જાણે હોય એટલો દૂર
-ને અંતર તો પાછું ના સ્થળનું કે નહીં સમયનું
પણ બે અંતર વચ્ચેનું-
મા જાણે છે કે આમ જ થવાનું છે.
એ તો એનું ચાલતું નથી એટલે
બાકી તો
એને દેહથી અળગો જ ન થવા દે…

– જયન્ત પાઠક

(૦૮) દીકરો દેશાવર… (બે અછાંદસ)

* 1. દ્રષ્ટીકોણ એક
સાત સમંદર પાર,
અજાણ્યા રસ્તાઓ પર ચાલતાં
તને
ક્યારેક લાગતી ઠોકર પર
કૂબાના કોઇક ખૂણે
બેઠેલી બા નું હ્રદય
“ખમ્મા મારા વીરા…”
બોલતું હશે…

તારી રાહ જોવા,
તારા ઓવારણા લેવા
તને ફરીથી તારી મનપસંદ
ખીર ખવડાવવા,
તને વહાલ કરવા,

તારા મુખેથી “બા” સાંભળવા
એની સદાય
મોતીયો ભરેલી આંખોમાંથી

તને મનોમન
જોયા કરતી હશે…
ખોયા કરતી હશે

રસ્તાને તારા પગલાં,
હવાને તારી સુગંધ,
અને
સૂરજને તારી કુશળતા
પૂછ્યાં કરતી હશે.

પિતા તો હ્રદય મજબૂત કરી લેશે,
પણ બા,
“બા”
તેના મનને
કેમ સમજાવશે?
કે દીકરો

ડોલરોમાં ગૂંથાયેલો છે,
કરીયરમાં અટવાયેલો છે
સંબંધોથી વધુ જળવાય છે
બિઝનસ,
કદાચ ક્યાંક ભેગાય થઈ જાય,

એનો સંસાર,
એની જરૂરતો,
એનું કુટુંબ
એની સિટીઝનશીપ
હવે અલગ છે,

અને એમાં
“બા” નું સ્થાન
ફક્ત દર મહીનાની
પહેલી તારીખે
મની ટ્રાન્સફર
પૂરતું જ છે…
એથી વધુ
કાંઇ નહીં,

તેની ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” નું સ્થાન
હવે….

* 2. દ્રષ્ટિકોણ બીજો

સાત સમંદર પાર
અજાણ્યા રસ્તાઓ પર
ચાલતા
જ્યારે ઠોકર લાગી જાય છે,
ત્યારે અચૂક ગૂંજે નાદ,
“ખમ્મા મારા વીરા…”

આટલા દૂર
દ્રષ્ટિથી ઓઝલ છતાં
હવાની લહેરખીઓ ‘માં’
તારો હાથ અનુભવાય,
સૂરજની દરેક કિરણે
તારી આંખોનું વહાલ,
વર્ષાની દરેક બૂંદે
તારી લાગણી ટપકે,

તને વહાલથી ભેંટવા,
ખોળે માથું મૂકવા,
પરીઓના દેશમાં વિહરવા,
તારા ઓવારણાં ઉજવવા,
તારા દુ:ખના આંસુને
સુખના કરવા,
તારી પાસે આવવું છે…

દીકરો ડોલરોમાં નહીં,
તારા હાથે મળતા
ડોલરના ફૂલમાં
ગૂંથાવા માંગે,

મારો સંસાર,
મારી જરૂરતો,
મારું કુટુંબ
તારા વગર કદી….
હોઇ શકે?

મની ટ્રાન્સફર
એ તો ફક્ત
તારા ચરણે ચડાવેલી
બે’ક પાંખડીઓ છે,

મારી ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” તારું સ્થાન
હવે….
હા, “બા”
હવે જ મને
ખરેખર સમજાય છે.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) મા વિશે કાગવાણી

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા

(૧૦) “બા”

તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી બા ?
આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
તારી ભાવનાનો વિસ્તાર છે !

લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લે જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો

તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃશ બન્યું લીલુંછમ

તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમાં ને કરુણાના અંજન આંજ્યાં’તા

તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યા’તા
બા એક એવી ત્રશ્ર્તુ જેને કયારેય ન આવે પાનખર

હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..

તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર

તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય ‘બા’ અમારી ‘બા’……

-મનોરમા ઠાર

(૧૧) યાદ તારી મા
અશ્રુ ભીની આંખ મારી, તરસ્યા કરે બસ તુજને જ માં,
શા માટે છે તું રીસાણી, વિચાર્યા કરું બસ એ જ મનમાં.

નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજસંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.

