નવકાર મહામંત્રનું મહાત્મ્ય

|A

|| નવકાર મહામંત્રનું મહાત્મ્ય ||

“ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! ’’

જગતના સર્વ મંત્રોમાં શીરોમણી મંત્ર આ નવકાર મંત્ર જ છે તેથી જ તો તેને સર્વ મંગળો માં ઉત્તમમંગળ રુપ સ્થાન મળ્યુ છે. નવકારને કેવળજ્ઞાન મંત્ર તરીકે પણ ઓળખી શકાય છે. એક નાનકડા ચેકમાં લાખો રૂપિયાનો સમાવેશ થાય છે. તેમ નવકારમાં સંપૂર્ણ દ્વાદશાંગી સમાયેલી છે. નવકારમાં સંપૂર્ણ જિનશાસન સમાયેલુ છે. તીર્થમાં શેત્રુંજય, દેવમાં ઈન્દ્ર, યંત્રમાં સિધ્ધ ચક્ર, સતીમાં સીતા, મંત્રમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે.

જેમ નક્ષત્ર સમુદાયનો સ્વામી ચંદ્ર છે તેમ સધળા પુણ્યનાં સમુહનો સ્વામી શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો ભાવ નમસ્કાર છે. જે ભાગ્યશાળી આત્માની મનરુપી ગુફામાં નવકારરૂપી સિંહ બેઠેલો છે તેના મનમાં કર્મ રૂપ હાથી કે કુવિકલ્પ રૂપ હરણા પ્રવેશી શકતાં નથી.

(1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો……

(1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ
(2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર
(3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર
(4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર

(2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો…..

– નવકાર ૧૪ પૂર્વનો સાર છે.
– નવકારના નવપદો છે.
– નવકારની આઠ સંપદાઓ છે.
– નવકારના ૬૮ અક્ષરો છે.
– પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)
– છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)

(3) નવકારના પ્રથમ પાંચ પદો……. પંચપરમેષ્ઠી……

– નવકારના પ્રથમ પાંચ પદો એક એક અધ્યયન નું મહાત્મ્ય ધરાવે છે…. દેહધારી મુકતાત્મા તે અરિહંત
– પ્રથમ પદમાં અનંત મહાવીર ભગવંતોને નમસ્કાર થાય છે…. દેહમુક્ત મુક્તાત્મા તે સિધ્ધ
– બીજા પદમાં શુધ્ધ સ્વરુપી અનંતા સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે….. પંચ મહાવ્રત આચરનાર અને બીજાને તેનું પાલન કરાવનાર આચાર્ય
– ત્રીજા પદમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરિ મહારાજ વગેરે સમાન ભૂત, ભવિષ્ય વર્તમાન સર્વે આચાર્યોને નમસ્કાર થાય છે….. મુનિને શ્રુત જ્ઞાનનું અધ્યયન કરાવનાર ઉપાધ્યાય
– ચોથા પદમાં આપણો આત્મા અનંત યશોવિજયજી મહારાજ જેવા ઉપાધ્યાય ને નમે છે.
– પાંચમાં પદમાં જૈન શાસનની ખાણમાં અનંતકાળની ભીતરમાં ધન્ના અણગાર જેવા સાધુને નમસ્કાર થાય છે.
આ બધાને નમવાનો લાભ આ પાંચ પદો દ્વારા પ્રાપ્ત થાય છે.

નવકાર વાળીના ૧૦૮ મણકાઓ……

પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

અરિહંતના ૧૨ ગુણ
સિધ્ધ ના ૦૮ ગુણ
આચાર્યના ૩૬ ગુણ
ઉપાધ્યાયના ૨૫ ગુણ
સ્રર્વ સાધુના ૨૭ ગુણ
કુલ્લે 108 ગુણ

આ 108 ગુણ પ્રાપ્ત કરવા 108 જાપ કરવામાં આવે છે.

નવકાર જાપ મહિમા……..

નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર, સો ભવિયા ચોખ્ખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર
નવલાખ નવકાર મંત્ર ગણનાર નરક અને તિર્યંચ ગતિ ઉપર મજબુત તાળા વાસી શકે છે.
નવકારના એક અક્ષરના જાપ થી 7 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવું મોહનીય કર્મ તૂટી જાય છે.
નવકારનું એક પદ 50 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવુ મોહનીય કર્મ તોડી નાંખે છે.
આખો નવકાર 500 સાગરોપમનું (પાપ) મોહનીય કર્મ દુર કરે છે.
એક બાંધાપારાની નવકારવાળી 54000 સાગરોપમ નું પાપ તોડે છે.
વિધિ પૂર્વક એક લાખ નવકાર ગણીને પૂજે તેને તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.
જે ભક્તિ વડે આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વખત નવકાર ગણે તે શાશ્ર્વત પદને પામીને ત્રીજે ભવે મોક્ષે જાય છે.