લાવણ્ય કેરી તુજ છોળ કાજે, ભટકું ભ્રમર બની હું મલકમાં,
મળશે કદાચ મુજ શકને તું, આશ એક તે તનમનમાં.

સઘળું મેળવું શ્રમથી પણ, સાથ તારો ક્યાં મુજ નસીબમાં,
સાદ પાડું તુજ નામનો હું આજ, ગમગીન બની નીલ ગગનમાં,

દુનિયા કેરી અનંત યાતનાઓ, વેઠી ઉછેર્યો મુજને તે બાળપણમાં,
અફસોસ એ ઋણ ચૂકવવાનો, મોકો ન મળ્યો મુજને જીવનમાં.

વાદળ બની વરસી ગઇ તું પણ, ભીંજાઇ શક્યો ન અંગેઅંગમાં,
આંગળી પકડી ચાલતા શીખ્યો, ન બન્યો તુજ સહારો ઘડપણમાં.

યાદો છે સાથે ફક્ત આજ તારી, બાકી બધું વીત્યું અણસમજણમાં,
અમાસ કેરા ચાંદમાં નીરખું તુજને, મંત્રમુગ્ધ થઇ નીલ ગગનમાં.

કંઇપણ નથી વિશેષ ‘દેવ’, માં કરતા આ જટીલ જગતમાં,
ઇશ્વર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રધુકૂળ યાદવમાં.

– દેવાંગ જોષી

(૧૨) “મા“

દિલ ની ઘેહેરાઈ મા,
પ્રેમ ની પડ્છાઇ મા,
દુ:ખ ભર્યા સાગર મા,
સુખ રૂપી ઝરણુ બની આવી છે તુ.
સં્કટ ના સમય મા,
તક્લિફ ના દાયરા મા,
દર્દ ભર્યા જીવન રૂપી વાક્ય મા,
પુર્ણવિરામ બની આવી છે તુ.

સમાપ્ત થતા જીવન મા,
પિડા ન શરીર મા,
દુકાળ પિડિત નસો મા ,
જીવન આપતુ ધમધમતુ લોહિ બની આવી છે તુ.

અપાર છે તુ,
વિશાળ છે તુ,
મારુ સર્વસ્વ છે તુ,
મારિ ખુશિ ના તાળ ની ચાવી છે તુ,

ઢળતા દીવા ની આસ છે તુ,
મારા દિલ થી જોડાએલી હર એક ધડકન નુ અસ્તિત્વ છે તુ,
પેહેલા વર્સાદ ની ભીની માટી ની સુગં્ધ છે તુ,
ગુલાબ ના ફૂલ પર ઉમડતા ઝાકળ બિં્દુ જેવિ નાજુક છે તુ

ટૂં્ક મા કહુ તો મારિ મા છે તુ

-Shail Seth

(૧૩) “મા”

મા
હવે જો કોઇ
દેશથી આવે તો
મોકલાવજે,
પરોઢિયે ઊઠી
ઘંટીના મધુર તાલ પર
તુજ હસ્તથી
દળેલો મીઠો લોટ
ત્યાં સુધી બ્રેડના ડૂચા
ગળે ઉતારતો રહીશ હું
ને
તુજ હાથથી
કૂવે જઈ ધોએલાં
મારા લૂગડાનું પોટલું
મોકલાવજે
ત્યાં સુધી લોન્ડ્રીના
ધોએલાં કપડાં
મુજ શરીર પર
ટીંગાડતો રહીશ
ને
મા
મોકલાવજે
તારા ખોળાની
હૂંફ
ત્યાં સુધી હીટરના તાપમાં
બાળતો રહીશ
શરીર મારું
જો
મા
કોઈ આવે તો…
-અહમદ ‘ગુલ’

(૧૪) પ્રેમાળ માતા

હતી મારી માતા અતિશય પ્રેમાળ દિલની
હતી વળી શ્રદ્ઘાળુ, રટતી સદા નારાયણ હરિ.
મને ઉછેર્યો મમતાથી, સહી લીધી મારી પજવણી
ન પાડયો કદી ઘાંટો, ન મારી ટપલી પણ કદી.

હું ઉઠું નિદ્રામાંથી, લઇ ઉછંગે હેત કરતી,
મને મૂકે નિદ્રામાંહી ગાઇ,
“બહ્મ શ્રીનાથને ભજીએ શ્રી હરિ હરિ”

પોતાના તનની પીડા કઠણ મનથી તે જીરવતી
અને મનના સંતાપો અતિ શ્રદ્ઘાથી તે વિસરતી.

પ્રભુ હું ઇચ્છું કે મળે મને માતા એજ ફરી ફરી
પણ વિસારી એ ઇચ્છાને દેજે એને મોક્ષ તું શ્રી હરિ.

-વિજય શાહ

(૧૫) મા તુજ જીવનના અજવાળે

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

-ડો. દિનેશ શાહ

(૧૬) મમતા

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
….માયાવી સંસાર
લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
…માયાવી સંસાર

પ્રદીપ બ્રહ્મભટ્ટ

(17) મા ની છાયા

મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.
મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.
પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.
જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.
તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.
મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(18) મારા હૃદયના આકાશમા

સ્કુલેથી આવતાં જ્યારે થઈ જતી વાર,
સૌથી વધારે પાડતી હતી બુમો મારી મા,

મારી ભુલ પર જ્યારે પણ પિતાજી મને વઢતાં
ત્યારે મા કરતી હતી મારો બચાવ,

રમતાં રમતાં જ્યારે વાગી જતી ઠોકર
તે ઠોકર જોઈને મારી મા ગભરાતી હતી,

મને યાદ છે એક વખત માર્યો હતો મને
મારા કરતાં પણ વધારે દુ:ખ મા તને થયું હતું,

મા તે હંમેશા મારા માટે પ્રાર્થનાઓ કરી
મારી બધી જ મુશ્કેલીઓને પોતાને માથે લીધી,

આજે શોહરત પણ છે, દોલત પણ છે,
ઘણી બધી મારી પાસે મોહલત પણ છે,

પરંતુ દુ:ખ છે તે વાતનું મા
તેને જોવા માટે આ દુનિયામાં તુ નથી,

જો હોત તે મારા હાથમાં તો
રાખી લેતો કરીને ગડબડ ભગવાનના વિધાનમાં,

જેટલા પણ શબ્દો લખો તેટલા છે ઓછા
મા તારી શાનમાં,

હે મા આજે પણ તુ રહે છે
મારા હૃદયના આકાશમાં…

કુલવંત હેપ્પી

(19) ખુબ યાદ આવે છે તારી

પોષની ઠંડી રાતોમાં છાતીએ લગાડીને સુતી હતી જે,
પકડીને બંને ખભા જમીન પર ચાલતાં શિખવાડતી હતી જે,

જ્યારે ચાલતાં ચાલતાં પડી જતો, પડેલાને ઉભો કરતી હતી જે,

પોતાના ખોળામાં લઈને હીંચકો ખવડાવતી હતી જે,

રાત્રે સુવડાવવા માટે હાલરડાં ગાતી હતી જે,

આજે તે મા ખુબ જ યાદ આવે છે,

મુશ્કેલીમાં તેની ખોટ ખુબ જ સારે છે,

તેની વાત કરતાં જ આંખમાંથી આંસુ સરી પડી છે,

નથી તે આ દુનિયામાં આજે પણ હેપ્પીને લાગે છે,

આજે પણ ક્યાંકથી આપીને અવાજ તે મને બોલાવે છે…

(20) માઁ તને સલામ
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ

નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ

વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ

બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ

સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ

તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ

માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે

બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે

કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ

અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.

કલ્યાણી દેશમુખ

(21) “મા”

વરસાવે એ અમૃત અમી ,
મમતા ની એ મૂરત સમી ….
હિંમતથી મુશ્કેલી સહી ,
રહે અડગ પવૅત સમી ….
નથી પ્રજ્ઞાની એને કમી ,
જ્ઞાન – ગંગાની સરિતા સમી….
નથી કોઈને કદી ધુત્કારતી ,
દાખવે ક્ષમા ધરિણી સમી ….
કોઈ નહિ આ તો મારી ” મા “,
મારી એક સખી સમી ……
-Tejal Jatan shah

(22) “મા”

મા તારે આંગણિયે વાયું વહાણું
મા તારા પૂજનનું થયું ટાણું….
આકાશ ગંગાના જળ ભરી લાવું,
કિરણોના કંકુથી માને વધાવું,

ક્યા રાગે માડી આજે ગાઉં તારું ગાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

સાતે સમંદરના મોતીની માળા,
માડી તારાં પળપળ રૂપ નિરાળાં,

હું તો છું અબૂધ, તારી લીલા શું જાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

જીવતરની કેડિયુંને અજવાળાં દેજે,
અંતરના દીવડામાં ઝળહળ રેજે,

ધરતીનું રૂપ જાણે નયણે સમાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

-માધવ રામાનુજ

(23) “મા”

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે

છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.

જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.

હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.

સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.

– કિશોર બારોટ

(24) મા એટલે

મા એટલે…
..શબ્દ સંચાર નો પહેલો અક્ષર..
મા એટલે…
..પારણા થી પા પા પાગલી સુધી ની માવજત..