નવકારની તાકાત…….

એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો
એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી
એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ
એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર

માટે જ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. નવકારના સ્મરણ થી જેમ ગારૂડિક સર્પનું ઝેર મંત્રથી ઉતારે છે તેમ સંસારના રાગદ્વેષનું ઝેર નવકાર મંત્રથી ઉતરે છે.

નવકાર માં ત્રણ તત્વો……

નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.
દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી

નવકાર મહિમા…….

નવકાર મંત્ર પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન છે.
નવકાર મંત્ર કર્મરૂપી વન ને બાળવા દાવાનળ સમાન છે.
નવકાર મંત્ર દુઃખરૂપી વાદળને હટાવવા પવન સમાન છે.
નવકાર મંત્ર મોહરૂપી દાવાનળને ઠારવા મેઘ સમાન છે.
નવકાર મંત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા સૂર્ય સમાન છે.

નવકાર મંત્ર મહિમાના દ્રષ્ટાંતો………

1. હેમચંદ્રચાર્યે પોતાની માતા પાહિનિના સ્વર્ગવાસ વખતે 1 કરોડ નવકારનો જાપ કર્યો હતો.
2. ચૌદ પૂર્વધરો પણ અંત સમયે ચૌદ પૂર્વને યાદ કરતા નથી પરંતુ નવકારનું જ સ્મરણ કરે છે.
3. ભીલ-ભીલડી પણ નવકારના જાપથી દેવલોકમાં ગયા.
4. શ્રીમતી શેઠાણી ને પણ સસરાએ મૂકેલા સર્પનું નવકારના સ્મરણથી ફુલની માળામાં રુપાંતર થઈ ગયુ.
5. જિનદત્ત શેઠે બિજોરુ રાજાને પહોંચાડવામાં નવકારનાં જાપથી દુષ્ટ દેવને વશ કરી લીધા
6. સમડીના મરણ વખતે મૂનિએ નવકાર સંભળાવ્યો અને સુદર્શન રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ.
7. શૂળીએ ચઢેલો પિંગળ ચોર પણ આણંતાણંના જાપથી દેવલોકમાં ગયો.
8. મરણ વખતે પાર્શ્ર્વકુમારે સર્પને નવકાર સંભળાવ્યો તો તે મરીને ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો.
9. અમરકુમાર અને રત્નાવલી પણ નવકારના સ્મરણથી તરી ગયા.
10. ઉપસંહાર – આમ ત્રણે લોકમાં શ્રી જિન નમસ્કાર પ્રધાન છે. સદાકાળ શાશ્ર્વત છે.

નવકાર મંત્ર એ નરસુખ, સુરસુખ, શીવસુખનું પરમધામ છે.
નવકાર મંત્ર કલ્પવૃક્ષ, કામધટ, કામધેનુ, ચિંતામણી વગેરે જેવી ઉપમાને લાયક છે.
નવકાર મંત્ર જીવને દીર્ધજીવી, દિવ્યજીવી, ધનંજયી મૃત્યંજયી, શેત્રુંજયી, અને ચિરંજીવી બનાવે છે.
જે કોઈ ભવ્યાત્માઓ મોક્ષે ગયા છે જાપ છે અને જનાર છે તે સર્વે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના પ્રતાપે જ ગયા છે. જાય છે અને જશે.

“ સમરો મંત્ર ભલો નવકાર અનો અર્થ અનંત અપાર

“ સમ્યગ્ દર્શન શુધ્ધં યો, જ્ઞાનં વિરતિમેવ ચાપ્નોપ્તિ
દુ:ખનિમિત્તં અપીડદં, તેનં સુલબ્ધં ભવતિ જન્મ ’’

“ અરિહંત મહદ્ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો
જિણ પન્નતં તત્તં, ઈઅ સમ્મતં મએ ગહિયં
જંજં મણેણ બધ્ધં જંજં વાએણં ભાસિઅં પાવં
જંજં કાએણ કયં મિચ્છામિ દુક્કડં તસ્સ”

“ ત્વમેવ સચ્ચં નિ:શંક, જં જિણેહી પવેઈયં ’’

“ સમ્યગ દ્રષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ’’

“ હે દેવ, તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વહે
હે નાથ, તારા નયનમાં કરુણા તણા અમૃત ઝરે
વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યા
તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યાં’’

“ હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહુ
કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું
તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભર્યા સંસાર માં
જરા સામુ તો જુઓ નહિં તો કયાં જઈ કોને કહું.’’

Leave a comment