મા એટલે…
..આસુઓ ને હાસ્ય મા બદલી નાખતી પરી..

… પરંતુ…આજની કડવી વાસ્તવિકતા એ છે કે..

પહેલા તમે મા સાથે રહેતા..

અને આજે..

મા .. તમારી સાથે રહે છે…!!!

-વિઝન રાવલ , કાવ્ય ત્રિવેણી

(25) મા તે મા

મા તે મા ને બીજાં વગડાના વા
મા જેવી મા બીજી લેવા તો જા .

થકવી નાંખે એવો સંસાર છે આ

માના ખોળામાં પોરો થોડો ખા.

જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા

ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!

છે સૌને મોટા થાવા બાબત હા

માતાને ભૂલી જાવા બાબત ના.

મોટો થઈને પણ હળવો હળવો થા

મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

-યશવંત ઠક્કર

(26) “મા”
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!

પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!

રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!

કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!

ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !

આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!

-વિશ્વદીપ બારડ

(૨૭) બીજા વનવગડા ના વા

શરણ વેઠીને , મરણ સુધીનું જેણે જીવતર દીધું આ,
અને કદીયે મુખથી ના ના નીકળી સદાયે હાં ની હાં,
આવ કહ્યું નહિં કોઈ કહેનારું, વહાલા વેરી સૌ કહે જા,
ત્યારે થાક્યા નો વિસામો, તું ક્યાં છે મારી માં…..ઓ મા……..
બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

આ વિશાળ છે આકાશ, અને વસુંધરા ઘણી મોટી,
સ્થળ સ્થળ, જળ જળ, કણકણ માં, મારી આખ્યું માને જોતી,
બાળપણે પીવડાવ્યો એવો, એક પ્યાલો પાણી પા….તુ ક્યાં છે મારી મા………

જનમ્યા તે સર્જાયા મરવા, માત તાત ને ભ્રાત,
પણ મારી જેમ દુખીયારી ની, કદી મરશો ના કોઈ ની મા,
ફરી ઝુલાવી, હા લુ લુ હા….ઓ મારા લાલ,
ફરી ઝુલાવી ઘોડીયે એક હાલરડું તો ગા……

બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

અવિનાશ વ્યાસ

(૨૮) મા,મમતા ને માયા

જન્મ સફળ થઇજાય, જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે, ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
……. જન્મ સફળ થઇ જાય.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૨૯) મારી “મા”

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,હું
સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રોવું અને તારું મન રોતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,

મારી માં , મારી માં , મારી માં …….

લી., રાધે-ક્રિશ્ના,,,,,,,

(૩૦) આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

-કવિશ્રી ઇન્દુલાલ ગાંધી

(૩૧) માતા વિના સૂનો સંસાર

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?
જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.
લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,
ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.
-મહાકવિ શ્રી પ્રેમાનંદ (”કુંવરબાઈનું મામેરું”માંથી)

(૩૨) માતા

ગઝલ

યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી
શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી
હું કદી બિમાર પડતો તે સમય તું એકલી
રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી
મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા
શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી
મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની
કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી
માના ચરણોમાં છે જન્નત વાત સાચી છે ‘હસન’
આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી

-હસન ગોરા ડાભેલી, બાટલી

(૩૩) મા ઉપરના હાયકુ

સુંઘે છે શીશ
મારું મા : સુભાગ્ય કે
નથી દેખતી !
*
માતાના સ્તને
અજાણ દુષ્કાળથી
બાલ કનૈયો
*
વઢકળી યે
લાગ મા કેવી વ્હાલી
વઘાર વેળા !
*
પારણે શિશુ,
શરદચંદ્ર : ગુંથે
ઝબલુ માતા
*
બેબી ના ફ્રોકે
પતંગિયુ : ઝુલતું
માની કીકીમાં
*
ખેંચતું માને
બંધ ઢીંગલીઘરે
રડે બાળક
*
“આયવો ભાઇ !”
વ્રૂધ્દ્રત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
*
ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’

(૩૪) દરિયો ડોલે રે માઝમ રાતનો

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

– ઝવેરચંદ મેઘાણી

(૩૫) “મા”

મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા
આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક

મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં

લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર

ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા

-સંદીપ ભાટિયા

(૩૬) “મા“નું નામ ખરે રૂપાળું

‘મા’નું નામ ખરે રૂપાળું.
મીઠું ને મનમોહક એ તો
છે દુનિયાનું પ્યારું … ‘મા’નું
મૃતને પણ છે જીવનદાયક,
વિષમાં અમૃત ન્યારું;
દુઃખદર્દનો છેક વિસામો,
અંધારે અજવાળું … ‘મા’નું

રણમાં છે એ મધુર વીરડી,
ભોજન ક્ષુધાર્ત સારું;
સ્વર્ગ તેમ મુક્તિથી મંગલ,
જીવનદાન અમારું … ‘મા’નું

કવિજન દેવ વળી પરમાત્મા
માને નિશદિન સારું;
કેમ કરીને કહી શકે કો
છે કેવું રઢિયાળું … ‘મા’નું

બોલાયે મુખમાંથી ત્યારે
તૂટે અંતર-તાળું;
‘મા’નુંયે મનડું મલકાયે
કેમ કહો ના વારુ ? … ‘મા’નું

‘મા’ની ફરજ છતાં છે ભારે,
સમજી લો તો સારું;
શરણાગતને પાળો રક્ષો
જીવન સુધરે મારું … ‘મા’નું

– શ્રી યોગેશ્વરજી

(૩૭) માં, હવે શું તને એકલું લાગે છે ?

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?
વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે…જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે…માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

-દિગીશા શેઠ પારેખ,

(૩૮) મને મારી બા ગમે છે

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

– વિપિન પરીખ

(૩૯) માએ મનને ગજાવ્યાં

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યાં શબદચોકમાં રે!
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

(૪૦) માવલડી

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે

માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે

અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

(૪૧) મમતા

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!
મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.
ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.
તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.
મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને
તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી!
એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,
તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.
મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.
હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે.
રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.
સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી.
અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

–ધ્વનિ જોશી

(૪૨) ચાલને મા આપણે ચાલીયે

ચાલને મા આપણે ચાલીયે
ચાલને મા આપણે ચાલીયે.
હળવા હળવા પડતા ફોરામા;
અડધા પડધા ભીન્જતા,
તપતી ધરતીની ઉઠતી ફોરમમાં
ને, જમીનના આ તારાઓમાં
રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.
વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,
મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,
વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સૃષ્ટીના,
થોડા મિત્રોની પહેચાન તું સમજાવે,
થોડી ઓળખાણો હુ કરાવું;
વિકસતા સંબંધોના ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.

આ કાળાશભર્યા રસ્તાઓમાં,
ને જંગલના છાંયડાની લીલાશમાં,
આ જીન્દગીને માણવા, જીરવવા,
ભુતકાળની વાર્તાઓ તું સુણાવે,
ભવિષ્યની શક્યતાઓ હું જણાવું,
વર્તમાનને જીવતાં જીવતાં ચાલને મા આપણે ચાલીયે.

Rachana Upadhyaya

(૪૩) માંની ગોદમાં

મમતા બધી લહેરાય છે જુઓ માંની ગોદમાં.
સ્વર્ગ પણ મ્હેકાય છે જુઓ માંની ગોદમાં
કરામત બધી સર્જાય છે જુઓ માંની ગોદમાં
પયંબરો બધા અંકાય છે જુઓ માંની ગોદમાં

ગાંડો હથીલો બાળ ને હમેશા અસ્તવ્યસ્ત
કેવો જઈ એ લપાય છે જુઓ માંની ગોદમાં

સંતો વલીને ભકતજન બન્યા એની હુંફથી
દાતાને શૂર પોંખાય છે જુઓ માંની ગોદમાં

કોણ અહીં અર્પી શકે નિર્મળતા એનાં પ્રેમની
સ્નેહ કળી ગુંથાય છે જુઓ માંની ગોદમાં

આંસુઓ નાં ફૂલ લઈને ફાતિહા હું પઢું
મારા ગુના ધોવાય છે જુઓ માંની ગોદમાં

કદમો તળે મા’ના જન્નત છૂપાઈ છે.વફા’
જિંદગી સહુ સચવાયછે જુઓ માંની ગોદમાં

– મોહમંદઅલી’વફા’

(૪૪) “મા”
નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી માવલડી તારી
આ જિંદગી છે સારી
કૃપા માવલડી તારી

ખોળો મેં તારો ખુંદ્યો
જિવને પ્યાર માણ્યો
તારી યાદ છે સુહાની
માવલડી તું મઝાની

સ્વાર્થ તુને ના લગીરે
પરમાર્થની તું છબી રે
બસ હાથ તારો થામ્યો
જિવનને રાહ લાધ્યો

શ્રદ્ધા છે તુજમાં દિલથી
ડોલે કદી ના મુશ્કિલોથી
દિનરાત તારું સુમિરન
માવલડી તું ભગવન

-પ્રવિણા કડકિયા

(૪૫) “મા”

મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.

– હરિશ્ચન્દ્ર ભટ્ટ

(૪૬) સૌ માત

મેલ સૌના કાપતી, નીર નિર્મળ રાખતી,
સરિતા આ કલકલતી, માતા ગણાતી થઇ.
ભાર બધા ઝીલતી, ઘાવો ઘણા છતાં,
સુંદર આ ધરા સદા, માતા મનાતી થઇ.

ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.

વૃક્ષોની લાડકી ને સૌની યે માનીતી,
શાતા દેનારી આ, છાયા છવાતી ગઇ.

બાળુડાંના પ્યારમાં, અમ્રુત-ઝરા સમી,
છાતીના દૂધ થકી, જનની ભરાતી ગઇ.

તાપ, ખીણ, સંકટ ને હો નિરાશા બધી!
માત સૌના વ્હાલમાં, જિંદગી જિવાતી ગઇ.

-સુરેશ જાની

(૪૭) “મા”

આવો માને કરીએ પ્રણામ
મા તું ત્યાગનું પ્રમાણ
અંતરે તારે પ્રેમ નું ગાન
હરદમ દે આશિષનાં દાન
આવો માને કરીએ પ્રણામ
મા તેં ઘસી તારી આ કાયા
ન રાખ્યા સ્વાર્થ ને કદી માયા
બાળકોના સુખે વધે તારી શાન
આવો માને કરીએ પ્રણામ
મા તને શ્રીજીનો સહારો
શ્રીવલ્લભ ઝાલે હાથ તારો
મુખ કમળે અષ્ટાક્ષરનું ગાન
આવો માને કરીએ પ્રણામ
શ્રીજી સુણતું વિનતી ‘પમી’ની
માવડીની છે સેવામાં લગની
સુમિરન કરતાં છૂટે તેનાં પ્રાણ
આવો માને કરીએ પ્રણામ

-પ્રવિણા કડકિયા

(૪૮) “મા”
મા વિશ્વતણી જનેતા તુ, દેતી વર સહુ બાળગોપાળને;
કરૂં હું વન્દન વારંવાર મા, દીપો ભવસંગ સહુ જગતનાં.
હાર્યા-થાક્યા બાળ જ તારા, આવે તુજ દ્વારે મા કરો નહિ નિરાશ.
આસ્થા તુજ નામ તણી સાચી, ગુરુના સાચા પ્રેમી કૃપાપાત્ર.

રણમાં, વનમાં, કે જગતમાં, નથી તુજ વિણ કોઇ અવર;
પડતા, આખડતાને દેજે સહારો, મા કંટકતણાં પથ પર.
ભલે રૂઠે જગ વિશેષ, ના વિસારીશ તુ આ જીવનભર;
દીઠું મુખડું તારૂ મા અંબે, ના લાગે મુજ મન અન્ય ડગર પર.

મા તે મા બીજા વનના વા, એ સુણ્યું સાચું કરજે હે માત;
માયા સંસારની વીંટળાઇ વળી, તુજ વિણ કોણ ઉધ્ધારક માત.
આધિ, વ્યાધિ, ઉપાધિ, સહુ અર્પણ, મુજને નિવારજે ઓ માત;
કરી કસોટી ઘણાં જગ જનની, નથી તુજ વિણ કોઇ સ્વજન હે માત.

ભાંગ્યાની ભેરૂ, સાચો સહારો, નિર્મળ ચહેરો તારો;
વિસ્મૃતિ ના થાય કદીયે, મંગળ મૂરત, વદન સોહાયે.
છોરૂં કછોરૂં ભલે થઇ જાય, માવતર કમાવતર ના થાય કદીયે;
તારી ચરણરજ માથે ચઢાવી, તુજ ગુણ ગાઉ, નમન કરીને.

– બંસીધર પટેલ

(૪૯) મમતાની ગોદ
ઓ મા, ઓ મારી મા,

ગોદમાં તારી મુજને દે રમવા

બસ એટલું માંગું મારી મા,

ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)

તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,

તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,

હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,

ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)

તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,

તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !

હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,

ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)

તારા હાસ્યમાં મારૂ હાસ્ય,

તારા નયને પ્રભુને નિહાળું,

હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,

ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)

-ડો.ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) મમતાનો વીરડો રે
હે એવો મમતાનો વીરડો રે મારી માવડી.
હે વહે સદા આંખે અમીધાર રે માવલડી મારી.

હે એવા મધથી રે મીઠડાં તે તારા વેણલાં
હે હોઠે ઝરે હેત ભારોભાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે એવા પથરાં રે જેટલાં રે પૂજ્યા દેવને… રે માએ (2)
હે નવનવ મહિના કોઠે જીલ્યા વાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે એવા ભીને રે રહીને સૂકે સૂવડાવ્યા
હે કેમ ભૂલું હું મા તારા ઉપકાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે જનની જાણે જગદંબાનું રૂપ રે માવલડી મારી.
હે એવો મમતાનો વીરડો રે મારી માવડી.

-લોકગીત

(૫૧) મમતાના મોલ
અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

(૫૨) જનની

જગની સઘળી શાતાની તું દાતા
જન્મદાતા વિધાતા તું માતા

પાવન તીર્થો સમાયાં તારા ચરણે

માણે શીશુ સ્વર્ગ તવ શરણે

ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત

સર્વ સ્નેહથી વડી તારી મૂરત

સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી

સમર્પણ તપસ્યાની તું મંગલ મૂર્તિ

ઝીલે આશીષ બાળ તારા સુભાગી

લાગે પાય ભાળી તારામાં અવિનાશી

-રમેશ પટેલ ‘આકાશદીપ’

(૫૩) મારી વ્હાલી બા

મારી વ્હાલી બા,
વંદન કરૂં છું તને, ઓ મારી વ્હાલી બા !
બીજરૂપે નવમાસ પેટમાં પોષણ કરી,
માનવ દેહ આપ્યો છે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?….મારી….(૧)
વેદનાઓ અતી સહન કરી,
એક માનવદેહરૂપે જન્મ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…મારી….(૨)
નાજુક હતો, ‘ને ચાલી ના શક્યો જ્યારે,
પ્રેમ્થી ગોદમાં લઈ,વ્હાલ ખુબ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી….(૩)
મુખે નથી દાંતો કે નથી પ્રાચન શક્તિ એવી મારી,
તુજ દેહમાંથી વહેતી દુધની ધારાની કૃપા હતી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૪)
બચપણની કોમળતાના દિવસોમાં,
રમાડ્યો ‘ને વ્હાલ સાથે છાયા મળી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૫)
ગઈ યુવાની ‘ને મોટો થયો જ્યારે,
નિહાળ્યો હમેંશા પ્યારથી એક બાળરૂપે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?… મારી….(૬)
આજે, જ્યારે, તું છે પરલોકમાં,
તારી જ મધૂર યાદમાં, મળે આશરો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૭)

-ડો.ચંદ્રવદન મિસ્ત્રી

(૫૪) “બા”

બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,

-ભરત સુચક

(૫૫) મા તે મા

મા તે મા ને બીજાં વગડાના વા
મા જેવી મા બીજી લેવા તો જા .
થકવી નાંખે એવો સંસાર છે આ
માના ખોળામાં પોરો થોડો ખા.

જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા
ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!

છે સૌને મોટા થાવા બાબત હા
માતાને ભૂલી જાવા બાબત ના.

મોટો થઈને પણ હળવો હળવો થા
મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

-યશવંત ઠક્કર

(૫૬) “મા”

મા
શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

– બંસીધર પટેલ

(૫૭) “માતૃત્વ’”

એક દિ કુદરત ને
આવ્યો હશે વિચાર.
સર્જું કાંઇક એવું,
હોય જેમાં ખુબીઓ અપાર..
મોહકતા દીધી સહુમાં કંઇક,
ખુટતું તોય લાગે વારંવાર.
સર્જું હું કંઈક એવું જે,
હોય સઘળા સર્જન નો સાર.

ઝરણા ની નિર્મળતા લીધી,
ને માંગી નદી ની સરળતા.
વૃક્ષો ની લીધી પરોપકારતા
ને માંગી દરિયા ની વિશાળતા
થોડી લીધી પહાડ ની કઠણાઈ,
ઝઝુમી ને રહેવા અડીખમ.
કુલો થી લીધી કોમળતા,
ને અર્પી સઘળી સુંદરતા..
અને
નામ દીધું એને..

”નારી”…

હજુંય કઈક લાગ્યું ખુટતું.!!
તો
મુકી એમાં મમતા…

ન કર્યું પછી એણે કાંઈ,
ખિલવાદીધો રંગ મમતાનો.
સઘળા ગુણો સમાયા એમાં,
ન મળ્યો કોઈ પર્યાય મમતાનો.

જીવથી ય વધુ જતન કરે એ,
આવવા ન દે એ કોઇ આંચ,
સંજોગ,પરિસ્થિતિ ની શું વિસાત.!
એ હરાવતી એમને સાચેસાચ..

છલકતો અઢળક પ્રેમ,
છે એનું અનન્ય અસ્તિત્વ,
દુનિયા નાં સહુ સંબંધમાં,
છે મુઠઠી ઉંચેરું ‘માતૃત્વ’.
-ધ્વનિ જોશી

છે વિશ્વ માટે, તું અમારી માઁ,
છે અમારે મન, તું જ વિશ્વ માઁ.

******
”મમતા નો અર્થ ક્યાં શબ્દકોષો માં મળે!,
તારો પ્રેમ ક્યાં શબ્દો માં સમાય છે.

(૫૮) “માતૃત્વ’

“માતૃ દેવો ભવઃ

જન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામા
કેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામા
વેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મ
ભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામા
લોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણને
ઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામા
કર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણે
ભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામા
ન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિત
આંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા

“નીશીત જોશી”

(૫૯) Mother

My mother is like a tall fruit tree
Because she is strong,tall and big.
My mother is a like morning
Because she is like sun shine coming up.
My mother is like a mango
Because she is sweet and delicious.
My mother is like the thunder
Because she is sometimes angry with me.
My mother is like an armchair
Because she is cozy and warm.

-G’shyam Vaghasiya Surat,Gujarat,India.

(૬૦) A Poem For Mom …

You are the sunlight in my day,
You are the moon I see far away.
You are the tree I lean upon,
You are the one that makes troubles be gone.
You are the one who taught me life,
How not to fight, and what is right.
You are the words inside my song,
You are my love, my life, my mom.
You are the one who cares for me,
You are the eyes that help me see.
You are the one who knows me best,
When it’s time to have fun and time to rest.
You are the one who has helped me to dream,
You hear my heart and you hear my screams.
Afraid of life but looking for love,
I’m blessed for God sent you from above.
You are my friend, my heart, and my soul
You are the greatest friend I know.
You are the words inside my song,
You are my love, my life, my Mom.

કવિતા – પુત્ર – બેટા – દીકરો

3

|| કવિતા – પુત્ર – બેટા – દીકરો ||

(૧) પિતા તરફથી પુત્રને

તને સાઇકલ સાથે આપું છું વાદળ,
જજે એક દિવસ તું મારાથી આગળ.

હવે લખજે એને તું તારી જ રીતે,

તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.

ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,

કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.

અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,

રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.

કદી વારસાની અપેક્ષા ન રાખીશ,

પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.

કિરણકુમાર ચૌહાણ

(૨) દીકરાની ઝંખના

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

– લોકગીત

(૩) તમે મારા દેવના દીધેલ છો

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ,

મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ,

તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે.

હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે

(પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…)

ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ,

પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે

ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ,

બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ,

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે.

– ઝવેરચંદ મેઘાણી

(૪) દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

-કૈલાશ પંડિત

(૫) આંધળી માનો કાગળ અને દેખતા દિકરાનો જવાબ

|| આંધળી માનો કાગળ ||

અમ્રુત ભરેલું અંતર જેનું ,સાગર જેવડું સત,

પુનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે ,

ગીગુભાઇ નાગજી નામે .

લખ્ય કે માડીને પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ ,

કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઇ ,

સમાચાર સાંભળવા તારા ,

રોવું મારે કેટલા દહાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય ,

દન આખું જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય ,

નિત નવા લુગડા પહેરે ,

પાણી જેમ પૈસા વેરે .

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી ખૂટનું માપ ,

દવાદારુનાં દોકડા આપણે લાવશું ક્યાંથી બાપ ?

કાયા તારી રાખજે રુડી ,

ગરીબની ઇ જ છે મૂડી .

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ ,

જારનો રોટલો મળે નહીં તે દી પીવું છું એકલી છાશ ,

તારે પકવાનનું ભાણું ,

મારે નિત જારનુ ખાણું .

દેખતી તે દી દળણા પાણી કરતી ઠામે ઠામ ,

આંખ વિનાની આંધળીને હવે કોઇ ના આપે કામ ,

તારે ગામ વીજળી દિવા ,

મારે અહીં અંધારા પીવા .

લિખિતંગ તારી આંધળી માનાં વાંચજે ઝાઝા જુહાર ,

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ , ખુટી છે કોઠીએ જાર,

હવે નથી જીવવા આરો ,

આવ્યો ભીખ માંગવા વારો .

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,

આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,

વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .

પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,

આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,

બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .

ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ ,

એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,

ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા .

દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ ,

રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,

રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!

જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,

બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?

મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .

ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,

શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,

નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .

કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,

તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ ,

હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !

ઇંદુલાલ ગાંધી